विवेचन सारांश
મહાભારતના પાત્રોને સંકલિત કરતી વાર્તાઓ અને અર્જુનની યુદ્ધ પૂર્વેની મનસ્સ્થિતિનું વિવરણ.
પ્રસ્તાવના
જય શ્રીકૃષ્ણ,
मोहे लागी लगन गुरु चरणन की
गुरु चरणन की गुरु चरणन की
भव सागर सब सुख गयो है
फिकर नही मोहे तरणन की गुरु चरणन की
मोहे लागी लगन गुरु चरणन की।
આ ગુરુવંદના સાથે મમતા ગૌતમ દીદીએ સૌનું સ્વાગત કર્યું. વિવેચનની શુભ શરૂઆત આણંદ, ગુજરાત રહેવાસી એક નાની બાળકી, શ્રીયા દ્વારા પ્રાર્થનાથી થઈ. પ્રાર્થના બાદ દીપ પ્રજજ્વલન મીના દીદીએ કર્યું. પરમ પૂજ્ય સ્વામી ગોવિંદ દેવગીરી મહારાજના કૃપા પાત્ર, ગીતા જ્ઞાનનો પ્રસાર અને પ્રચાર કરવા વાળા, જનસમુદાયમાં ગીતાજી ના બીજને અંકુરિત કરવા વાળા, ગીતા પરિવારના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આદરણીય ડો. આશુ ગોયલજીને દીદીએ વિવેચન આપવાં આમંત્રણ આપ્યું.
ઈશ્વર, ગુરુ અને મા શારદાની પ્રાર્થના કરી, આશુ ભૈયાએ વિવેચનની શરૂઆત કરી. ભગવાનની આપણી ઉપર અતિશય કૃપા વરસી રહી છે. આપણે સૌ નિત્ય ભાગવદ્ગીતાના અભ્યાસમાં જોડાયેલા છીએ, ભાગવદ્ગીતાને વાંચતાં શીખી, તેના અર્થને સમજવા, તેને જીવનમાં લાવવાનો પ્રયાસ કરવો, આ બધી સારી વાતો આપણાં આ મનુષ્ય જીવનને સફળ બનાવવાવાળી છે. ખબર નથી કે પૂર્વ જન્મના આપણાં કોઈ સુકૃત છે, કે આ જન્મનાં કોઈ સુકૃત છે, આપણાં પૂર્વજોના કોઈ સુકૃત છે અથવા કોઈ જન્મમાં કોઈ મહાપુરુષની કૃપા દૃષ્ટિ આપણી ઉપર થઈ ગઈ એ કારણથી આપણું એવું ભાગ્યોદય થયું છે કે આપણે ગીતાજીના પઠન-પાઠન, મનન-ચિંતનમાં લાગી ગયા છીએ.
ગીતાજીનો મહાત્મય આપણે પહેલા અધ્યાયના આરંભમાં સમજ્યો હતો, અને ગતસપ્તાહ, આપણે ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનનો ભાગવદ્ગીતામાં પ્રવેશ કેવી રીતે થયો તે જોયું. શ્રોતા અને વક્તા કોઈપણ ગ્રંથનો મુખ્ય ભાગ હોય છે. કોઈપણ ગ્રંથનો માહાત્મ્ય ત્યારે સમજાય છે જ્યારે ખબર પડે કે આ ગ્રંથનો શ્રોતા અને વક્તા કોણ છે. બહુ જ ઉત્તમ વાત હોય પરંતુ જો તેનો વક્તા કે શ્રોતા માંથી કોઈ એક જો સાધારણ હોય તો તેનો માહાત્મ્ય તે સ્તરનો આવતો નથી. આ ગ્રંથના વક્તા સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ છે અને શ્રોતા અર્જુન જેવો અત્યંત ધીર અને પવિત્ર મહાબલી તથા જીવનમાં નીતિમત્તા સાથે જીવવા વાળો વ્યક્તિ છે. અર્જુને જીવનમાં કેટલાય યુદ્ધ કર્યા હશે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે અને તે કોઈ યુદ્ધમાં પરાજિત થયો નથી. તેણે સાધારણ લોકો સાથે યુદ્ધ કર્યા છે એવી વાત નથી, એ સમયના સૌથી મહાન જે યોદ્ધાઓ હતા, જેવા કે કર્ણ, દુર્યોધન કે દ્રોણાચાર્ય, એ યોદ્ધાઓને અલગ અલગ તેમ જ એક સાથે પણ એ સૌને અર્જુને પરાસ્ત કર્યા હતા. દેવતાઓ સાથે પણ યુદ્ધ કરી તેઓને પરાસ્ત કર્યા હતા. ખાંડવ વનનાં પ્રસંગમાં, જ્યારે હજુ અર્જુનને દિવ્યાસ્ત્રની પ્રાપ્તિ થઈ નહોતી, ત્યારે અગ્નિ દેવે ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી કે આપ અને અર્જુન મળીને આ ખાંડવ વન નામક વનનું દહન કરો અને મને તૃપ્ત કરો. તે વનમાં રહેવા વાળો તક્ષક, દેવરાજ ઇન્દ્રનો મિત્ર હતો એ જ કારણે અગ્નિદેવનો એ મનોરથ સફળ થતો ન હતો. એ જ્યારે આ વનને દહન કરવાની કોશિશ કરતાં, ત્યારે આ તક્ષક ઇન્દ્રને કહી ત્યાં વર્ષા કરાવી દેતો જેથી અગ્નિ તે વનમાં ક્યારેય પ્રજ્વલિત થતી નહોતી. જેમ અર્જુન અને કૃષ્ણે એ વનને સળગાવવાનું ચાલુ કર્યું કે તક્ષક તુરંત દેવરાજ પાસે પહોંચી ગયો; દેવરાજે તેના દૂતોને વર્ષા કરવાં ત્યાં મોકલ્યા. અર્જુને એવું પરાક્રમ દેખાડ્યું જે વિશ્વમાં પહેલા ક્યારેય થયું નહોતું, અર્જુને આકાશમાં એવીરીતે બાણ વર્ષા કરી કે આકાશમાંથી વરસાદના પાણીની એક બુંદ પણ દહન થઈ રહેલા ખાંડવ વનમાં ન પડ્યું. ઈન્દ્રે જ્યારે આ જોયું તો અત્યંત ક્રોધિત થઈ ગયા. અર્જુન, ઇન્દ્રનો પુત્ર છે પરંતુ જ્યારે આવી વાત હોય ત્યારે પોતાનો અહંકાર મોટો થઈ જાય છે. ઇન્દ્ર ત્યાં આવ્યા અને અર્જુનને ચેતાવણી આપી પરંતુ ભગવાન શ્રીકૃષ્ણે ઇન્દ્રને ત્યાંથી ચાલી જવા કહ્યું. ઇન્દ્ર ના માન્યા અને બધા દેવતાઓનું સેન્ય લઈ ત્યાં આવી પહોંચ્યા, ઇન્દ્ર કૃષ્ણના પ્રભાવને જાણતા હોવાથી અને અર્જુન મારો પુત્ર છે, તેની ક્ષમતા સીમિત હશે, એવું વિચારી એકલા અર્જુન સાથે તેઓએ યુદ્ધ ચાલુ કર્યું. અર્જુને એવું પરાક્રમ કર્યું કે એક મહિનો યુદ્ધનો વીતવા પર પણ અર્જુનને એક ખરોચ પણ આવી ન હતી. ભગવાન શ્રીકૃષ્ણે ઇન્દ્રને કહ્યું,"ઇન્દ્ર અત્યારે માત્ર એકલો અર્જુન યુદ્ધ કરે છે, જો હું તેની સાથે આવીશ તો બધા દેવતાઓની શું હાલત થશે તે વિચારી લ્યો, અને તમે આ યુદ્ધ છોડી દો તેમાં જ ભલાઈ છે. " બધા જ દેવતાઓએ ઇન્દ્ર સહિત ત્યાંથી તેઓની સેના સાથે પલાયન કર્યું. એવો પરાક્રમી અર્જુન શ્રોતા છે. ઉત્તમ શ્રોતા અને ઉત્તમ વક્તા જ્યાં હોય તે ગ્રંથની વાત જ અલગ છે.
1.15
પાઞ્ચજન્યં(મ્) હૃષીકેશો, દેવદત્તં(ન્) ધનઞ્જયઃ।
પૌણ્ડ્રં(ન્) દધ્મૌ મહાશઙ્ખં(મ્), ભીમકર્મા વૃકોદરઃ॥૧.૧૫॥
ભીમને અહી વૃકોદરની ઉપમા આપી છે. આપણા પેટમાં જઠરાગ્નિ હોય છે પરંતુ ભીમના પેટમાં વિશેષ અગ્નિ છે, તેનું નામ છે વૃક અગ્નિ. આ અગ્નિને કારણે જ ભીમને એટલી ભૂખ લાગતી કે જેટલું અન્ન આપવામાં આવે તેટલું તે ગ્રહણ કરી શકતો. તેને જેટલું પણ જમવાનું મળતું તેથી તેની ભૂખ ક્ષમતી ના હતી.
અનન્તવિજયં(મ્) રાજા, કુન્તીપુત્રો યુધિષ્ઠિરઃ।
નકુલઃ(સ્) સહદેવશ્ચ, સુઘોષમણિપુષ્પકૌ॥૧.૧૬॥
એ જ પ્રકારે કુંતી પુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો શંખ વગાડ્યો. નકુળ અને સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામક શંખ વગાડ્યા.
કાશ્યશ્ચ પરમેષ્વાસઃ(શ્), શિખણ્ડી ચ મહારથઃ।
ધૃષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ, સાત્યકિશ્ચાપરાજિતઃ॥૧.૧૭॥
દ્રુપદો દ્રૌપદેયાશ્ચ, સર્વશઃ(ફ્) પૃથિવીપતે।
સૌભદ્રશ્ચ મહાબાહુઃ(શ્), શઙ્ખાન્દધ્મુઃ(ફ્) પૃથક્ પૃથક્॥૧.૧૮॥
અહી આપણે વધું વાત નહીં કરીએ, પરંતુ બે વાત મુખ્ય રીતે કરવી છે.
૧) મહારથી શિખંડી: સત્યવતીનાં બે પુત્ર વિચિત્રવીર્ય અને ચિત્રાંગદ. વિચિત્રવીર્યના વિવાહ યોગ્ય ઉમર થઈ ગઈ હતી, તેમના વિવાહ કરવા હતા. તે સમયે કાશીરાજની પુત્રીઓ અંબા, અંબાલિકા અને અંબિકા ત્રણેયનું સ્વયંવર રાખ્યું. પરંતુ આ સ્વયંવરમાં તે સમયના સૌથી મોટા રાજ પ્રદેશ હસ્તિનાપુરને નિમંત્રણ ન આપ્યું. આ વાતથી પિતામહ ભીષ્મ અત્યંત ક્રોધિત થઈ ગયા. પિતામહ ભીષ્મ એકલા ત્યાં ગયા અને કાશીરાજને કહ્યું, તમે મારી સાથે યુદ્ધ કરો અથવા આ ત્રણેય કન્યાઓને હું લઈ જઈશ અને અમારા રાજ કુંવરના તેની સાથે લગ્ન કરાવી દઇશ. અહી વાત એવી હતી કે, જે અંબા હતી તેને રાજા શાલ્વ સાથે પ્રણય હતો. તે બંનેએ નક્કી કરી રાખ્યું હતું કે શાલ્વ, સ્વયંવરમાં આવે અને અંબા તેને વરમાળા પહેરાવી દે, એમ બંનેનો વિવાહ નિશ્ચિત થઈ જાય. પરંતુ ભીષ્મ અહી પહોંચ્યા એટલે તેઓના સમીકરણ ઉલટા પડી ગયા. રાજા શાલ્વએ અંબાને ભીષ્મ સાથે જતા રોકવા, ભીષ્મ સામે યુદ્ધ પણ કર્યું પરંતુ શક્તિશાળી ભીષ્મ સામે રાજા શાલ્વ ઘાયલ થઈ હારી ગયા. એ પછી ત્રણેય કન્યાઓને લઈ ભીષ્મ હસ્તિનાપુર માટે નીકળ્યા, લગભગ હસ્તિનાપુર પહોંચતા વખતે અંબાએ ભીષ્મને પોતાની કથની કહી, અંબાએ કહ્યું કે રાજા શાલ્વને હું મનથી વરી ચૂકી છું. આ સાંભળી, ભીષ્મને થયું કે આ મોટી ભૂલ થઈ ગઈ છે. તો તેમણે બહુ જ આદર પૂર્વક અંબાને પોતાના જ રથમાં સૈનિકો સાથે, સુરક્ષા સાથે રાજા શાલ્વને ત્યાં મોકલી દીધી અને અંબાલિકા તેમ જ અંબિકાને લઈને તે હસ્તિનાપુર આવ્યા.
હવે ગડબડ એ થઈ કે, અંબા જ્યારે ત્યાં પહોંચી ત્યારે રાજા શાલ્વએ તેનો સ્વીકાર ન કર્યો. રાજા શાલ્વએ કહ્યું કે, "હું ક્ષત્રિય છું, સ્વયંવરમાં જો હું તને જીતી શકત તો હું તારી સાથે વિવાહ કરી શકત અથવા યુદ્ધમાં પણ જીતી જાત તો હું લગ્ન કરી શકત. સ્વયંવર થયું નહીં અને યુદ્ધમાં હું તને હારી ગયો, હવે એ પછી જો હું તારો સ્વીકાર કરું તો તું મારા માટે દાનની વસ્તુ થઈ જઈશ. હું ક્ષત્રિય થઈને દાનનો સ્વીકાર ન કરી શકું. એટલે હવે હું તને પત્ની રૂપે ન સ્વીકારી શકું." અંબાને થયું કે હવે હું કાશીરાજ પણ પાછી ના જઈ શકું, શાલ્વરાજે મારો સ્વીકાર ન કર્યો, હસ્તિનાપુર પણ હું નહીં જ જાઉ. અને આવો વિચાર કરી તે અત્યંત ક્રોધિત થઈ રડવા લાગી, ભીષ્મ ઉપર અત્યંત ખિન્નતા તેને આવી ગઈ. તેનું સરળ થવા વાળું જીવન અચાનક ભીષ્મને કારણે બગડી ગયું. અને ત્યાં જ અંબાએ ક્રોધિત થઈ રડતાં રડતાં પોતાના શરીરને સમાપ્ત કરવાનો નિર્ણય લઈ લીધો. એ જ સમયે તેને પ્રતિજ્ઞા કરી કે "બીજા જન્મમાં ભીષ્મની મૃત્યુનું કારણ હું જ બનીશ."
૩) દ્રૌપદી ના પુત્રો: પાંચેય પાંડવોથી દ્રૌપદીને એક એક પુત્ર છે. આ બધા પણ મહારથી છે.
૪) મોટી ભુજાઓ વાળો સુભદ્રનો પુત્ર અભિમન્યુ : "સૌભદ્રશ્ચ મહાબાહુઃ(શ્)" બધા પાંડવો પછી સૌથી અધિક વીર જો કોઈ હતો તો તે અભિમન્યુ હતો. તેણે નાનપણમાં જ તેની મા ગર્ભમાં ચક્રવ્યૂહની અંદર કઈ રીતે જવું તે શીખી લીધું હતું. બહાર કઈ રીતે નીકળવું એ કથા સાંભળતા પહેલા સુભદ્રા સૂઈ ગઈ એટલે એ શિશુ પણ સૂઈ ગયો. પાપી કૌરવોએ અન્યાય પૂર્વક આ નિશસ્ત્ર બાળકને વચ્ચે ઊભો કરી પાપી કર્ણ, પાપી દુશાસન, પાપી દુર્યોધન અને બીજા સેનાના અલગ અલગ મહારથીઓએ મળીને તેને માર્યો અને આ નિશસ્ત્ર બાળકને દુશાસને (જે તેનો કાકો હતો) તેણે માથા પર ગદાનો ઘા કર્યો. જે ગદાના નિયમોને વિરુદ્ધ છે, યુદ્ધના નિયમોની વિરુદ્ધ હતું. યુદ્ધમાં એકની સામે એક લડે પરંતુ અહી સાત મહારથી એક બાળક સાથે લડ્યા હતા. અને એકલા અભિમન્યુએ સાતેય સાથે યુદ્ધ કર્યું હતું, એટલો વીર હતો. પરંતુ જ્યારે તેના હાથમાં હથિયાર ના હતું તે સમયે દુશાસને માથામાં ગદાનો પ્રહાર કર્યો. બધા જ પાપીઓએ ઘાયલ પડી ગયેલા અભિમન્યુને ગદાથી પ્રહાર કરી કરીને માર્યો. એટલા આ પાપી હતા. આ ઘટના બાદ ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું "નીતિ નીતિ વાળાઓ સાથે કરાય જે અનીતિથી તેઓએ અભિમન્યુને માર્યો છે તે લોકો હવે કોઈ નીતિના અધિકારી નથી. આ પાપીઓને કોઈપણ રીતે હવે સમાપ્ત કરવા જોઈએ."
સ ઘોષો ધાર્તરાષ્ટ્રાણાં(મ્), હૃદયાનિ વ્યદારયત્।
નભશ્ચ પૃથિવીં(ઞ્) ચૈવ, તુમુલો વ્યનુનાદયન્॥૧.૧૯॥
કૌરવોની સેના અગિયાર અક્ષૌહિણીની હતી અને પાંડવોની સેના અક્ષૌહિણીની હતી. પરંતુ સંજયનો ભાવ પણ કેવો છે અને વિચાર પણ કેવો છે એ અહી જોવા મળે છે. જ્યારે કૌરવોની સેનાએ શંખ વગાડ્યા ત્યારે પશુ પક્ષીઓ આદિ ડરી ગયા એવું વર્ણન આવ્યું છે પરંતુ જ્યારે પાંડવોએ શંખ વગાડ્યા ત્યારે તેનું ઘણું વિશિષ્ટ વર્ણન કરવામાં આવ્યું છે. સંજય કહે છે, "સ ઘોષો ધાર્તરાષ્ટ્રાણાં(મ્), હૃદયાનિ વ્યદારયત્।" ખૂબ ભયાનક શંખ વાગ્યા અને એ ભયાનક શંખમાં (કે જે પાંડવોએ વગાડ્યા તેમાં) આકાશ અને પૃથ્વીને ગજાવતા ધાર્તરાષ્ટ્રાણાં (સંજય ધૃતરાષ્ટ્રની સામે તેને કહે છે) તમારા પક્ષવાળાઓના હૃદય આ ઘોષે ચીરી નાખ્યાં. આ બધા ડરી ગયા. એના બે કારણ હતા; એક તો પાંડવોના જે શંખ હતા તે દિવ્ય શંખો હતા. અને બીજું કારણ એ કે જે પાપી હોય તે જલ્દીથી ડરી જાય છે.
રાવણ જ્યારે સિતાજીનું અપહરણ કરવા આવે છે ત્યારે તે ડરતો ડરતો આવે છે. આ રાવણ એવો છે કે જેનાથી દેવતાઓ પણ ડરે છે. सो दससीस स्वान की नाईं। इत उत चितइ चला भड़िहाईं॥ इमि कुपंथ पग देत खगेसा। रह न तेज तन बुधि बल लेसा॥ આ પાપી છે, એટલે ડરથી રહે છે. જેનાથી દેવતા ડરતા હોય તે કૂતરાની જેમ છુપાઈ છુપાઈને સીતાજી પાસે બ્રાહ્મણના રૂપમાં ગયો છે. એ જ પ્રકારે પાછળથી જ્યારે રામજીની સેના (વાનરો) લંકા પહોંચી ગયા ત્યારે પણ રાવણ (કુબેરને પગની નીચે રાખવાવાળો) કેટલીયવાર ડરીને રાત ભર સૂઈ ના શક્યો.
એ જ રીતે પાપી દુર્યોધન અને તેના સાથીઓ પોતાના પાપને કારણે આ ભયંકર ધ્વનિથી ડરી ગયા. આ લોકોના હૃદય ચીરી નાખ્યાં તેનું હજુ એક કારણ છે જે હવેના શ્લોકમાં આવે છે.
અથ વ્યવસ્થિતાન્દૃષ્ટ્વા, ધાર્તરાષ્ટ્રાન્કપિધ્વજઃ।
પ્રવૃત્તે શસ્ત્રસમ્પાતે, ધનુરુદ્યમ્ય પાણ્ડવઃ॥૧.૨૦॥
હૃષીકેશં(ન્) તદા વાક્યમ્, ઇદમાહ મહીપતે।
અર્જુન ઉવાચ
સેનયોરુભયોર્મધ્યે, રથં(મ્) સ્થાપય મેઽચ્યુત॥૧.૨૧॥
એક કારણ એ હતું કે અર્જુનના રથ ઉપર કપિધ્વજઃ હનુમાનજી બિરાજમાન હતા. આ કપિધ્વજની પણ એક પ્રચલિત વાર્તા છે જે આપ સૌ જાણો છો,
પાંડવોના વનવાસ સમયે કદલી નામક વનમાં જ્યારે આ લોકો નિવાસ કરી રહ્યા હતા ત્યારે દ્રૌપદીને એક સરોવર પાસે સુંદર કમળનું પુષ્પ મળી આવ્યું. આ એવું સુંદર કમળનું પુષ્પ હતું કે તેને, તેવા વધું પુષ્પો યુધિષ્ઠિરની સેવા માટે લઈ જવાની ઈચ્છા થઈ. દ્રૌપદીએ ભીમસેનને કહ્યું "આ કમળના પુષ્પો સરોવર પાસેથી વધુ લાવી આપો."
ભીમસેન જ્યારે કદલી વનમાં એ પુષ્પ શોધવા માટે ગયા ત્યારે રસ્તામાં હનુમાનજી મહારાજ અત્યંત બુઢ્ઢા વાંદરાના અવતારમાં આડા સૂતા હતા. ભીમસેને વાનરને પોતાની પૂંછ હટાવવા વિનંતી કરી અને કહ્યું કે હું તેને ઓળંગીશ નહીં. ત્યારે હનુમાનજીએ કહ્યું કે હું વૃદ્ધ છું, જો તમારે આગળ જવું હોય તો મારી પુંછડી તમે જ થોડી સરકાવી લો. જ્યારે ભીમસેન તે પૂંછને ઉપાડવા ગયા તો વારંવાર કોશિશ કર્યા પછી પણ ન ઉપાડી શક્યા. ભીમસેન વિવેકી હતા, તુરંત સમજી ગયા કે આ કોઈ દિવ્ય દેવ પ્રતીત થાય છે. ત્યારે ભીમે એ વાનરને હાથ જોડી પૂછ્યું કે, "કોઈ દેવ પણ મારા બળનો સામનો કરી શકે તેમ નથી અને હું તો આપની પુંછડીને થોડી પણ હલાવી શક્યો નથી. હું આપને વિનંતી કરું છું કે આપ મને આપના સાચા રૂપમાં આવી દર્શન આપો." આ ધર્મશીલ વ્યક્તિઓનો વિવેક કેવો હોય તે અહી સમજાય છે. પોતાના બળનો અહંકાર હતો પરંતુ તેનાથી વિશેષ જે વ્યક્તિ તેને મળી કે તરત જ તેને પ્રણામ કર્યા. હનુમાનજી અત્યંત પ્રસન્ન થઈ પોતાના સ્વરૂપમાં ભીમને દર્શન આપે છે. ભીમસેને હનુમાનજીને વારંવાર પ્રણામ કર્યા અને તેમનું આતિથ્ય સ્વીકારવા વિનવ્યાં ત્યારે હનુમાનજીએ તેમણે વચન આપ્યું કે વનવાસ બાદ જ્યારે કૌરવોનું તમારી સાથે યુદ્ધ થશે ત્યારે તે અર્જુનના રથ પર વિરાજમાન થશે. આગળ હનુમાનજી એ આશ્વાસન આપ્યું કે તે એક મુખ્ય કામ કરશે, જ્યારે જ્યારે પાંડવો શંખ વગાડશે ત્યારે તે શંખના અવાજ સાથે પોતાની ચીસ પણ ભેગી કરશે જે કારણે શંખનો ધ્વનિ અત્યંત ભયાનક બની જશે કે જેથી કેટલાય યોદ્ધાઓ યુદ્ધ છોડી ભાગી જશે.
યાવદેતાન્નિરીક્ષેઽહં(ય્ઁ), યોદ્ધુકામાનવસ્થિતાન્।
કૈર્મયા સહ યોદ્ધવ્યમ્, અસ્મિન્ રણસમુદ્યમે॥૧.૨૨॥
આ યુદ્ધ ક્ષેત્રમાં આવેલા યોદ્ધુકામાન્ યુદ્ધના અભિલાષી વિપક્ષી યોદ્ધાઓને સારી પેઠે હું જોઈ લઉં; કે મારે કોની કોની સાથે લડવાનું છે.
યોત્સ્યમાનાનવેક્ષેઽહં(ય્ઁ), ય એતેઽત્ર સમાગતાઃ।
ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેઃ(ર્), યુદ્ધે પ્રિયચિકીર્ષવઃ॥૧.૨૩॥
દુર્બુદ્ધિ યુક્ત દુર્યોધનનું યુદ્ધમાં હિત ઇચ્છનારા જે જે રાજાઓ આ સૈન્યમાં આવ્યા છે, તે સૌ યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઇ લઉં.
સઞ્જય ઉવાચ
એવમુક્તો હૃષીકેશો, ગુડાકેશેન ભારત।
સેનયોરુભયોર્મધ્યે, સ્થાપયિત્વા રથોત્તમમ્॥૧.૨૪॥
ભીષ્મદ્રોણપ્રમુખતઃ(સ્), સર્વેષાં(ઞ્) ચ મહીક્ષિતામ્।
ઉવાચ પાર્થ પશ્યૈતાન્, સમવેતાન્કુરૂનિતિ॥૧.૨૫॥
અહી એક શબ્દ છે ગુડાકેશ. એની સંધિ થાય गुडाक + ईश. આના બે અર્થ થાય છે, એક તો ગુડા કેશ એટલે વાંકળીયા વાળ વાળો, અર્જુન વાંકળીયા વાળ વાળો હતો. ગુડાક એટલેએ નિદ્રા. જેણે નિદ્રાને જીતી લીધી છે તેને ગુંડાકેશ કહે છે. ઇતિહાસમાં બે વ્યક્તિ એવા છે જેમણે નિદ્રા પર વિજય પ્રાપ્ત કરી હોય.
એક અર્જુન. જ્યારે દિવ્યાસ્ત્ર પ્રાપ્ત કરવા હતા ત્યારે જે તપસ્યા કરવાની હતી તેમાં નિદ્રાનો ત્યાગ કરવાનો આવશ્યક હતો. હવે વિના સુએ તપસ્યા કઈ રીતે કરવી? ૬ મહિના સુધી અર્જુન નદી કિનારે એક ઝાડની ડાળી પર બેસતો, જેવી તેને નીંદર આવતી કે તે નદીમાં પડી જતો, ફરી એ ઝાડની ડાળી પર બેસતો, જેમ નીંદર આવતી પડી જતો. ફરી ફરી એ જ ક્રિયા કરતો. છ મહિનાની કઠીન તપસ્યા પછી અર્જુને તેની નિદ્રા પર વિજય પ્રાપ્ત કરી. પછી તેને એ તપસ્યા કરી જેને કારણે સ્વર્ગમાં જઈ દેવો પાસેથી દિવ્યાસ્ત્ર પ્રાપ્ત કર્યા.
બીજા ગુડાકેશ લક્ષ્મણજી થયા. જ્યારે વનવાસમાં રામજી આરામ કરતા ત્યારે કોઈ વ્યાઘ્ર કે રાક્ષસ ત્યાં ન આવી જાય તે માટે પૂરી રાત વિરાસનમાં બેસી ધનુષ બાણ તાણીને ચોકીદારી કરતાં. ચૌદ વર્ષ સુધી લક્ષમણજી સૂતા નથી. દિવસભર ભગવાનની સેવા કરતા અને રાત્રે વીરાસનમાં બેસી તેમની સુરક્ષા કરતા.
અહીં એક બીજી વિશેષ વાત છે. ભગવાન ઇચ્છત તો રથ સીધો દુર્યોધન કે દુઃશાસન પાસે લઈને ઉભો રાખ્યો હોત. એ બન્નેને જોતા જ અર્જુનનું લોહી ઉકળી જાત અને યુદ્ધ માટે તૈયાર થઈ જાત. પરંતુ ભગવાન એક પરફેક્ટ ડોકટર છે. જ્યારે કોઈને ગૂમડું થઈ જાય અને અંદર પસ જમાં થઈ જાય ત્યારે વ્યક્તિ ડોકટર પાસે જાય છે. ડોકટર તપાસે છે અને ગુમડું પાકી ગયું હોય તો જ ઓપરેશન કરે છે. અને જો ના પાક્યું હોય તો પકાવવાની દવા આપી પહેલા તેને પકાવે છે જેથી ઓપરેશન સારું થાય. કયારેય ડોકટર કાચા ઘાવનો ઈલાજ કરતા નથી. તેને પહેલા પકાવે છે.
અર્જુનનો. હાવભાવ જોઈએ ભગવાન સમજી જાય છે કે અર્જુનના મનમાં યુદ્ધ કરવું કે ન કરવું તે માટેની દ્વિધા છે. એ કારણથી ભગવાન સીધો રથ અર્જુનની જે નબળી કળી છે, અર્જુન જયાં સૌથી વધુ ઢીલો થઇ જાય છે એ જ વાતને પાક્કી કરી નાખવા દ્રોણાચાર્ય અને પિતામહ ભીષ્મની સામે ભગવાને રથ ઉભો રાખ્યો. જ્યારે જ્યારે અર્જુન વિચારતો કે મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે ત્યારે ત્યારે આ બન્ને વ્યક્તિ તેની સામે આવી જતા, જેથી તે પૂરી રાત સૂઈ શકતો ન હતો. આ બન્ને માંથી એક એ છે જેણે પ્રતિજ્ઞા લીધી હતી કે હું અર્જુનને વિશ્વનો સર્વ શ્રેષ્ઠ ધનુર્ધર બનાવિશ, અને પ્રતિજ્ઞા તેમણે પૂરી કરી બતાવી છે. એ એટલા ઉત્તમ ગુરુ હતા, જેણે અર્જુનને એટલું બધું આપી દીધું. બીજા પિતામહ ભીષ્મ, અર્જુનને અતિ પ્રિય હતા. બધા જ કૌરવો અને પાંડવોમાં ભીષ્મને પણ અર્જુન જ અતિ પ્રિય હતો. બાળપણમાં જ્યારે બધા બાળકો રમીને આવતાં ત્યારે એ મેલા, માટી વાળા કપડાં વાળા અર્જુનને બાથ ભરવા એ સફેદ વસ્ત્રધારી પિતામહ દોડતા આવતા અને અર્જુનનું આલિંગન લઈ તેના કપડા ફરી બદલાવતા. રોજે રોજ અર્જુનને ગળે મળ્યા વગર જવા દેતા નહિ, એટલો અર્જુન પ્રત્યે તેમનો સ્નેહ હતો. જે પિતામહે મને આટલો પ્રેમ કર્યો તે પિતામહ ઉપર હું કઈ રીતે બાણ ચલાવું. આવો નિરંતર વિચાર અર્જુનના મનમાં ચાલતા હતા. આ પહેલા પણ અર્જુને પિતામહ ભીષ્મ અને આચાર્ય દ્રોણ સાથે યુદ્ધ તો કર્યા હતા, પરંતુ આ યુધ્ધમાં કાં તો એ જીવિત રહેવાના હતા કાં અર્જુન જીવિત રહેવાનો હતો એ નિશ્ચિત હતું. આ કારણે અર્જુન ઢીલો પડી ગયો હતો. અર્જુન બધાને જોઈ રહ્યો છે ત્યારે તેનો મોહ પિતામહ અને આચાર્ય પર વિશેષ હતો, પરંતુ એ બહાને એ બધાને યાદ કરતો હતો.
મહાભારતનું આ પાત્ર ભીષ્મ અત્યંત પવિત્ર છે, જેને માટે ભગવાન શ્રીકૃષ્ણ ભક્તની લાજ રાખવાં પોતે લીધેલા વચનને તોડે છે. યુદ્ધમાં ભગવાને નિયમ લીધો હતો કે તે શસ્ત્ર હાથમાં નહીં લે અને બીજી બાજુ પિતામહ ભીષ્મે પણ નક્કી કર્યું કે હું આ યશોદા નંદનથી હથિયાર ના ઉપાડાવું તો હું ગંગા પુત્ર ભીષ્મ નહીં. મહાભારતના યુદ્ધમાં દસમાં દિવસે અર્જુન અને ભીષ્મનું યુદ્ધ શરૂ થયું ત્યારે સવારથી ભગવાન અર્જુનની પાછળ પડ્યા હતા. અર્જુન તારા હાથમાં તો કોઈ દમ જ નથી દેખાતો, તું એ બુઢ્ઢાને હરાવી જ નથી શકતો. તું ઠીકથી બાણ નથી ચલાવતો. ભગવાન જેટલી વાર અર્જુનને કહે એટલી વાર અર્જુન વધુ તીવ્રતાથી યુદ્ધ કરતો હતો. પરંતુ ભીષ્મ તો ભીષ્મ છે, તે અર્જુનના બધા બાણને કાપી નાંખતા હતા. અર્જુન ચિંતિત થઈ ગયો એક બાજુથી ભીષ્મ પિતામહના બાણ અને બીજી બાજુથી ભગવાન કૃષ્ણના વાક્ બાણ. હવે તારાથી કઈ નહીં થાય અર્જુન મારે જ કઈક કરવું પડશે, એમ બોલતા બોલતા ભગવાન રથથી કુદ્યા, અર્જુન તો બાઘો થઈ ગયો, ભગવાનને રોકવાની કોશિશ કરવા લાગ્યો. ત્યાં તો બાજુમાં પડેલા તૂટેલા રથનું પૈડું લઈ ભગવાન, પિતામહ ભીષ્મ પાછળ દોડ્યા. ભીષ્મ પિતામહે આ જોયું કે ભગવાન શ્રીકૃષ્ણનું હાથમાં પૈડું લઈ આવી રહ્યા છે અને તે તુરંત રથની નીચે ઉતરી ભગવાનને દંડવત પ્રણામ કર્યા. ભીષ્મે કહ્યું "આપને કોણ હરાવી શકે કેશવ! આપનાં હાથથી માર્યો જાઉ તો મારુ જીવન ધન્ય થઈ જાય, આપનાં આ સ્વરૂપને જોવાની આકાંક્ષા હતી અને મને વિશ્વાસ હતો કે મારી પ્રતિજ્ઞાને આપ ટાળશો નહીં. લોકોએ મને કહ્યું કે આપ મુક્ત છો, મે આપને આવી પ્રતિજ્ઞા લઈને આપને સંકટમાં નાખી દીધા કેશવ! પરંતુ આપે મારી લાજ રાખી."
जिनकी केवल कृपा दृष्टि से,
सकल विश्व को पलते देखा ।
उसको गोकुल के माखन पर,
सौ-सौ बार मचलते देखा ॥
जिनका ध्यान बिरंची शम्भू,
सनकादिक न सँभालते देखा ।
उसको बाल सखा मंडल में,
लेकर गेंद उछालते देखा ॥
जिनके चरण कमल कमला के,
करतल से ना निकलते देखा ।
उसको गोकुल की गलियों में,
कंटक पथ पर चलते देखा ॥
जिनकी वक्र भृकुटी के भय से,
सागर सप्त उबलते देखा ।
उसको माँ यशोदा के भय से,
अश्रु बिंदु दृग ढलते देखा ॥
https://drive.google.com/file/d/1fT5tD4N8WmSQ6275CA_qZJ8dfvAIF69G/view?usp=drivesdk
તત્રાપશ્યત્સ્થિતાન્પાર્થઃ(ફ્), પિતૄનથ પિતામહાન્।
આચાર્યાન્માતુલાન્ભ્રાતૄન્, પુત્રાન્પૌત્રાન્સખીંસ્તથા॥૧.૨૬॥
શ્વશુરાન્સુહૃદશ્ચૈવ, સેનયોરુભયોરપિ।
તાન્સમીક્ષ્ય સ કૌન્તેયઃ(સ્), સર્વાન્બન્ધૂનવસ્થિતાન્॥૧.૨૭॥
અર્જુને તેના બધા સગા તથા મિત્રોને જોયા.
કૃપયા પરયાવિષ્ટો, વિષીદન્નિદમબ્રવીત્।
અર્જુન ઉવાચ
દૃષ્ટ્વેમં(મ્) સ્વજનં(ઙ્) કૃષ્ણ, યુયુત્સું(મ્) સમુપસ્થિતમ્॥૧.૨૮॥
અત્યંત કરુણાથી યુક્ત અર્જુને આ વચન કહ્યા.
સીદન્તિ મમ ગાત્રાણિ, મુખં(ઞ્) ચ પરિશુષ્યતિ।
વેપથુશ્ચ શરીરે મે, રોમહર્ષશ્ચ જાયતે॥૧.૨૯॥
હે કેશવ, આ બધાંને જોઈ મારું મન અત્યંત વ્યાકુળ થઈ ગયું છે. મારા અંગો શિથિલ થઈ રહ્યા છે, મો સુકાઈ રહ્યું છે તથા મારા શરીરમાં કંપન થઈ રહ્યું છે.
આપણને પણ ક્યારેક આવું થઈ જાય છે જયારે ખૂબ ટેન્શનમાં આપણે હોઈએ, ત્યારે મોઢું સુકાઈ જાય છે, કોઈ આપણને પાણી પીવડાવે છે.
ગાણ્ડીવં(મ્) સ્રંસતે હસ્તાત્, ત્વક્ચૈવ પરિદહ્યતે।
ન ચ શક્નોમ્યવસ્થાતું(મ્), ભ્રમતીવ ચ મે મનઃ॥૧.૩૦॥
એવું જ નથી કેશવ! આ અવસ્થા થોડી વિચિત્ર છે, મારા હાથમાંથી ગાંડીવ સરકી રહ્યું છે. મારી પૂરી ત્વચામાં બળતરા થઈ રહી છે. મારું મન ભ્રમિત થઈ રહ્યું છે. હું ઊભો પણ રહી શકતો નથી. ભગવાન સિવાય બીજું કોઈ હોત તો થોડા ટેન્શનમાં આવી જાત, યુધ્ધના સમય મુખ્ય વ્યક્તિ આમ બોલે તો કોઈપણ ચિંતિત થઈ જાય. પરંતુ ભગવાન તો હસી રહ્યા હતા. અર્જુન આગળ બોલવાનું શરૂ કરે છે તેમાં ભગવાન વધુ ધ્યાન આપતા નથી.
એક વાર એક ન્યાયાધીશ હોય છે. તેમણે જીવનમાં ઘણા લોકોને સજા આપી હતી, બહુ જ સીધા જજ હતા, સાત લોકોને ફાંસી પણ આપી હતી. સંયોગની વાત એવી થઈ કે તેના પુત્રના હાથથી કોઇની હત્યા થઈ ગઈ. નિયમ એવો છે કે જો જજના સંબંધીનાં હાથે જો કોઈ અપરાધ થયો હોય તો તેનો કેસ એ જજની અદાલતમાં ન જાય પરંતુ બીજી અદાલતમાં જાય. બધા સાક્ષી એવા છે કે આ કેસમાં ફાંસીની સજા નિશ્ચિત છે. જજ સાહેબે વિચાર કર્યો કે શું કરી શકાય. એ હાઈ કોર્ટના સિનિયર જજ હોવાને કારણે તેમણે તુરંત જજોની એક કમિટી બનાવી અને તેમાં એક પ્રસ્તાવ રાખ્યો કે મૃત્યું દંડનો કાયદો ખોટો કાયદો છે એવા કાયદા કરતાં વ્યક્તિને સુધારી શકાય. અપરાધને બંધ કરવાનો છે, અપરાધીને સજા આપી શું થવાનું છે! આવું સુંદર સુંદર લખી એક ડ્રાફ્ટ તૈયાર કરાવ્યો અને બધાં સાથી જજોની તેમાં સહી કરાવી કાનૂન મંત્રાલયમાં આ ડ્રાફ્ટ મોકલી દીધો. કાનૂન મંત્રી પાસે આ પત્ર પહોંચતા તેમણે પહેલા બધી તપાસ કરાવી ત્યારે રિપોર્ટ આવી કે જજ સાહેબનો દીકરો ફાંસી મળવાની નજીક છે, એટલે કાનૂન મંત્રીએ તુરંત તેમને પત્ર લખ્યો કે આપની બધી વાતો સુયોગ્ય છે પરંતુ આ સમયે આપના આ તર્ક કોઈ કામનાં નથી કારણ કે આ તર્ક પાછળ આપની જે ઈચ્છા છે તે શુદ્ધ નથી. આપનો પુત્ર ફાંસીની નજીક છે ત્યારે આપને આ વાત યાદ આવે છે પરંતુ સાત લોકોને જ્યારે ફાંસી આપી હતી ત્યારે આપની આ કરુણા ક્યાં ગઈ હતી?
અર્જુનની વાત પણ ભગવાન આ રીતે જ એટલે સાંભળે છે કે આ પહેલા પણ અર્જુન તે યુદ્ધ કર્યા છે તેમાં પણ કેટલીય સ્ત્રીઓ વિધવા થઈ હતી. ભગવાન આ બધુ સમજતા હતાં એટલે માત્ર અર્જુનની વાતને સાંભળતા હતા, ધ્યાન આપતા ના હતા.
નિમિત્તાનિ ચ પશ્યામિ, વિપરીતાનિ કેશવ।
ન ચ શ્રેયોઽનુપશ્યામિ, હત્વા સ્વજનમાહવે॥૧.૩૧॥
હે કેશવ! મને તો લક્ષણો પણ અવળાં લાગે છે અને યુદ્ધમાં સ્વજનોને મારીને હું કલ્યાણ પણ નથી જોતો.
જ્યારે આપણે અંદરથી આપણને નબળા સમજીએ ત્યારે આપણને આપનું શરીર નબળું લાગવા માંડે છે. જેઓ નબળાં મનન હોય તેમને ૯૯ ડિગ્રી તાવ આવે તો તે પલંગ પકડી લે છે અને કોઈ તો ૧૦૧ ડિગ્રી તાવમાં પણ ઓફિસ ચાલ્યા જાય છે. કોઈ કહે કે તમારું શરીર ગરમ લાગે છે તો કહેશે કે હા એ પછી જોઈશું, પહેલા કામ પૂરું કરી લઇએ. અર્જુનનું અત્યારે માં નબળું પડી ગયું છે એટલે તેની આ સ્થિતિ છે એ ભગવાન સમજતા હતા.
ન કાઙ્ક્ષે વિજયં(ઙ્) કૃષ્ણ, ન ચ રાજ્યં(મ્) સુખાનિ ચ।
કિં(ન્) નો રાજ્યેન ગોવિન્દ, કિં(મ્) ભોગૈર્જીવિતેન વા॥૧.૩૨॥
જીવનભર અર્જુને તપસ્યા કરી કરી દેવતાઓ પાસે શસ્ત્રો માંગ્યા છે, માત્ર આ ધરતીનાં જ નહીં દેવલોકના પણ શસ્ત્રો માંગ્યા છે કારણ કે તેને સર્વદા વિજયી થવું હતું તો વિજયનો અર્જુન સૌથી મોટો અભિલાષી છે. પરંતુ જ્યારે મનુષ્ય આવી સ્થિતિમાં આવે છે ત્યારે તેની બધી વાતો પણ ઢંગ વગરની થઈ જાય છે. અને કહે છે "મને તો વિજય જેવું કઈ છે જ નહીં."
યેષામર્થે કાઙ્ક્ષિતં(ન્) નો, રાજ્યં(મ્) ભોગાઃ(સ્) સુખાનિ ચ।
ત ઇમેઽવસ્થિતા યુદ્ધે, પ્રાણાંસ્ત્યક્ત્વા ધનાનિ ચ॥૧.૩૩॥
અમે જેમના માટે રાજ્યની ઈચ્છા રાખતા હતા એ બધા તો સામે યુધ્ધમાં ઊભા છે તો અમે કોના માટે આ રાજ્યની ઈચ્છા રાખીએ.
જો આ સદગુરુ દ્વારા અમને કહેવામાં આવેલા વિવેચન સિવાય જો તમે કેવળ ગીતા વાંચશો તો લગભગ લોકોને અર્જુનની કહેલી આ વાતો ૧૦૦ % સાચી લાગશે અને એવું લાગશે કે શા માટે ભગવાન કૃષ્ણ અર્જુનને ભળકાવી રહ્યા છે? પરંતુ ભગવાનને ખબર છે કે તર્ક દેવાનો સમય કયો છે, તેની ભાવના શું છે?
આચાર્યાઃ(ફ્) પિતરઃ(ફ્) પુત્રાઃ(સ્), તથૈવ ચ પિતામહાઃ।
માતુલાઃ(શ્) શ્વશુરાઃ(ફ્) પૌત્રાઃ(શ્), શ્યાલાઃ(સ્) સમ્બન્ધિનસ્તથા॥૧.૩૪॥
અહીં ગુરુજનો, વડીલો, પુત્રો તેમજ દાદા, મામા, સસરા, પૌત્રો, સાળા તથા બીજા બધા સંબંધીઓ જ છે.
એતાન્ન હન્તુમિચ્છામિ, ઘ્નતોઽપિ મધુસૂદન।
અપિ ત્રૈલોક્યરાજ્યસ્ય, હેતોઃ(ખ્) કિં(ન્) નુ મહીકૃતે॥૧.૩૫॥
આપ મને ત્રણેય લોકોનું રાજ્ય આપી દો તો પણ મને યુદ્ધ કરવાની ઈચ્છા નથી.
નિહત્ય ધાર્તરાષ્ટ્રાન્નઃ(ખ્), કા પ્રીતિઃ(સ્) સ્યાજ્જનાર્દન।
પાપમેવાશ્રયેદસ્માન્, હત્વૈતાનાતતાયિનઃ॥૧.૩૬॥
હે કેશવ! આ ધૃતરાષ્ટ્રનાં પુત્રોને મારીને અમને શો લાભ થશે? આ આતતાયીઓ છે પરંતુ આ આતતાયીઓને મારીને અમને પાપ જ લાગશે.
અર્જુને આ જે વાત કરી તેમાં મોટી ગડબડ છે, કારણ કે અર્જુન ધર્મ શાસ્ત્રોનો જ્ઞાતા છે અને આતતાયીઓને મારવું એ ક્ષત્રિયોનો ધર્મ છે. તેનાથી પુણ્યની પ્રાપ્તિ થાય પાપની નહીં. આપણે ત્યાં આતંકવાદીઓને આતતાયી સમજવા જોઈએ. છ લોકોને આતતાયી કહ્યા છે.
૧) જે કોઈનાં ઘરમાં આગ લગાવે.
૨) જે કોઈને વિષ પીવડાવે.
૩) જે શસ્ત્રોથી ઘાત કરે.
૪) જે કોઈનું ધન હરણ કરી લે.
૫) જે કોઇની જમીન હડપી લે. અને
૬) જે કોઇની સ્ત્રીનું હરણ કરી લે.
આવા છ લોકોને આતતાયી કહ્યાં છે. દુર્યોધન છ એ છ નો અપરાધી છે. આવા આતતાયીને મારવું કેમ અયોગ્ય છે? ભગવાન મનમાં કહે છે અર્જુન તું ધર્મ શાસ્ત્રને જાણે છે તો પણ આવી વાત કરે છે એમ વિચારી વધું હસે છે. ત્યારે અર્જુનને લાગ્યું કે મારુ કોઈ લૉજિક કામ જ નથી કરતું; ત્યારે અર્જુન આગળ કહે છે,
તસ્માન્નાર્હા વયં(મ્) હન્તું(ન્), ધાર્તરાષ્ટ્રાન્સ્વબાન્ધવાન્।
સ્વજનં(મ્) હિ કથં(મ્) હત્વા, સુખિનઃ(સ્) સ્યામ માધવ॥૧.૩૭॥
અરે માધવ! આ આપણાં જ બાંધવ છે, આપણાં જ પરિવારના લોકો છે. આપણાં લોકોને થોડી મરાય! આપણાં કુટુંબીજનોને મારી આપણે કઈ રીતે સુખી થઈ શકીએ છીએ?
યદ્યપ્યેતે ન પશ્યન્તિ, લોભોપહતચેતસઃ।
કુલક્ષયકૃતં(ન્) દોષં(મ્), મિત્રદ્રોહે ચ પાતકમ્॥૧.૩૮॥
અર્જુન એટલો મોહિત થઈ ગયો છે કે આ દુર્યોધન અને બીજા પાપીઓની વકાલત કરવા લાગ્યો છે. અને કહે છે આ લોકો લોભી છે એ તો હું જાણું છું તે સિવાય આ લોકો એટલા ખરાબ નથી. માત્ર લોભને કારણે મિત્રોના વિરોધમાં યુદ્ધ કરવા ઊભાં થયા છે. આ લોકો તો પાપી છે પરંતુ આપણે તો સમજું છીએ ને તો આપણે તેમને મારવા માટેનો કેમ વિચાર કરી છીએ. ભગવાન સાંભળતા રહ્યાં અને કોઈ ઉત્તર ન આપ્યો
કથં(ન્) ન જ્ઞેયમસ્માભિઃ(ફ્), પાપાદસ્માન્નિવર્તિતુમ્।
કુલક્ષયકૃતં(ન્) દોષં(મ્) પ્રપશ્યદ્ભિર્જનાર્દન॥૧.૩૯॥
કુલક્ષયે પ્રણશ્યન્તિ, કુલધર્માઃ(સ્) સનાતનાઃ।
ધર્મે નષ્ટે કુલં(ઙ્) કૃત્સ્નમ્, અધર્મોઽભિભવત્યુત॥૧.૪૦॥
કુળનો નાશ થતાં સનાતન કુળધર્મો નષ્ટ થઇ જાય છે અને ધર્મ નાશ પામતા સમસ્ત કુળમાં પાપ પણ ખૂબ જ ફેલાઈ જાય છે.
અધર્માભિભવાત્કૃષ્ણ, પ્રદુષ્યન્તિ કુલસ્ત્રિયઃ।
સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય, જાયતે વર્ણસઙ્કરઃ॥૧.૪૧॥
ઘણા પ્રકારના સંકર હોય છે, કુળસંકર, વર્ણસંકર, ધર્મસંકર, ભાષાસંકર વગેરે. એમાં વર્ણસંકર સૌથી ભયંકર માનવામાં આવે છે. અર્જુને જીવનમાં હજારો લડાઇઓ લડી છે ત્યારે એ વિચાર ન થયો કે હું જેટલા સૈનિકોને મારુ છું તેમની સ્ત્રીઓનું શું થશે? થતું હતું એવું કે જ્યારે સૈનિક યુદ્ધમાં મરી જાય ત્યારે બીજા વર્ણોનાં પુરુષો આ સ્ત્રીઓને ઉપાડી જતાં તેના કારણે જે સંતાનો ઉત્પન્ન થતી હતી તે વર્ણસંકર થતી હતી.
આ બધું સાંભળીને પણ ભગવાન ચૂપ છે.
સઙ્કરો નરકાયૈવ, કુલઘ્નાનાં(ઙ્) કુલસ્ય ચ।
પતન્તિ પિતરો હ્યેષાં(લ્ઁ), લુપ્તપિણ્ડોદકક્રિયાઃ॥૧.૪૨॥
વર્ણસંકર સંતતિ કુળના હણનારા ઓને તથા કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે; અને તર્પણ ક્રિયાથી વંચિત એમના પિતૃઓ પણ અધોગતિને પામે છે. આપણે કેટલું પાપ કરી છીએ.
દોષૈરેતૈઃ(ખ્) કુલઘ્નાનાં(વ્ઁ) વર્ણસઙ્કરકારકૈઃ।
ઉત્સાદ્યન્તે જાતિધર્માઃ(ખ્), કુલધર્માશ્ચ શાશ્વતાઃ॥૧.૪૩॥
આ વર્ણસંકર કારક દોષોથી કુળઘાતીઓના સનાતન કુળધર્મ અને જાતિધર્મો સમુળા નષ્ટ થઈ જાય છે.
ઉત્સન્નકુલધર્માણાં(મ્), મનુષ્યાણાં(ઞ્) જનાર્દન।
નરકેઽનિયતં(વ્ઁ) વાસો, ભવતીત્યનુશુશ્રુમ॥૧.૪૪॥
એટલું જ નહીં, હે જનાર્દન ! જેમનાં ગુણધર્મો સમુળગા નષ્ટ થઈ ગયા હોય એવા મનુષ્યનો અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ થાય છે એમ અમે સાંભળતા આવ્યા છીએ.
અહો બત મહત્પાપં(ઙ્), કર્તું(વ્ઁ) વ્યવસિતા વયમ્।
યદ્રાજ્યસુખલોભેન, હન્તું(મ્) સ્વજનમુદ્યતાઃ॥૧.૪૫॥
અરેરે! ઘણા દુઃખની વાત છે કે અમે બુદ્ધિમાન હોવા છતાં પણ એવું મોટું પાપ કરવા તત્પર થયા છીએ, જે રાજ્ય અને સુખના લોભે સ્વજનોને હણવા તૈયાર થયા છીએ.
યદિ મામપ્રતીકારમ્, અશસ્ત્રં(મ્) શસ્ત્રપાણયઃ।
ધાર્તરાષ્ટ્રા રણે હન્યુઃ(સ્), તન્મે ક્ષેમતરં(મ્) ભવેત્॥૧.૪૬॥
સઞ્જય ઉવાચ
એવમુક્ત્વાર્જુનઃ(સ્) સઙ્ખ્યે, રથોપસ્થ ઉપાવિશત્।
વિસૃજ્ય સશરં(ઞ્) ચાપં(મ્), શોકસંવિગ્નમાનસઃ॥૧.૪૭॥
સંજય બોલ્યા: રણભૂમિમાં શોકથી ઉદ્વિગ્ન મનનો અર્જુન જ્યારે તેના બધા તર્ક સમાપ્ત થઈ જાય છે ત્યારે હું યુદ્ધ નહીં કરું આમ કહીને બાણ સહિત ધનુષ ત્યજીને રથના પાછળના ભાગમાં બેસી ગયો.
અહી ભગવાન વેદવ્યાસે આ અધ્યાયની પૂર્ણાહુતિ કરી દીધી. બીજા અધ્યાયમાં પહેલો શ્લોક સંજયનો છે બીજા શ્લોકથી ભગવાન જવાબ આપે છે. પરંતુ સાતમાં શ્લોકમાં જ્યારે અર્જુન ભગવાનનું શિષ્યત્વ સ્વીકારે છે, પછી ભગવાનનાં ઉપદેશ ભગવદ્ગીતા પ્રારંભ થાય છે.
આ પ્રકારે ૐ તત્સત્ આ ભગવદ્ નામનું ઉચ્ચારણ કરી બ્રહ્મવિદ્યા યોગ શાસ્ત્રમાં શ્રીમદ્ ભગવદ્ગીતા ઉપનિષદ રૂપ શ્રીકૃષ્ણ અર્જુન સંવાદમાં અર્જુન વિષાદ યોગ નામનો પહેલો અધ્યાય પૂર્ણ થયો.
ૐ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ.
ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં(ય્ઁ) યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે અર્જુનવિષાદયોગો નામ પ્રથમોઽધ્યાયઃ॥૧॥