विवेचन सारांश
બુદ્ધિ અને ધૃતિના પ્રકાર

ID: 3876
गुजराती - ગુજરાતી
શનિવાર, 21 ઑક્ટોબર 2023
પ્રકરણ 18: મોક્ષ-સન્યાસ યોગ
4/6 (શ્લોક 29-39)
વિવેચન: ગીતા વિશારદ ડો. શ્રી સંજય માલપાણી જી


સદ્ગુરુ સ્મરણ, આદિ ગુરુ શંકરાચાર્યથી પ.પૂ.ગોવિંદગિરિ સ્વામી સુધીના સૌ ગુરુઓની વંદના, મા સરસ્વતીની પવિત્ર, સુમધુર પ્રાર્થના અને દીપ પ્રાગટય સાથે આજના જીવનના-ગીતાજીના ઉપસંહાર સમા
મોક્ષસંન્યાસયોગના વિવેચન સત્રનો આરંભ થયો.

ભગવાને અઢારમા અધ્યાયમાં મોક્ષ અને સંન્યાસમાં શું તફાવત છે એ બતાવીને અર્જુનની આંખો ખોલી દીધી. આપણા સૌ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ એવી બીજી ઘણી વાતો જણાવી.


18.29

બુદ્ધેર્ભેદં(ન્) ધૃતેશ્ચૈવ, ગુણતસ્ત્રિવિધં(મ્) શૃણુ।
પ્રોચ્યમાનમશેષેણ, પૃથક્ત્વેન ધનઞ્જય॥૧૮.૨૯॥

હે ધનંજય! હવે તું બુદ્ધિ તેમજ ધૃતિનો પણ ગુણો અનુસાર ત્રણ પ્રકારનો ભેદ મારા વડે સંપૂર્ણપણે વિભાગપૃર્વક કહેવાતો સાંભળ.

હે ધનંજય, હવે હું તને બુદ્ધિ અને ધૃતિ વિષે વિભાગપૂર્વક, એમના ત્રણ પ્રકારના ગુણો અનુસાર કહું છું, તે સાંભળ. ભગવાન અર્જુનને જુદા-જુદા નામોથી બોલાવતા હોય છે. બાળકનું ધ્યાન આકૃષ્ટ કરવા આપણે એને જુદી૧જુદી રીતે બોલાવીએ છીએ. મંચ પરથી ભાષણ કરતી વખતે પણ વક્તા વચમાં લોકોના નામ બોલીને એમનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરે છે. એમ જ, ભગવાન અર્જુનનું ધ્યાન ખેંચવા વચ્ચે-વચ્ચે જુદા-જુદા નામથી બોલાવીને એનું ધ્યાન આકર્ષિત કરે છે, જેથી એ પ્રાણોને કાનમાં લાવીને સાંભળે. આપણે પણ એવી જ રીતે પ્રાણ કાનોમાં લાવીને- બહુ ધ્યાનથી પ્રવચન સાંભળવા જોઈએ.

અહીં ભગવાન જે વાત કહેવાના છે એનાથી મોટું કોઈ ધન હોઈ નથી શકે તેથી ભગવાન અહીં અર્જુનને ધનંજય કહીને સંબોધે છે. આ અદ્ભૂત ધનના સંચય માટે અહીં ભગવાન અર્જુનને નિયુક્ત કરે છે. જયારે ખાંડવવન બાળ્યા પછી ઇન્દ્રપ્રસ્થ નગરીનું નિર્માણ કર્યું ત્યારે જ અર્જુનનું નામ ધનંજય પડી ગયું હતું કેમકે એ વખતે અનેક રાજ્યોને જીતીને અર્જુને નગરીના નિર્માણ માટે જરૂરી ધનની વ્યવસ્થા કરી હતી. એ તો ભૌતિક ધન હતું, પણ હવે ભગવાન અલૌકિક  ધનની વાત કરવાના છે. આ અલૌકિક ધન પ્રાપ્ત કરીને અર્જુન ખરેખર ધનંજય બની જાય એટલે ભગવાન અહીં ખાસ અર્જુનને ધનંજય કહીને સંબોધે છે.

18.30

પ્રવૃત્તિં(ઞ્) ચ નિવૃત્તિં(ઞ્) ચ, કાર્યાકાર્યે ભયાભયે।
બન્ધં(મ્) મોક્ષં(ઞ્) ચ યા વેત્તિ, બુદ્ધિઃ(સ્) સા પાર્થ સાત્ત્વિકી॥૧૮.૩૦॥

હે પાર્થ! જે બુદ્ધિ પ્રવૃત્તિમાર્ગ અને નિવૃત્તિ માર્ગને, કર્તવ્ય તેમજ અકર્તવ્યને, ભય અને અભયને તથા બંધન અને મોક્ષને યથાર્થપણે જાણે છે, એ બુદ્ધિ સાત્ત્વિકી છે.

હે પાર્થ, જે બુદ્ધિ પ્રવૃત્તિમાર્ગ, નિવૃત્તિમાર્ગ, કર્તવ્ય, અકર્તવ્ય, ભય, અભય, બંધન અને મોક્ષને યથાર્થ સમજી શકે છે, તેને સાત્ત્વિક બુદ્ધિ સમજ.

પ્રવૃત્તિના કાર્ય એ છે કે જે આપણે સ્વયં માટે કરીએ છીએ. જયારે એ પૂરા થઈ જાય અને પોતાના સ્વાર્થથી બહાર નીકળીને સમષ્ટિનું ચિંતન કરીને બીજા માટે જે કાર્ય કરીએ, એ નિવૃત્તિના કાર્ય છે. નિવૃત્તિનો અર્થ એ નથી કે બધું છોડીને ઘરમાં એકલા બેસી રહો.

નિવૃત્તિ સમજવા માટે પહેલાં આવૃત્તિનો અર્થ સમજવો પડશે. આવૃત્ત એટલે ઢંકાયેલું. આપણી બુદ્ધિ અને મન પણ આવૃત્ત હોય છે. જો કોઈ શિક્ષક આખી જિંદગી વિદ્યાલયમાં કામ કરે તો એના પર એ
વિદ્યાલયના સંસ્થાપક, પ્રાચાર્ય, શિક્ષા વિભાગ વગેરેના નિયમનોનું આવરણ હોય છે. શિક્ષક આ નિયમોથી આવૃત્ત રહીને, બંધાઈને કામ કરે છે. ૬૦ વર્ષે નિવૃત્તિ મળે છે, એનો અર્થ એ છે કે હવે એના પર કોઈ બંધન-આવરણ નથી. હવે એ પોતાના મન પ્રમાણે જે કાર્ય કરવું હોય તે કરી શકે છે. હવે એને આવૃત્ત રહીને નહીં પણ નિવૃત્ત રહીને જે કરવું હોય એ કરી શકે છે.

પોતાના માટે કરેલું કાર્ય પ્રવૃત્તિ માર્ગ છે અને સમષ્ટિ માટે કે ભગવાન માટે હૃદયથી કરેલું કાર્ય નિવૃત્તિ માર્ગ છે. આ સમજનારની બુદ્ધિ સાત્ત્વિક છે.

કર્તવ્ય એટલે એ કે જે કરવું જ પડે, જે તમારી જવાબદારી છે. અકર્તવ્ય એટલે કોઈ પણ જાતની જવાબદારી ન હોવા છતાં કરીએ એ કાર્ય. કર્તવ્યમાં સ્વાર્થ છે, જયારે અકર્તવ્યમાં પરમાર્થ છે. દેશસેવા, સમાજસેવા અકર્તવ્ય છે. કર્તવ્યમાં મનુષ્ય વ્યસ્ત થઈ જાય છે, જયારે અકર્તવ્યમાં મનુષ્ય મસ્ત થઈ જાય છે. આ સમજનારની બુદ્ધિ સાત્ત્વિક છે.

ભય એ આપણું જ્ઞાન છે. અંધારામાં દોરડા પર પગ પડે તો લાગે કે સાપ છે. પ્રકાશ થાય તો ખબર પડે કે આ તો દોરડું હતું. હવે આ અભય છે. ભય અને અભય વચ્ચે સમજનો જ તફાવત છે. ભયપ્રદ વાત સમજ્યા પછી એ ભય નથી પમાડતી, એ અભયપ્રદ બની જાય છે કારણકે જ્ઞાનનો પ્રકાશ થઈ જાય છે. આનો અર્થ સમજી લેનારની બુદ્ધિ સાત્ત્વિક છે.

મનનું બંધન તૂટતાં જ મનુષ્ય મોક્ષમાર્ગ પર ચાલવા લાગે છે. મોક્ષમાર્ગ પર ચાલવા હિમાલય જવાની જરૂર નથી, હરિદ્વાર જઈને સંન્યાસ લેવાની પણ જરુરુ નથી. ભગવાન કહે છે, જ્યાં તું હોય ત્યાં જ વૃંદાવન હોવું જોઈએ. કર્તવ્ય જયારે અકર્તવ્ય થઈ જાય છે ત્યારે એ બંધન છૂટી જાય છે. જાણવા અને માનવામાં ફેર છે. જે આ વાત જાણી લે છે એની બુદ્ધિ સાત્ત્વિક હોય છે.

18.31

યયા ધર્મમધર્મં(ઞ્) ચ, કાર્યં(ઞ્) ચાકાર્યમેવ ચ।
અયથાવત્પ્રજાનાતિ, બુદ્ધિઃ(સ્) સા પાર્થ રાજસી॥૧૮.૩૧॥

હે પાર્થ! માણસ જે બુદ્ધિ દ્વારા ધર્મ અધર્મને તથા કર્તવ્ય અને અકર્તવ્યને યથાર્થપણે નથી જાણી શકતો, એ બુદ્ધિ રાજસી છે.

હવે ભગવાન રાજસી બુદ્ધિનું વર્ણન કરે છે. ભગવાન કહે છે, હે પાર્થ, મનુષ્ય જે બુદ્ધિ દ્વારા ધર્મ-અધર્મનો અને કરવા યોગ્ય કર્મ કે ન કરવા યોગ્યનો ભેદ નથી કરી શકતો એ બુદ્ધિને રાજસી બુદ્ધિ જાણ. સાત્ત્વિક મનુષ્ય આને યથાર્થ રીતે જાણે છે, જયારે રાજસી મનુષ્ય એને સમજવા લાગ્યો છે, પણ પૂરા અનુભવથી સમજવાનું બાકી છે.

18.32

અધર્મં(ન્) ધર્મમિતિ યા, મન્યતે તમસાવૃતા।
સર્વાર્થાન્વિપરીતાંશ્ચ, બુદ્ધિઃ(સ્) સા પાર્થ તામસી॥૧૮.૩૨॥

હે પાર્થ! તમોગુણથી ઘેરાયેલી જે બુદ્ધી અધર્મને પણ ‘આ ધર્મ છે’ એમ ધર્મ માની બેસે છે તથા એ જ પ્રમાણે બીજા સઘળા પદાર્થોને પણ અવળા માને છે, એ બુદ્ધિ તામસી છે.

ભગવાન હવે તામસી બુદ્ધિ વિષે સમજાવતા અર્જુનને કહે છે કે મોહથી ઘેરાયેલી બુદ્ધિ અધર્મને પણ ધર્મ માને છે, અને હંમેશા વિપરીત દિશામાં વિચારે છે. આવી બુદ્ધિ તામસી છે. તામસી બુદ્ધિ  નકારાત્મક તર્ક આપે છે.

કોઈ વ્યક્તિને વૃંદાવન જવાનું મન નહોતું થતું કેમકે એમને લાગતું હતું કે ત્યાં પંડાઓ પૈસા પડાવે છે, દર્શન માટે પણ ભ્રષ્ટાચાર ચાલે છે, ત્યાં જવાથી શું લાભ? આ તર્ક છે. તમે ત્યાં ભગવાનને મળવા જાઓ છો, એ કાંઈ સહેલું કામ નથી. વચમાં વ્યવધાન તો આવશે. વૈષ્ણોદેવી, શપ્તશૃંગી વગેરે દર્શન માટે પહાડ ચઢવો પડે છે. પંડાઓ થોડું કષ્ટ આપે છે એમ સમજી લેવું. એમને નિયત દિવસમાં આ કામ કરવાની છૂટ હોય છે એટલે કુટુંબ નિર્વાહ માટે એ એમનો પ્રયત્ન કરે છે. એમના પર ધ્યાન ન આપતાં, ભગવાનમાં ધ્યાન લગાવીએ તો ભગવાનની નિકટ જવાશે. ત્યારે જ દર્શનનો આનંદ આવશે. 

તામસી બુદ્ધિ અંતિમ સમયે કોઈ ને કોઈ અયોગ્ય વૃત્તિ પર મનને અટકાવીને આપણને જન્મ-મરણના ફેરામાં અટકાવી રાખે છે. આ ફેરામાંથી છૂટવા માટે બુદ્ધિનું સાત્ત્વિક હોવું બહુ જરૂરી છે. કોઈ ભિખારી કે કિન્નરને જોઈને મન દ્રવિત થાય છે, કે એ તમે આપેલા પૈસા શેમાં વાપરશે એનો તર્ક આવે છે? આ તર્ક કંજુસી છે, આપવાની ટેવ રહે એ જરૂરી છે. એ શું કરશે, એ એનું કર્મ છે. પણ નકારાત્મક વિચારીને દાન ન કરવું એ તામસી બુદ્ધિ છે.

18.33

ધૃત્યા યયા ધારયતે, મનઃપ્રાણેન્દ્રિયક્રિયાઃ।
યોગેનાવ્યભિચારિણ્યા, ધૃતિઃ(સ્) સા પાર્થ સાત્ત્વિકી॥૧૮.૩૩॥

હે પૃથાપુત્ર! જે અવ્યભિચારિણી ધારણશક્તિથી માણસ ધ્યાનયોગ દ્વારા મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરે છે, એ ધૃતિ સાત્ત્વિકી છે.

હે પાર્થ, જે અવ્યભિચારિણી-અતૂટ ધારણાશક્તિથી ધ્યાનયોગ દ્વારા મન, પ્રાણ અને ઇન્દ્રિયોને ધારણ કરે છે એ ધૃતિ સાત્ત્વિક છે. આ ખાલી વાંચવા, સમજવાનો નહીં પણ કરીને જોવાનો શ્લોક છે. સુખ, ભોગની ઈચ્છા એટલે વ્યભિચાર.

આપણે જોઈએ છીએ કે ભાઈ-ભાઈ જમીનના ઝગડામાં આખી જીંદગી કોર્ટના ફેરા કરે છે. એક કુટુંબમાં ભાઈઓ વચ્ચે કોર્ટમાં કેસ ચાલતો હતો, પણ સ્ત્રીઓ વચ્ચે ખૂબ સ્નેહ હતો. ભાઈઓની ધૃતિ રાજસી હતી, જયારે એમની પત્નિઓની ધૃતિ સાત્ત્વિક હતી.

મનમાં સકારાત્મક અને નકારાત્મક વિચારો હોય છે. કહે છે ને, Think of the devil and devil is there. વિચારો તો મનમાં હોય જ છે, તમે ક્યા વિચારોને પ્રધાનતા આપો છો એ તમારી વૃત્તિ નિશ્ચિત કરે છે.

शत्रुबुद्धिविनाशय दीपज्योतिर्नमोऽस्तुते ॥

શત્રુબુદ્ધિના નાશ માટેની પ્રાર્થના છે. શત્રુનો નહીં, શત્રુબુદ્ધિના નાશની પ્રાર્થના છે. મન અને પ્રાણ ખૂબ અખંડતાથી જોડાયેલા છે. મનની બધી ક્રિયાની અસર પ્રાણ પર થાય છે. સીધા બેસીને મન એકાગ્ર કરીને લાંબો શ્વાસ લઈ એટલા જ સમયમાં ધીમે ધીમે છોડીએ. આ ક્રિયા ૮-૧૦ વાર કરવાથી મનની નકારાત્મકતા એની મેળે જતી રહે છે. ભય, દુઃખ, ક્રોધ, ઈર્ષ્યા કોઈ પણ ભાવના જતી રહે છે. મન સંયમિત થવાથી ઇન્દ્રિયો એની મેળે જ સંયમિત થઈ જાય છે. ઇન્દ્રિયોના ઘોડા મનની લગામથી બંધાય છે એટલે જ ભગવાનને સારથી કહ્યા છે. એ આપણા ઇન્દ્રિયોના ઘોડાને અંકુશમાં રાખે છે. સહજ સમર્પણ ભાવથી ઇન્દ્રિયો સંયમિત થઈ જાય છે. ઇન્દ્રિયોનો સંયમ પ્રાણથી અને પ્રાણનો સંયમ મનથી થાય છે. દરેક શ્વાસ સાથે સકારાત્મકતા આવે છે અને પ્રશ્વાસ સાથે નકારાત્મકતા જાય છે.

ધ્યાનયોગ દ્વારા જે મનને અને ઇન્દ્રિયોને સંયમિત કરે છે, એવી ધૃતિ- મનની ધારણા સાત્ત્વિક છે.

પરીક્ષાનું પ્રશ્નપત્ર હાથમાં આવતાં જ વિદ્યાર્થી સીધો બેસી જાય છે. કરોડરજ્જુ એકદમ સીધી કરીને બેસતાં જ શરીરમાં સમત્ત્વ આવી જાય છે.

समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः ।

सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् ॥

બીજી કોઈ દિશામાં ધ્યાન ન જાય, નાસિકાના અગ્ર ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરે અને શ્વાસ-પ્રશ્વાસને સમત્ત્વમાં લાવે એટલે મન સંયમિત થઈને પરીક્ષા ખૂબ સારી રીતે અપાય છે. 

સ્વાર્થરહિત ધારણા, રાગ અને દ્વેષથી મુક્ત થઈને જે મન, પ્રાણ અને ઇન્દ્રિયોને સંયમમાં રાખે છે એની ધૃતિ સાત્ત્વિક છે.

રામાયણમાં ત્રણ ભાઈઓમાં ત્રણ પાત્રો છે. વિભીષણ, રાવણ અને કુંભકર્ણ. વિભીષણ સાત્ત્વિક છે, રાવણ અત્યંત રાજસી છે અને કુંભકર્ણ તામસી છે. આ ચરિત્રો ત્રણ ગુણોના પ્રત્યક્ષ પ્રમાણ છે.

કુંભકર્ણ છ મહિના સુવાનું વરદાન માંગે છે!! આ તામસી ગુણ છે.

રાવણે પોતાના મસ્તક કાપી-કાપીને ભગવાનને ચડાવ્યા અને ભગવાને વરદાન માંગવાનું કહ્યું ત્યારે વરદાનમાં નવ ગ્રહોને, દેવતાઓને પોતાની સેવામાં લગાવ્યા. કુબેર સહિત પુષ્પક વિમાન માંગી લીધું. આખા બ્રહ્માંડ પર પોતાનું વર્ચસ્વ માંગ્યું. હિરણ્યકશ્યપે બ્રહ્માજી પાસે અમરત્ત્વનું વરદાન માંગ્યું ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે અમરત્ત્વનું વરદાન ન આપી શકાય. ત્યારે હિરણ્યકશ્યપે દેવ, દાનવ, માનવ, પશુ કોઈ પણ એને મારી ન શકે, એ શસ્ત્ર-અસ્ત્રથી ન મરે, રાત્રે કે દિવસે ન મરે, ઘરની અંદર કે બહાર ન મરે, આકાશ, પાતાળ કે પૃથ્વી પર ન મરે એવું વરદાન માંગી લીધું. બ્રહ્માજીએ તથાસ્તુ કહી દીધું. પછી એના આતંકનો નાશ કરવા ભગવાને નરસિંહ રૂપમાં જે દેવ, દાનવ, માનવ કે પશુ નહોતા એવા રૂપમાં આવવું પડ્યું. પોતાની જાંઘ પર સૂવડાવી એને નખથી ચીરી નાંખ્યો જે કોઈ અસ્ત્ર કે શસ્ત્ર નહોતું. સાંજનો સમય- ના દિવસ, ના રાત; ઉંબરા ઉપર- ના ઘરની અંદર, ના બહાર; બધી શરતો અખંડ રાખી એનો વધ કર્યો. એનો જ પુત્ર પ્રહ્લાદ સાત્ત્વિક હતો. આ કર્મફળનો સિદ્ધાંત છે.

18.34

યયા તુ ધર્મકામાર્થાન્, ધૃત્યા ધારયતેઽર્જુન।
પ્રસઙ્ગેન ફલાકાઙ્ક્ષી, ધૃતિઃ(સ્) સા પાર્થ રાજસી॥૧૮.૩૪॥

પરંતુ હે પૃથાપુત્ર અર્જુન! ફળની લાલસા રાખનાર માણસ જે ધારણશક્તિ દ્વારા ઘણી આસક્તિ-પૂર્વક ધર્મ અર્થ અને કામને ધારણ કરે છે, એ ધારણશક્તિ રાજસી છે.

હે પાર્થ, ફળની આકાંક્ષાવાળો મનુષ્ય જે ધારણશક્તિ દ્વારા અત્યંત આસક્તિ સાથે ધર્મ, અર્થ અને કામને ધારણ કરે છે એની ધૃતિ(ધારણશક્તિ) રાજસી છે.

ભાગવત કથા કરાવવાવાળી વ્યક્તિ ઘમંડથી કથાકારની આગળ ચાલે છે અને એના વ્યવહારમાં પણ ઘમંડ છલકાય છે. પૈસા વાપર્યાનો અને આયોજનનો ઉદ્દેશ્ય લોકોમાં ચર્ચિત થવાનો હોય છે. આ ફળની ઈચ્છા છે. આ ધૃતિ રાજસી છે.

18.35

યયા સ્વપ્નં(મ્) ભયં(મ્) શોકં(વ્ઁ) વિષાદં(મ્) મદમેવ ચ।
ન વિમુઞ્ચતિ દુર્મેધા, ધૃતિઃ(સ્) સા પાર્થ તામસી॥૧૮.૩૫॥

હે પૃથાપુત્ર! દુષ્ટ બુદ્ધિનો માણસ જે ધારણશક્તિ દ્વારા નિદ્રા, ભય, ચિંતા અને દુઃખને તથા ઉન્મત્તપણાને પણ નથી છોડતો, પણ પકડી રાખે છે, એ ધારણશક્તિ તામસી.

હે પાર્થ, દુષ્ટ બુદ્ધિવાળો મનુષ્ય જે ધારણાશક્તિથી નિંદ્રા, ભય, ચિંતા, દુઃખ અને ઉન્માદને ધારણ કરી રાખે છે, છોડતો નથી, એ ધારણાશક્તિ તામસી છે. યુધિષ્ઠિર અને દુર્યોધનનો દાખલો જુઓ. યુધિષ્ઠિર એકદમ સાત્ત્વિક અને દુર્યોધન એકદમ તામસી છે. કર્ણ અને અર્જુનની વાત જોઈ લો. લોકોને લાગે છે કે કર્ણને બહુ અન્યાય થયો. અન્યાય તો બધાની સાથે થઈ શકે પણ એ પરિસ્થિતિમાં હું મને કેવી રીતે પ્રસ્તુત કરું છું એ અગત્યનું છે.

શ્રીકૃષ્ણ ઉપર પણ કેટલા અન્યાય થયા હતા. કુંતીએ કર્ણને વહાવી દીધો હતો એમ જ દેવકીએ પણ પોતાના લાલાને ગોકુળ મોકલ્યો હતો. જન્મ પહેલાંથી જ કંસના માધ્યમથી એમના ઉપર મૃત્યુ છવાયેલું હતું. કંસે દૂધ પીવડાવવા પૂતના મોકલી. પરંતુ ભગવાને એને ક્યારેય યાદ નથી કર્યું. કર્ણ એક અન્યાય માટે દુર્યોધન સાથે જોડાઈ ગયો. અંગદેશના રાજા બનવાની કામનાથી એણે દુષ્ટોનો સાથ આપ્યો. દ્રૌપદીના વસ્ત્રહરણ સમયે એ હસતો રહ્યો. તામસ ધૃતિ આમ નિંદ્રા, ભય, ચિંતા, દુઃખ અને ઉન્માદને ધારણ કરે છે.

18.36

સુખં(ન્) ત્વિદાનીં(ન્) ત્રિવિધં(મ્), શૃણુ મે ભરતર્ષભ।
અભ્યાસાદ્રમતે યત્ર, દુઃખાન્તં(ઞ્) ચ નિગચ્છતિ॥૧૮.૩૬॥

હે ભરતશ્રેષ્ઠ! હવે ત્રણ પ્રકારનાં સુખને પણ તું મારી પાસેથી સાંભળ; જે સુખમાં સાધક માણસ ભજન, ધ્યાન અને સેવા આદિના અભ્યાસ વડે રમણ કરે છે અને જેથી દુઃખોના અન્તને પામી જાય છે - જે આ જાતનું સુખ છે, એ શરૂઆતમાં જોકે વિષ જેવું જણાય છે, પણ પરિણામે અમૃત જેવું છે. માટે એ પરમાત્મવિષયક બુદ્ધિના પ્રસાદમાંથી ઊપજનારુ સુખ સાત્ત્વિક કહેવાયું છે.

18.36, 18.37

ભગવાન કહે છે, હે ભરતશ્રેષ્ઠ, હવે તું ત્રણ પ્રકારના સુખ વિષે સાંભળ. જે સુખમાં સાધક મનુષ્ય ભજન, ધ્યાન, સેવા વગેરેના અભ્યાસમાં રત હોય છે અને જેના લીધે અંતમાં દુઃખને પ્રાપ્ત નથી કરતો, જે આરંભકાળમાં ઝેર જેવું લાગે છે, પણ પછી જેનું પરિણામ અમૃત જેવું લાગે છે, જે પરમાત્મા વિષયક બુદ્ધિના પ્રસાદરૂપે ઉત્પન્ન થયેલું સુખ છે એને તું સાત્ત્વિક સુખ માન.

શરૂઆતમાં બહુ મુશ્કેલ લાગે છે. કોરોના કાળમાં કડવો કાઢો પીવાનું કેટલું દુઃખકર લાગતું હતું! પછી એનું પરિણામ સારું હતું; કોરોનાથી બચાવ હતો. સવારે ઉઠવાની આળસ આવતી હોય છે અને વ્યાયામ કરવાનું મન નથી થતું પણ એક વાર બળપૂર્વક વ્યાયામ કરવા માંડીએ તો કેટલું સારું લાગે છે! આનાથી આપણું સ્વાસ્થ્ય સારું થાય છે. ભજન, ધ્યાન વગેરમાં પણ શરૂઆતમાં મન નથી લાગતું પણ પછી ખૂબ આનંદ આવે છે. આહાર, વિહાર યોગ્ય રાખવા એ પણ આમ જ છે.

ગીતાજી કંઠસ્થ કરવું કેટલું મુશ્કેલ છે! સમય કાઢવો મુશ્કેલ હોય છે પણ પછી એમાં પરમાનંદ પ્રાપ્ત થાય છે. ગીતાજીના માહાત્મ્યમાં કહ્યું છે કે ગીતાજી સર્વ વેદો, ઉપનિષદોનો નિચોડ છે. શ્રીકૃષ્ણ એનું દોહન કરે છે અને અર્જુન વાછરડારૂપે એનું રસપાન કરે છે. ઘણા લોકોને એને શીખતાં કે કંઠસ્થ કરતાં બહુ તકલીફ થાય છે પણ એક વાર આ માર્ગ પર આવી ગયા પછી આનંદની જ અનુભૂતિ થાય છે. આથીજ સોળમા અધ્યાયમાં દમનને દૈવી સંપત્તિ કહેવામાં આવી છે. પોતાના મનને દબાવવું એ દમન છે. સારા કામ માટે ખરાબ ભાવનાને દબાવવી પડે છે, પણ પછી સારું પરિણામ મળે છે. કોઈ પણ સારા કામ માટે શરૂઆતમાં થોડું દમન કરવું પડે છે.

સચિન તેંડુલકરના આચરેકર સર બધું પત્યા પછી સચિનને પોતાની બેગ ઉઠાવીને મેદાનના ચાર રાઉન્ડ દોડાવતા હતા. સચિન રડતો હતો પણ એ અભ્યાસે જ સચિનને એક ઊંચાઈ પર પહોંચાડી દીધો.

18.37

યત્તદગ્રે વિષમિવ, પરિણામેઽમૃતોપમમ્।
તત્સુખં(મ્) સાત્ત્વિકં(મ્) પ્રોક્તમ્, આત્મબુદ્ધિપ્રસાદજમ્॥૧૮.૩૭॥

18.37 writeup

18.38

વિષયેન્દ્રિયસંયોગાદ્, યત્તદગ્રેઽમૃતોપમમ્।
પરિણામે વિષમિવ, તત્સુખં(મ્) રાજસં(મ્) સ્મૃતમ્॥૧૮.૩૮॥

જે સુખ વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી થાય છે. એ શરૂઆતમાં - ભોગકાળમાં અમૃત જેવું જણાતું હોવા છતાં પરિણામે વિષ જેવું છે; માટે એ સુખ રાજસ કહેવાયું છે.

જે સુખ વિષયો અને ઇન્દ્રિયોના સંયોગથી પ્રાપ્ત થાય છે અને પછી પરિણામ દુષ્કર હોય છે તે રાજસી સુખ છે.

ખૂબ વઘાર, મસાલાવાળું મિસળ-વિષય અને જીભ-આપણી ઇન્દ્રિય, બંનેના સંયોગથી ખાવાની બહુ મઝા આવે છે, શરુઆતમાં એ અમૃત તુલ્ય લાગે છે પણ પછી acidity થઈ જાય છે અને તકલીફ થાય છે, પછી એ ઝેર બની જાય છે. 

18.39

યદગ્રે ચાનુબન્ધે ચ, સુખં(મ્) મોહનમાત્મનઃ।
નિદ્રાલસ્યપ્રમાદોત્થં(ન્), તત્તામસમુદાહૃતમ્॥૧૮.૩૯॥

જે સુખ ભોગકાળે તેમજ પરિણામે પણ આત્માને મોહિત કરનારું છે, એ નિદ્રા, આળસ અને પ્રમાદમાંથી જન્મેલું સુખ તામસ કહેવાયું છે.

જે સુખ ભોગકાળમાં અને પરિણામ સ્વરૂપે પણ આત્માને મોહમાં બાંધે છે, જે આળસ, અનિંદ્રા અને પ્રમાદથી ઉત્પન્ન થાય છે, એ તામસ સુખ છે.

મનુષ્ય અજ્ઞાનમાં વગર વિચાર્યે આકાંક્ષાઓ પૂરી કરતો જાય છે અને એમાં જ તલ્લીન હોય છે. ડાયાબિટીસ હોય પણ ગળ્યું જોઈને ખાધા વગર ન રહેવાય. એક મિનિટના સુખ માટે શરીર બગાડે છે. આ અજ્ઞાન છે. ઇન્દ્રિયોનો અને વિષયોનો ભોગ આળસ, નિંદ્રા, પ્રમાદ ઉત્પન્ન કરે છે. આવું સુખ તામસી છે.

ભગવાને સુખની વ્યાખ્યા કરી છે, એમાં આપણે ક્યાં સ્થિત છીએ, એ આપણે જાતે જ જોવું જોઈએ. સવારે ઉઠીને મને કેવી ભાવના આવે છે? મન અને બુદ્ધિનું સૌથી પહેલું યુદ્ધ સવારે જ ચાલુ થાય છે. બુદ્ધિ કહે છે ઉઠ; મન કહે છે થોડી વાર સુઈ લે. પાંચ મિનિટ કરતાં કરતાં ઘણો સમય નીકળી જાય છે. આ તામસી સુખ છે. ગીતા સમજ્યા પછી રાત્રે મનને કહીને સૂઈએ છીએ કે આ તામસી સુખ છે, તો એલાર્મ વાગતાં પહેલાં જ ઉઠી જવાય છે. મનમાં જાતે જ ઉઠવાનો અવાજ આવે છે. આ રાજસી સુખ છે. એલાર્મ પછી પણ ન ઉઠાય તો એ તામસી સુખ છે. ઉઠતાં જ ચા જોઈએ છીએ. એ અમૃતતુલ્ય લાગે છે. પછી Acidity થાય છે અને એની દવા લેવી પડે છે, જે નુકસાનદાયક છે. ત્રણ દિવસનું દમન કરો અને આ ટેવ છૂટી જાય છે. ચા ન પીએ તો કશું નથી થતું.

ગીતાજીને માની તો લઈએ છીએ, પણ જાણતા નથી. જીવનમાં ઉતારતા નથી. આપણે કેવી રીતે અને કયું સુખ મેળવવું એ આપણા ઉપર છે.

ભગવાને આગળ પ્રકૃતિના ત્રણ ગુણો અને એનાથી ઉત્પન્ન થતો આપણો સ્વભાવ, અને એ સ્વભાવથી આપણો વર્ણ(બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય કે ક્ષુદ્ર) કેવી રીતે નિશ્ચિત થાય છે, એ સમજાવ્યું છે.

ગુરુદેવની કૃપાથી અહીં ગીતાજીના ઉપસંહાર સમા મોક્ષસંન્યાસયોગના વિવેચન સત્રનું સમાપન થયું.

*******************************************************************************************

આના પછી સાધકોના સંશય નિવારણ માટે થોડા પ્રશ્નોત્તર સત્રનું સંચાલન થયું.

**પ્રશ્નોત્તર સત્ર**

પ્રશ્નકર્તા: નમિતાદીદી

પ્રશ્ન: ઋષિ, મુનિ, મહર્ષિ અને આચાર્યમાં શું તફાવત છે?

ઉત્તર: જે મનન, ચિંતન કરે એ ચિંતક છે.

જે મૌન થઈ જાય, પોતાની સાથે વાત કરે એ મૌની- મુનિ છે.

જે સમજાવીને પ્રચાર કરે એ પ્રાચાર્ય, એ જાતે આચરણ ન પણ કરે.

જે આચરણ કરીને સમજાવે એ આચાર્ય.

શિક્ષક અને પ્રાચાર્ય જેવો ફરક ઋષિ અને મહર્ષિમાં છે. જે સમજીને એના અનુભવથી સમજાવે એ ઋષિ છે. ઋષિ બધા શોધકર્તા હોય છે. ઋષિ બધા વૈજ્ઞાનિક હોય છે. અગસ્ત્ય ઋષિએ કેટલાય અસ્ત્ર-શસ્ત્રની શોધ કરી હતી. આજે હમાસ યુદ્ધમાં ઈઝરાઈલ ઉપર આકાશમાં જ અસ્ત્રોનો વિનાશ કરી દે છે. જયારે રામ થાકી ગયા હતા ત્યારે આદિત્ય હૃદય સ્તોત્રના ઉપદેશ માટે અગસ્ત્ય ઋષિ આકાશમાર્ગે ત્યાં પહોંચી ગયા હતા. સંકટ સમયે આ સ્તોત્ર શક્તિ આપે છે.

પ્રશ્નકર્તા:  સ્મિતા દીદી

પ્રશ્ન: બુદ્ધિ અને ધૃતિમાં શુંતફાવત છે?

ઉત્તર: બુદ્ધિ આપણા મસ્તિષ્કમાં છે જયારે ધૃતિ મનમાં છે. આ મૂળભૂત ફરક છે. મન નિશ્ચય કરે છે, એટલે ધૃતિ ધારણાશક્તિ છે. બાળક ભણવા બેસે ત્યારે ભણવાનું કામ બુદ્ધિ કરે છે, પણ એક જગ્યાએ બેસવાનું નક્કી કરવાનું કામ મન કરે છે. એની ધારણાશક્તિ બેસવાની શક્તિ આપશે.

પ્રશ્નકર્તા: કોમલદીદી

પ્રશ્ન: આત્માનું સ્થાન કયું છે, ભૃકુટીની મધ્યમાં કે હૃદયમાં?

ઉત્તર: જેમ જ્યોતમાં બધે જ અગ્નિ છે, એમ આત્મા બધે જ છે. એનું કોઈ નિશ્ચિત સ્થાન નથી. એને ઉપર ઉઠાવવા માટે યોગસાધના જરૂરી છે.


છેલ્લે સર્વ ગીતાસેવીઓનો આભાર માની સમાપન પ્રાર્થના અને હનુમાન ચાલીસાના પઠન પછી અઢારમા અધ્યાયના વિવેચન સત્રનું સમાપન કરવામાં આવ્યું.

*****શ્રી કૃષ્ણાર્પણમસ્તુ*****