विवेचन सारांश
શરણાગતિ જ શાશ્વત શાંતિ

ID: 5478
Gujarati - ગુજરાતી
શનિવાર, 07 સપ્ટેમ્બર 2024
પ્રકરણ 9: રાજવિદ્યા-રાજગુહ્યયોગ
3/3 (શ્લોક 22-34)
વિવેચન: ગીતા વિદુષી સૌ. વંદના વર્ણેકર જી


સદ્ગુરુ સ્મરણ, આદિ ગુરુ શંકરાચાર્યથી પ.પૂ.ગોવિંદગિરિ સ્વામી સુધીના સૌ ગુરુઓની વંદના, મા સરસ્વતીની પવિત્ર, સુમધુર પ્રાર્થના, શ્રીહનુમાન ચાલીસાના પાઠ અને દીપ પ્રાગટય સાથે આજના ખૂબ જ સુંદર અને અનેક સંતોએ જેને સર્વોપરી માન્યો છે એવા અધ્યાય રાજવિદ્યારાજગુહ્યયોગના અંતિમ વિવેચન સત્રનો આરંભ થયો. ગણેશચતુર્થીના પાવન દિવસે શ્રી ગણેશમાં આદિ પરમેશ્વરના દર્શન કરતાં ગણેશજીની, અન્ય દેવતાઓની આરાધના, યજ્ઞ વગેરે કેવી રીતે કરવા અને ભ્રાંતિઓ કેવી રીતે દૂર કરવી એ જાણીશું.

અનસૂય, અનઘ, દોષદ્રષ્ટિ રહિત, ભગવાનના પરમ સખા અને સંપૂર્ણ રીતે પ્રભુના શરણાગત એવા અર્જુનને ભગવાન આ અધ્યાય સંભળાવે છે. જે આ રીતે અર્જુનની ભૂમિકામાં આવીને સંપૂર્ણ રીતે જીવન  ભગવાનને સોંપી દે છે, ભગવાન એના જીવનરથને જ્ઞાન વડે અભ્યુદય અને નિઃશ્રેયસના પૈડાં વડે કલ્યાણ સુધી લઈ જાય છે.

આ અધ્યાયમાં ભગવાન જીવ, જગત અને જગદીશનું રહસ્ય ખોલી દે છે. આ રાજવિદ્યારાજગુહ્યયોગમાં ભગવાન તત્ત્વજ્ઞાનના બદલે ભક્તિરસ તરફ લઈ જાય છે. રામદાસ સ્વામી કહે છે,

सगूणी भजे लेश नाही भ्रमाचा।

जगीं धन्य तो दास सर्वोत्तमाचा॥

સગુણની આરાધના કરતાં પરબ્રહ્મને જોવા અને એની સાથે એકાકાર થવું એ મનુષ્ય જીવનનું અંતિમ ગંતવ્ય છે.

ઘણા લોકો ભગવાનની પ્રાપ્તિ માટે નહીં પણ ભોગોની પ્રાપ્તિ માટે ભગવાનની આરાધના કરે છે. આવા લોકોનું સાધ્ય ભગવાન નથી હોતા. લોકોને પુણ્યનું ફળ મળી જાય છે અને એ લોકો સ્વર્ગમાં જાય છે  કારણકે વેદોના વિધિવિધાનથી કરેલા યજ્ઞો જરૂરથી ફળ આપે છે. આથી એ લોકો સ્વર્ગમાં જઈને ત્યાંના સુખ ભોગવે છે. ભોગોને ભોગવતાં-ભોગવતાં એમનું સંચિત પુણ્ય સમાપ્ત થયા પછી આત્મા ફરી મૃત્યુલોકમાં જાય છે. દાન, તપ, યજ્ઞ બધું કરીને પણ તેઓ ભગવાનને પ્રાપ્ત નથી કરતા. અર્જુનને પ્રશ્ન થાય છે કે તો ભગવાન કોને પ્રાપ્ત થાય છે? 

અહીં હવે ભગવાન અર્જુનને તત્વજ્ઞાનમાંથી ભક્તિરસ તરફ લઈ જાય છે. પોતાના સ્વાર્થ માટે ભક્તિ કરવી પણ ખોટી નથી, પણ અહીં ભગવાન અભિવચન પણ આપે છે કે જે ભક્ત અભિન્ન ભાવથી નિત્ય ભક્તિ કરે છે, અનન્ય ભક્તિથી એમના શરણમાં જાય છે, જે પોતાના સ્વાર્થ માટે નહીં પણ ભગવદ્ પ્રાપ્તિ માટે ભક્તિ કરે છે, એના યોગક્ષેમનું વહન પરમાત્મા કરે છે.


9.22

અનન્યાશ્ચિન્તયન્તો માં(ય્ઁ), યે જનાઃ(ફ્) પર્યુપાસતે।
તેષાં(ન્) નિત્યાભિયુક્તાનાં(ય્ઁ), યોગક્ષેમં(વ્ઁ) વહામ્યહમ્॥૯.૨૨॥

જે અનન્ય પ્રેમી ભક્તજનો મુજ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતાં નિષ્કામ ભાવે ભજે છે, એ નિત્ય- નિરંતર મારું ચિંતન કરનારા ભક્તોના યોગક્ષેમનું હું પોતે વહન કરું છું.

ભગવાન કહે છે કે જે લોકો અનન્ય ભાવથી નિત્ય અભિયુક્ત થઈ મારી ભક્તિ કરે છે એમના યોગ ક્ષેમનું વહન હું કરું છું. નવમા અધ્યાયનું આ બોધ વાકય છે - "योगक्षेमं वहाम्यहम् |"

આ તબક્કે અનન્ય ભાવ વિષે જાણવું બહુ જ જરૂરી છે. અનન્ય ભાવ એટલે 'ન અન્ય'. એનો અર્થ એવો બિલકુલ નથી કે કૃષ્ણ સિવાય બીજા કોઈ દેવ નથી. અપિતુ બધા દેવ પરોક્ષ રીતે પરમાત્મા જ છે, એક જ પરમાત્માના અલગ રૂપ છે. ભક્તની સાધના અને રુચિ અનુસાર ભગવાન અલગ-અલગ રૂપોમાં પ્રગટ થાય છે. અનન્યનો ભાવ ખોટી રીતે ન લેવો જોઈએ. એવું નથી કે વ્યક્તિ શિવ, દેવી, અન્ય દેવો, નિરાકાર, સાકાર વગેરેમાં માને છે તો બીજા કોઈને નથી માનતો. અભિન્ન ભાવથી, બીજા કોઈ વિષય અને ઈચ્છા વગર ભગવાનને ભજવા એ જ અનન્ય ભાવ છે. આમાં સાંપ્રદાયિકતાને કોઈ સ્થાન નથી.

ભગવાન બે વાત પર ભાર આપે છે. એક, ભક્તિ અનન્ય હોવી જરૂરી છે. બીજું, ભક્તિ બધી તરફથી, સતત હોવી જોઈએ. ફક્ત સંકટ સમયે ભગવાનને યાદ કરવાથી આ શ્લોક ફળીભૂત નથી થતો.

" योगक्षेमं वहाम्यहम्।" LIC of INDIA નું બોધ વચન છે. "नभ:स्पृशं दीप्तम्।" આ આપણી વાયુસેનાનું બોધવચન છે. ગીતાજીના અમુક વાક્યો ઘણી સંસ્થાઓમાં બોધવચન તરીકે વપરાય છે.

યોગ અને ક્ષેમ એટલે શું?

अप्राप्तस्य प्राप्तम् योगः જે પ્રાપ્ત નથી એને પ્રાપ્ત કરવું એ યોગ.

प्राप्तस्य रक्षणम् क्षेमः જે પ્રાપ્ત થયું એનું રક્ષણ એ ક્ષેમ.

ભગવાન જીવની આવશ્યકતા પૂર્ણ પણ કરશે અને એનું રક્ષણ પણ કરશે. એનો અર્થ એ નથી કે ભગવાન મનુષ્યની બધી લાલચ પૂરી કરશે. ભગવાન જાણે છે કે જીવને શેની જરૂર છે - શેની આવશ્યકતા છે?  બાળકને એની ક્ષુધા અને નિંદ્રાની સમજ નથી પણ એ માટે તે તેની મા ઉપર નિર્ભર છે. મા જ એના યોગક્ષેમનું વહન કરે છે. ગુરુને શોધવા માટે ભગવાન ભક્તને ગુરુ સુધી પહોંચાડી દે છે.

આની સાથે 'નિત્ય અભિયુક્ત'નો અર્થ સમજી લઈએ. એનો અર્થ છે - જે હંમેશા પરમાત્માથી યુક્ત છે. જેનું અનુસંધાન હંમેશા પરમાત્મા જ છે.

તો ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, જે અનન્ય ભાવથી અને નિત્ય અભિયુક્ત થઈ પૂર્ણ કૃષ્ણમય બની સંપૂર્ણ સમર્પણભાવથી મારા શરણમાં આવે છે એના યોગ અને ક્ષેમનું વહન હું કરું છું.

ઠાકુર રામકૃષ્ણ દેવ ગદાધરના નામે કાળીમાની પૂજા માટે કોલકતામાં નિયુક્ત હતા અને એ માના અનન્ય ભક્ત હતા. એમના ભાઈએ એમને કહ્યું કે આ આપણી મા છે. આજથી તું એમની સેવામાં નિયુક્ત છે. ત્યારથી એમણે એમને પોતાની મા તરીકે સેવા કરી અને માએ એમને જ્ઞાની બનાવ્યા. આ માટે એમને વેદાંત શીખવાડવા હિમાલયથી તોતાપુરી મહારાજને મોકલી દીધા, જે નિર્ગુણ ઉપાસક હતા. મહારાજે પૂછ્યું કે તું મારી પાસેથી વેદાંતની શિક્ષા ગ્રહણ કરીશ? ઠાકુરે કહ્યું કે હું માને પૂછીને આવું. ઠાકુર જઈને મા સાથે વાત કરવા લાગ્યા અને પૂછ્યું કે શું કરું? માએ કહ્યું કે ભણી લે, મેં જ એને હિમાલયની કંદરામાંથી તારી પાસે મોકલ્યો છે. તોતાપુરી મહારાજ જોવા ગયા તો આશ્ચર્યચકિત થઈ ગયા. સગુણ આરાધનાની આ ચરમ સીમા હતી. નિરાકાર અને સાકાર આરાધનાનો આ અજબ સંયોગ હતો. જેમ જેમ મહારાજ એમને ભણાવતા ગયા, તેમ તેમ એ સાકાર ભક્તિને પણ માનવા લાગ્યા. આ રીતે મનુષ્ય સંપૂર્ણપણે ભગવાન ઉપર નિર્ભર થઈ જાય છે અને એને ભગવાન જ જોઈએ છે ત્યારે એનામાં અનન્ય ભક્તિ આવી જાય છે અને પ્રભુએ એની પાસે આવવું જ પડે છે.

જ્ઞાનેશ્વર મહારાજ કહે છે,

मग तीहीं जें जें करावे । तें मजचि पडिलें आघवें ।
जैशी अजातपक्षांचेनि जीवें । पक्षिणी जिये ॥ ३३९ ॥

પરમાત્મા પાસે બધો પુરુષાર્થ અને પ્રાપ્તિ ભૂલીને શરણાગત થઈને જવું જોઈએ. જેમ પક્ષીના બચ્ચાની આંખ ના ખુલે ત્યાં સુધી કે ઉડતાં ના શીખે ત્યાં સુધી એ મા પર નિર્ભર છે, એમ જ પુરુષાર્થ અને જ્ઞાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો, પણ પરમાત્મા પાસે જતી વખતે બધું ભૂલીને શરણાગત થઈને જવું.

જ્ઞાનેશ્વર મહારાજ કહે છે,

आपुली तहानभूक नेणे। तान्हया निके ते माऊलीसीची करणे।

तैसे जे अनुसरले मज प्राणे। तयाचे सर्व मी करी ।।

જેમ બાળકને એની ક્ષુધા અને નિંદ્રાની સમજ નથી પણ એ માટે તે તેની મા ઉપર નિર્ભર છે. મા જ એના યોગક્ષેમનું વહન કરે છે. આ રીતે મનુષ્ય સંપૂર્ણપણે ભગવાન ઉપર નિર્ભર થઈ જાય છે અને એને ભગવાન જ જોઈએ છે, ત્યારે એનામાં અનન્ય ભક્તિ આવી જાય છે, અને પ્રભુએ એની પાસે આવવું જ પડે છે.

9.23

યેઽપ્યન્યદેવતા ભક્તા, યજન્તે શ્રદ્ધયાન્વિતાઃ।
તેઽપિ મામેવ કૌન્તેય, યજન્ત્યવિધિપૂર્વકમ્॥૯.૨૩॥

હે કુન્તીપુત્ર! જોકે શ્રદ્ધાથી યુક્ત જે સકામ ભક્તો અન્ય દેવતાઓને પૂજે છે, તેઓ પણ મને જ પૂજે છે; પરંતુ એમનું તે પૂજન અવિધિપૂર્વકનું એટલેકે અજ્ઞાનપૂર્વકનું છે.

જે લોકો શ્રદ્ધાપૂર્વક અન્ય દેવોની સકામ ભક્તિ કરે છે, (જેમ આજે આપણે બુદ્ધિના દેવતા ગણેશજીની પૂજા કરીએ છીએ) તે વાસ્તવમાં પરોક્ષ રીતે મારી જ ભક્તિ કરે છે, પરંતુ એ અજ્ઞાનપૂર્ણ હોય છે  એટલે કે વિધિપૂર્વક નથી હોતી. અનેક અધિષ્ઠાતા દેવો છે - જેમકે વાયુદેવ(પવન), વરુણદેવ(જળ ), લક્ષ્મીદેવી (ધન), સરસ્વતી(કળા), ગણપતિ(બુદ્ધિ) વગેરે. સૃષ્ટિને ચલાવવા અલગ-અલગ દેવતાઓ અલગ-અલગ કામ કરે છે. આ બધા પૂજન પરમાત્માને જ પહોંચે છે.

વીજળી વિભાગ રાજ્ય મંત્રાલયમાં આવે છે અને એ કેન્દ્રીય મંત્રાલયનો જ ભાગ છે. એમાં નોકરી કરનાર છેવટે કેન્દ્ર સરકારનો જ ભાગ છે. જેમ કેન્દ્ર સરકારમાં અલગ ખાતાના અલગ મંત્રી હોય છે જે પોતાના વિભાગનું નિયંત્રણ કરે છે, પણ મૂળ સત્તા પ્રધાનમંત્રીની હોય છે તેમ જ અનંત શક્તિના અધિષ્ઠાતા દેવતાઓ અલગ ક્ષમતાઓનું સંચાલન અને નિર્વહન કરે છે, પણ એમને એ ક્ષમતા પરમાત્મા પાસેથી જ મળે છે.

9.24

અહં(મ્) હિ સર્વયજ્ઞાનાં(મ્), ભોક્તા ચ પ્રભુરેવ ચ।
ન તુ મામભિજાનન્તિ, તત્ત્વેનાતશ્ચ્યવન્તિ તે॥૯.૨૪॥

સમસ્ત યજ્ઞો નો ભોક્તા અને સ્વામી પણ હું જ છું; આમ હોવા છતાં પણ એ સકામ ભક્તો મુજ પરમેશ્વર ને તત્ત્વથી નથી જાણતા, માટે જ પતન પામે છે એટલે કે પુનર્જન્મને પામે છે.

सहयज्ञा: प्रजा: सृष्ट्वा पुरोवाच प्रजापति: |

अनेन प्रसविष्यध्वमेष वोऽस्त्विष्टकामधुक् ||

બ્રહ્માજીએ યજ્ઞ સાથે સૃષ્ટિની રચના કરી. યજ્ઞ એટલે સંગઠિત રૂપથી થતું સેવાકાર્ય. જેમ વીજળી આગળ સબ સ્ટેશનથી આવે છે પણ એવું લાગે છે કે તારમાંથી આવે છે, એમાં કેટલાય લોકો વિપરીત  પરિસ્થિતિમાં પણ કામ કરતા હોય છે. આ પણ યજ્ઞ જ છે. ભગવાન કહે છે કે બધા જ દેવોના યજ્ઞોનો ભોક્તા હું જ છું અને સ્વામી પણ હું જ છું.

તેમ જ દેવતાઓથી પ્રાપ્ય વરદાન, ભોગ, સંકટ નિવારણ વગેરે પરમાત્માથી જ મળે છે. પરમાત્મા જ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું નિયંત્રણ કરે છે. તત્ત્વતઃ આ ન જાણનારા ચલિત થઈ જાય છે અને પતનને પ્રાપ્ત થાય છે. કયારેક જુદા-જુદા સંપ્રદાયોમાં ઝગડા થાય છે, પણ જ્ઞાનેશ્વર મહારાજ કહે છે,

विश्वची माझे घर। ऐसी मती जयाची स्थिर।
किंबहुना चराचर। आपणी जाहला।।

વિશ્વ પરમાત્મા દ્વારા સંચાલિત છે એ જાણનારા આવા ઝગડામાં નથી પડતા. એ આપણા ભારતની જેમ સનાતન ધર્મને પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે પણ સ્થિતિ પ્રમાણે ધર્મ યુદ્ધમાં છે કે શાંતિમાં, એ  વિચારવું જોઈએ. આ વિવેકબુદ્ધિ ગીતા દ્વારા મળે છે. એક દ્રષ્ટાંત કથા જોઈએ.

એક ગુરૂજી હતા. એમના બે શિષ્ય હતા. બંને શિષ્ય ગુરુજીની સેવા કરવા માટે લડતા હતા. ગુરૂજીએ એકને જમણા અંગની સેવા કરવા અને બીજાને ડાબા અંગની સેવા કરવા કહ્યું. એક વાર જમણા અંગની સેવા કરનાર શિષ્યને ગરુજીએ કામ માટે બીજા ગામે મોકલ્યો હતો. ડાબા અંગની સેવા કરનાર શિષ્ય જમણા અંગની સેવા કરવા નહોતો માંગતો. ગુરુજીએ એને જમણો પગ દબાવવા કહ્યું, એણે વિચાર્યું કે આ તો મારી સેવાનો ભાગ નથી. વિચારમાં જ એણે જોરથી પગ દબાવી દીધો. ગુરુજીને પગ વધારે દુખવા લાગ્યો. જયારે  જમણા અંગવાળો શિષ્ય આવ્યો અને વાત જાણી તો એણે વિચાર્યું કે એણે મારા અંગને તકલીફ આપી. એણે પથ્થર લઈને ગુરુજીના ડાબા પગ પર માર્યો. આ સાંપ્રદાયિકતા થઈ. આનાથી પરમાત્માને કેટલું કષ્ટ થતું હશે!

9.25

યાન્તિ દેવવ્રતા દેવાન્, પિતૄન્યાન્તિ પિતૃવ્રતાઃ ।
ભૂતાનિ યાન્તિ ભૂતેજ્યા, યાન્તિ મદ્યાજિનોઽપિ મામ્॥૨૫॥

દેવતાઓને પૂજનારા દેવતાઓને પામે છે, પિતૃઓને પૂજનારા પિતૃઓને પામે છે, ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે અને મારું પૂજન કરનારા ભક્તો મને જ પામે છે; માટે જ મારા ભક્તોનો પુનર્જન્મ નથી થતો.

પ્રભુ કહે છે જે જેવી ભાવનાથી જેની સાથે જોડાશે તેની એવી જ ગતિ થશે. જે દેવોને પૂજે છે તે દેવોને પામે છે. જે પિતૃઓને પૂજે છે તે પિતૃઓને પામે છે. જે ભૂતોને પૂજે છે તે ભૂતોને પામે છે. અહીં ભૂતોનો  અર્થ બે રીતે કરી શકાય છે. એક તો ભૂતપ્રેત યોનિ. બીજું એ સમજાય કે શરીર પંચમહાભૂતનું બનેલું છે તો એ પંચમહાભૂત - વાયુ, અગ્નિ, પૃથ્વી, તેજ અને પાણીની આરાધના કરવાવાળા પ્રકૃતિને પામે છે.

જેનું ચિંતન કરીએ ત્યાં જ પહોંચીએ છીએ. એ જ રીતે જે તત્ત્વતઃ મને જાણીને મરી ઉપાસના કરે છે તે મારામાં જ નિવાસ કરે છે.

9.26

પત્રં(મ્) પુષ્પં(મ્) ફલં(ન્) તોયં(ય્ઁ), યો મે ભક્ત્યા પ્રયચ્છતિ ।
તદહં(મ્) ભક્ત્યુપહૃતમ્, અશ્નામિ પ્રયતાત્મનઃ॥૨૬॥

જે કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર, પુષ્પ, ફળ, જળ વગેરે અર્પે છે, એ શુદ્ધ બુદ્ધિના નિષ્કામ પ્રેમી ભક્તનું પ્રેમપૂર્વક અર્પેલું એ પત્ર-પુષ્પ આદિ હું સગુણ રૂપે પ્રગટ થઈને પ્રેમ થી આરોગુ છું.

અહીં અર્જુનને પ્રશ્ન થાય છે કે પરમાત્મા તો આખી સૃષ્ટિના નિયામક છે તો એમની આરાધના કેવી રીતે કરવી? જેનું હૃદય વિશાળ છે એ સહેલાઈથી પ્રાપ્ત થાય છે. જ્ઞાનેશ્વરજી મહારાજ એક ઓવીમાં કહે છે,

पैं भक्ति एकी मी जाणें । तेथ सानें थोर न म्हणें ।

आम्ही भावाचे पाहुणे । भलतेया ॥ ३९५ ॥

येर पत्र पुष्प फळ । तें भजावया मिस केवळ ।

वांचूनि आमुचा लाग निष्फळ । भक्तितत्व ॥

પત્રપુષ્પ, ફળ અને પાણી તો મારી સાથે જોડાવાનું એક નિમિત્ત માત્ર છે. પરમાત્મા કહે છે કે હું ફક્ત અંતઃકરણની ભક્તિ જોઉં છું, એની સામાજિક મહાનતાથી મને કોઈ ફરક નથી પડતો.

પ્રભુ તો પવિત્ર પ્રેમથી ભક્તિપૂર્વક અને શુદ્ધ અંતઃકરણથી અર્પિત કુદરતે આપેલ પત્રપુષ્પફળ અને પાણીથી જ પ્રસન્ન છે. ભગવાન કહે છે આવી ભાવનાથી અર્પણ થયેલ વસ્તુઓ હું ગ્રહણ કરું છું. ભગવાન કહે છે એમની આરાધનામાં માનવ નિર્મિત કોઈ વસ્તુની જરૂર નથી. तेरा तुझको अर्पण, क्या लगे मेराઆ ભાવના હોવી જોઈએ. માનવ નિર્મિત વસ્તુઓના ઉપયોગથી માનવને અહંકાર આવે છે. યજ્ઞ કરીને અર્પણ કરવાની પણ જરૂર નથી. ભગવાન નિર્મિત વસ્તુઓ જ ભક્તિપૂર્વક અને શુદ્ધ અંતઃકરણથી અર્પિત કરવાથી ભગવાન તરત એને ગ્રહણ કરે છે. એક દ્રષ્ટાંત કથાથી આ વિષયને સમજીએ.

જયારે અશ્વત્થામાએ અર્જુનપત્નિ ઉત્તરા ઉપર બ્રહ્માસ્ત્ર ચલાવ્યું ત્યારે પોતાના પુત્રની રક્ષા માટે એ પ્રભુને કરગરવા લાગી. ત્યારે ભગવાને કહ્યું કે તું મને કાંઈ અર્પણ કર. ઉત્તરાએ કહ્યું કે મારી પાસે તો અર્પણ કરવા જેવું કાંઈ જ નથી. ત્યારે ભગવાને કહ્યું કે તારું માતૃત્ત્વ તું મને અર્પણ કર. ઉત્તરાએ પોતાનો પુત્ર શ્રીહરિને અર્પણ કર્યો અને પ્રભુએ ગર્ભમાં જઈને એના પુત્રની રક્ષા કરી, જે પછી પરીક્ષિત રાજા બન્યો. આમ પ્રભુ તો ફક્ત અંતઃકરણની ભક્તિપૂર્વકની શુદ્ધ ભાવના જ સ્વીકારે છે.

9.27

યત્કરોષિ યદશ્નાસિ, યજ્જુહોષિ દદાસિ યત્।
યત્તપસ્યસિ કૌન્તેય, તત્કુરુષ્વ મદર્પણમ્॥૯.૨૭॥

હે કોન્તેય! તું જે કંઈ કર્મ કરે છે, જે ખાય છે, જે હોમે છે, જે દાન કરે છે તથા જે તપ કરે છે, એ સઘળું મને અર્પણ કર.

અર્જુનને પાછો પ્રશ્ન થાય છે કે રણભૂમિ છોડવાની તો પ્રભુની આજ્ઞા નથી, તો રણભૂમિમાં પત્ર, પુષ્પ, ફળ અને પાણી ક્યાંથી ઉપલબ્ધ થશે?

रात्री दिवस आम्हां युद्धाचा प्रसंग । अंतर्बाह्य जग आणि मन ॥ જીવનમાં આપણે ઘણી બધી વ્યવસ્થામાં અને બંધનોમાં બંધાયેલા હોઈએ છીએ. તો પરમાત્માની અર્ચના કેવી રીતે કરવી?

પ્રભુ કહે છે કે હે અર્જુન, તું જે કાંઈ ખાય છે, હવન કરે છે, દાન કરે છે, તપસ્યા કરે છે, જે પણ રૂપમાં કર્મ કરે છેતે સર્વે મને અર્પણ કર, એટલે કે તેનું પુણ્ય મને અર્પણ કર. અહીં ભક્તિયોગ અને કર્મયોગનો સુંદર સમન્વય થયો છે. જે કર્મ પ્રભુની શક્તિથી થાય છે તેના કર્મફળ પ્રભુને અર્પણ કરવાના છે.

અર્પણ કરવું એટલે શું? નિર્લિપ્ત થવું. કર્તુત્વની ભાવના છોડવી, અને એ સમજવું કે ઈન્દ્રિયો વડે થતાં બધા જ કર્મ ભગવાન કરે છે. પરમાત્માની શક્તિથી જ બધું થાય છે. જ્ઞાનેશ્વર મહારાજ કહે છે,

वृक्ष कां वेली लोटती फळे आली

तैसी सांडी निपजली । दानपुण्ये ॥

બધા વૃક્ષ અને વેલા ફળ્યા પછી બધું સૃષ્ટિ માટે છોડી દે છે, એમ જ બધું મને અર્પણ કરી દો.

परि सर्वथा आपुलां जीवीं । केलियाची शंका कांहींचि नुरवीं ।
ऐसीं धुवोनि कर्मे द्यावीं । माझियां हातीं ॥ ४०१ ॥

કરેલા કાર્ય પરથી અહંકારનો લેપ દૂર કરો. કર્તુત્ત્વ અને ભોક્તૃત્ત્વનો ભાવ છોડીને કર્મ કરવાથી એ અર્પણ કરવા યોગ્ય બની જાય છે. પોતાની ક્ષમતા અનુસાર અહંકાર છોડીને જે હોય તે કૃષ્ણાર્પણ કરો અને જે મળે તે ફળ સ્વરૂપે ગ્રહણ કરો.

તેજોમયજીનું એક સુંદર વાક્ય છે. કોઈ કાંઈ આપે તો આપણે આભાર માનીએ છીએ, પણ એ પહેરવા જે શરીર આપ્યું છે એનો આભાર માનવાનો ભૂલી જઈએ છીએ.

9.28

શુભાશુભફલૈરેવં(મ્), મોક્ષ્યસે કર્મબન્ધનૈઃ।
સન્ન્યાસયોગયુક્તાત્મા, વિમુક્તો મામુપૈષ્યસિ॥૯.૨૮॥

આ પ્રમાણે, જેમાં સમસ્ત કર્મો મુજ ભગવાનને અર્પણ થાય છે, એવા સન્યાસ યોગ થી યુકત થયેલા ચિત્ત નો તું શુભાશુભ ફળ રૂપી કર્મબંધન થી છુટી જઈશ અને એમનાથી છૂટેલો મને જ પ્રાપ્ત થઈશ.

કર્મ આચરણ કરતા ત્રુટિ રહી શકે છે પરંતુ સંન્યાસયોગથી પરમાત્મા સાથે જોડાવાથી બધા કર્મબંધનોથી મુક્ત થઈ જવાય છે. ભગવાન કહે છે કે આ રીતે તું કર્મના શુભ અને અશુભ ફળોથી મુક્ત થઈને મને પ્રાપ્ત કરી શકશે. શુભ અને અશુભ સિક્કાની બે બાજુ છે.

સંન્યાસયોગ એટલેકે સંસારથી (સંસાર, કર્મ, વાસના વગેરેથી) અલિપ્ત અને પરમાત્મામાં લિપ્ત એવી સ્થિતિ. આ સ્થિતિમાં બધા કર્મબંધનોથી મુક્ત થઈ જવાય છે અને પ્રભુને પ્રાપ્ત કરી શકાય છે.

કર્મ કર્તુત્ત્વકર્મ ભોક્તૃત્ત્વ અને કર્મ આસક્તિથી મુક્ત થનાર પરમાત્માને પ્રાપ્ત કરે છે.

9.29

સમોઽહં(મ્) સર્વભૂતેષુ, ન મે દ્વેષ્યોઽસ્તિ ન પ્રિયઃ।
યે ભજન્તિ તુ માં(મ્) ભક્ત્યા, મયિ તે તેષુ ચાપ્યહમ્॥૯.૨૯॥

હું સઘળા ભૂતો માં સમભાવે વ્યાપક છું, ન તો કોઈ મને અપ્રિય છે કે ન પ્રિય છે; છતાં પણ જે ભક્તો મને પ્રેમથી ભજે છે, તેઓ મારામાં છે અને હું પણ એમનાંમાં પ્રત્યક્ષરૂપે પ્રગટ છું.

પરમાત્મા કેવા છે? સંસાર છોડીને કોની સાથે જોડાવું? પ્રભુ કહે છે, "હે અર્જુન, હું બધા માટે સમાન છું. હું કોઈના માટે દ્વેષ નથી રાખતો કે કોઈના ઉપર વધારે પ્રીતિ નથી રાખતો. હું પક્ષપાત નથી કરતો. હું બધાને સમાનરૂપે પ્રેમ કરું છું."

ગુનેગારમાં પરમાત્માના દર્શન કેવી રીતે કરવા? આ સિધ્દ્ધાંત સમજવાની અર્જુનની પાત્રતા ન હોવાથી ભગવાને આગળની ગીતા કહેવી પડી. પરમાત્મા બધામાં છે પણ ઢંકાઈ ગયા છે. હીરાની વીંટી કાદવમાં હશે તો દેખાશે નહીં. ત્યાં જો તળાવનું પાણી શુદ્ધ થઈ જશે તો વીંટી દેખાશે. સંત મહાત્માઓમાં ભગવાનની આભા દેખાય છે, જયારે ગુનેગારોમાં એમની નકારાત્મકતામાં એ ઢંકાઈ જાય છે.

पंछी नदिया पवन के झोंके, कोई सरहद ना इन्हें रोके ।

सरहदें इन्सानों के लिए हैं

सोचो तुमने और मैने क्या पाया इन्सां हो के ।।

પ્રકૃતિ પણ બધા માટે સમાન રહીને સહુને સરખા જ પ્રકાશ, પાણી, હવા વગેરે આપે છે. બધાને એમના કર્માનુસાર જ ફળપ્રાપ્તિ થાય છે. પરંતુ જે મને પ્રેમ કરે છે, મારા શરણાગત છે, મારામાં એકાકાર રહે છે તે મારામાં અને હું એમનામાં વિદ્યમાન રહું છું. આપણે પરમાત્મા સાથે જોડાવું પડે.

જગદ્ગુરુ શંકરાચાર્યએ એક બહુ સરસ પ્રસંગ વર્ણવ્યો છે. એક વાર હિમવર્ષા થતી હતી એ સમયે લોકો તાપણું કરીને એની આસપાસ બેઠા હતા. તેમને સૌને અગ્નિની ઉષ્ણતા સમાનરૂપથી મળી રહીં હતી. એક માણસ જે દૂર ઉભો હતો તે કહેવા લાગ્યો કે મને તો ગરમી નથી મળતી. અગ્નિ પક્ષપાત કરે છે! પરમાત્મા પાસે જાઓ જ નહીં તો એમની કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય? આપણે આપણા પૂર્વગ્રહોથી ઘેરાયેલા હોઈએ છીએ, પણ ભગવાનને એવું કાંઈ નથી. એ તો નિષ્પક્ષ, નિરપેક્ષ છે અને એમની પાસે જનારને સમાન ભાવથી સ્વીકારે છે. કહેવાનો અર્થ ભગવદ્કૃપા મેળવવા માટે તમારે ભગવાન પાસે જવું પડે.

9.30

અપિ ચેત્સુદુરાચારો, ભજતે મામનન્યભાક્।
સાધુરેવ સ મન્તવ્યઃ(સ્), સમ્યગ્વ્યવસિતો હિ સઃ॥૯.૩૦॥

જો કોઈ ઘણો દુરાચારી પણ અનન્ય ભાવે મારો ભક્ત બનીને મને ભજે છે, તો એ સાધુ જ માનવા યોગ્ય છે; કેમકે એ ખરો નિશ્ચય કરનારો છે એટલેકે એણે દૃઢતાથી નિશ્ચય કરી લીધો છે કે પરમેશ્વરના ભજન જેવું બીજું કશુંય નથી.

અંતના આ શ્લોકોમાં ગીતાજીમાં સૌથી મહત્ત્વપૂર્ણ વાત- શરણાગતિનો ભાવ સમજાવ્યો છે.

જો કોઈ ઘણો દુરાચારી પણ અનન્ય ભાવથી પરમાત્માને ભજે અને પોતાના દુરાચરણની ક્ષમા માંગવાદુરાચરણથી દૂર જવા માટે, પોતાનો ઉદ્ધાર કરવા માટે પ્રાયશ્ચિત્તરૂપ એમના શરણમાં  આવવાનો નિશ્ચય કરે, ફરીથી દુરાચાર ન કરે તો એને ભગવાન સ્વીકારે છેએનું અહીં આશ્વાસન આપ્યું છે. ભગવાન કહે છે, આવી વ્યક્તિને સજ્જન જ માનવો જોઈએ કેમકે આવા મનુષ્યએ જીવનના ઉન્નયનનું પ્રણ લીધું છે.

જ્ઞાનેશ્વર મહારાજનો આ પ્રિય અધ્યાય છે. ગીતાની બીજી બધી વાતોની પુનરાવૃત્તિ થઈ છેપરંતુ આ વાત ફક્ત આ જ અધ્યાયમાં કહી છે.

रघुपति राघव राजाराम पतित पावन सीताराम ।

આ પરીક્ષાની ચાવી અનન્ય ભાવ અને શરણાગતિ છે. અહીં અસફળ વ્યક્તિને પણ પાછો પ્રયત્ન કરી ભગવાન પાસે જવાનો અધિકાર છે.

જ્ઞાનેશ્વર મહારાજ કહેછે, 

यालागीं दुष्कृती जऱ्ही जाहला । तरि अनुतापतीर्थीं न्हाला ।

न्हाऊनि मजआंतु आला । सर्वभावें ॥ 

ભગવાન કહે છેકેટલોય દુરાચારી હોય પણ જેણે અનુતાપ (પશ્ચાતાપ)ના તીર્થમાં સ્નાન કર્યું હોય તે તુરંત મારી પાસે આવે છે.

કારાગૃહના બંદીઓને ગીતા પરિવારના પ્રશિક્ષક ગીતા શીખવવા ગયા હતા. એમના અનુભવ બહુ સરસ હતા. એ લોકોને કારાગૃહમાં પણ શાંતિનો અનુભવ થવા લાગ્યો હતો, બસ શરત એ છે કે ગુનાની પુનરાવૃત્તિ ન કરવી.

बहूनां जन्मनामन्ते ज्ञानवान्मां प्रपद्यते |

वासुदेव: सर्वमिति स महात्मा सुदुर्लभ: ||

જ્ઞાની બહુ જન્મો પછી મને પામે છે પણ દુષ્કૃત્ય છોડવાની ઈચ્છાવાળી વ્યક્તિ મારા શરણમાં આવે તો એ તરત જ ધર્માત્મા બની જાય છે.

જેમ એક ડાકુ પશ્ચાતાપ કરીને મહર્ષિ વાલ્મીકિ બન્યા, રામાયણની રચના કરી અને એમનો ઉદ્ધાર કર્યો એમ પશ્ચાતાપથી મારા શરણમાં આવનારનો હું ઉદ્ધાર કરું છું.

9.31

ક્ષિપ્રં(મ્) ભવતિ ધર્માત્મા, શશ્વચ્છાન્તિં(ન્) નિગચ્છતિ।
કૌન્તેય પ્રતિજાનીહિ, ન મે ભક્તઃ(ફ્) પ્રણશ્યતિ॥૯.૩૧॥

એ સત્વરે ધર્માત્મા થઈ જાય છે અને સદા રહેનારી પરમ શાંતિને પામે છે; હે કોંતેય! તું નિશ્ચયપૂર્વક સત્ય જાણ કે મારો ભક્ત નાશ નથી પામતો.

સામાન્ય દર્દીને છોડીને ગંભીર દર્દીનો ડૉક્ટર તરત જ ઈલાજ કરે છે આ આના જેવું છે, દુરાચારી વ્યક્તિને પાપમુકત થવાનો ભગવાને આ ટૂંકો અને સરળ રસ્તો બતાવ્યો છે.

આ અધ્યાયની વિશેષતા આ શ્લોકમાં વર્ણવવામાં આવી છે જે બીજે ક્યાંય વર્ણવવામાં નથી આવી. પાપી વ્યક્તિ પશ્ચાતાપ સાથે ફરી દુરાચરણ ન કરવાનો નિશ્ચય કરે તો પ્રભુના સ્વીકારથી એ તરત જ ધર્માત્મા બની જાય છે અને શાશ્વત શાંતિનો અધિકારી બને છે.

હે કૌંતેય! હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે આવો ભક્ત ક્યારેય મારાથી દૂર નથી થતો. દુરાચારી જો પૂરા શુદ્ધિકરણના ભાવથી મારું સ્મરણ કરે, તો સીધો મારા હૃદયમાં સમાઈ જાય છે.

9.32

માં(મ્) હિ પાર્થ વ્યપાશ્રિત્ય, યેઽપિ સ્યુઃ(ફ્) પાપયોનયઃ।
સ્ત્રિયો વૈશ્યાસ્તથા શૂદ્રાઃ(સ્), તેઽપિ યાન્તિ પરાં(ઙ્) ગતિમ્॥૯.૩૨॥

હે પાર્થ! સ્ત્રીઓ, વૈશ્યો, શુદ્રો તથા પાપયોનિ- ચાંડાલ આદિ જે કોઈ પણ હોય, તેઓ પણ મારે શરણે જઈને પરમ ગતિને જ પામે છે.

અહીં ભગવાન જણાવે છે કે પાપીથી પાપી પણ જો મુક્ત થઈ શકે છે તો સામાન્ય દોષવાળા લોકોનું તો પૂછવું જ શું? અહીં ભગવાને બધા માટે ભક્તિમાર્ગથી જ્ઞાનમાર્ગ પ્રશસ્ત કર્યો છે.

આગળ ભગવાન જણાવે છે કે હીનકુળમાં જન્મેલા, પાપી, સ્ત્રીઓ, વૈશ્યો, શુદ્રો વગેરે જીવ પણ મારા શરણમાં આવીને પરમ ગતિને પામે છે. અહીં આ લોકોને બધાને પાપીની શ્રેણીમાં નથી મૂક્યાએમના વગર સંસારચક્ર ચાલવું શક્ય જ નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમને આરાધનાનો સમય ના મળે તેમના માટે પણ ફક્ત શ્રદ્ધા અને વિશ્વાસથી પરમ ગતિ શક્ય છે.

9.33

કિં(મ્) પુનર્બ્રાહ્મણાઃ(ફ્) પુણ્યા, ભક્તા રાજર્ષયસ્તથા।
અનિત્યમસુખં(લ્ઁ) લોકમ્, ઇમં(મ્) પ્રાપ્ય ભજસ્વ મામ્॥૯.૩૩॥

જો આ લોકો પરમ ગતિને પામી જતા હોય, તો પુણ્યશાળી બ્રાહ્મણો તથા રાજર્ષિ ભકતો મારે શરણે થઇને પરમ ગતિને પામે એમાં તો કહેવું જ શું! માટે તું સુખ વિનાનું અને ક્ષણભંગુર આ મનુષ્ય-શરીર પામીને નિરંતર મને જ ભજ.

વળી ભગવાન કહે છે કે જો આવા લોકોને પરમ ગતિ મળવી શક્ય છે તો બ્રાહ્મણ, ભક્ત અને રાજસી એટલે કે સત્ત્વગુણી અને રાજસી લોકોનું તો પૂછવું જ શું?

માટે આ ક્ષણભંગુર અને દુઃખમય સંસારમાં મને સમર્પિત થઈ સંપૂર્ણ ભાવ અને ભક્તિથી મને ભજો તો શાશ્વત શાંતિ દ્વારા જીવન સફળ બની શકે છે.

9.34

મન્મના ભવ મદ્ભક્તો, મદ્યાજી માં(ન્) નમસ્કુરુ।
મામેવૈષ્યસિ યુક્ત્વૈવમ્, આત્માનં(મ્) મત્પરાયણઃ॥૯.૩૪॥

મારામાં મન ને પરોવ, મારો ભક્ત બન, મારું પૂજન કરનારો થા, મને પ્રણામ કર; આ રીતે આત્માને મારામાં પરોવીને મારે પારાયણ થયેલો તું મને જ પામીશ.

આ છેલ્લા શ્લોકની વાત છેલ્લા અધ્યાયમાં ફરીથી કહેવામાં આવી છે. આરાધના કરીને જગતમાંથી પરમ ગતિ પ્રાપ્ત કરવાના પાંચ માર્ગ બતાવ્યા છે.

1. મન લગાવીને

2. પ્રેમ અને ભક્તિથી

3. પરમાત્મા પ્રાપ્તિના સંકલ્પથી

4. પૂર્ણ શરણાગત ભાવથી

5. સર્વોપરી પરમાત્માને જીવનના કેન્દ્રમાં સમજીનેહંમેશા એમની સાથે જોડાયેલા રહીને- 

આરાધના કરવાથી પૂર્ણાનંદ, પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે.

ગીતાજીને જોવાના બે દ્રષ્ટિકોણ છે, લૌકિક અને અલૌકિક. લૌકિક વસ્તુની પ્રાપ્તિ માટે પણ આ જ પાંચ ગુણો આવશ્યક છે. જીવનના અભ્યુદયની પ્રાપ્તિ લૌકિક લક્ષ્ય છેપરમાત્મા પ્રાપ્તિ અલૌકિક લક્ષ્ય છે. બંને માટે આ પાંચ ગુણો અનિવાર્ય છે.

દરેક જીતનાર વ્યક્તિ પોતાના સંકલ્પ માટે સમર્પિત થઈ, ભગવાનમાં પ્રેમ અને વિશ્વાસ રાખી કામ કરનાર અને ફક્ત એના જ વિચારમાં મગ્ન હોય છે. ગીતાજી શીખનાર પણ પહેલાં વાંચતાં, સમજતાં અને પછી તો શ્લોક ક્રમાંકથી શ્લોક ઓળખતા થઈ જાય છે. જ્ઞાનેશ્વર મહારાજ કહે છે,

तूं मन हें मीचि करीं, माझां भजनीं प्रेम धरीं। 

सर्वत्र नमस्कारीं, मज एकातें ॥

ભગવાન કહે છે, "મને મન આપ, મને પ્રેમ કર, મારા માટે કાર્ય કર, મને જીવનનું કેન્દ્ર માની મારી શરણાગતિમાં આવ. હે અર્જુન! તું મને જ પ્રાપ્ત કરીશ."

ગુરુદેવની કૃપાથી આવા સુંદર શ્લોક, શ્રીહનુમાન ચાલીસાના પાઠ અને સમાપન પ્રાર્થના સાથે અહીં રાજવિદ્યારાજગુહ્યયોગ નામનો નવમો અધ્યાય સમાપ્ત થયો.

*******************************************************************************************

આના પછી સાધકોના સંશય નિવારણ માટે થોડા પ્રશ્નોત્તર સત્રનું સંચાલન થયું.

**પ્રશ્નોત્તર સત્ર**

પ્રશ્નકર્તા:  કોમલ દીદી

પ્રશ્ન: સ્ત્રીઓ તરફ આટલી હિંસા થાય છે છતાં સ્ત્રીઓને દોષી કેમ મનાય છે?

ઉત્તર: સ્રીઓને દોષ દેવાય છે એવું લાગે છે. આપણામાં તો માતૃશક્તિને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. 

यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः ।

સ્રીઓની પૂજા થાય ત્યાં જ દેવતા વસે છે, એ મનુ ભગવાનનું વચન છે. નારી જન્મ આપનાર છે પણ સ્ત્રીઓને ફક્ત ભોગની વસ્તુ સમજનાર આવા અત્યાચાર કરે છે.

સજ્જન લોકો તો એને માતૃશક્તિ જ માને છે. સ્વામી વિવેકાનંદ પાસે એક સ્ત્રી ગઈ અને એમના જેવા પુત્ર પ્રાપ્તિ માટે એમને લગ્ન કરવાનું આમંત્રણ આપ્યું. સ્વામીજીએ પ્રણામ કરીને કહ્યું કે, મા, આ પુત્ર તને નમન કરે છે. હું જ તારો પુત્ર બની જાઉં છું.

સનાતન ધર્મમાં આ જ ભાવના બાળકોમાં આપવામાં આવે છે પણ દુર્ભાગ્યથી આપણી શિક્ષણ પદ્ધતિમાં આ મૂલ્યો બાળકોને આપવામાં આવતા નથી. એના કારણે જ વિકાર વધ્યા છે. ઘરમાં પણ આવું વાતાવરણ હોય, સ્ત્રીઓ પણ સ્ત્રીઓ પર અત્યાચાર કરતી હોય તો બાળકો આ શીખે છે. આપણું જીવન શુદ્ધ કરતાં જવું જોઈએ. આપણા ઈતિહાસમાં મૈત્રેયી, ગાર્ગી જેવી વિદુષી સ્ત્રીઓ પણ થઈ છે. સ્ત્રીઓ રોજના કામોમાં ફસાયેલી રહે છે. બાળકો પ્રત્યેની આસક્તિ સ્ત્રીઓમાં વધારે હોય છે. આ કારણોથી એ જ્ઞાનથી વંચિત રહી જાય છે. પરંતુ અત્યાચાર કરનાર પુરુષ વિકારી છે.

સ્ત્રીઓને ફિલ્મોમાં જે સ્થિતિમાં બતાવાય છે, એ પણ આનું મોટું કારણ છે. આનાથી વિકારોનું ઉદ્દીપન થાય છે અને સરળ સ્ત્રીઓ પર અત્યાચાર થાય છે.

પ્રશ્નકર્તા:  પ્રકાશ ભૈયા

પ્રશ્ન: વેદ, ગીતા, ઉપનિષદ શું છે?

ઉત્તર: ઉપનિષદ વેદોનું જ અંગ છે. ગીતા વેદાંત છે, વેદોનો સાર છે. વેદોનો સાર મહાભારતમાં અને મહાભારતનો સાર ભગવદ્ગીતામાં આવ્યો.

ઉપનિષદ એ ગુરુની સમીપ જઈને પ્રાપ્ત કરેલું જ્ઞાન છે. ઉપનિષદ ઘણા છે અને એ આત્મતત્ત્વને જાણવાનું જ્ઞાન પ્રદાન કરે છે. ગાય રૂપી ઉપનિષદના જ્ઞાનનું દોહન કરીને ભગવાને એનો રસ વાછરડારૂપી અર્જુનને અને એની પંક્તિમાં બેસનાર માટે સમજાવ્યો.

આપણે ઉપનિષદ વાંચી કે સમજી ન શકીએ પણ ગીતા તો વાંચીને સમજી શકીએ છીએ.

પુષ્પિકામાં એટલે જ એનો ઉલ્લેખ હોય છે. બ્રહ્મવિદ્યા જાણવા માટે ઉપનિષદમાંથી ગીતામાંથી યોગશાસ્ત્રથી જોડાવું અને જાણવું.


છેલ્લે સર્વ ગીતાસેવીઓનો આભાર માની સમાપન પ્રાર્થના સાથે અધ્યાય 9(3/3)ના વિવેચન સત્રનું સમાપન કરવામાં આવ્યું.

*****શ્રી કૃષ્ણાર્પણમસ્તુ*****

ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં(ય્ઁ) યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે રાજવિદ્યારાજગુહ્યયોગો નામ નવમોઽધ્યાયઃ॥૯॥

આ રીતે ૐ, તત્‌, સત્‌-એ ભગવાનના નામોના ઉચ્ચારણ સાથે બ્રહ્મવિધા અને યોગશાસ્ત્રમય શ્રીમદ્ભગવદ્‌ગીતોપનિષદરૂપી શ્રીકૃષ્ણાર્જુનસંવાદમાં “રાજવિદ્યારાજગુહ્યયોગ" નામનો નવમો અધ્યાય પૂરો થયો. ॥૯॥