विवेचन सारांश
ભક્તિથી ભગવદ્ પ્રાપ્તિ
ગીતા પરિવારની પરંપરા મુજબ સુંદર પ્રાર્થના અને મનમોહક દીપ પ્રજ્વલન પછી વિવેચનસત્રની શરૂઆત થઈ. પ્રભુ શ્રીરામની ખૂબ સુંદર અને મનમોહિની છબીને સ્મરણ અને વંદન કરી સત્રનો આરંભ થયો. ગીતા પરિવારના પ્રેરણા સ્તોત્ર તથા મહર્ષિ, રાષ્ટ્ર સંત અને પ્રાતઃ વંદનીય પરમ પૂજ્ય શ્રી ગોવિંદદેવ ગિરિજી મહારાજની સૂક્ષ્મ ઉપસ્થિતિને નમન કરી કહ્યું કે આજે આપણે આજે મોક્ષદાયિની ભગવદ્ગીતાના હૃદય એવા ભક્તિયોગ નામના ૧૨મા અધ્યાયના વિવેચનસત્રમાં સામુહિક રીતે એકત્ર થયા છીએ. તેઓએ એક સરસ પંક્તિ “ તન સે કર ઉપકાર લોક કા, મન સે જપ હરિનામ સદા સત્ય કી સત્સંગતિ રહે તું આઠો યામ." કહી. કૃષ્ણજીની પ્રાર્થના કરી, ગુરુવંદના કરી. ભગવાનની અત્યંત મંગલમય કૃપાથી આપણા સૌના ભગ્ય જાગૃત થયા છે કે આપણે આપણા જીવનને સાર્થક કરવા માટે ભગવદ્ગીતાના અધ્યયનમાં, ચિંતનમાં, યાદ કરવામાં લાગી ગયા છીએ. તેઓ એ કહ્યું કે શાના કારણે આ થાય છે તે ખ્યાલ નથી. આપણા આ જન્મ કે પૂર્વ જન્મના કોઈ પૂણ્ય છે કે આપણા કોઈ પૂર્વજોની કૃપા છે કે આ જન્મમાં કોઈ સંત મહાપુરુષની કૃપા દ્રષ્ટિ થઈ છે. તેઓએ કહ્યું કે ૧૨મો અધ્યાય ગીતાજીનું હૃદય છે. બીજું કાંઈ ન શીખીએ, માત્ર ૧૨મો અધ્યાય શીખી લઈએ તો પણ જીવનની ઉન્નતિ માટે બહુ બધું પ્રાપ્ત થઇ જાય છે. તેમણે કહ્યું કે આ અધ્યાય સૌથી નાનો છે પણ ભક્તિયોગ છે.
૭૦૦ શ્લોકોની ગીતા છે જેમાં ૧ શ્લોક ધ્રુતરાષ્ટ્ર દ્વારા, ૪૧ શ્લોક સંજય દ્વારા, ૮૪ શ્લોક અર્જુન દ્વારા પૂછવામાં આવ્યા છે અને ૫૭૪ શ્લોકો ભગવાનના શ્રીમુખથી આવ્યા છે. એકદમ નાનો ગ્રંથ છે, તેને સંસારનો સૌથી નાનો ગ્રંથ પણ કહેવાય તો આશ્ચર્ય નહીં. ગીતાપ્રેસમાં તો તે એક માચીસના ડબ્બીના આકારમાં પણ ભગવદ્ગીતા પ્રકાશિત કરી છે. તેમણે આગળ કહ્યું કે આ નાનો ગ્રંથ ૫૩૦૦ વર્ષોથી માત્ર ભારતમાં જ નહીં, આખા વિશ્વમાં બધા ચિંતકોને આકર્ષિત કર્યા છે. પ્રાચીન આચાર્યોથી લઇ આધુનિક વિદ્વાનો સુધી મહાત્મા ગાંધી, તિલકજી, વિનોબા ભાવે વગેરે ભગવદ્ગીતામાં જ પોતાના પ્રશ્નોનું સમાધાન શોધતા આવ્યા છે. આ અધ્યાયનો પ્રારંભ અર્જુનના પ્રશ્નથી થયો છે. અર્જુને પૂછ્યું કે કયો યોગ ઉત્તમ છે જ્ઞાનયોગ કે ભક્તિયોગ? ભગવાને કહ્યું, સૌથી સરળ છે તારું મન, બુદ્ધિ મારામાં લગાવી દે.
मय्येव मन आधत्स्व, मयि बुद्धिं निवेशय।
મને સમર્પિત થઇ જાય એવો જ ભક્તિ યોગી મને સૌથી વધુ પ્રિય છે. આમ કહી ભગવાને ભક્તિયોગને પોતાનો સૌથી પ્રિય છે તેમ કહી વાત પૂરી કરી દીધી. પરંતુ ભગવાન તો ઉત્તમ વક્તા છે. જેમ સારા ડોક્ટર ઉપર-ઉપરથી રોગનો ઈલાજ નથી કરતા પણ તેનું જડમૂળ શોધી બધીજ વાતોનો પૂરો ઈલાજ કરે છે તેમ ભગવાને એક જ શ્લોકમાં જવાબ આપી બીજા શ્લોકોમાં તેનો વિસ્તારથી અર્થ સમજાવ્યો.
12.11
અથૈતદપ્યશક્તોऽસિ, કર્તું(મ્) મદ્યોગમાશ્રિતઃ।
સર્વકર્મફલત્યાગં(ન્), તતઃ(ખ્) કુરુ યતાત્મવાન્॥૧૨.૧૧॥
ભગવાન ઉત્તમ વક્તા છે. જેમ સારા ડોક્ટર ઉપર-ઉપરથી રોગનો ઈલાજ નથી કરતા પણ તેનું જડમૂળ શોધી બધીજ વાતોનો પૂરો ઈલાજ કરે છે તેમ ભગવાને એકજ શ્લોકમાં જવાબ આપી બીજા શ્લોકોમાં તેનો વિસ્તારથી અર્થ સમજાવ્યો. ભગવાને તેને એક પછી એક અનેક વિકલ્પ આપ્યા પછી ૧૧મા શ્લોકમાં કર્મફળનો ત્યાગ કરવાનો વિકલ્પ આપી દીધો. ભગવાને આ બધા વિકલ્પો આપી ખૂબ જ મહત્ત્વપૂર્ણ વાત કરી છે.
શ્રેયો હિ જ્ઞાનમભ્યાસાજ્, જ્ઞાનાદ્ધ્યાનં(વ્ઁ) વિશિષ્યતે।
ધ્યાનાત્કર્મફલત્યાગઃ(સ્), ત્યાગાચ્છાન્તિરનન્તરમ્॥૧૨.૧૨॥
તેઓએ કહ્યું કે આ શ્લોક જોવામાં સાધારણ લાગે છે પણ તેનો ખૂબ જ ગહન અર્થ છે. આ એક જ શ્લોક પર ચર્ચા કરવી હોય તો ઓછામાં ઓછા ૪થી ૫ કલાક લાગે પણ આપણે તેને સંક્ષિપ્તમાં જોઈશું. ભગવાન કહે છે,
अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते।।6.35।।
હે અર્જુન! મર્મને ન જાણીને કરવામાં આવેલા અભ્યાસ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાનથી પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન શ્રેષ્ઠ છે અને તેનાથી પણ ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે કારણકે ત્યાગથી પરમ શાંતિ મળે છે. હવે અહીં સાધારણ રીતે એવું લાગે કે ભગવાને એક વાત કરતા બીજી વાતને શ્રેષ્ઠ કહી છે પણ તેનાથી ઉલટું છે. અહીં ભગવાન એવું કહે છે કે અહીં કોઈ એક વાત ઓછી કે વધુ મહત્ત્વની નથી. અભ્યાસથી જ્ઞાન શ્રેષ્ઠ શા માટે છે? કારણકે જે કંઈ પણ આપણે અભ્યાસ કરીશું તે ઇન્દ્રિયો દ્વારા કરીશું, જેમકે આંખો બંધ કરી સીધા બેસી જાઓ, પદ્માસનમાં બેસી જાઓ, પૂજા-અર્ચના કરો, આરતી કરો. આ બધું ઇન્દ્રિયો દ્વારા થયું. અભ્યાસથી મન કાબુમાં આવે છે. જે વધુ સૂક્ષ્મ હોય તેટલું શક્તિશાળી હોય છે જેમકે મોબાઈલમાં સીમકાર્ડ શક્તિશાળી છે. ઇન્દ્રિયો દેખાય છે પણ મન તો દેખાતું નથી. અભ્યાસથી મન જાગૃત થાય છે, જયારે જ્ઞાનથી બુદ્ધિ જાગૃત થાય છે. પછી ભગવાને કહ્યું કે જ્ઞાનથી પણ ધ્યાન શ્રેષ્ઠ છે કારણકે ધ્યાનથી ચિત્ત એકાગ્ર થાય છે. મન તેના ઉપર બુદ્ધિ અને તેના ઉપર ચિત્ત. જેમ-જેમ આપણે અંદર ઉતરીએ છીએ તેમ-તેમ આપણું મન એકાગ્ર થતું જાય છે. હવે ભગવાન કહે છે કે ધ્યાનથી પણ બધા કર્મોના ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. અંતઃકરણની ચાર સ્થિતિ છે પહેલા મન, પછી બુદ્ધિ, પછી ચિત્ત અને પછી અહમ. અહીં અહમનો અર્થ અભિમાન નથી. અહીં તેનો અર્થ છે હું પોતે. કર્મના ફળનો ત્યાગ કરવાથી અહમનો ભાવ જતો રહે છે જેમકે આ મેં કર્યું. જયારે મે કશું કર્યું નથી તો મારાપણાનો ત્યાગ થાય છે. હકીકતમાં આ કોઈ એક બીજાથી ઉતરતા નથી. બધા જ દરેકની વૃતિ અનુસાર શ્રેષ્ઠ છે. ભગવાને કહ્યું કે સાધુઓમાં શ્રેષ્ઠતા શોધવાની આવશ્યકતા જ નથી. બીજા બધા મહાપુરુષો સાધનોને મહત્ત્વ આપે છે. કૃષ્ણ ભગવાન એવું નથી કરતાં. તેઓ સાધનના બદલે લક્ષણોને મહત્ત્વ આપે છે. કોઈ કહે કે હું આટલો સમય ધ્યાન ધરું છું, પૂજા કરું છું, જપ કરું છું વગેરે વગેરે. અહીં ભગવાન કહે છે, સારું છે તું આ બધું કરે છે પણ મને એ બતાવ કે આ બધું કર્યા બાદ તારામાં શું બદલાવ આવ્યો? તારા લક્ષણો શું છે? ગીતામાં ભગવાન એજ સમજાવે છે કે સાધન કોઈ પણ હોય પણ જો તેનું પરિણામ આવતું હોય તો તે સાધન બરાબર છે. ભગવાને ભક્તના ૩૯ લક્ષણોની યાદી આપી છે અને આ બધા જ લક્ષણો આપણા બધામાં ઓછા વત્તા પ્રમાણમાં જરૂર જોવા મળે છે. જ્યાં આપણે ઓછા છીએ ત્યાં વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભગવાન કહે છે લક્ષણો કહેતાં પહેલાં હું એક વાત કહીશ. આપણા મનની જે કંઈ પણ અશાન્તિઓ છે તેનું જો સૂક્ષ્મ અવલોકન કરીએ તો ખ્યાલ આવશે કે જેટલી વધુ આપણે કર્મફળની આશા રાખીએ છીએ તેટલું વધુ મન અશાંત રહે છે. આ મેં કર્યું, જેટલો વધુ હું આ બાબતમાં વિચાર કરું છું તેટલું મન અશાંત બને છે. જેમકે ચિંતા જેમ વધુ તેમ મન વધુ અશાંત. તેઓ એ ઉમેર્યું કે આપણે એમ માનવું જોઈએ કે જે થશે તે સારા માટે અને જેમ રામજી રાખશે તેમ રહીશું.
होइहि सोइ जो राम रचि राखा।
को करि तरक बढ़ावै साखा॥
सीता राम-सीता राम-सीता राम कहिए।
जाहि विधि राखे राम, ताहि विधि रहिये।।
કોઈ વ્યક્તિને નુકશાન થાય તો આપણે એમ માનીએ છીએ કે તે દુઃખી હશે પણ શાંત મનવાળી વ્યક્તિ કહે છે મોજ છે. હું ક્યાં કશું લાવ્યો હતો? અહીંથી આવ્યું હતું અને ચાલ્યું ગયું, ફરી આવી જશે. તે કર્મબંધનથી જોડાતો નથી. હવે ભગવાન ૧૩મા શ્લોકથી ૧૮માશ્લોક સુધી ભક્તના લક્ષણો કહે છે જે આપણે ધ્યાનથી સાંભળીએ. આ બહુ મહત્ત્વપૂર્ણ છે. આ લક્ષણોનું પરીક્ષણ પોતાની જાત પર કરવાનું છે અને નહીં કે અન્ય વ્યક્તિ જેમ કે સાસુજી, પતિદેવ, પત્ની, પિતાજી, માતાજી વગેરે. પર!! ભગવાન કહે છે આ બધા જ માપદંડ પોતા માટે છે અને નહી કે અન્યો માટે.
અદ્વેષ્ટા સર્વભૂતાનાં(મ્), મૈત્રઃ(ખ્) કરુણ એવ ચ।
નિર્મમો નિરહઙ્કારઃ(સ્), સમદુઃખસુખઃ ક્ષમી॥૧૨.૧૩॥
ભગવાને સૌથી પહેલા અદ્વેષને લક્ષણ બતાવ્યું. કોઈ સાથે દ્વેષ ન કરવો. કોઈ પ્રત્યે નકારાત્મક ભાવ છે તો તે દ્વેષ છે. જો તમને કોઈ પ્રત્યે સકારાત્મક કે ઉદાસ ભાવ હોય તો દ્વેષ નથી. જો તમે તટસ્થ કે સકારાત્મક છો તો કોઈ દ્વેષ નથી. પોતાની લાઈન મોટી કરવામાં કોઈ ખરાબી નથી પણ બીજાની લાઈન નાની ન કરાય, તે દ્વેષ છે. કોઈ બીજાની કાંઈ સારી વાત કરતા હોય ત્યારે તેને રોકીને તેના અવગુણ વગેરે બતાવવા એ દ્વેષ છે. બીજો કોઈ આગળ વધી રહ્યો છે તો મને દુઃખ થાય છે આ દ્વેષ છે. મોટા ભાગનાં લોકો પોતાના દુઃખોથી ઓછા અને બીજાના સુખથી વધુ દુઃખી થતા હોય છે. પોતાના ઘરમાં ગાડી નથી વાંધો નહી પણ પાડોશીને ત્યાં ગાડી આવી તો તકલીફ થાય છે. આ દ્વેષ છે. ઘણી વાર લોકો પોતાને સારા ધાર્મિક, સત્સંગી માને છે તેને પણ દ્વેષ થતો હોય છે કે કોણ ગુરુજીની વધુ નજીક જાય છે? ગુરુજી કોના પર વધુ ધ્યાન આપે છે? આ બહુ સૂક્ષ્મ છે. ભગવાન કહે છે બધા માટે મિત્રતાનો ભાવ હોવો જોઈએ.
અહીં રહીમજીનો દોહો કહીને સમજાવ્યું,
रूठे सुजन मनाइए, जो रूठे सौ बार ,
रहिमन फिर-फिर पोइए टूटे मुक्ता-हार।
રિસાયેલા સ્વજનો, સજ્જનોને ૧૦૦ વખત પણ રિસાય તો પણ મનાવવા જોઈએ. જો તમારી પાસે મોતીઓની માળા હોય અને વારંવાર તૂટી જાય તો પણ તમે તેને વારંવાર પરોવો છો અને ફેંકી દેતા નથી તેમ સ્વજનો, સજ્જનોને મનાવતા રહેવું જોઈએ.
પતંજલિ યોગસૂત્રમાં ચિત્તશુદ્ધિના ચાર સાધનો છે. સુખી લોકો સાથે મૈત્રી, દુઃખી લોકો પ્રત્યે કરુણા, પુણ્યાત્માઓ પ્રત્યે પ્રસન્નતાનો ભાવ રાખો અને પાપાત્માઓ પ્રત્યે ઉપેક્ષાનો ભાવ રાખો. ભગવદ્ગીતામાં આ સાધનો બે જ થઇ ગયા. સુખી અને પુણ્યાત્માઓ સાથે દોસ્તી કરો અને દુઃખી અને પાપી લોકો પ્રત્યે કરુણાનો ભાવ રાખો. તેમના માટે પ્રાર્થના કરો. દયા અને કરુણા બે વચ્ચે થોડો તફાવત છે. દયા સ્થિતિગત છે. કોઈ બનાવ બન્યો, મેં તેની પર દયા કરી તેને મદદ કરી દીધી. કરુણા તેનાથી વિશાળ રૂપમાં છે. તેમાં બીજાના દુઃખથી હું દુઃખી થઇ જાઉં છું. તેઓએ અહી ઉમેર્યું કે સંત જ્ઞાનેશ્વરજી મહારાજ તેમની પ્રાર્થનામાં કહે છે કે બધાજ દુઃખી અને પાપાત્માઓનો ઉધ્ધાર કરી દો.
दया धर्म का मूल है पाप मूल अभिमान |
દયા શક્તિમાનનો ગુણ છે તો કરુણા સર્વ સામાન્યનો ગુણ છે. તેમણે એમ પણ કહ્યું કે આપણા જીન્સમાં કરુણા છે. મમતાથી, કરુણાથી આપણે બધાને બદલી શકીએ છીએ. કરુણાનો ભાવ ભક્તિ માટે ખૂબ મહત્ત્વનો છે.
નિર્મમ - વસ્તુઓ અને વ્યક્તિઓમાં મમત્ત્વ, મારાપણાનો ભાવ એ મમત્ત્વ. અહીં તેમણે એક દંપતિનું ફ્રીઝ ખરીદવા અંગેનું ઉદાહરણ આપી ઉંડાઈથી સમજાવ્યું. એક દંપતિ ફ્રીઝ ખરીદવા ગયું, ત્યાં તેમણે પોતાની પસંદનું ફ્રીઝ ખરીદવાનું નક્કી કર્યું. વેંચાણ કરનાર સેલ્સ મેનેજરે તે ફ્રીઝ કોઈ અન્ય ગ્રાહક પસંદ ન કરી લે અને કોઈ અવ્યવસ્થા ઉભી ન થાય તેથી તેના પર તે દંપતિનું નામ લગાવી દીધું અને ચુકવણી માટે તે દંપતિને જણાવ્યું. એટલામાં તે દુકાનના અન્ય કર્મચારીઓ બીજું એક ફ્રીઝ ત્યાંથી લઇ જઈ રહ્યા હતા, તે જોઈ તે ભાઈથી બૂમ પડી ગઈ, એ ભાઈ, ત્યાં થોડું સંભાળીને મૂકજો કારણકે ત્યાં મારું ફ્રીઝ પડેલું છે. અલબત્ત હજુ તેના બીલની રકમની ચૂકવણી પણ કરવાની બાકી હતી પણ તેમણે પસંદ કરી લીધું હતું અને પોતાનું માનવા લાગ્યા હતા. આમ મમત્ત્વ જેટલું વધુ ભક્તિ તેટલી ઓછી થશે. જેમનામાં હું નથી અને મારું કંઈ નથી. આ બધું કોઈનું આપેલું છે. જે પણ મારી પાસે છે તે બીજાએ આપેલું છે એવો ભાવ હશે તે ભક્તિ પૂર્ણ થતો જશે અને હું, મારું, વગેરે કરતો રહે છે તે ભક્તિથી એટલા દૂર થતા જાય છે.
અહંકાર - ગુણોનો અહંકાર, દેખાવનો અહંકાર, મારી બુદ્ધિનો અહંકાર મારી ઉપાધિઓનો અહંકાર. અરે! તેનો કોઈ છેડો જ નથી!! બુદ્ધિનો અહંકાર તો લગભગ બધામાં હોય છે. દુઃખ અને સુખમાં સમાન થઇ જાવ. હવે આપણને લાગે છે કે આવું કેમ થાય? સુખમાં કાંઈ સારું ન લાગે અને દુઃખમાં કંઈ ખરાબ ના લાગે તેવું કેમ થાય? ભગવાન પણ તેને શૂન્ય કરવાનું નથી કહેતા. ભગવાનનો આશય અહીં તેની માત્રા પર છે. કોઈને સુખમાં એકદમ પાગલ થતા અને દુઃખમાં એકદમ રડતાં જોવા મળે છે જયારે એ જ દુઃખમાં અન્ય વ્યક્તિ એટલું રડતી નથી કે સુખમાં એટલો પાગલ થઇ નથી જતો. આ બધું માત્રા પર આધારિત છે. બંનેની દૃષ્ટિ અલગ-અલગ છે. કોઈનું પાકીટ ખોવાઈ જાય તો જાણે ઠીક છે અને અન્ય કોઈ માટે તો આખી દુનિયાથી નારાજ થઇ જાય છે, કોઈ સાથે વાત પણ કરતો નથી વગેરે. ભગવાન કહે છે દુઃખ અને સુખની માત્રા ઓછી કરો.
ક્ષમી - કોઈને માફ કરવાનો ગુણ
અંગ્રેજીમાં એક સરસ કહેવત છે,
“ forgive and forget.”
માફ કરી દો અને ભૂલી જાઓ, માફ કરી તેને ભૂલી જાઓ.
સન્તુષ્ટઃ(સ્) સતતં(ય્ઁ) યોગી, યતાત્મા દૃઢનિશ્ચયઃ।
મય્યર્પિતમનોબુદ્ધિઃ(ર્), યો મદ્ભક્તઃ(સ્) સ મે પ્રિયઃ॥૧૨.૧૪॥
સંતુષ્ટ - ભક્તે હંમેશા પોતાના કર્મોને ભગવાનની ઈચ્છા માનીને સંતુષ્ટ રહેવું જોઈએ.
गो-धन, गज-धन, वाजि-धन और रतन-धन खान।
जब आवत सन्तोष-धन, सब धन धूरि समान ॥
અર્જુન, સંતોષ જેવું કોઈ ધન નથી. કોઈપણ પ્રકારનું ધન આવી જશે પણ જો સંતોષ નહીં આવે તો તે ધનનો કોઈ અર્થ નથી. સંતોષ આવી જશે તો બધું જ જે છે તે સારું લાગશે. યક્ષે એક વખત યુધિષ્ઠીર મહારાજને પૂછ્યું કે ગરીબ કોણ છે? સામાન્ય રીતે આપણે સમજીએ છીએ કે જેની પાસે ધન નથી, કપડાં નથી, ચપ્પલ નથી તે ગરીબ છે પણ યુધિષ્ઠીર મહારાજે જવાબ આપ્યો કે અસંતુષ્ટ સૌથી ગરીબ છે. તેમણે એક સુંદર વાત કરી કે જે લોકો ૫૦-૬૦ વર્ષનાં થયા છે તેઓ એ આજથી ૨૫ વર્ષ પહેલા ક્યારેય વિચાર્યું પણ હતું કે આજે જે છે તેટલું તેને મળશે? હા, આપણે તો વિચાર્યું પણ નહોતું!! પણ શું આપણે સંતુષ્ટ થઇ ગયા? આપણને એટલું મળ્યું કે જે આપણે વિચાર્યું પણ નહોતું તો પણ આપણને સંતોષ નથી થયો. એટલે જીવનમાં સંતુષ્ટિ ખૂબ જ આવશ્યક છે. હે અર્જુન! સતત જે કોઈનો પોતાના મન અને બુદ્ધિ પર કાબુ હોય તે સંતુષ્ટ રહે છે. આપણે ઘણીવાર જાણતા હોઈએ તો પણ અમુક કામો એવા કરીએ છીએ. દા.ત. ડાયાબીટીશ હોવા છતાં આપણે મીઠાઈ ખાવાનો લોભ છોડી શકતા નથી. બુદ્ધિ ના પાડે તો પણ એક ગોળી વધુ લઇ લઈશ, થોડું વધુ ચાલી લઈશ તેવી દલીલો સાથે મીઠાઈ આરોગીએ છીએ. શિવજીની તપસ્યા કરવામાં પાર્વતીજી બેઠા છે ત્યારે શપ્તઋષિ આવે છે અને પાર્વતીને સમજાવે છે કે તારાથી નહી થાય પણ પાર્વતીજીનો તો દ્રઢ સંકલ્પ હતો કે તેમને શિવજી જ જોઈએ, એટલે માન્યા નહીં. જીવનમાં નાના સંકલ્પ લઇ તેને નિભાવવાની કોશિશ કરવી જોઈએ અને પ્રાણ આપીને પણ તેની રક્ષા કરવી જોઈએ. એકદમ મોટો સંકલ્પ લેવાની જરૂર નથી. દા.ત. આજ સુધી હું એક પણ માળા કરતો નથી અને સંકલ્પ કરું કે કાલથી હું ૧૧ માળા કરીશ તો જરૂરથી મુશ્કેલ લાગશે.
મન-બુદ્ધિ ભગવાનનાં ચરણોમાં રાખવાનાં છે. જેણે આ કર્યું તે ભગવાનનો થઈ જાય છે.
અરણ્યકાંડમાં સુતીક્ષ્ણજીનું વર્ણન આવે છે.
नहिं सतसंग जोग जप जागा। नहिं दृढ़ चरन कमल अनुरागा॥
એ કહેતા કે મારાથી જપ, તપ, નિયમ વગેરે નથી થતાં પણ મારું મન અને બુદ્ધિ પ્રભુમાં લીન છે અને હું પ્રભુને સમર્પિત છું.
આવા ભક્તો ભગવાનને અતિ પ્રિય છે.
યસ્માન્નોદ્વિજતે લોકો, લોકાન્નોદ્વિજતે ચ યઃ।
હર્ષામર્ષભયોદ્વેગૈઃ(ર્), મુક્તો યઃ(સ્) સ ચ મે પ્રિયઃ॥૧૨.૧૫॥
ભગવાને ગીતામાં કેટકેટલા સુત્રો આપ્યા છે!!! તેઓ કહે છે, અર્જુન! હું જીવનમાં કોઈને ઉદ્વેગ આપીશ નહીં કે કોઈ દ્વારા ઉદ્વેગની સ્થિતિમાં આવીશ નહીં. ન મારા કારણે કોઈ હેરાન થશે કે ના તો હું કોઈના કારણે હેરાન થઈશ. આપણે સહુ વિચારીએ છીએ કે મારા કારણે કોઈ હેરાન ના થાય પણ હું પણ તેમના કારણે હેરાન નહી થાઉં તેવું આપણા ધ્યાનમાં નથી આવતું. બંને વાતો ખૂબ જ જરૂરી છે. જો તમે તેની દરકાર નહીં કરો તો કોઈ તમને દુઃખી નહી કરી શકે.
હરણ, માછલી અને સજ્જન વ્યકિત બહુ સંતોષી હોય છે. એ ઘાસ, પાણી અને સંતોષથી પોતાનું જીવન વ્યતિત કરે છે. પરંતુ હરણને શિકારી, માછલીને માછીમાર તથા સજ્જનોનો દુષ્ટ લોકો કારણ વગર હેરાન કરે છે. જે હેરાન નથી થતાં તે શ્રેષ્ઠ છે. ભક્ત કોઈને હેરાન નથી કરતો. હરણ, માછલી અને સજ્જનના દાખલાથી સમજી શકાય છે કે એ લોકો કોઈને તકલીફ નથી આપતાં છતાંપણ એમણે કષ્ટ સહન કરવા પડે છે. કષ્ટમાં પણ તેઓ ઉદ્વિગ્ન નથી થતાં.
એક સુંદર ભજન છે,
આપણી સહનશક્તિ વધારવી જોઈએ.
કોઈથી ડરવું ન જોઈએ.
ભક્તે ઉદ્વેગ ન કરવો જોઇએ. ભગવાન કહે છે આવા ભક્તો મને અતિ પ્રિય છે.
અનપેક્ષઃ(શ્) શુચિર્દક્ષ, ઉદાસીનો ગતવ્યથઃ।
સર્વારમ્ભપરિત્યાગી, યો મદ્ભક્તઃ(સ્) સ મે પ્રિયઃ॥૧૨.૧૬॥
પવિત્રતા અને સ્વચ્છતા મળીને બને છે શુચિ, શૌચાહાર. બહાર અને અંદરની શુધ્ધતા. આજકાલ જે વલણ છે કે સેનેટાઇઝરથી હાથ સાફ કરી તેજ હાથોથી જમી લેવાનું! પણ શું વહેતા પાણીમાં સાફ ન થાય ત્યાં સુધી શું સેનેટાઇઝરથી હાથ સાફ થઇ શકે? જીવનમાં જેટલી શુદ્ધતા હોય તેટલું જીવન પરિપૂર્ણ અને દૈવી બને છે.
દક્ષ એટલેકે સાવધાન. આપણે જીવનમાં સાવધાન રહેવું જોઈએ. અહીં તેમણે જુના જમાનાની એક વાર્તા કરી. ત્રણ વેપારીઓ એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા. વચ્ચે તેઓ એક ગામમાં એક ધર્મશાળામાં મળી ગયા જ્યાં તેઓએ રાત્રી રોકાણ કરવાનું હતું. ત્યારે હોટલ કે લોજ જેવું નહોતું. રાત્રે બે વેપારીઓ પોતાનું ટીફીન કાઢી ત્રીજા વેપારીને પણ જમવા માટે બોલાવ્યો. ત્રીજો વેપારી કહે છે મને ભૂખ નથી લાગી. હું એમજ સુઈ જઈશ. પેલા બે વેપારીઓએ વિચાર્યું કે સવારથી ઘેરથી નીકળ્યા છીએ, રસ્તામાં કશું ખાધું નથી તો પણ ભૂખ કેમ ના લાગી હોય! તેઓએ આગ્રહ કરતાં ત્રીજા વેપારીએ જણાવ્યું કે તે ટીફીન લેવાનું ભૂલી ગયો છે. ત્યારે બંને વેપારી કહે છે અરે! અમે લાવ્યા છીએ તે વહેંચીને જમી લઈશું. હવે એક વેપારી ત્રણ રોટલી લાવેલો અને બીજો વેપારી પાંચ રોટલી લાવેલો. તેઓએ બધીજ રોટલીના ત્રણ ત્રણ ટૂકડા કરી લીધા અને આ રીતે થયેલા ૨૪ ટૂકડાઓમાંથી ત્રણેએ આઠ-આઠ ટૂકડા રોટલી ખાઈ લીધી અને સૂઈ ગયા. સવારે જે વેપારી ટીફીન લાવેલ નહોતો તે વહેલો ઉઠી પોતાની મંઝીલ તરફ આગળ વધી જાય છે પણ જતાં પહેલા તે આઠ સોનાના સિક્કા ત્યાં મૂકતો જાય છે. જયારે પેલા બે વેપારીઓ ઉઠ્યા તો જોયું તો પેલો ત્રીજો વેપારી જોવા ના મળ્યો તેથી પહેલા તો એમને શંકા ગઈ અને પોતાનો માલ સામાન તપાસી લીધો. બધુંજ બરાબર હતું ઉલટું ત્યાં એક કાગળમાં સોનાના આઠ સિક્કા તેમણે જોયા અને તેઓ વિચારવા લાગ્યા કે રોટલીના આઠ ટૂકડા માટે આઠ સોના મહોર? પણ હવે શું થાય. તેનું સરનામું તો હતું નહીં અને રાખી જ ગયો છે તો લેવા તો પડશે. તો એક વેપારી કહે આપણે બંને ચાર-ચાર સિક્કા લઇ લઈએ. ત્યારે બીજો વેપારી કહે છે જો ભાઈ, મારે તો એક પણ સિક્કો જોઈતો નથી કારણકે મને તેવી કોઈ અપેક્ષા નહોતી પણ જો લેવાના જ હોય તો મારી પાંચ રોટલી હતી અને તારી ત્રણ તો આપણે પાંચ અને ત્રણ એમ વહેંચવા જોઈએ. બીજો વેપારી કહે છે અરે એવું તે થોડું હોય? બંનેને કોઈ લોભ નહોતો પણ તાર્કિક રીતે કોણે કેટલા લેવાના તે માટે થોડી બોલાચાલી થઇ ગઈ. તેઓ ધર્મશાળાના સંચાલક પાસે ગયા પણ તેણે કહ્યું કે ભાઈ આમાં મને તો કશો ખ્યાલ આવતો નથી. આપનારનો ઈરાદો કોને કેટલા આપવાનો હતો તે કંઈ કહી શકાય નહીં તો આપણે આ ગામના સરપંચ પાસે જઈએ કે જેની પાસે આસપાસના ગામોના લોકો પોતાની શંકાઓ અને ઝગડાઓનું સમાધાન કરાવવા માટે આવે છે. બધા જ સરપંચ પાસે પહોંચ્યા. સરપંચે પહેલા તો ના કહી દીધું કારણકે તમે તો અમારા ગામના છો નહીં અને મારો નિર્ણય માનો નહી તો મને તે માન્ય નથી. જયારે બંને વેપારીઓ સરપંચનો નિર્ણય માનવા માટે એકદમ તૈયાર થઇ ગયા અને બધાજ સિક્કાઓ તેમણે ધર્મશાળા ના સંચાલક ને આપી દીધા ત્યારે સરપંચ કહે છે આ મોટી ઉંમરનાં વેપારીને સાત અને પેલા બીજા વેપારીને એક સિક્કો આપી દો. બધાજ હવે તો હેરાન થઇ ગયા અમે તો ચાર-ચાર કે પાંચ-ત્રણની સમસ્યા લાવેલા આ સાત અને એકનું ગણિત તો સમજવામાં જ ના આવ્યું! બંનેએ નિર્ણયને માન્ય તો રાખ્યો પણ આ નિર્ણય ક્યા આધારે લીધો તે જણાવવા વિનંતી કરી. ત્યારે સરપંચે તેમની રોટલીનો હિસાબ સમજાવી દીધો કે ત્રણ રોટલીના ત્રણ ટૂકડા લેખે નવ ટૂકડા થાય અને તેમાંથી તે પોતે આઠ ટૂકડા ખાઈ ગયો. બીજા વેપારીની પાંચ રોટલીના ત્રણ લેખે પંદર ટૂકડા થાય અને તેમાંથી તેને આઠ ટૂકડા ખાઈ સાત ટૂકડા પેલા ત્રીજા વેપારીને ખાવા આપ્યા. આમ આ બે વેપારીઓએ એક અને સાત ટૂકડાઓનું વિતરણ કર્યું ગણાય. આમ જયારે આ વાત વિસ્તારથી જ્યાં સુધી સમજાવવામાં નહોતી આવી ત્યાં સુધી બધાનેજ એમ થતું હતું આવું કેમ થાય! આમજ આપણે અહીં બેઠાં-બેઠાં એવો નિર્ણય લઇ લઈએ છીએ કે ઉપરવાળાએ આ ખોટું જ કર્યું છે! અરે, શ્રી નરેન્દ્ર મોદીજીએ આવું તો કરવું જ ન જોઈએ વગેરે. આમ જીવનમાં જેટલી ભક્તિ વધુ તેટલી દક્ષતા સાવધાની વધારે. અર્જુન જીવનમાં જે વધુ ને વધુ ભક્તિ કરે છે તે ઉદાસીન રહે છે. અહીં ઉદાસીનનો અર્થ ઉદાસ રહેવું એવો નથી. ઉદાસીન એટલે ઉચ્ચ આસન પર બિરાજમાન થવું તેવો થાય છે. કોર્ટમાં જજ ઉપર બેસે છે એટલા માટે નહી કે તે શ્રેષ્ઠ છે પણ તે બંને પક્ષોથી ઉપર છે, તટસ્થ છે તેથી સાક્ષી ભાવથી નિર્ણય આપી શકે. આપણને ઘણી વાર પ્રશ્ન થાય છે કે હું આટલી ભક્તિ કરું, બધાનું ભલું કરું, સારું કરું, ગીતા વાંચું પણ મને શું મળ્યું? જે ગરબડ કરે છે તેતો માલામાલ છે. ભગવાન કહે છે, જે ભક્ત હોય તે વિચલિત થતો નથી. ગાંધારીએ ભગવાનને શ્રાપ આપ્યો તો પણ તેઓ હસતા ચહેરે તેને સ્વીકારે છે. ભગવાન રામને વનવાસના ખબર મળ્યા તો પણ તેઓ હસતા જ રહ્યા જેવી રીતે રાજયાભિષેકની સૂચના વખતે હસતા રહેલા. જીવનમાં ક્યારેય પણ વિપરીત પરિસ્થિતિ આવે તો પણ તટસ્થ જ રહેવું. થોડી ગરબડ થઇ તો વિચલિત થઇ જાય તે ભક્ત નથી.
યો ન હૃષ્યતિ ન દ્વેષ્ટિ, ન શોચતિ ન કાઙ્ક્ષતિ।
શુભાશુભપરિત્યાગી, ભક્તિમાન્યઃ(સ્) સ મે પ્રિયઃ॥૧૨.૧૭॥
સમઃ(શ્) શત્રૌ ચ મિત્રે ચ, તથા માનાપમાનયોઃ।
શીતોષ્ણસુખદુઃખેષુ, સમઃ(સ્) સઙ્ગવિવર્જિતઃ॥૧૨.૧૮॥
શ્લોક ૧૭ અને ૧૮
જે મને મળી ગયું તેનાથી હું સંતુષ્ટ છું. બીજી કોઈ વાતની આકાંક્ષા નથી રાખતો. જયારે એક પગમાં કાંટો વાગે છે તો બીજો કાંટો શોધી પેલો કાંટો કાઢી બંને કાંટા ફેંકી દઈએ છીએ. તે રીતે શુભ કર્મોથી અશુભ કર્મો દૂર કરતા શીખવાનું છે. કોઈને થશે શત્રુ અને મિત્રમાં સમાન ભાવ કેવી રીતે રાખી શકાય? આ વાસ્તવિક વાત નથી. અહીં સમાન ભાવનો અર્થ અલગ છે. કોઈ મારી સાથે શત્રુતા રાખે છે, હું તો સારી રીતે રહું છું હું તો સારી વ્યક્તિ છું. જો સામેવાળાને તમારી સાથે સંબંધ નથી રાખવો તો તમે તેને દબાણ કરી શકો નહીં. આપણે તેને આપણી સમસ્યા બનાવી દઈએ છીએ. હું સારું કરું તે મારા હાથમાં છે, બીજા સારું કરે તે આપણા હાથમાં નથી. ભગવાને આપણને રીમોટ કંટ્રોલ આપ્યું છે તે ફક્ત આપણા માટે છે અને નહીં કે સામાવાળા માટે!! જો એસીનું રીમોટ તમે ટીવી ચાલુ કરવા વાપરશો તો તે ચાલશે? આપણે પોતાના પર કાબુ રાખી શકીએ બીજા પર નહીં.
નાનકદેવ એક ગામમાં ભિક્ષા માંગવા જાય છે તો લોકો તેમનું અપમાન કરી કાઢી મૂકે છે. નાનકદેવ જતાં-જતાં ડાબા હાથની મુઠ્ઠીમાં માટી તેઓ તરફ ફેંકે છે. શિષ્યોએ વિચાર્યું કે ગુરુજી નારાજ થયા એટલે આમ કર્યું. તેઓ આગળ ગયા. બીજા ગામના લોકો બહુ ધાર્મિક અને ભલા લોકો હતા. તેઓએ આદર-સત્કાર કરી છપ્પન ભોગનું ભોજન કરાવ્યું અહીંથી પણ જતી વખતે નાનકજીએ ફરી હાથની મુઠ્ઠીમાં માટી તેઓ તરફ ફેંકી. આ જોઈ શિષ્યોએ પૂછ્યું કે આ શું? આ લોકો તો ભલા છે ! ત્યારે નાનકજી કહે છે જે અપમાન કરે કે મને માન આપે તે બધા જ મારા માટે સમાન છે. મારા મનમાં કોઈ માટે કોઈ જ વિચાર નથી. જે માન અને અપમાનમાં સમાન રહે છે તે જ સાચો મનુષ્ય છે. જે સુખ-દુઃખમાં સમભાવ રહે છે પોતાને સંભાળી લે છે તે જ સાચો મનુષ્ય છે
તુલ્યનિન્દાસ્તુતિર્મૌની, સન્તુષ્ટો યેન કેનચિત્।
અનિકેતઃ(સ્) સ્થિરમતિઃ(ર્), ભક્તિમાન્મે પ્રિયો નરઃ॥૧૨.૧૯॥
મૌન ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગુણ છે. આપણે તો થોડી વાર ચુપ રહેવું પડે તો વિચલિત થઇ જઈએ છીએ. આપણે સૌએ દિવસમાં થોડી વાર તો મૌન રહેવું જ જોઈએ. ભક્તનો આ મહત્ત્વપૂર્ણ ગુણ છે. જે મળે, જેવું મળે તેમાં સંતુષ્ટ રહેવું. જયારે આપણે તો એક વખત દીકરીના લગ્ન થઇ જાય, એક વખત કારખાનું ચાલી જાય, એકવાર હું પાસ થઇ જાઉં, એક વાર મને નોકરી મળી જાય પછી હું સંતુષ્ટ થઇ જાઉં એમ માંગીએ છીએ.
અનિકેત એટલે કે દરેક બાબતમાં પોતાનો કબજો કરીને બેસે છે. કોઈ પોતાના ઘરમાં સોફાનું સ્થાન અરે સત્સંગમાં પણ પોતાનું સ્થાન નક્કી કરી રાખે છે. આ સ્થાનનો મોહ છે. હે અર્જુન! મને સંતુષ્ટ વ્યક્તિ બહુ પ્રિય છે. હનુમાનજી અને સીતાજીના એક વાર્તાલાપની વાત છે. હનુમાનજીએ એક વખત સીતામાતાને પૂછ્યું કેં આપ સિંદુર કેમ લગાવો છો? સીતામાતા એ શરૂઆતમાં તો એમ કહ્યું કે સુહાગન સ્ત્રી એ સિંદુર લગાવવું જોઈએ પણ હનુમાનજી એ બહુ આગ્રહ કરતા તેમણે એમ કહ્યું કે તારા ભગવાનને પસંદ છે એટલે હું સિંદુર લગાવું છું. અરે!! ભગવાનને પસંદ છે? આટલું બોલીને તરત જ હનુમાનજી કૂદકો મારી ત્યાંથી સીધા કોઠારરૂમમાં ગયા અને સિંદુરની આખી ગુણી પોતાના ઉપર ઠાલવી દીધી અને ખુશ થતાં-થતાં સીતામાતા પાસે આવી કહેવા લાગ્યા, જુઓ હવે તો હું પણ ભગવાનને પસંદ આવીશ ને? અલબત્ત સીતામાતા પાસે આવતાં-આવતાં તેમના શરીર પરથી ઘણું સિંદુર નીકળી ગયેલું. ત્યારે સીતામાતા કહે છે, અરે હનુમાન! સિંદુરને ઘીમાં પલાળીને લગાવાય! ફરી આટલું સાંભળતા જ તેઓ કૂદકો મારી કોઠાર રૂમમાં ગયા, પહેલાં ઘીનો ડબ્બો પોતાના પર ઠાલવ્યો અને પછી તેના પર સિંદુર નાખીને પાછા માતા પાસે આવ્યા. કોઈ વિચાર નહીં! કોઈ બુદ્ધિ નહીં! કોઈ દલીલ નહીં! તેમને તો ભગવાનને સારું લગાવવું હતું. આમ જે કર્મોથી ભગવાન ખુશ થાય છે તે જ કર્મો હું કરીશ તે સાચો ભક્ત.
યે તુ ધર્મ્યામૃતમિદં(ય્ઁ), યથોક્તં(મ્) પર્યુપાસતે।
શ્રદ્દધાના મત્પરમા, ભક્તાસ્તેऽતીવ મે પ્રિયાઃ॥૧૨.૨૦॥
અર્જુન જે પુરુષને મારા પર શ્રદ્ધા છે, વિશ્વાસ છે તે કયારેય જીવનમાં ગરબડ કરતો નથી અને તે મને અત્યંત પ્રિય છે. આપણી શ્રદ્ધા ડગી જાય છે પણ તેવું ન કરવું જોઈએ. જેમ આપણને ખબર નથી તેને શ્રદ્ધા સાથે સ્વીકાર કરવો જોઈએ. જેમ કે ૪x૪=૧૬. તે તો કોઈ ગણિતશાસ્ત્રીએ કહી દીધું છે. હે અર્જુન! જે ભગવાનની પ્રસન્નતા માટે કાર્યો કરે છે જેમ ઉપરનાં ઉદાહરણમાં હનુમાનજી કરે છે. શરૂઆતમાં આપણે થોડી મહેનત કરવી પડશે. હે અર્જુન! જે શ્રદ્ધા પૂર્વક, શ્રદ્ધાન્વિત થઇ મને સમર્પિત થઈ જાય છે તે મને અતિ પ્રિય છે. સુંદર ભક્તિવર્ધક અધ્યાય 12 ના વિવેચનની સમાપ્તિ થઈ. પછી હરિનામ સંકીર્તન કરીને પ્રશ્નોત્તરી શરુ થઈ.
પ્રશ્નોત્તરી
પ્રશ્ન. ૧. રાજકુમાર ભૈયા
સંતુષ્ટ શબ્દ બે વાર આવ્યો છે
संतुष्टः सततं योगी। અને संतुष्टः येन केनचित् । આ બંને વચ્ચે કંઈ અંતર છે?
જવાબ :
આવું ઘણા લક્ષણોની બાબતમાં છે, છતાં થોડો થોડો ફરક છે, પહેલાં કયા લક્ષણોની સાથે જોડાયેલા છે, પછી કયા લક્ષણો સાથે જોડાયેલા છે એ અનુસાર એની વ્યુત્પત્તિમાં થોડો થોડો ફરક છે, જોકે ઘણો મોટો ફરક નથી. પહેલા સંતુષ્ટ કહ્યું તે જુદા ગુણોને કારણે કહ્યું અને પછી જે સંતુષ્ટ કહ્યું તે જુદા ગુણોને કારણે કહ્યું અને તેમાં येन केनचित् જોડી દીધું.
પ્રશ્ન. ૨. ઊર્મિલાદીદી
મનુષ્ય આત્મતત્ત્વ કઈ રીતે બને છે અને આત્મતત્ત્વનું જ્ઞાન હોવું શા માટે જરૂરી છે?
જવાબ :
જુઓ, હું કોણ છું એ જાણવું તે અધ્યાત્મ કહેવાય છે. અધિ + આત્મા, પોતાને જાણવાનો પ્રયાસ કરવો તે અધ્યાત્મ. ‘હું કોણ છું?‘ તે જાણવું. હવે આપણે સાંભળીએ છીએ કે હું એટલે શરીર નથી કારણ આપણું શરીર તો જેમ-જેમ ઉંમર વધતી જાય તેમ તેમ બદલાતું જાય છે. નિરંતર બદલાયા જ કરે છે પણ એની અંદર ‘ હું ‘ છું તે તો બદલાતો નથી તો તે કોણ છે?
જેમ રસગુલ્લાનું નામ સાંભળવું અને રસગુલ્લા ખાવા જુદી-જુદી બાબત છે, જ્યાં સુધી રસગુલ્લા ખાધા નથી ત્યાં સુધી તો તેનું ગમે તેટલું વર્ણન સાંભળીએ કે એ સફેદ હોય છે, મીઠા હોય છે, પોચાં હોય છે, રસદાર હોય છે, વગેરે તમે ગમે તેટલું સાંભળો કે સમજાવો તો પણ જ્યાં સુધી તેને ચાખીયે નહીં, મોમાં ના મૂકીએ ત્યાં સુધી તે બરાબર સમજાતું નથી. તે જ રીતે આત્મતત્ત્વ વિશે આપણે જેટલું સાંભળ્યું છે, વાંચ્યું છે તે પણ એ જ રીતે અધૂરું છે જેવી રીતે રસગુલ્લાને ચાખ્યા વગર એના વર્ણન માત્રથી એને જાણવું.
*जान न तुमही, तुमही होई जाई।*
જેવું આપણે એ તત્ત્વને જાણીએ તો આપણે એ જ બની જઈએ છીએ કારણ કે તે અને આપણે જુદા નથી. એ શું છે એને જાણવાની યાત્રા, એના બોધની યાત્રા, એ આત્મતત્ત્વને જાણવાની યાત્રા છે અને એમાં પ્રાપ્ત કંઈ નથી કરવાનું. અંદરથી બધુ પ્રાપ્ત જ છે. જેમ અરીસા પર ધૂળ હોય તો કંઈ દેખાતું નથી, એ ધૂળ હટાવ્યા પછી જ દેખાય છે, તેવી જ રીતે અંતઃકરણમાં જ્યાં સુધી જુઠ્ઠાણું, વાસનાઓ, કપટ અહંકાર વગેરેનો મેલ છે ત્યાં સુધી પરમાત્માના દર્શન નથી થતાં, આપણાં જ દર્શન થયા કરે છે. પણ જેવી એ ધૂળ અને મેલ અમુક સાધનોથી દૂર થાય છે, જેમ કે આપણે ગીતાનો અભ્યાસ કરીએ, પૂજા કરીએ, પાઠ કરીએ, દાન કરીએ કે કોઈ પણ સાધના કરીએ તો એ સાધનાથી ધીમે-ધીમે મન નિર્મળ બની જાય છે અને જેટલું-જેટલું નિર્મળ બને છે તેટલા પરમાત્માના દર્શન અધિક થાય છે.
બીજો પ્રશ્ન :
તેઓ બ્રહ્મ મૂહુર્તમાં સાડા ત્રણ વાગ્યે ઊઠીને ધ્યાનમાં બેસે છે, તો બે મિનિટથી વધુ ધ્યાનમાં જોડાઈ નથી શકાતું. એમ કેમ?
જવાબ :
એ સાચું છે કે બ્રહ્મમુરત ધ્યાન માટે સૌથી શ્રેષ્ઠ છે, પણ આપણે ખાવા- પીવાના અને ઊંઘના આઠ કલાક બાદ કરીએ, તો બાકીના 16 કલાક જાગૃતાવસ્થામાં હોઈએ છીએ. હવે જો 15 કલાક 40 મિનિટ સંસારમાં વ્યસ્ત રહીએ, સંસારનું ચિંતન કર્યા કરીએ તો જ્યારે 20 મિનિટ ખાલી બેસીએ તો એનું જ ચિંતન થઈ જાય છે. આ કારણે સંપૂર્ણ દિવસ 15 કલાક અને 40 મિનિટનો સમય એવી રીતે વીતાવવો જોઈએ કે 20 મિનિટના ધ્યાનમાં એનો જ પ્રભાવ રહેશે. જો આપણે આખો દિવસ પર ગીતામાં, કથામાં, ભગવાનમાં વગેરેમાં આપણું ધ્યાન લગાવીએ તો જ 20 મિનિટમાં એનું ચિંતન આવે છે, એનું ધ્યાન આવે છે.
પ્રશ્ન ૩. દેવેન્દ્રભૈયા
ભગવદ્ગીતામાં 18 અધ્યાય છે , કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનવિજ્ઞાનયોગ, વગેરે. અલગ-અલગ અધ્યાય બનાવવાનો ઉદ્દેશ્ય શું છે?
જવાબ :
ભગવાને જ્યારે અર્જુનની સાથે સંવાદ સાધ્યો, ત્યારે તેમાં કોઈ અધ્યાય ન હતા. જ્યારે વેદવ્યાસજીએ મહાભારત લખ્યું ત્યારે એમણે વિચાર કર્યો કે આ બધા 700 શ્લોક એક સાથે આવશે તો લોકોને સમજાશે નહીં. આથી એક વિષય જ્યાંથી શરૂ થયો અને જ્યાં વિષય પૂરો થયો ત્યાં ભગવાને એક પુષ્પિકા બનાવીને એ અધ્યાયને નામ આપી દીધું. આપણે સમજી શકીએ એ માટે અલગ-અલગ કર્યું અને પુષ્પિકામાં નામ આપીને, એ બધા અધ્યાય અલગ-અલગ કરી દીધા અને બધા અધ્યાયને ‘યોગ‘ કહ્યું. યોગનો અર્થ ભગવાન સાથે જોડાવું એ છે. આમ અર્જુન દુઃખમાં છે, તો પણ તે ભગવાન સાથે જોડાયેલો છે. તો તમે ક્યારેય દુઃખી થાવ તો ભગવાન સાથે જોડાઈ જવાવાળા દુઃખી બનો. અર્જુન દુઃખમાં અને વિષાદમાં પણ ભગવાન સાથે જોડાઈ ગયો છે.
બીજો પ્રશ્ન
મારામાં ભક્તિ, જ્ઞાન-વિજ્ઞાન વગેરેનું જ્ઞાન ઓછું છે. તો હું થોડાક જ અધ્યાય જાણું તો તે પર્યાપ્ત છે ભગવાન સાથે જોડાવા માટે?
જવાબ :
એક શ્લોક પણ પર્યાપ્ત છે તો અધ્યાય તો ઘણી દૂરની વાત છે. પણ આપણી પાસે શું એટલો પણ સમય ઓછો છે કે એક જ અધ્યાય કરીએ? જ્યાં સુધી સંપૂર્ણ અધ્યાયો જોઈએ નહીં ત્યાં સુધી કઈ રીતે ખબર પડશે કે મને શું સારું લાગશે? આ કારણ સંપૂર્ણ અધ્યાય જોવા જોઈએ અને એમાંથી કયો વિષય આપણને સારો લાગે છે, તે વિષયોને આપણા જીવનમાં લાવવા જોઈએ. બધું જ જાણવાની આવશ્યકતા નથી. દવાની દુકાનમાંની બધી દવાઓ મારા માટે કામની નથી હોતી. મારો રોગ કયો છે અને એ રોગ માટેની એન્ટિબાયોટિક (સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ રોકવા માટેની દવા) કઈ છે એ જાણીને લેવાથી લાભ થાય છે, એ જ રીતે ગીતાને પૂરી શીખવી, સંપૂર્ણ સમજવી અને મને એમાંથી કઈ બાબતો ઉપયોગી છે તે જાણવું. આજે એક વાત ઉપયોગી છે, તો કાલે બીજી વાત ઉપયોગી બનશે. તો એ રીતે અલગ-અલગ પ્રસંગે ઘણી બધી વાતો ઉપયોગી બનશે. આ કારણે સંપૂર્ણ ગીતા શીખો અને તમને યોગ્ય લાગે ત્યારે અને સારું લાગે ત્યારે તે શીખી લો.
પ્રશ્ન ૪. વિનયભૈયા
કેટલાક લોકો કહે છે કે હું સવાર સાંજ ભક્તિમાં લીન રહું છું, ભગવાનનું નામ જપતો રહું છું , તો આ બધું વાંચવાંની કે સાંભળવાની શી જરૂર છે? મારે એ પૂછવું છે કે એને જ્ઞાન તરફ કઈ રીતે વાળી લેવાય? જ્ઞાન જરૂરી છે?
જવાબ :
જો મારું મન ભગવાન સાથે જોડાય તો કંઈ જ આવશ્યક નથી. બધી વાતોની આવશ્યકતા એટલે છે કે મન ક્યારેય સ્થિર નથી રહી શકતું. ભગવાને કહ્યું ને કે स्थिरमतिः તો સ્થિરમતિ માટે અભ્યાસ કરવાનો છે. જ્યારે મતિ સ્થિર થાય ત્યારે અભ્યાસની આવશ્યકતા નથી રહેતી, તે પ્રાપ્ત જ થઈ જાય છે પણ આ મન ભટકતું રહે છે, ભાગ્યા કરે છે, ભગવાનમાં પણ જોડાય છે અને સંસારમાં પણ જોડાય છે. આપણને ભગવાન પણ જોઈએ અને સંસાર પણ જોઈએ. તો આ જે અસ્થિરતા છે તે તો તેની સ્થિરતા માટે જપ કરવા છે, તપ કરવું છે, વગેરે બધા સાધન કરવાના છે. એકવાર એ સ્થિતિ આવી ગઈ પછી જપ કરવાની શી જરૂર છે? પણ ભગવાનની કથા સાંભળવામાં રસ આવી જાય, આનંદ મળી જાય તો સાંભળજો. જેને પોતાના ભજનમાં જ સંતોષ પ્રાપ્ત થઈ જાય એણે કંઈ પણ સાંભળવાની આવશ્યકતા નથી.
પ્રશ્ન. ૫ રાજેન્દ્રભૈયા
પહેલો પ્રશ્ન- ગીતા શું છે ?
બીજો પ્રશ્ન- ગીતાનું અધ્યયન કરતી વખતે કઈ-કઈ અપેક્ષાઓ હોય છે ?
ત્રીજો પ્રશ્ન- બજારમાં ઘણા પ્રકારની ગીતા મળે છે, વૈષ્ણવવાળી ગીતા, પ્રભુપાદવાળી ગીતા એમાં કઈ ગીતા મૌલિક છે ?
જવાબ :
બધી જ ગીતા મૌલિક છે. આ બધી ગીતામાં જે તે મહાપુરુષોએ પોતપોતાની ટીકા લખી છે. ગીતા પ્રેસને સૌથી ઓથેન્ટિક- પ્રમાણિક માનવામાં આવે છે. તો ગીતા પ્રેસની ગીતા તમે લઈ શકો છો. ગીતાનો સીધો અર્થ મનુષ્યને જીવનની ગડમથલમાંથી, આંટીઘૂટીમાંથી છોડાવીને ભગવાનના માર્ગ તરફ લઈ જવું એ છે અને ગીતાના બધા જ વર્ઝન (સંસ્કરણ ) બરાબર છે. એવું નથી કે આ બરાબર છે કે આ બરાબર નથી. શાસ્ત્રીય રીતે જે એને કરે છે તે બરાબર છે પણ મહાપુરુષોની પોતપોતાની એક અલગ દ્રષ્ટિ હોય છે એ હિસાબે તે તેની ટીકા કરે છે.
પ્રશ્ન ૬ અંજુદીદી
16 શ્લોકમાં અંદર-બહારની શુદ્ધિ માટે ચતુર શબ્દનો ઉપયોગ કર્યો છે, તો ચતુર શું છે?
જવાબ :
ચતુરનો અર્થ સાવધાન એવો મેં કર્યો છે. કોઈ કામ કરતી વખતે સાવધાન રહેવાનું છે કે મારા કોઈ કામથી ભગવાનને સારું ન લાગે એવું તો નથી ને? બહારની શુદ્ધતા એટલે શરીરની શુદ્ધતા અને અંદરની શુદ્ધતા એટલે મનની શુદ્ધતા, તમારા આચાર વિચારોની શુદ્ધતા. રાંધતી વખતે, ખાતી વખતે, પૂજા કરતી વખતે હું મારી જાતને કેટલી સ્વચ્છ રાખું છું એ બહારની શુદ્ધતા થઈ. મારા મનને કેટલું શુદ્ધ રાખું છું, મારા વિચારોને કેટલા શુદ્ધ રાખું છું એ અંદરની શુદ્ધતા થઈ.
આ જ્ઞાનવર્ધક પ્રશ્નોત્તરી સમાપ્ત થઈ. અંતિમ પ્રાર્થના અને હનુમાન ચાલીસાના પઠન પછી ભક્તિરસમાં તરબોળ કરી દેનાર વિવેચનસત્રની સમાપ્તિ થઈ.
॥ ૐ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. ॥
ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં(ય્ઁ) યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે ભક્તિયોગો નામ દ્વાદશોઽધ્યાયઃ॥૧૨॥