विवेचन सारांश
દૈવી-આસુરી ગુણો
"इति गुह्यतमं शास्त्रमिदमुक्तं मयानघ ।
एतद् बुद्ध्वा बुद्धिमान्स्यात्कृतकृत्यश्च भारत ॥”
ગુરુજીના કહેવા પ્રમાણે ૧૫ મો અધ્યાય એ ગીતાજીના સારરુપ છે કારણકે ‘ઈતિ’ શબ્દથી કોઈ પણ વસ્તુનો અંત થાય છે, વિષય સમાપ્ત થાય છે. એટલે કે ગીતાનો મુખ્ય સાર ૧૫મા અધ્યાયમાં આવી ગયો છે. ૧૬મો, ૧૭મો અને ૧૮મો અધ્યાય એ ગીતાજીના પરિશિષ્ટ છે. ૧૮મો અધ્યાય ગીતાજીની પૂર્ણાહુતિ છે. ૧૫મા અધ્યાયમાં જ્ઞાનયોગ વિશે સમજાવ્યું છે. આ સંસારને એક ઉર્ધ્વમૂલ્ એટલે કે મૂળ ઉપર અને શાખા નીચે એવા ઝાડ સાથે સરખાવવામાં આવ્યો છે. સંસારનું કારણ પરમાત્મા છે, જે તેનું મૂળ છે અને તેની શાખા એટલે ડાળીઓ અધોગતિ એટલે કે નીચેની તરફ લઈ જાય છે.
સોળમા અધ્યાયમાં દૈવી અને આસુરી એમ બંને ગુણો વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે. ભગવાને ગીતામાં જે કંઈ જ્ઞાન આપ્યું તે જ્ઞાન સુધી આપણે કેવી રીતે પહોંચી શકીએ, તેના માટે આપણી અંદર કયા ગુણો હોવા જોઈએ અને કયા ગુણો ન હોવા જોઈએ તે વિશે ૧૬મા અધ્યાયમાં સમજાવ્યું છે. એવી કઈ આવશ્યક વાતો છે જેને આપણે જીવનમાં લાવીને પરમાત્માની પ્રાપ્તિ કરી શકીએ? આજે દીપોત્સવનો સુંદર તહેવાર છે. એ તહેવાર નિમિત્તે આપને એક પ્રાર્થના જરૂર કરીશ કે આપ સૌ "ગિફ્ટ ગીતા ક્લાસ" કોઈને જરૂરથી ભેટમાં આપશો અને તેમને ભગવદ્ગીતાના ક્લાસમાં જોડાવશો.
16.2
અહિંસા સત્યમક્રોધઃ(સ્), ત્યાગઃ(શ્) શાન્તિરપૈશુનમ્।
દયા ભૂતેષ્વલોલુપ્ત્વં(મ્), માર્દવં(મ્) હ્રીરચાપલમ્॥૧૬.૨॥
મન, વચન અને કર્મથી કોઈનું પણ ખરાબ ન કરવું, અહિત ન કરવું તેનું નામ અહિંસા. અહીં ફક્ત હાથેથી મારવું કે મુખમાંથી અપશબ્દો કાઢવા એટલું જ નથી પરંતુ મનમાં પણ કોઈના વિશે હીન ભાવના ન લાવવી. જીવમાત્રમાં કોઈને પણ દુઃખ થાય અથવા હાની થાય એવું વિચારવું તેનું નામ અહિંસા.
સ્વધર્મનું રક્ષણ કરવા માટે કરેલી હિંસા પણ અહિંસા છે.
પછીનો ગુણ છે સત્ય. સત્ય એટલે જે વાત જેવી છે તેવી માનવી અને કહેવી. આપણે કોઈ વાતને થોડી પણ બદલી નાખીએ તો તેનો અર્થ બદલાઈ જાય. આશય બદલાઈ જાય કે તેનું સ્વરૂપ બદલાઈ જાય તો એ અસત્ય જ છે.
પછીનો ગુણ છે અક્રોધ. ક્રોધ એ બહુ જ ભયંકર દુર્ગુણ છે. એની વિશેષતા એ છે કે આપણને દુષ્પરિણામની ખબર હોવા છતાં આપણે એનાથી બચી શકતા નથી. ક્રોધથી મોહ અને મોહથી સ્મૃતિભંશ અને સ્મૃતિભંશથી મનુષ્યનો વિનાશ થાય છે. આમ ક્રોધ વિનાશનું કારણ છે, આથી ક્રોધથી હંમેશા બચવું તેનું નામ અક્રોધ. ક્રોધની પરિભાષા આટલી મર્યાદિત નથી કોઈ વ્યક્તિ આપણા વિશે કાંઈ ખોટું બોલે અથવા પ્રતિકૂળ બોલે અને આપણાં મનમાં ક્ષોભ કે ગ્લાનિ થાય તે પણ એક પ્રકારનો ક્રોધ છે. મનમાં ખેદ કે શોક પણ ઉત્પન્ન થવો ન જોઈએ તેનું નામ અક્રોધ. ગમે તેવી પરિસ્થિતિમાં આપણા મનની સ્થિતિમાં ફેર ન પડવો જોઈએ. જેમ જેમ આપણે સત્ત્વગુણ તરફ આગળ વધીશું તેમ આપણા તમોગુણ અને રજોગુણ ઓછા થતા જશે.
આના પછીનો ગુણ છે ત્યાગ. ત્યાગનો અર્થ બધા વિષયોનો ત્યાગ એટલે કે સાંસારિક સુખનો ત્યાગ કરવાનો છે. હવે સંસારિક સુખનો ત્યાગ પણ આપણે પૂર્ણપણે કરી શકતા નથી. ભૂખ લાગે એટલે ખાવા જોઈએ. ઊંઘ આવે એટલે સુવા જોઈએ. આ બધું કરવું જ પડે. ધર્મની મર્યાદામાં રહીને, શાસ્ત્રોનાં વચન પ્રમાણે વિષયોનો ભોગ કરવાનો છે, પરંતુ તેમાં આસક્તિ રાખવાની નથી. વિષયોની ઈચ્છાઓનો ત્યાગ કરવાનો છે. મળે તો રોજ સુકા મેવા ખાઓ પરંતુ ક્યારેક ન મળે તો ભૂખ્યા પણ રહેવું પડે. એનું દુઃખ ન થવું જોઈએ. જે પરિસ્થિતિમાં ઈશ્વર રાખે તેમાં સમભાવથી રહેવું તેનું નામ ત્યાગ. કર્મફળની ઇચ્છાનો ત્યાગ એ જ સાચો ત્યાગ છે. ગીતા પરિવારના હજારો ગીતા સેવીઓ કોઈપણ પ્રકારના બદલાની અપેક્ષા વિના સતત કાર્ય કરે છે, તે ત્યાગનું ઉત્તમ ઉદાહરણ છે.
ત્યાગ પછીનો ગુણ છે શાંતિ. શાંતિ એટલે મનમાં કોઈ પણ પ્રકારની હલચલ કે ઉથલપાથલ ન થવી. જ્યારે આપણા મનમાં લોભ કે ક્રોધ ઉત્પન્ન થાય છે, ત્યારે આપણું મન સતત તેનું ચિંતન કર્યા કરે છે અને તે જ વિષયના મનમાં હજારો વિચાર આવ્યા કરે છે. આપણી એક વસ્તુ ખોવાઈ ગઈ હોય તો આપણું મન બીજે ક્યાંય લાગતું નથી. સતત તે જ વસ્તુના કે વ્યક્તિનાં વિચારો આવ્યા કરે છે, અને મન અશાંત થઈ જાય છે. પૈસાના લોભથી આપણે સતત કોઈને કોઈ પ્રવૃત્તિ કરતા રહીએ છીએ, તેનાથી વધુ લોભ ઉત્પન્ન થાય છે અને શાંતિનો ભંગ થાય છે. અશાંત વ્યક્તિને ક્યારેય સુખની પ્રાપ્તિ થતી નથી. વિષયોની ઈચ્છા એ જ અશાંતિનું મૂળ કારણ છે. સંતુષ્ટિ શાંતિ પ્રદાન કરે છે.
અપૈશૂનમ એટલે બીજાની નીંદા ન કરવી. પૈશૂનમ્ એટલે ચુગલી કરવી. ઘણા લોકોની જિંદગીનો મહત્તમ સમય લોકોની નિંદા કરવામાં કે આની વાત બીજાને અને બીજાની વાત આને કરવામાં જતી હોય છે. સાંભળવામાં સાધારણ લાગે પરંતુ આનાથી તેઓ પોતાના જીવનમાં અને બીજાનાં જીવનમાં ઘણી અશાંતિ ફેલાવતા હોય છે.
જીવમાત્ર પ્રત્યે દયા એ પણ એક દૈવી ગુણ છે. કીડીથી માંડીને દરેક જીવમાં ઈશ્વરના દર્શન કરીને તેની પર કરુણા, દયા અને સહાનુભૂતિ રાખવી એ પણ એક દૈવી ગુણ છે.
અલોલુપ્ત્વમનો અર્થ છે કોઈપણ આસક્તિનો ત્યાગ. કોઈપણ વસ્તુ, વ્યક્તિ કે જગ્યામાં આસક્તિ ન રાખવી એ પણ દૈવી ગુણ છે.
માર્દવ એટલે સરળતા કોમલતા અથવા સહજતા. આપણા વાણી, વર્તન અને વ્યવહારમાં સરળતા હોવી જોઈએ. આપણે જેવા છીએ તેવા જ દેખાવું જોઈએ. દંભ કરવાની જરૂર નથી. આપણે અંદરથી કંઈક છીએ અને બહાર કંઈક જુદું જ બતાવીએ, આવું વર્તન ગીતામાં માન્ય નથી. હ્રીર એટલે લજજા. આપણને કોઈ પણ ખોટું કામ કરતાં લજજા આવવી જોઈએ. એટલે ખોટું કામ કરતા પહેલાં આપણે વિચાર કરીશું. દુર્યોધનની જેમ આપણને પણ ખબર છે કે મારે શું કરવું જોઈએ અને શું નહીં પરંતુ ઘણી વખત આપણે અંદરના અવાજને સાંભળતા નથી. આપણને ખોટું કામ કરતી વખતે શરમ આવતી નથી. માની લો કે આપણા હાથે ખોટુ કામ થઈ ગયું તો એના માટે આપણને ગ્લાનિ થવી જોઈએ. લજ્જા આવવી જોઈએ અથવા પશ્ચાતાપ થવો જોઈએ.
ચાપલમ એટલે અસ્થિરતા. ઘણા લોકોનું મન એટલું અસ્થિર હોય છે કે એક જગ્યાએ ટકતું નથી. આવું અસ્થિર મન ક્યારેય શાંતિ આપતું નથી. કોઈ પણ કાર્યની સફળતા માટે મનમાં સ્થિરતા હોવી બહુ જરૂરી છે. અચાપલમ્ એટલે કે ચંચલતાનો અભાવ પણ એક દૈવી ગુણ જ છે. પૂજા કરવા બેઠા હોઈએ અને ધ્યાન રસોડામાં જ હોય અથવા તો મન બીજે ક્યાંય ભટકતું હોય તો ચાપલમ્ કહેવાય.
તેજઃ ક્ષમા ધૃતિઃ(શ્) શૌચમ્, અદ્રોહો નાતિમાનિતા।
ભવન્તિ સમ્પદં(ન્) દૈવીમ્, અભિજાતસ્ય ભારત॥૧૬.૩॥
ક્ષમા એટલે માફ કરવાની ભાવના. કોઈએ આપણું નુકસાન કર્યું હોય કે આપણી લાગણી દુભાવી હોય તો એને પણ માફ કરવાની તૈયારી હોવી જોઈએ. આ પણ એક પ્રકારનું તપ જ છે, જે આપણને તેજસ્વી બનાવે છે. ક્ષમા બે પ્રકારની હોય છે. કોઈ બળવાન વ્યક્તિ તમારી સામે આવી જાય અને તમે તેને છોડી દો અને કહો કે મેં ક્ષમા કરી દીધી તો એ સાચી ક્ષમા નથી કારણકે ક્ષમતાના અભાવે તમે એને છોડી દીધો છે. સમર્થ હોવા છતાં પણ આપણે સામેવાળાને જવા દઈએ, માફ કરીએ તો એ ક્ષમા કહેવાય. બદલો લેવાની શક્તિ હોવા છતાં સામેવાળાને હૃદયથી માફ કરી દઈએ એને ક્ષમા આપી કહેવાય.
પછીનો દૈવી ગુણ છે ધૃતિ એટલે ધૈર્ય અથવા ધીરજ. ૧૮મા અધ્યાયમાં ભગવાન સત્ત્વ, રજ અને તમ ત્રણેય ગુણો વિશે વિસ્તારપૂર્વક વાત કરશે. ધૈર્ય એ સત્ત્વગુણનું લક્ષણ છે.
શૌચમ્ એટલે આંતરિક તથા બાહ્ય શુદ્ધિ. આપણે બધા બાહ્ય શુધ્ધિ માટે જેટલા સજાગ હોઈએ છીએ તેટલા આંતરિક શુધ્ધિ માટે નથી હોતા. બાહ્ય શુદ્ધિમાં સ્નાન, શૌચ, હાથ-પગ ધોવા, બધી વસ્તુઓ અને આજુબાજુના પરિસરને સાફ રાખવું વગેરેનો સમાવેશ થાય છે. કાર્ય કરતી વખતે પણ સ્વચ્છતાનું પાલન કરવાનું હોય છે. આંતરિક શુચિતા એટલે આપણું હૃદય સાફ રાખવું. કોઈના વિશે દ્વેષ, મત્સર, ઈર્ષ્યા કે દુશ્મનીનો ભાવ ન રાખવો. આપણો વ્યવહાર શુધ્ધ રાખવો. આંતરિક અને બાહ્ય બંને શુચિતા એટલી જ જરૂરી છે.
અદ્રોહ– કોઈનો પણ દ્રોહ ન કરવો. અર્જુનની ગડમથલ આપણે જાણીએ છીએ. તે કહે છે ધૃતરાષ્ટ્રના પુત્રો મારાં બાંધવો છે તેમને હું કઈ રીતે મારી શકું? દુર્યોધને પાંડવો સાથે આટલો દુર્વ્યવહાર કર્યો છતાં પણ અર્જુનના મનમાં કૌરવો વિશે દ્રોહ નથી. તે તેમને સ્વજન માને છે. ભીમને કેટલીય વાર મારવાનો પ્રયત્ન કર્યો, પાંડવોને વનવાસ આપી દીધો, તેમનું રાજ્ય આપવાની ના પાડી દીધી અને દ્રૌપદીનું ભરી સભામાં અપમાન કર્યું છતાં પણ અર્જુન કહે છે કે આ અદ્રોહ છે.
ન અતિમાનિતા એટલે આપણી ઉપર બહુ અભિમાન ન કરવું. હું બહુ જ શક્તિશાળી છું, બુદ્ધિશાળી છું, ધનવાન છું, રૂપવાન છું એવું કોઈ પણ પ્રકારનું અભિમાન મનમાં આવવું ન જોઈએ. હું જેવો પણ છું અથવા મને જે કાંઈ મળ્યું છે તે ઈશ્વરની કૃપા છે તેવો ભાવ હંમેશા રહેવો જોઈએ. આપણામાં કોઈ વિશેષતા હોય તો એના માટે પોતાને બહુ મહાન ન સમજવું. કારણ કે ઈશ્વર આપણને જેટલા ઉપર ઉઠાવી શકે છે તેટલા જ નીચે એક મિનિટમાં પાડી પણ શકે છે. હે અર્જુન! આ બધી દૈવી સંપદા એટલે કે ગુણો છે. હવે હું તને આસુરી ગુણો કે જે વ્યક્તિને સંસારમાં બાંધે છે અને તેનું પતન કરે છે તેના વિશે કહું છું તે તું સાંભળ.
દમ્ભો દર્પોઽભિમાનશ્ચ, ક્રોધઃ(ફ્) પારુષ્યમેવ ચ।
અજ્ઞાનં(ઞ્) ચાભિજાતસ્ય, પાર્થ સમ્પદમાસુરીમ્॥૧૬.૪॥
દર્પ એટલે અભિમાન. આપણી પાસેની વસ્તુઓનો ઘમંડ હોવો. આપણી ક્ષમતા, શક્તિ, ધન, બુદ્ધિ કે સૌંદર્યનું અભિમાન કરવું એટલે દર્પ. રાવણનો વિનાશ તેના અભિમાનના લીધે જ થયો હતો. અહંકાર એ પણ આસુરી ગુણ છે. અહમ્ અને મમત્ત્વ એ અભિમાનના કારણો છે. હું પણું એટલે અભિમાન. હું મામલતદાર છું, હું બુદ્ધિમાન છું, આમ સમજવું એ અભિમાનનું લક્ષણ છે. અક્રોધ એટલે કે ક્રોધ ન કરવો એ દૈવી ગુણ છે, તો ક્રોધ કરવો, ગુસ્સો કરવો એ આસુરી ગુણ છે. આપણામાં આસુરી ગુણ વધારવા એટલે કે તમોગુણ વધારવા એ આપણને પાપ તરફ દોરી જાય છે.
અજ્ઞાનતા એ પણ આસુરી ગુણ છે. સત્ય વસ્તુનું જ્ઞાન ન હોય તેનું નામ અજ્ઞાનતા. જેમકે આ શરીર હું નથી છતાં પણ શરીરને જ સર્વસ્વ માનવું તેનું નામ અજ્ઞાનતા. અજ્ઞાનના કારણે આપણને યોગ્ય અયોગ્યનું ભાન રહેતું નથી અને આસુરી ગુણ વધતાં જાય છે. દૈવી સંપદા પ્રાપ્ત કરવાવાળાને મોક્ષ એટલે કે મુક્તિ મળી જાય છે પરંતુ આસુરી ગુણવાળા બંધાઈ જાય છે. તેમની અધોગતિ થાય છે. તેમને મુક્તિ મળતી નથી.
દૈવી સમ્પદ્વિમોક્ષાય, નિબન્ધાયાસુરી મતા।
મા શુચઃ(સ્) સમ્પદં(ન્) દૈવીમ્, અભિજાતોऽસિ પાણ્ડવ॥૧૬.૫॥
દ્વૌ ભૂતસર્ગૌ લોકેऽસ્મિન્, દૈવ આસુર એવ ચ।
દૈવો વિસ્તરશઃ(ફ્) પ્રોક્ત, આસુરં(મ્) પાર્થ મે શૃણુ॥૧૬.૬॥
પ્રવૃત્તિં(ઞ્) ચ નિવૃત્તિં(ઞ્) ચ, જના ન વિદુરાસુરાઃ।
ન શૌચં(ન્) નાપિ ચાચારો, ન સત્યં(ન્) તેષુ વિદ્યતે॥૧૬.૭॥
અસત્યમપ્રતિષ્ઠં(ન્) તે, જગદાહુરનીશ્વરમ્।
અપરસ્પરસમ્ભૂતં(ઙ્), કિમન્યત્કામહૈતુકમ્॥૧૬.૮॥
એતાં(ન્) દૃષ્ટિમવષ્ટભ્ય, નષ્ટાત્માનોऽલ્પબુદ્ધયઃ।
પ્રભવન્ત્યુગ્રકર્માણઃ, ક્ષયાય જગતોऽહિતાઃ॥૧૬.૯॥
અલ્પ બુદ્ધિવાળા જડમતી લોકો વિચારે છે કે જગત આમ જ ઉત્પન્ન થઈ ગયું અને તેઓ મહાન કાર્ય કરવા માટે આ દુનિયામાં આવ્યા છે. તેઓના બધાં જ કાર્યો બીજાનાં હિતનો ક્ષય એટલે કે નાશ કરવા માટે જ હોય છે. વિશ્વયુદ્ધમાં કેટલાય લોકો પોતાની બુદ્ધિ વાપરીને ભયાનક શસ્ત્ર બનાવે છે. કેટલી મહેનત કરે છે પરંતુ તેમનું જ્ઞાન, બુદ્ધિ અને મહેનત લોકોના જીવ લેવાનું કામ કરે છે. રોજનાં હજારો લોકો અણુશસ્ત્રોથી નાશ પામે છે. તેમના મોટાં કાર્યો વધુ નુકસાન કરે છે.
કામમાશ્રિત્ય દુષ્પૂરં(ન્), દમ્ભમાનમદાન્વિતાઃ।
મોહાદ્ ગૃહીત્વાસદ્ગ્રાહાન્, પ્રવર્તન્તેऽશુચિવ્રતાઃ॥૧૬.૧૦॥
ચિન્તામપરિમેયાં(ઞ્) ચ, પ્રલયાન્તામુપાશ્રિતાઃ।
કામોપભોગપરમા, એતાવદિતિ નિશ્ચિતાઃ॥૧૬.૧૧॥
શ્લોક ૧૨માં આવા લોકોનો ઉદ્દેશ્ય કામનાઓની પૂર્તિ અને વિષયોનો ઉપભોગ કરવો એ જ હોય છે. આપણાં જીવનનો ઉદ્દેશ્ય કે ધ્યેય પરમાર્થ હોવો જોઈએ. સ્વામીજી કહે છે કે મનુષ્યજન્મ લઈને ગીતાનું પઠન ન કર્યું, કોઈની સેવા ન કરી કે પરમાર્થ ન કર્યો તો આપણું જીવન વ્યર્થ છે. પરંતુ આ લોકો આવું વિચારતા નથી. કામ અને વિષયોની પૂર્તિ એ જ આ લોકોનો ઉદ્દેશ્ય હોય છે.
આશાપાશશતૈર્બદ્ધાઃ(ખ્), કામક્રોધપરાયણાઃ।
ઈહન્તે કામભોગાર્થમ્, અન્યાયેનાર્થસઞ્ચયાન્॥૧૬.૧૨॥
ઇદમદ્ય મયા લબ્ધમ્, ઇમં(મ્) પ્રાપ્સ્યે મનોરથમ્।
ઇદમસ્તીદમપિ મે, ભવિષ્યતિ પુનર્ધનમ્॥૧૬.૧૩॥
અસૌ મયા હતઃ(શ્) શત્રુ:(ર્), હનિષ્યે ચાપરાનપિ।
ઈશ્વરોऽહમહં(મ્) ભોગી, સિદ્ધોऽહં(મ્) બલવાન્સુખી॥૧૬.૧૪॥
આઢ્યોऽભિજનવાનસ્મિ, કોऽન્યોऽસ્તિ સદૃશો મયા।
યક્ષ્યે દાસ્યામિ મોદિષ્ય, ઇત્યજ્ઞાનવિમોહિતાઃ॥૧૬.૧૫॥
અનેકચિત્તવિભ્રાન્તા, મોહજાલસમાવૃતાઃ।
પ્રસક્તાઃ(ખ્) કામભોગેષુ, પતન્તિ નરકેऽશુચૌ॥૧૬.૧૬॥
આત્મસમ્ભાવિતાઃ(સ્) સ્તબ્ધા, ધનમાનમદાન્વિતાઃ।
યજન્તે નામયજ્ઞૈસ્તે, દમ્ભેનાવિધિપૂર્વકમ્॥૧૬.૧૭॥
અહઙ્કારં(મ્) બલં(ન્) દર્પં(ઙ્), કામં(ઙ્) ક્રોધં(ઞ્) ચ સંશ્રિતાઃ।
મામાત્મપરદેહેષુ, પ્રદ્વિષન્તોऽભ્યસૂયકા:॥૧૬.૧૮॥
તાનહં(ન્) દ્વિષતઃ(ખ્) ક્રૂરાન્, સંસારેષુ નરાધમાન્।
ક્ષિપામ્યજસ્રમશુભાન્, આસુરીષ્વેવ યોનિષુ॥૧૬.૧૯॥
આસુરીં(ય્ઁ) યોનિમાપન્ના, મૂઢા જન્મનિ જન્મનિ।
મામપ્રાપ્યૈવ કૌન્તેય, તતો યાન્ત્યધમાં(ઙ્) ગતિમ્॥૧૬.૨૦॥
ત્રિવિધં(ન્) નરકસ્યેદં(ન્), દ્વારં(ન્) નાશનમાત્મનઃ।
કામઃ(ખ્) ક્રોધસ્તથા લોભ:(સ્), તસ્માદેતત્ત્રયં(ન્) ત્યજેત્॥૧૬.૨૧॥
એતૈર્વિમુક્તઃ(ખ્) કૌન્તેય, તમોદ્વારૈસ્ત્રિભિર્નરઃ।
આચરત્યાત્મનઃ(શ્) શ્રેયઃ(સ્), તતો યાતિ પરાં(ઙ્) ગતિમ્॥૧૬.૨૨॥
યઃ(શ્) શાસ્ત્રવિધિમુત્સૃજ્ય, વર્તતે કામકારતઃ।
ન સ સિદ્ધિમવાપ્નોતિ, ન સુખં(ન્) ન પરાં(ઙ્) ગતિમ્॥૧૬.૨૩॥
તસ્માચ્છાસ્ત્રં(મ્) પ્રમાણં(ન્) તે, કાર્યાકાર્યવ્યવસ્થિતૌ।
જ્ઞાત્વા શાસ્ત્રવિધાનોક્તં(ઙ્), કર્મ કર્તુમિહાર્હસિ॥૧૬.૨૪॥
શાસ્ત્રોને પ્રમાણ માનીને શાસ્ત્રોમાં બતાવેલા કર્મો કરવા જોઈએ. આપણી વૈદિક સંસ્કૃતિમાં શાસ્ત્રોનું ખૂબ મહત્ત્વ છે. શાસ્ત્રોમાં લખેલી કોઈ પણ વાત આપણને સાચી ન લાગે તો પણ આપણે તેનું પાલન શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ. કારણ કે આપણી બુદ્ધિ સીમિત છે જ્યારે શાસ્ત્રો ઈશ્વરની રચના હોવાથી અસીમિત છે. આપણી સીમિત બુદ્ધિને જે નથી સમજાતું તે શાસ્ત્રો સમજાવે છે, એમાં બતાવેલા દૈવી ગુણોને આપણે ધારણ કરવા જોઈએ અને આસુરી ગુણોથી બચવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ પૂર્ણ દૈવી કે પૂર્ણ આસુરી વૃત્તિની હોતી નથી. જે ગુણોની પ્રધાનતા હોય તે પ્રમાણે તે વ્યક્તિની વૃત્તિ કહી શકાય. સમય, વ્યક્તિ અને પરિસ્થિતિ પ્રમાણે વૃત્તિ બદલાતી પણ હોય છે. આપણે દૈવી ગુણોને વધારતા જઈએ અને આસુરી ગુણોને પ્રયત્નપૂર્વક ત્યજીને પરમ સુખ, પરમ શાંતિ અને પરમ ગતિને પ્રાપ્ત કરીએ. ગીતા પરિવારથી જોડાયેલા રહીશું તો ચોક્કસ દૈવી ગુણો વધતાં જશે અને આસુરી ગુણો છૂટતાં જશે.
આ સાથે જ વિવેચનની સમાપ્તિ થઈ અને પ્રશ્નોત્તરીનું સત્ર ચાલુ થયું.
ઘનશ્યામ ભાઈ:
આ સાથે જ પ્રશ્નોત્તરીનું સત્ર સમાપ્ત થયું. પછી અંતિમ પ્રાર્થના અને હનુમાન ચાલીસાના પઠન પછી વિવેચન સત્રની સમાપ્તિ થઈ.
॥ ૐ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ ॥
ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં(ય્ઁ) યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે દૈવાસુરસમ્પદ્વિભાગયોગો નામ ષોડશોઽધ્યાયઃ॥૧૬॥