विवेचन सारांश
શ્રદ્ધા અને ભક્તિ

ID: 4892
गुजराती - ગુજરાતી
શનિવાર, 25 મે 2024
પ્રકરણ 7: જ્ઞાન-વિજ્ઞાન યોગ
2/2 (શ્લોક 15-30)
વિવેચન: ગીતા વિશારદ ડો. શ્રી સંજય માલપાણી જી


ગીતા પરિવારની પરમ્પરા અનુસાર શરૂઆત કરતાં પહેલા ઈશ્વર પ્રાર્થના, દીપ પ્રજ્વલન કરવામાં આવ્યા. ગુરુવંદના પછી વિવેચન સત્રની શરૂઆત થઈ. સર્વે  સાધકોને નમસ્કાર.

 સાતમા અધ્યાયનું ચિંતન કરતાં-કરતાં આપણે 14મા શ્લોક સુધી પહોંચેલા. આજે આ સત્રમાં આખો અધ્યાય પૂરો કરવાનો છે.

 



7.15

ન માં(ન્) દુષ્કૃતિનો મૂઢાઃ(ફ્), પ્રપદ્યન્તે નરાધમાઃ।
માયયાપહૃતજ્ઞાના, આસુરં(મ્) ભાવમાશ્રિતાઃ॥૭.૧૫॥

માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે, એવા આસુરી સ્વભાવને ધારણ કરનાર, મનુષ્યો માં અત્યંત અધમ, દૂષિત કર્મ (પાપ) કરનાર મૂઢજનો મને નથી ભજતા.

7.15 writeup

7.16

ચતુર્વિધા ભજન્તે માં(ઞ્), જનાઃ(સ્) સુકૃતિનોઽર્જુન।
આર્તો જિજ્ઞાસુરર્થાર્થી, જ્ઞાની ચ ભરતર્ષભ॥૭.૧૬॥

હે ભરતશ્રેષ્ઠ અર્જુન! ઉત્તમ કાર્ય કરનાર અર્થાર્થી, આર્ત, જિજ્ઞાસુ અને જ્ઞાની એવા ચાર પ્રકારના ભક્તજનો મને ભજે છે અર્થાત્ મારે શરણે આવે છે.

ભગવાન અર્જુનને કહે છે, હે અર્જુન! હું જ્ઞાન અને વિજ્ઞાન બંને બાબતો તને એક સાથે શીખવાડવા ઈચ્છું છું. તો પહેલાં તને બતાવી દઉં કે એ કયા લોકો છે કે મને ચાહે છે, મારી પાસે આવવા ઈચ્છે છે અને મને પ્રાપ્ત થઈ જાય છે. અને કયા એવા લોકો છે જે ક્યારેય મને પ્રાપ્ત કરી શકતાં નથી. આ બંને શ્લોકો એટલા માટે એક સાથે કહ્યા કે અહીં છે અને અહીં નથી. તો જ્યાં સુધી શું નથી તેનો ખ્યાલ નથી આવતો ત્યાં સુધી અહીં શું છે તેનો જ ખ્યાલ આવતો નથી. આપણી પરંપરા ભારતીય દર્શનશાસ્ત્રમાં આ નથી, તે નથી, તેમ કરતાં કરતાં પહોંચવાનો પ્રયાસ કરીએ છીએ. આ બંને શ્લોકોમાં ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે માયા દ્વારા પ્રભાવિત જ્ઞાનવાળા, અસુરભાવનો આશ્રય લેવાવાળા, અને મનુષ્યમાં મહાન નીચ અને પાપકર્મો કરવાવાળા મનુષ્ય મારા શરણમાં નથી હોતા અને કોણ હોય છે તે પણ બતાવે છે. હે ભરતવાસીઓમાં શ્રેષ્ઠ અર્જુન! પવિત્ર કર્મ કરવાવાળા, એટલેકે આર્ત , જિજ્ઞાસુ , પ્રેમી અને જ્ઞાની. આ ચાર પ્રકારના લોકો મારું ભજન કરે છે, એટલે કે મારા શરણમાં હોય છે. અહીં ભગવાને બંને વાત બતાવી દીધી. કોણ હોય છે, કોણ નથી હોતા. અહીં ભગવાને એક અદ્ભુત શબ્દનો પ્રયોગ કર્યો છે. દુષ્કૃતિનો મૂઢા ના.. મૂઢ શબ્દને સમજવો બહુ જરૂરી છે. શું ભગવાને કોઈને મૂર્ખ કહી દીધા? અહીં મૂઢ શબ્દનો અર્થ અજ્ઞાની છે. હકીકતમાં મૂઢ શબ્દનો પ્રયોગ અજ્ઞાનીઓ માટે જ કરવામાં આવે છે. આમ ભગવાને કહ્યું કે બે પ્રકારના લોકો હોય છે. એક અજ્ઞાની અને એક જ્ઞાની. ભગવાન અજ્ઞાની કોને કહે છે? માયા દ્વારા પ્રભાવિત જ્ઞાનવાળા, જેમના ઉપર માયાનો એવો પડદો ખેંચાયેલો છે જેના કારણે તેને બીજું કંઈ દેખાતું નથી. જેમ કોઈ વ્યક્તિ પોતાની આંખો પર પટ્ટી બાંધી લે અને કહે કે મને કશું દેખાતું નથી. તો ભાઈ તને દેખાતું નથી એના માટે તું સ્વયંમ દોષી છે. તારા આંખ પરની પટ્ટી કાઢી નાખ તને બધું દેખાવા લાગશે. કોઈ મહિલા ઘૂંઘટ આગળ લાવીને કહે કે મને તો કંઈ જોવા મળ્યું નથી. ભગવાન તો સામે ઊભા છે પણ આણે પોતાના મુખ પર ઘૂંઘટ ઓઢી રાખ્યો છે તો કેવી રીતે ભગવાન દેખાશે? ભગવાનને જોવા છે તો ઘૂંઘટ તો ઉપર ઉઠાવવો પડશે. અહીં ઘૂંઘટ શું છે? તે માયા છે. તે મોહ છે. આ માયા અને મોહના ઘૂંઘટને જ્યાં સુધી આપણી આગળ રાખીશું , એનાથી ઢંકાયેલા રહીશું , ત્યાં સુધી ભગવાન કેવી રીતે દેખાશે? ભગવાન તો સામે ઊભા છે. ભગવાને આ જ અધ્યાયમાં કહ્યું ને કે  ચંદ્ર અને સૂર્યમાં હું તેજ છું. શુંસૂર્યના કિરણો ક્યારેય એમ કહે છે કે હું આના દરવાજે નહીં જાઉં? હું તો જેના દરવાજા ખુલ્લા છે ત્યાં જ જઈશ? અરે પ્રભા તો બધાને પોતાનો પ્રભાવ બતાવે છે. હવે કોઈ પોતાના દરવાજા બંધ કરી લે અને એમ કહે કે મને તો પ્રકાશ મળતો જ નથી. અરે! પ્રકાશ તો તારા આંગણે આવીને  રોકાયેલો છે. તું તારા દરવાજા ખોલ તો પ્રકાશ અંદર આવી જશે. પ્રકાશ અંદર આવવા માટે આતુર છે. પરંતુ તેં આંગણાના દરવાજા બંધ કરી દીધા છે. વરસાદ તો પડી રહ્યો છે, વરસાદ દરેક જગ્યાએ થઈ રહ્યો છે. પણ આપણે જો આપણો ઘડો ઊંધો કરીને રાખી દીધો તો પછી તેમાં પાણી કેમ ભરાશે? ભગવાન તો બધે જ છે, સચરાચર સૃષ્ટિમાં વ્યાપ્યા છે પણ મેં મારી આંખો જ બંધ કરી લીધી છે, આંખો ઉપર પટ્ટી બાંધી દીધી છે, તો કેવી રીતે ખ્યાલ આવશે કે ભગવાન આવ્યા છે! આવા લોકો માયાના આ પડદાથી પ્રભાવિત છે. તેમને કંઈ દેખાતું નથી. અને જો પ્રકાશ નહીં દેખાય તો અંધારું તો છવાવાનું જ છે. આમ કોઈ પોતાના જીવનમાં ભગવદ્ પ્રકાશથી મોઢું ફેરવી લે છે એ તેની મૂઢતા છે, મૂર્ખતા છે, અજ્ઞાન છે. અને તે તેને અંધારામાં લઈ જાય છે. અને અંધારામાં જવાથી તે નરાધમ થઈ જાય છે. બધા પાપકર્મો અંધારામાં જ થાય છે. ચોરીનું કામ અંધારામાં જ થઈ શકે. બધી આસુરી પ્રવૃત્તિઓ અંધારામાં જ વધે છે. આવા લોકો આસુર ભાવનો આશ્રય લેવા લાગે છે. નીચ અને પાપ કર્મો કરવા લાગે છે. આવા લોકો મારી શરણમાં કેવી રીતે આવશે? 

ચાર પ્રકારના લોકો મારી શરણમાં આવી જાય છે. પવિત્ર કર્મો કરવા વાળા, સૌથી પહેલાં આર્ત. જે આર્તતા સાથે પોકાર કરે છે. તમે બધાએ બચપણમાં ક્યારેક ને ક્યારેક તો માને આર્ત  સાદે બોલાવી જ હશે! આ જ રીતે જે ભગવાનના માટે પોકાર લગાવે તેમને ભગવાન ઉપલબ્ધ થઈ જાય છે. આવો અવાજ પ્રહ્લાદે લગાવેલો. હે ભગવાન! આજે તો તમે આવો, આજે મારી નહીં પણ તમારી પરીક્ષા છે. મારા પિતા હિરણ્યકશિપુ પૂછી રહ્યા છે કે શું આ થાંભલામાં ભગવાન છે? અને મેં ખૂબ જ શ્રદ્ધા સાથે તેમને કહ્યું છે, હા! સચરાચરસૃષ્ટિમાં ભગવાન વ્યાપ્ત છે. આ થાંભલામાં પણ તું છે. તો હે ભગવાન! આમાંથી પ્રગટ થઈ જજે. પ્રહલાદ દ્વારા આર્તતા સાથે પોકારવામાં આવ્યા એવા ભગવાન પ્રગટ થાય છે. હિરણ્યકશિપુને તો વરદાન હતું કે તેને કોઈ મનુષ્ય ન કે ન કોઈ પ્રાણી મારી શકશે, ન તે ઘરની અંદર મરશે કે ન ઘરની બહાર મરશે, ન તે આકાશમાં મરશે, કે ન પૃથ્વી પર મરશે, ન સવારે મરશે કે ન રાત્રે મરશે. આ પ્રકારનું વરદાન મેળવીને પોતાને  ભગવાન જાહેર કરી દીધેલા. અને નારાયણને ભજનારા પોતાના જ પુત્રને ઉંચા પહાડ પરથી ધકેલી દીધો હતો, ઉકળતા તેલમાં નાખવામાં આવ્યો હતો, કે તું મારી નહીં પણ નારાયણની પૂજા કેમ કરે છે ? તેને હાથીના પગ નીચે ચગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, સર્પ દંશ દેવડાવવામાં આવ્યો હતો. પણ ખૂબ જ આર્તતા સાથે “ઓમ નમો નારાયણ” “ઓમ નમોનારાયણ”  તેમ પ્રહલાદજી સાદ આપી રહ્યા છે. તો થાંભલામાંથી પણ ભગવાનને પ્રગટ થવું પડ્યું. આવી આર્તતા સાથે જે કોઈપણ ભગવાનને પોકારશે તેમને તે તરત જ પ્રાપ્ત થવાના છે. એટલે જ તો આપણે આરતી કરીએ છીએ. આરતીનો અર્થ એ જ છે કે આર્તતા સાથે લગાવેલો અવાજ એટલે આરતી. પણ આપણી  આરતી પણ એટલી ફોર્મલ હોય છે કે દિપક પ્રગટાવ્યો અને જલ્દી-જલ્દી ભગવાનની ઉપર ફેરવી દીધો. આરતી તો થઈ નહીં કારણ કે આર્તતા તો હૃદયની ઊંડાઈમાંથી નીકળે છે. જ્યારે બાળકના પગમાં કાંટો ખૂંચે છે અને ત્યારે બાળક જે આર્તતા સાથે માને પોકારે છે, તો માં દોડીને આવે છે, અરે શું થઈ ગયું મારાં બાળકને? એ જ રીતે ભગવાન પણ દોડતા આવે છે જ્યારે તમે એવી આર્તતા સાથે પોકારો છો. પણ આપણી તો આરતીમાં પણ તે આર્તતા બચી નથી. દિપક પ્રગટાવીને જ્યારે આરતી કરીએ છીએ ત્યારે ભગવાનની આંખોમાં જોઈને મનથી આનંદવિભોર થઈને મનનો મોર નાચવા લાગે , રોમ-રોમ પુલકિત થઈ જાય, ત્યારે જઈને તે આરતી પહોંચશે. ત્યારે ભગવાન પ્રગટ થશે. આવા આર્ત લોકોને ભગવાન પ્રાપ્ત થઈ જાય છે.

 કેટલાક લોકો જીજ્ઞાસુ હોય છે. તેઓ હંમેશા વિચારમાં લાગેલા હોય છે.  ક્યાં છે મારા ભગવાન? હું શોધીશ. જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી હું શોધીશ. અંતર મનને પૂછતો રહીશ. કોહમ, કોહમ, કોહમ? હું કોણ છું? અંતરમાંથી આવાજ ઉઠે છે સો હમ, સો હમ, સો હમ. હું એ જ છું.  કોહમમાં ક વ્યંજન છે અને સોહમમાં સ વ્યંજન છે. કોહમમાંથી ક કાઢી નાખીએ તો ઓમ બચે છે સો હમમાં સ કાઢી નાખીએ તો  ઓમ રહે છે. સોહમ સોહમ મળીને ઓમ બને છે. આ ઓમની પ્રાપ્તિ જ તમારા મુલાધાર  ચક્રથી કંપન શરૂ કરી દે છે. તમે જ્યારે ઓમકાર કરો છો ત્યારે તમે અનુભવશો. બંને કાનમાં આંગળી નાખીને અનુભવ કરજો. તમારી આંગળીના ઉપરના ભાગમાં એકદમ બહારના ભાગમાં કંપન  સ્પર્શ કરશે. કારણ કે તે જે કંપન છે તે મુલાધાર ચક્રથી એટલે કે નાભિથી ઉદ્ભવે છે. તમારા રોમ-રોમને આલોકિત કરી દેશે. કંપિત કરી દેશે. કાનના પડદા પણ હલવા લાગે છે. અને તેનો સ્પર્શ તમારી આંગળીને થાય છે. ઓમથી થનારા કંપનને સ્પર્શ કરી શકીએ છીએ. પણ ઓમનો કેવી રીતે ઉચ્ચાર કરવો, કેવી રીતે લખવો તેનું કોઈ પ્રતીક નથી. આપણે માત્ર નજીક જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આવા  જિજ્ઞાસુ હોય છે તે ધ્યાનમાં મગ્ન હોય છે. 

અર્થાર્થી -  અર્થ એટલે કે પૈસા. અર્થાર્થી એટલે કે પૈસાને ચાહવાવાળો. પણ કેવી રીતે? પવિત્ર કર્મોથી પૈસા કમાવાવાળો. પવિત્ર કર્મ એ પૂર્વ શરત છે. અને સુકૃતિ, ખોટું કામ નથી કરતાં, સાચું જ કામ કરીએ છીએ. પવિત્ર કામ જ કરીએ છીએ. અર્જુન! એ પવિત્ર કામ કરવાવાળા લોકો છે, પૈસા કમાવાવાળા પણ સારું કામ કરીને પૈસા કમાય છે. આવા લોકોને પણ હું પ્રાપ્ત થઈ જાઉં છું.

 એક સંન્યાસીએ ખૂબ જ ઉગ્ર  તપસ્યા કરી અને આ તપસ્યા કર્યા પછી તેનામાં ઘણી બધી મોટી-મોટી સિદ્ધિઓ આવીગઈ. ઝાડની નીચે એક પગ પર ઉભા છે. એ જ સમયે ડાળી પર બેઠેલા એક પંખી એ તેના પર વિસ્ટા કરી દીધી. અને તે ગંદી વિસ્ટા તેના ખભા પર પડી. એને ખૂબ ક્રોધ આવ્યો. તપસ્વીઓમાં અહંકાર સૌથી પહેલા પુષ્ટ થાય છે. અહંકારના કારણે તેને ખૂબ ક્રોધ આપ્યો. ક્રોધ ભરી દ્રષ્ટિથી તેણે તે પંખી તરફ જોયું અને જેવું તેના તરફ જોયુંકે તે પક્ષી ત્યાંને ત્યાં ભસ્મિભૂત થઇને નીચે પડ્યું. તપસ્વી ખુશ થઈ ગયો, મારા પર વિશ્ટા કરવાવાળા તારી કેવી દૂર્દશા કરી? પછી તે ભિક્ષા માગવા નીકળ્યો. એક ઘરની બહાર જઈને” ભિક્ષાન્ દેહી” અવાજ લગાડ્યો. અંદરથી કોઈ જવાબ ન આવ્યો. પછી થોડા ઊંચા અવાજે સાદ આપ્યો. અંદરથી અવાજ આવ્યો, મહારાજ, થોડું રોકાઈ જાઓ, હું અત્યંત જરૂરી કામમાં વ્યસ્ત છું. ભિક્ષા લીધા વિના જશો નહીં. સમય વીતવા લાગ્યો. તપસ્વીને ગુસ્સો આવ્યો. પછી તેણે ક્રોધથી અવાજ લગાવ્યો. એના અવાજમાં ક્રોધનો ખ્યાલ આવી જતો હતો. અંદરથી એક ગૃહિણી પોતાના હાથમાં દાળ,ચોખા, લોટ, વગેરે લાવી અને તેમની ઝોળીમાં નાખ્યા અને કહેવા લાગી કે મહારાજ, તમે કારણ વિના ક્રોધિત થઈ ગયા. મેં તમને કહ્યુ કે હું બહુ જરૂરી કામમાં વ્યસ્ત છું. હું મારા પતિની સેવા કરી રહી હતી કે જે બીમાર છે અને તેની સેવા કરવી મારો પહેલો ધર્મ છે. વૃદ્ધાવસ્થાના કારણે તેઓ પોતાનું કોઈ કામ જાતે કરી શકતા નથી. તેમની સેવા કરવી મારો પહેલો ધર્મ હતો. તેને પૂર્ણ કરીને તમને ભિક્ષા દેવા આવી જ રહી હતી. પણ તમે તો ક્રોધિત થઈ ગયા. આવો ક્રોધ કરવો વ્યાજબી નથી. તમને શું લાગે છે કે પેલું પંખી તમારા ક્રોધની જ્વાળાથી ભસ્મિભૂત થઈ ગયું તેમ હું પણ ભસ્મીભૂત થઈ જઈશ? આ શું વાત થઈ. જ્યારે મેં પહેલા પક્ષીને સળગાવ્યું, ત્યારે કોઈએ જોયું નહોતું તો આ મહિલાને કેવી રીતે ખ્યાલ આવ્યો? તેણે કહ્યું, માતા બસ બાકી બધું રહેવા દો મને એટલું કહો કે તમને એ ખ્યાલ કેવી રીતે આવ્યો? ગૃહિણીએ કહ્યું મારી પાસે સમય નથી. જવાબ આપી દેત, પણ મારા પતિ બીમાર છે તેની સેવા કરવી મારો પ્રથમ ધર્મ છે. માફ કરશો. પણ જો તમારે જાણવું જ હોય તો સામે બેઠેલા પેલા વેપારીનેજઈને પૂછો તે તમને બતાવી દેશે કે મને એ વાતનો ખ્યાલ કેવી રીતે આવ્યો? કોઈ ઉપાય બચ્યો નહોતો. તો તપસ્વી દુકાનદારની સામે જઈને ઉભો રહ્યો. દુકાન પર પહેલેથી જ કોઈ ગ્રાહકો હતા. દુકાનદાર દરેકને જરૂર મુજબનો માલ આપી રહ્યો હતો. મસ્તક નમાવી તેમનું સ્વાગત તો કરી દીધું પણ તે પોતાના ગ્રાહકો સાથે વ્યસ્ત હતો. આમ કરતાં ત્રણ ગ્રાહકો થઈ ગયા. તપસ્વીને એટલી બધી જીજ્ઞાસા હતી કે પેલી મહિલાને તે કેમ ખબર પડી એ વાત મને આ બતાવશે, અને તે તો જાણવું જ પડશે. આમાં ચોથો ગ્રાહક આવ્યો. હવે તો તપસ્વીની ધૈર્યનો બંધ તૂટી ગયો. એણે કહ્યું કૃપા કરીને મને.... વેપારી કહે છે હા, હા, મને ખ્યાલ છે તમે એ જાણવા આવ્યા છો કે તમે જે પંખીને સળગાવ્યું તે પેલી મહિલાને કેમ ખ્યાલ આવ્યો ? તમને હું જવાબ આપી દેત, પણ જ્યાં સુધી ગ્રાહક છે ત્યાં સુધી તો નહીં આપી શકું. જો તમને બહુ ઉતાવળ હોય તો સામે બેઠેલો પેલો  કસાઈ તમને જવાબ આપશે. તેની પાસે અત્યારે ગ્રાહક નથી. તો તે તમને જવાબ આપી દેશે. તું ક્યાં મોકલે છે મને? પણ હવે બીજો કોઈ ઉપાય નહોતો.  તપસ્વી સીધો ત્યાં પહોંચી ગયો. હવે તે કસાઈ માંસ કાપી રહ્યો હતો, માંસના ટુકડા કરી રહ્યો હતો. ચામડી ખોલી રહ્યો હતો. તેવામાં જ આ તો ત્યાં જઈને ઉભો રહ્યો. અરે! આ અત્યારે જે બકરી કાપે છે તેમને બતાવશે? તેના ચહેરા પરના ભાવથી જ ખ્યાલ આવી જતો હતો કે તપસ્વી ખુશ નથી. એટલામાં જ પેલા કસાઈએ તપસ્વી સામે જોયું અને કહ્યું હું જાણું છું કે તમને મારું આ કામ પસંદ નથી. તો પણ તમે અહીં આવ્યા છો અને ઉભા છો એ જાણવા માટે કે પહેલા વેપારીએ કેવી રીતે જાણ્યું કે મહિલાએ જાણે છે કે તમે એક પંખીને સળગાવ્યું છે. તપસ્વીને તો હવે માથું પટકવાનું જ બાકી રહી ગયું. તે બોલવા લાગ્યો. તને કેમ આ બધી ખબર પડી? તું કઈ સાધના કરે છે? કસાઈએ કહ્યું કે હું કોઈ સાધના કરતો નથી. પરંતુ એક  એક વાત જરૂર છે કે હું સવારે ઉઠું છું, નાહી ધોઈ, ભગવાનને ખૂબ જ ભક્તિભાવથી પ્રણામ કરું છું. પછી માતા પિતાની સેવા કરું છું, તેમને નવડાવી , ખવડાવી પછી હું મારી દુકાને આવું છું. આ મને વારસાગત મળેલું કામ હું છોડી પણ શકતો નથી. પણ એક વાતનું ધ્યાન રાખું છું : જ્યારે પણ મારું ચાકુ ચાલે છે મારા મનમાં રામ, રામ, રામ, ચાલતું રહે છે.. સર.... સર..... અવાજ આવે છે ત્યારે પણ મારા મગજમાં રામનું નામ રટણ ચાલુ રહે છે. ખટ,ખટ, ખટ કરીને જે હું ટુકડા કાપું છું ત્યારે પણ મારા મનમાં શ્યામ, શ્યામ,શ્યામ, ચાલુ રહે છે. મેં આજ સુધી કોઈને ફસાવ્યા નથી. હું મારું કામ ખૂબ જ નિષ્ઠાપૂર્વક કરું છું. અહીં આવનારા ગ્રાહકોમાં પણ હું ભગવાનને જોઉં છું. એટલે જ કદાચ મને ખબર પડી ગઈ કે પહેલી મહિલાને આ ખ્યાલ આવી ગયો અને આ વાત પહેલા વેપારીએ પણ જાણી લીધી. ત્રણેય, ત્રણમાંથી બે તો પાક્કા અર્થાર્થી હતા. પેલો દુકાનદાર પણ પૈસા કમાવામાં લાગેલો રહ્યો હતો, તેમનું જે પણ કંઈ કામ હતું તે સ્વભાવગત કામ કે જન્મ સિદ્ધ કામ કરી રહ્યા હતા પણ કર્મ કરતા સમયે પણ ભગવાનને ભૂલતાં નથી. આમ સુકૃતિ કરવાવાળા લોકો ભલે પૈસા કમાવા માટે કામ કરતા હોય તેમને હું મળી જાઉં છું.

 જ્ઞાની તો સમજે જ છે કે સચરાચર સૃષ્ટિમાં હું વ્યાપ્ત છું. હું સર્વત્ર ઉપલબ્ધ છું. તમે કહો છો કે સૂર્ય દિવસે નીકળે છે, રાત્રે નહીં પણ હું રાત્રે પણ હોઉ છું જ. બસ પૃથ્વી પ્રદક્ષિણા કરે છે , બીજી તરફ ફરી જાય છે જેથી હું દેખાતો નથી. મૂઢ લોકો પણ ભગવાનની તરફ  પીઠ કરી દે છે તેથી તેમને ભગવાન દેખાતા નથી. જ્યારે મનુષ્ય શરણમાં આવે છે ત્યારે જ્ઞાની પણ ઝૂકી જાય છે. જ્ઞાન પણ અહંકાર આપવાવાળું છે. પણ જ્ઞાન હોવા છતાં ઝૂકીને રહે છે એ ખૂબ મહત્વપૂર્ણ છે.


7.17

તેષાં(ઞ્) જ્ઞાની નિત્યયુક્ત, એકભક્તિર્વિશિષ્યતે।
પ્રિયો હિ જ્ઞાનિનોઽત્યર્થમ્, અહં (મ્) સ ચ મમ પ્રિયઃ॥૭.૧૭॥

તે ચાર ભક્તોમાંથી હંમેશા મારામાં એકાત્મભાવે સ્થિત, અનન્ય પ્રેમભક્તિ રાખનાર જ્ઞાની અર્થાત્ પ્રેમીભક્ત ઘણો શ્રેષ્ઠ છે; કેમ કે (મને તત્ત્વથી ઓળખનાર) જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને એ જ્ઞાની મને અત્યંત પ્રિય છે.

આ ચાર ભક્તોમાંથી પણ જે મારામાં નિરંતર લાગેલો જ્ઞાની ભક્ત મારો પ્રેમી ભક્ત છે. જ્ઞાની ભક્તોને હું ખૂબ જ પ્રિય લાગું છું અને મને પણ તે બહુ પ્રિય છે. અહીં ભક્તિ એ બહુ સુંદર શબ્દ છે. આપણે લોકો ભક્તિ કરીએ છીએ પણ ભગવાન જરૂરિયાત મુજબ બદલાઈ પણ જાય છે. આજે સોમવાર છે ભગવાન મહાદેવને પ્રણામ કર્યા. આજે મંગળવાર આવ્યો ચાલો ગણેશજીને મળીએ. આજે શુક્રવાર છે તો ચાલો સંતોષીમાતાને મળીએ. આપણે લોકો એક ભક્તિ નથી કરતા. આ આપણા મનનો દુભંગ છે. વૈજ્ઞાનિકોએ આના પર ઘણું કામ કર્યું છે અને મનોવૈજ્ઞાનિકોએ તેને સ્પ્લિટ  પર્સનાલિટી નામ આપ્યું છે. આપણે બધા પણ આવી જ સ્પ્લિટ પર્સનાલિટી છીએ. કામ થશે કે નહીં થાય? શંકા છે પણ ડરના માર્યા પ્રણામ કરીએ છીએ. ડર માટે ભગવાન નથી, ભગવાન તો માત્ર પ્રેમ માટે છે.  જ્ઞાનીના મનમાં કોઈ પ્રકારની  દુવિધા નથી હોતી. તેણે જાણી લીધું છે અને માની લીધું છે કે સંતોએ કહી દીધું તો હવે બીજા કોઈને પૂછવાની જરૂર નથી. ભગવદ્ગીતામાં ખુદ ભગવાને બતાવ્યું છે તો પછી બીજા કોઈ પાસે શું લેવું દેવું? જે મારી મા એ મને કહ્યું કે આ તારા પિતા છે, તો મેં માની લીધું. કારણકે મને મા પર શ્રદ્ધા અને વિશ્વાસ છે. જ્ઞાની તો એ છે કે જેણે જાણી લીધું કે ચરાચર સૃષ્ટિમાં ભગવાન રહેલા છે. જે ગ્રાહકોમાં પણ ભગવાનના દર્શન કરે છે, વિદ્યાર્થીઓમાં પણ ભગવાનના દર્શન કરે છે, પોતાના પરિવારજનોમાં પણ તે ભગવાનના દર્શન કરે છે. એટલું જ નહીં પોતાના શત્રુમાં પણ તે ભગવાનને જુએ છે અને તે નિર્ભય બની જાય છે. તેની શત્રુભાવના મટી જાય છે. આવા જ્ઞાનીને હું બહુ પ્રિય હોઉં છું અને મને પણ તે બહુ પ્રિય હોય છે. આમ હું અને તે વિભક્ત એટલે કે જૂદા નથી. વિભક્તિ પૂરી થઈ ગઈ અંતરદ્વંદ્વ પૂરો થઈ ગયો, બધો જ મોહ નષ્ટ પામ્યો અને સમત્ત્વની ભાવના આવી ગઈ અને બધું સમતોલ થઈ ગયું. હવે સુખ આવે કે દુઃખ આવે, તે બધું બહાર જ છે. આ વસ્તુ  જ્ઞાનીને ખ્યાલ હોય છે. માન-અપમાન, નિંદા-સ્તુતિ, શીત-ઉષ્ણ, કંઈ પણ થાય  જય કે પરાજય, લાભ કે નુકસાન થઈ જાય બધામાં જ્યારે સમત્વની ભાવના આવી જાય ત્યારે એક ભક્તિ થાય છે.

 


7.18

ઉદારાઃ(સ્) સર્વ એવૈતે, જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ્।
આસ્થિતઃ(સ્) સ હિ યુક્તાત્મા, મામેવાનુત્તમાં(ઙ્) ગતિમ્॥૭.૧૮॥

આ બધાય ભક્તો ઉદાર એટલે કે શ્રેષ્ઠ છે, છતાં એ સર્વેમાં જ્ઞાની તો સાક્ષાત્ મારુ સ્વરૂપ જ છે એવો મારો મત છે, કેમ કે મારામાં જ મન તથા બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિસ્વરૂપ એવા મારામાં જ સમ્યક્ રીતે સ્થિત છે.

પહેલા કહેલા બધા ભક્તો શ્રેષ્ઠ ભાવવાળા છે. તે અર્થાર્થી હોય કે જીજ્ઞાસુ હોય  કે આર્ત ભાવવાળા હોય બધા જ ખૂબ ઉદાર છે. પરંતુ જ્ઞાની તો મારું જ સ્વરૂપ  છે. ભગવાન અહીં બહુ જ મોટી વાત કરી રહ્યા છે. આ મારો પાકો મત છે. જેમ આપણે મતદાન કરીએ છીએ  કે આમારો મત છે. કારણકે તેઓ મારામાં જ ખૂબ આસ્થાવાળા, યુક્ત આત્મા છે. દ્રઢ આસ્થા છે, માત્ર વિશ્વાસ નહીં. મને બહુ વિશ્વાસ છે. મને બહુ વિશ્વાસ છે કહેનારાને ક્યાંક ને ક્યાંક અવિશ્વાસ છે. તેથી જ કહેવાની જરૂર પડે છે. જેમ કોઈ કહે હું તને બહુ પ્રેમ કરું છું તો સમજી લેવું કે ગરબડ છે. આપણે ત્યાં પતિ પત્ની એકબીજાને“આઇ લવ યુ” કહેવામાં બહુ સંકોચ કરે છે. અરે પ્રેમ કરે છે તો કરે છે, કહેવાની શું જરૂર છે? અહીં દ્રઢ આસ્થા છે, આસ્થા સાથે વિશ્વાસ અને શ્રદ્ધા છે. શ્રદ્ધા સાથે વિશ્વાસછે. કોઈ એમ કહે કે હા સૂર્ય છે તેમાં હું વિશ્વાસ કરું છું. અરે સૂર્ય તો છે જ! તું શું વિશ્વાસ કરીશ? આ કોઈ અંધવ્યક્તિ આવું કહી શકે. તેને સૂર્ય દેખાતો નથી છતાં તે કહી શકે છે કે  વિશ્વાસ છે કે સૂર્ય છે. એ મને ખ્યાલ નથી કે છે કે નહીં, પણ હું વિશ્વાસ કરું છું. વિશ્વાસ કરવામાં અને દ્રઢ આસ્થામાં ફેર છે. આવું ભગવાન માટે જે કહે છે ને કે મને દ્રઢ આસ્થા છે, પ્રહલાદે પણ કહ્યું ને ભગવાન, થાંભલામાંથી બહાર આવ. ભગવાનને ત્યાંથી બહાર આવવું જ પડે છે. રાણાએ મીરાબાઈને ઝેરનો કટોરો મોકલ્યો કારણકે મીરાં પાગલ જેવી થઈ ગઈ હતી, દીવાની થઈ ગઈ હતી જે શેરીએ શેરીએ હરિ ગુણ ગાવા લાગી હતી. ત્યારે મીરાંબાઈએ તે ઝેર ભરેલા કટોરામાં પણ પ્રસાદ છે તેમ શ્રદ્ધા રાખી પી લીધો. અને છતાં પણ તે જીવિત રહી ગઈ. ઝેર અમૃત બની ગયું. ભગવાને કરવું જ પડ્યું. આવા ભક્ત જે પોતાની જાતને સમર્પિત કરી દે છે, સ્વાભાવિક રીતે જ ભક્ત અને ભગવાનમાં અંતર પણ રહેતું નથી. બંને એક થઈ જાય છે. વિભક્તિ પૂરી થઈજાય છે. માત્ર ભક્તિ બચે છે.

7.19

બહૂનાં(ઞ્) જન્મનામન્તે, જ્ઞાનવાન્માં(મ્) પ્રપદ્યતે।
વાસુદેવઃ(સ્) સર્વમિતિ, સ મહાત્મા સુદુર્લભઃ॥૭.૧૯॥

ઘણા જન્મો પછીના અંતિમ જન્મમાં તત્ત્વજ્ઞાન પામેલો માણસ 'સર્વ કાંઈ વાસુદેવ જ છે' એવા ભાવે મને ભજે છે; -શરણે થાય છે, એ મહાત્મા ઘણો દુર્લભ છે.

મનુષ્ય જન્મમાં જે એમ માને છે કે બધું પરમાત્મા જ છે એવો જ્ઞાની કે જે મારા શરણમાં હોય છે એવા મહાત્મા મળવા અત્યંત દુર્લભ છે. તે વાસુદેવ જ બની જાય કોઈ અંતર જ ન રહે. તેનામાં અને મારામાં કોઈ તફાવત રહેતો નથી. જ્યાં સુધી ભેદ હતો તે ત્યાં સુધી તે ભક્ત અને હું ભગવાન પણ જ્યારે ભેદ જ ન રહ્યો ત્યારે ભગવાન અને ભક્તમા કોઈ અંતર રહેતું નથી. હજારોમાં કોઈ એક જ એવો હોય છે પણ તમે લોકો બહુ ભાગ્યશાળી છો કે તમારા મનમાં જિજ્ઞાસા તો ઊભી થઈ! એટલે આપ લોકો જિજ્ઞાસુ છો. સમજી લેવું કે મનથી ભગવદ્ગીતાને જાણવાની ઈચ્છા થવી, સમય પૂરો થઈ જવા છતાં ઝૂમ મિટિંગમાં ચાલુ રહેવું એ જિજ્ઞાસાનું પ્રતીક છે. અરે! તમે અહીં સુધી તો આવી ગયા છો. ભગવાનની આ બહુ મોટી કૃપા છે. ખૂબ ભાગ્ય સાથે મનુષ્ય શરીર મળ્યું છે અને તેમાં પણ ગીતાના ગ્રંથ વિશે જાણકારી મેળવવાની  ઉત્સુકતા થઈ છે. અને તેના અર્થ જાણીને આપણા મનમાં પરિવર્તન થતું જવું, ગીતાજીનું જીવનમાં ઉતારતું જવું, આ બધું બનવા લાગશે ત્યારે વાસુદેવ અને આપણામાં કોઈ અંતર રહેશે નહીં. જે બધે જ વાસુદેવને જુએ છે અને પોતે મહાત્મા બની જાય છે. મહાત્મા એટલે ભગવાનનું જ બીજું રૂપ.

 


7.20

કામૈસ્તૈસ્તૈર્હૃતજ્ઞાનાઃ(ફ્), પ્રપદ્યન્તેઽન્યદેવતાઃ।
તં(ન્) તં(ન્) નિયમમાસ્થાય, પ્રકૃત્યા નિયતાઃ(સ્) સ્વયા॥૭.૨૦॥

તે તે ભોગોની કામનાઓ વડે જેમનું જ્ઞાન હરાઈ ચૂકયું છે, એ માણસો પોત-પોતાની પ્રકૃતિ અર્થાત્ સ્વભાવથી પ્રેરાઈને તે તે અર્થાત્ દેવતાઓના તે તે નિયમોને ધારણ કરી અન્ય દેવતાઓને ભજે છે એટલે કે શરણ થઈ જાય છે.

મોહના પડદાના કારણે જ્ઞાન દેખાતું નથી અને પોતાની કામનાઓ એટલે કે ઈચ્છાઓના કારણે, આ બધી પોતાની ઈચ્છાઓની પૂર્તિ માટે પોતાની રીતે પ્રકૃતિથી બંધાઈને દેવતાઓને પૂજે છે ભગવાનને નહીં. દેવતા અને ભગવાનમાં ફેર છે. ભગવાન સુપ્રીમ  પાવર છે, દેવતાઓ વચ્ચેની કડી છે. નાની મોટી ઈચ્છાઓ કરવાનું કામ દેવતાઓ કરે છે. આપણે લોકો નાની મોટી ઈચ્છાઓ પૂરી કરવા માટે દેવતાઓનું પૂજન અર્ચન કરીએ છીએ. એક વખત એક શિષ્યે ભગવાન બુદ્ધને પૂછ્યું કે તમે કહો છો કે મુક્તિ ખૂબ સહેલી છે તો તે બધાને કેમ નથી મળતી? ત્યારે ભગવાન બુદ્ધ કહે છે કે આજે તું ભિક્ષા માંગવા જાય છે ને ત્યારે બધે પૂછી લેજે કે તેઓની જીવનમાં શું ઈચ્છા છે? શિષ્ય ભિક્ષા માંગતી વખતે બધાને પૂછતો હતો કે તેઓ જીવનમાં શું ઈચ્છે છે? ત્યારે કોઈ કહેતું કે હું પરીક્ષા આપી રહ્યો છું તો મને તેમા સારા માર્ક મળી જાય. કોઈ કહેતું કે મારી પરીક્ષા પૂરી થઈ ગઈ હવે સારી નોકરી મળી જાય. કોઈ કહેતું કે નોકરી મળી ગઈ છે હવે કોઈ સારું પાત્ર મળી જાય લગ્ન માટે. કોઈ કહેતું હતું લગ્ન થઈ ગયા છે પણ પુત્ર પ્રાપ્તિ નથી થતી. પુત્ર પ્રાપ્ત થઈ જાય. ફરી-ફરીને સાંજે જ્યારે તે પાછો આવ્યો ત્યારે ભગવાને પૂછ્યું. બતાવ કેટલા લોકોને મોક્ષ જોઈએ છે? મુક્તિ જોઈએ છે? ત્યારે શિષ્ય કહે છે કે મોક્ષ તો કોઈએ જ માગ્યો નથી. આમ જ્યારે ઈચ્છા જ નથી તો મોક્ષ ક્યાંથી મળશે! લોકો પોતપોતાની ઈચ્છા અનુસાર, તેની તૃપ્તિ માટે કર્મો કરતાં રહે છે. કોઈ સરસ્વતીની પ્રાર્થના કરે છે, કોઈ હનુમાન ચાલીસા કરે છે, કોઈ ગણેશજીનું પૂજન કરે છે. ભગવાન કહે છે કોઈ વાંધો નથી કારણ કે તેઓ એવું માને છે કે આ બધું તેમને દેવતાઓ આપશે. તેઓ એ નથી જાણતા કે જો તે મોટા ખજાનામાં હાથ નાખશે તો તેમની નાની મોટી બધી ઈચ્છાઓ આપોઆપ પૂરી થઈ જશે.

 


7.21

યો યો યાં(ય્ઁ) યાં(ન્) તનું(મ્) ભક્તઃ(શ્), શ્રદ્ધયાર્ચિતુમિચ્છતિ।
તસ્ય તસ્યાચલાં(મ્) શ્રદ્ધાં(ન્), તામેવ વિદધામ્યહમ્॥૭.૨૧॥

જે-જે સકામ ભક્ત જે-જે દેવતાના સ્વરૂપને શ્રદ્ધાથી પુજવા ઇચ્છે છે તે-તે ભક્તની શ્રદ્ધાને હું એજ દેવતા પ્રત્યે દ્રઢ કરું છું.

અને હું શું કરું છું? જે-જે ભક્ત પોતાના ઈચ્છા મુજબ જે-જે દેવતાઓનું પૂજન અર્ચન કરે છે હું તેની શ્રદ્ધા તેમાં દ્રઢ કરી દઉં છું. 

7.22

સ તયા શ્રદ્ધયા યુક્તઃ(સ્), તસ્યારાધનમીહતે।
લભતે ચ તતઃ(ખ્) કામાન્, મયૈવ વિહિતાન્હિ તાન્ ॥૭.૨૨॥

એ માણસ મારા દ્વારા દૃઢ કરાયેલી શ્રદ્ધાથી યુક્ત થઈ એ દેવતાનું પૂજન કરે છે અને એ દેવતા પાસેથી મારા વડે જ વિધાન કરેલા એ ઇચ્છેલા ભાગોને નિ:સંદેહ પામે છે.

અને મારા દ્વારા દ્રઢ કરાયેલી શ્રદ્ધા દ્વારા તે મનુષ્ય સકામભાવથી તે દેવતાની ઉપાસના કરે છે અને તેની ઈચ્છા પૂરી થઈ જાય છે. પરંતુ તે ઇચ્છાપૂર્તિ મારા દ્વારા નિમિત્ત કરાયેલી ભક્તિ દ્વારા જ થાય છે કારણ કે બધા કામ હું જ કરાવું છું. ભગવાને આ સંસાર તો ઉભો કરી દીધો પણ ભગવાન તેમાં લિપ્ત નથી થયા. ભગવાને દેવો ઊભા કર્યા, લોકોની તેમાં શ્રદ્ધા જગાવી અને તેમની ઈચ્છાની પૂર્તિ પણ કરી દીધી.

7.23

અન્તવત્તુ ફલં(ન્) તેષાં(ન્), તદ્ભવત્યલ્પમેધસામ્।
દેવાન્દેવયજો યાન્તિ, મદ્ભક્તા યાન્તિ મામપિ॥૭.૨૩॥

પરંતુ એ અલ્પબુદ્ધિજનોનું એ ફળ નાશવંત હોય છે તેમજ એ દેવતાઓને પૂજનાર જનો દેવતાઓને પામે છે; જ્યારે મારા ભક્તો મને જે રીતે પણ ભજે, છેવટે તેઓ મને જ પામે છે.

આવા અલ્પબુદ્ધિવાળા મૂઢ છે. જે દેવતાઓની ભક્તિ કરે છે તેમાં બુદ્ધિ છે પણ થોડી ઓછી છે, તેનામાં પુરી બુદ્ધિ નથી. પૂરો જ્ઞાની નથી જો જ્ઞાની હોત તો નાની મોટી ઈચ્છા રાખી ભગવાન પાસે ન જાત. જ્યારે ભગવાન મોટો ખજાનો આપવા તૈયાર છે ત્યારે નાની મોટી ઈચ્છાઓ રાખી દેવતા પાસે જવાનો કોઈ અર્થ નથી. પરંતુ આવા અલ્પબુદ્ધિ લોકોની શ્રદ્ધા પેલા દેવતાઓમાં તો છે. તે દેવતાઓની ઉપાસનાથી જલદી સમાપ્ત થવાવાળું ફળ, નાશવંત ફળ તેને મળી જાય છે. ફળ તો મળે છે પણ નાશવંત. જે લોકો દેવતાઓનું પૂજન કરે છે તેમને દેવતા પ્રાપ્ત થાય છે અને જે લોકો મારું પૂજનકરે છે તેમને હું પ્રાપ્ત થાઉં છું. દેવતાઓને પ્રાપ્ત કરવા એટલે હોટલમાં રહેવા જેવું, ફાઇવ સ્ટાર હોટલમાં રહેવા જેવું થયું. જ્યાં સુધી તમારી પાસે મૂડી છે, બેલેન્સ છે ક્રેડિટકાર્ડમાં લિમિટ છે ત્યાં સુધી તમે આરામપૂર્વક ફાઇસટાર હોટેલમાં રહી શકો છો. બેલેન્સ પૂરું થઈ જવાથી ત્યાં રહેવા મળતું નથી. તે જ રીતે પુણ્ય પૂરા થઈ જતા પાછું આવવું પડે છે. આમાંથી બહાર નીકળવું હોય તો એવું કરવું કે જ્યાંથી તમને કોઈ હટાવી ના શકે. એ અવાજ તો ધ્રુવએ લગાવેલો.  ખૂબ આર્તતા સાથે અવાજ દીધેલો તે ધીમે-ધીમે પોતાની તપસ્યાને વધારતા ગયા. પેલા ભોજન કરતાં હતા પછી ભોજન છોડી માત્ર પાન ખાવા લાગ્યા. પછી પાંદડા ખાવાનું પણ મૂકી દીધું અને ફક્ત પાણી પર રહેવા લાગ્યા. પછી તો પાણી પણ બંધ કરી દીધું. માત્ર હવાથી જ ચલાવતા. એક ક્ષણ એવી આવી કે જ્યારે હવા પણ રોકાઈ ગઈ અને ત્રિલોકમાં હાહાકાર મચી ગયો. ભગવાને આવવું પડ્યું. ધ્રુવને સાવકી માએ ખેંચીને પિતાના ખોળામાંથી ઉઠાડેલો અને કહેલું કે અહીં બેસવાનો તારો અધિકાર નથી. ધ્રુવે ભગવાનને કહ્યું કે મને એવા સ્થાને બેસાડી દો કે ત્યાંથી મને કોઈ હલાવી ન શકે. ધ્રુવનો તારો આજે પણ તે તપસ્યાની સાક્ષી ભરતો ત્યાં જ ઉભો છે. તે હાલતો નથી તે દ્રઢ થઈ ગયો છે. ધ્રુવ અને દ્રઢ બંને એક જ અર્થના શબ્દો છે. ભગવાન કહે છે કે જે મારો ભક્ત બની જાય અને તેની શરત બહુ જ અફલાતૂન છે, કોઈ અપેક્ષા રાખવી નહીં, જે આપ્યું છે તે તે જ આપ્યું છે, જે કર્યું છે તે જ કર્યું છે. બધી તારી જ મરજી છે, મને બધું જ મંજુર છે. તેને કોઈ અપેક્ષા નહીં, કોઈ તકલીફ નહીં, કોઈ દુઃખ નહીં આવો જ્યારે બની જશે કે જે કંઈ દુઃખ મોકલ્યું તેં જ મોકલ્યું છે તેનો સ્વીકાર છે, પ્રેમ સાથે સ્વીકાર છે. એવું નહીં કે જબરજસ્તીથી સ્વીકાર છે. તારા મોકલેલા સુખ અને દુઃખને ખૂબ જ પ્રેમ સાથે હું સ્વીકારું છું. આવા જે બની જાય છે તેમને કાયમી ઘર મળી જાય છે. ત્યાંથી તેને કોઈ હટાવી શકતું નથી.

7.24

અવ્યક્તં(વ્ઁ) વ્યક્તિમાપન્નં(મ્), મન્યન્તે મામબુદ્ધયઃ।
પરં(મ્) ભાવમજાનન્તો, મમાવ્યયમનુત્તમમ્॥૭.૨૪॥

અજ્ઞાનીઓ મારા સર્વ શ્રેષ્ઠ અવિનાશી પરમ ભાવને નહીં જાણનાર હોઈ અવ્યક્ત અર્થાત્ મન-ઇન્દ્રિયોથી પર એવા મુજ સચ્ચિદાનંદઘન પરમાત્માને મનુષ્ય ની જેમ શરીર ધારણ કરનાર માને છે.

બુદ્ધિહીન મનુષ્ય મારા સર્વશ્રેષ્ઠ અવિનાશી ભાવને ન જાણતા અવ્યક્ત મનઇન્દ્રિયોથી દૂર મને, પરમાત્માને મનુષ્ય શરીર ધારણ કરવાવાળો સમજે છે. આવા લોકો પહેલા તો મૂઢ હતા, હવે થોડી બુદ્ધિ આવી છે. તેઓ અલ્પમતિ છે, પૂરી બુદ્ધિ નથી. તેઓ મને જેવો માને છે તેવી મારી આકૃતિ બનાવે છે. આપણે ઉપર વિચાર્યું કે બે હાથવાળા બનાવશો તો ગરબડ થઈ જશે કારણકે ભગવાન તો સુપ્રીમ છે. તો આપણે ચાર હાથ બનાવી દીધા. ચાર હાથવાળા ભગવાન થઈ ગયા. આ બધા મનના ખેલ છે પરંતુ વાસ્તવમાં મારું રૂપ કંઈક અલગ જ છે. અહીં જે બુદ્ધિહીન છે તે નિર્ભુત નથી. કેટલાક લોકો અહીં એવા છે કે ભગવાનને સગુણ સાકાર માને છે અને નિર્ગુણ નથી માનતા. ચાર હાથવાળા, બે આંખોવાળા બેપગ વાળા નિર્ગુણ નિરાકાર હોઈ જ ના શકે. કારણકે જેવો હું તેવા મારા ભગવાન. કેટલાક લોકો તો સગુણને એટલું બધું વધારે માને છે કે હું શું કહું!
મહારાષ્ટ્રમાં સ્વામી સમર્થ કરીને સંત થઈ ગયા. મારો એક મિત્ર છે તે સ્વામીસમર્થને ખૂબ જ માને. મને એક જગ્યાએ સ્વામી સમર્થની ખૂબ જ સારી મૂર્તિ મળી તો મેં મિત્રને યાદ કરીને તેને આપવા માટે ખરીદી લીધી અને જ્યારે તે મને મળ્યો ત્યારે મેં તેને મૂર્તિ આપી પણ તે બોલવા લાગ્યા અરે નહીં! હું એને જોઈ પણ ના શકું! કારણકે આ મૂર્તિમાં તો સ્વામીજી બેઠેલા છે, હું તો ઉભેલા સ્વામી સમર્થની ભક્તિ કરું છું. શું સ્વામી ક્યારે બેસતા નહોતા કે? પણ તે તો તે સ્વરૂપને જોવા પણ નહોતો ઈચ્છતો. બેઠેલા સ્વામીનો પંથ અલગ છે અને ઉભા રહેલા સ્વામીનો પંથ અલગ છે! કોઈને માત્ર મુરલી મોહન જ નજર આવે છે કોઈને લડ્ડુ ગોપાલ જ પસંદ આવે છે. કોઈને રાધા મોહન પસંદ આવે છે કે જે રાધાને પ્રેમ કરે છે તે લડ્ડુ ગોપાલને જોતા નથી અને કોઈ સુદર્શન ચક્રધારી કૃષ્ણને જ પસંદ કરે છે અને કોઈને યોગેશ્વર કૃષ્ણ પસંદ છે. આ લોકો જ્ઞાની નથી તેઓ માત્ર સગુણસાકારના ઉપાસક છે. તેઓ નિર્ગુણનિરાકારને નથી માનતા. અને કેટલાક લોકો એવા પણ હોય છે કે જેઓ નિર્ગુણ નિરાકારને જ માને છે. હું શા માટે મંદિરમાં જાઉં?  જ્યારે ભગવાન સરાચર સૃષ્ટિમાં વ્યક્ત છે તો મંદિરમાં જવાની શું જરૂર છે. હું તો તેને દરેક જગ્યાએ માનીશ, મંદિરમાં નહિ જાઉં. પણ અહીં દરેક જગ્યાએ ભગવાનને માનવા અને મંદિરમાં ન જાઓ તે પણ એકજાતની   ગરબડ જ છે. જે નિર્ગુણ નિરાકારનો સર્વત્ર સ્વીકાર કરે છે અને મૂર્તિ માટે ના પાડે છે તો તે કઈ રીતે શક્ય છે? તેને મૂર્તિમાં પણ ભગવાન દેખાવા જોઈએ 
ને?
ભગવાન અંતિમ શ્રદ્ધા છે. નામ કંઈ પણ આપી દો. આ થોડા અબુદ્ધ લોકો છે. જેણે પોતાની આંખો જ ફેરવી લીધી તેને ભગવાન પ્રકાશ કેવી રીતે આપશે? જે મૂઢ મનુષ્ય મને અવિનાશી નથી જાણતા કે માનતા તે બધાની સામે યોગમાયા દ્વારા અદ્રશ્ય થઈ જાઉં છું, પ્રગટ થતો નથી. આપણે ઘૂંઘટ ઓઢી લીધો તો ભગવાન પણ યોગમાયાથી અદૃશ્ય થઈ ગયા. ભગવાન પણ ત્યાંથી હટી જાય છે. સૂર્ય તો એક જગ્યાએ સ્થિર છે આપણે ફરી રહ્યા છીએ. પૃથ્વી પ્રદક્ષિણા કરે છે. ભગવાન તો ઊભા જ છે પણ આપણે ભગવાન તરફ પીઠ ફેરવી લીધી છે. તો પ્રકાશ કેવી રીતે મળશે? આજે પડદો પડેલો છે તે પડદો હટાવવો પડશે. નહિતર ભગવાન દેખાશે નહીં. ભગવાન છે પણ આપણે પડદાની અંદર બેઠેલા છીએ ત્યાં સુધી તે દેખાશે નહીં. તે પડદો મોહ અને માયાનો છે. આ પડદો હટતાની સાથે જ ભગવાન પ્રકટ થઈ જશે. અહીં ભગવાન મૂઢ એટલે કે મૂર્ખ એવું નથી કહેતા. તેઓનો અર્થ છે કે સચરાચર સૃષ્ટિમાં વ્યાપ્ત ભગવાનને જે જોવા જ નથી માંગતા તેવા લોકો અજ્ઞાનમાં મૂર્ખતા કરે છે. આ ભાવ છે ભગવાનનો. 

7.25

નાહં(મ્) પ્રકાશઃ(સ્) સર્વસ્ય, યોગમાયાસમાવૃતઃ।
મૂઢોઽયં(ન્) નાભિજાનાતિ, લોકો મામજમવ્યયમ્॥૭.૨૫॥

પોતાની યોગમાયાના વડે ઢંકાયેલો હું સૌને પ્રત્યક્ષ નથી થતો, માટે આ અજ્ઞાની જનસમુદાય મુજ અજન્મા અવિનાશી પરમેશ્વરને નથી ઓળખી શકતો એટલે કે મને જન્મ-મરણશીલ સમજે છે.

 હે અર્જુન! જે પ્રાણીઓ ભૂતકાળમાં થઈ ગયા. જે પ્રાણીઓ વર્તમાનમાં છે અને જે પ્રાણીઓ ભવિષ્યમાં થવાના છે તે બધાને હું જાણું છું. પરંતુ મને કોઈ જાણતું નથી. ભગવાન આ બહુ અદ્ભુત વાત બતાવે છે. હું સહેલાઈથી સમજાવવાનો પ્રયત્ન કરું. 
તમારો કોઈ મિત્ર પાંચમા માળે તમારી રાહ જુએ છે અને તમે નીચે સુધી પહોંચી ગયા. તમે હાથ હલાવ્યો કે જુઓ હું આવી ગયો છું પણ તમારો ત્રીજો મિત્ર હજુ સુધી ત્યાં પહોંચ્યો નથી, બાકી છે. ત્યારે નીચે ઉભેલા મિત્રે કહ્યું પેલો તો આવવાનો બાકી છે. ત્યારે ઉપર ઉભેલા મિત્રે કહ્યું કે તે પણ આવી ગયો છે કારણ કે તે ઉપરથી તેને જોઈ શકતો હતો પણ નીચે ઉભેલો મિત્ર તેની મર્યાદાના કારણે તેને જોઈ શકતો ન હતો. નીચે ઉભેલો માણસ માટે જે ભવિષ્ય હતું તે ઉપર ઉભેલા માણસ માટે વર્તમાન હતું. ભગવાનતો બહુ જ ઉપર ઉભેલા છે તેમને આગળનું પણ દેખાય છે અને પાછળનું પણ દેખાય છે. અહીં ઉપર બેઠેલા મિત્રને દૂરથી આવનારો મિત્ર દેખાતો હતો. ભગવાન કાલાતીત છે. તમે પોતાને અંધારામાં કેદ કરી લીધા છે બહાર તો પ્રકાશ જ પ્રકાશ છે! આપણે બધી દિશા બંધ કરીને અંદર જ ઉતરવાનું છે. જ્યારે અંદર ઉતરી જઈશું તો માયાનો પડદો પોતાની મેળે જ હટવા લાગશે.
જ્ઞાનેશ્વર મહારાજ કહે છે,
જ્યારે શરીર અને અહંકારનું પ્રેમ મિલન થઈ જાય છે તો તેને ઈચ્છા નામની પુત્રી થઈ જાય છે. વાસના વધતી જાય છે તેમ ઈચ્છાઓ વધતી જાય છે. ઈચ્છાના લગ્ન દ્વેષ સાથે થાય છે અને તેમને જોડકાં થઈ જાય છે ગર્વ અને  મોહ. અને તેને સંભાળવાનું કામ તેમના દાદાજી કરે છે. દાદાજી એટલે અહંકાર. સૌથી નાની પણ સત્યનાશ કરવાવાળી વાત એટલે અહંકાર. જે ક્ષણે અહંકાર આપણી અંદર આવશે ત્યારથી આ બધી ગરબડ શરૂ થઈ જાય છે. 

7.26

વેદાહં(મ્) સમતીતાનિ, વર્તમાનાનિ ચાર્જુન।
ભવિષ્યાણિ ચ ભૂતાનિ, માં(ન્) તુ વેદ ન કશ્ચન॥૭.૨૬॥

હે અર્જુન! પૂર્વે થઇ ગયેલા, વર્તમાનમાં હયાત તથા ભવિષ્યમાં થનાર સર્વ ભૂતોને હું જાણું છું, પરંતુ મને કોઈપણ શ્રદ્ધા-ભક્તિ વિનાનો માણસ નથી જાણી શકતો.

એ અર્જુન જે પ્રાણીઓ ભૂતકાળમાં થઈ ગયા, જે પ્રાણીઓ વર્તમાનમાં છે અને જે પ્રાણીઓ ભવિષ્યમાં થવાના છે તે બધાને હું જાણું છું. પરંતુ મને કોઈ જાણતું નથી. ભગવાન આ બહુ અદ્ભુત વાત બતાવે છે. હું સહેલાઈથી સમજાવવાનો પ્રયત્ન કરું. તમારો કોઈ મિત્ર પાંચમા માળે તમારી રાહ જુએ છે. અને તમે નીચે સુધી પહોંચી ગયા. તમે હાથ હલાવ્યો કે જુઓ હું આવી ગયો છું. પણ તમારો ત્રીજો મિત્ર હજુ સુધી ત્યાં પહોંચ્યો નથી, બાકી છે. ત્યારે નીચે ઉભેલા મિત્રે કહ્યું અને પેલો તો આવવાનો બાકી છે ત્યારે ઉપર ઉભેલા મિત્રોએ કહ્યું કે તે પણ આવી ગયો છે કારણ કે તે ઉપરથી તેને જોઈ શકતો હતો પણ નીચે ઉભેલો મિત્ર તેની મર્યાદાના કારણે તેને જોઈ શકતો નહોતો. નીચે ઉભેલા માણસ માટે જે ભવિષ્ય હતું તે ઉપર ઉભેલા માણસ માટે વર્તમાન હતું. ભગવાન તો બહુ જ ઉપર ઉભેલા છે તેમને આગળનું પણ દેખાય છે અને પાછળનું પણ દેખાય છે. અહીં ઉપર બેઠેલા મિત્રને દૂરથી આવનારો મિત્ર દેખાતો હતો. ભગવાન કાલાતીત છે. તમે પોતાને અંધારામાં કેદ કરી લીધા છે બહાર તો પ્રકાશ જ પ્રકાશ છે. આપણે સમજવું કે આપણે બધી દિશા બંધ કરીને અંદર જ ઉતરવાનું છે. જ્યારે અંદર ઉતરી જઈશું તો માયાનો પડદો પોતાની મેળે જ હટવા લાગશે. જ્યારે શરીર અને અહંકારનું પ્રેમ મિલન થઈ જાય છે તો તેને ઈચ્છા નામની પુત્રી થઈ જાય છે. વાસના વધતી જાય છે તેમ ઈચ્છાઓ વધતી જાય છે. ઈચ્છાના લગ્ન દ્વેષ સાથે થાય છે અને તેમને જોડકાં થઈ જાય છે ગર્વ અને  મોહ અને તેને સંભાળવાનું કામ તેમના દાદાજી કરે છે. દાદાજી એટલે અહંકાર. સૌથી નાની પણ સત્યનાશ કરવાવાળી વાત એટલે અહંકાર. જે ક્ષણે અહંકાર આપણી અંદર આવશે ત્યારથી આ બધી ગરબડ શરૂ થઈ જાય છે. 

7.27

ઇચ્છાદ્વેષસમુત્થેન, દ્વન્દ્વમોહેન ભારત।
સર્વભૂતાનિ સમ્મોહં(મ્), સર્ગે યાન્તિ પરન્તપ॥૭.૨૭॥

હે ભરતવંશી! હે અર્જુન! સંસારમાં ઇચ્છા અને દ્વેષથી ઉદ્ભવેલા સુખ- દુ:ખ આદિ દ્વન્દ્વસ્વરૂપ મોહને લીધે સઘળાં પ્રાણીઓ અત્યંત અજ્ઞાનતાને પામી રહ્યા છે.

 હે ભરતવંશમાં ઉત્પન્ન થયેલા ભરત! ઈચ્છા, રાગ અને દ્વેષથી ઉત્પન્ન થવાવાળો મોહ,  દ્વંદ્વ મોહથી મોહિત પ્રાણી સંસારમાં મૂઢતાને કારણે જન્મ મરણના ફેરાને પ્રાપ્ત કરે છે. મનમાં એક સાથે એક જ વિચાર રહે છે, એક સાથે વધુ વિચાર રહી શકતા નથી. તમને એમ લાગે છે કે મારા મનમાં ઘણા બધા વિચારો ચાલી રહ્યા છે પણ એટલા માટે લાગે છે કે વિચારોની ગતિ બહુ જ તેજ છે. જેમ કે ખૂબ ગતિમાં ફરતો પંખો તમને એમ લાગે છે કે આમાં ઘણી બધી પાંખો ફરી રહી છે પણ પંખો ઉભો રહેતાં જ ખ્યાલ આવે છે કે આમાં તો માત્ર ત્રણ જ પાંખ છે. આમ વિચારોની ગતિ પણ જ્યારે આપણે ધીમી કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ત્યાં માત્ર એક જ વિચાર ટકે છે. અને તે જ્યારે ચાલી જાય છે ત્યારે ત્યાં શૂન્ય અવસ્થા ઊભી થાય છે. જેવો વિચાર સમાપ્ત થાય છે વિકાર પણ સમાપ્ત થઈ જાય છે. આવી રીતે સંસાર અને વૈરાગ્ય એક જ રીતે વિચારે છે. કારણ કે તે  વિવેકથી નહીં પણ મૂઢતાથી વિચારે છે. અને પછી જે ગડબડ થાય છે તે પોતાને તકલીફ આપે છે. સંન્યાસ એટલે તકલીફ નહીં પણ આનંદમગ્ન થઈ જવું. આવું કરવાથી ભગવાન પ્રાપ્ત થતા નથી. 
अशास्त्रविहितं घोरं, तप्यन्ते ये तपो जना:|
ભગવાને ખુદે એક જગ્યાએ કહ્યું છે કે અશાસ્ત્ર રીતે તપ કરવાવાળા લોકો નષ્ટ થઈ જશે પણ મને પ્રાપ્ત કરી શકશે નહીં. શરીર તો પ્રકૃતિ દ્વારા મળેલું છે તેની આડમાં ભગવાન અહીં પ્રગટ છે. વૈરાગ્યનો અર્થ મનથી છે. સંસારથી વેર કરવાથી વૈરાગ્ય નહીં આવે. સંસારને પ્રેમ કરવાથી  વૈરાગ્ય આવશે. વેરની ભાવનાથી તો ક્યારેય ભગવાન મળ્યા નથી. આ જ મૂઢતા જેને જન્મ મરણના ચક્રમાં બાંધી રાખે છે. મનની ઉપર છે વિવેક. વિવેકથી વિચારવું જોઈશે. સંસારથી દુશ્મનાવટ કરીને થઈ શકે કે તમે રાવણ બની જાવ અને રામ આવીને રાવણને મારી નાખે છે. કંસે શ્રીકૃષ્ણ સાથે દુશ્મનાવટ કરી લીધી પછી કૃષ્ણએ આવીને તેનો વધ કર્યો. શિશુપાલે ભગવાનને ખૂબ જ ગાળો આપી. શ્રીભગવાને ૧૦૦ ગાળ પૂરી થતાં જ સુદર્શન ચક્ર છોડ્યું. અને શિશુપાલનું મસ્તક ઉડાવી દીધું. તેમની પણ મુક્તિ થઈ ગઈ કારણ કે ભગવાને સ્વયંમ તેમને માર્યા છે. પણ જીવનમાં દરેક ક્ષણે આનંદની જે ભાવના વ્યાપ્ત થવી જોઈતી હતી તે આ વેરભાવનામાં ઉત્પન્ન જ થતી નથી. એટલે વેર નહીં માત્ર પ્રેમ જ મોક્ષ તરફ લઈ જાય છે.

 


7.28

યેષાં(ન્) ત્વન્તગતં(મ્) પાપં(ઞ્), જનાનાં(મ્) પુણ્યકર્મણામ્।
તે દ્વન્દ્વમોહનિર્મુક્તા, ભજન્તે માં(ન્) દૃઢવ્રતાઃ॥૭.૨૮॥

પરંતુ નિષ્કામભાવે ઉત્તમ કર્મોનું આચરણ કરનારા જે માણસોનું પાપ નષ્ટ થઈ ચુક્યું છે, એ રાગદ્વેષજનિત દ્વન્દ્વસ્વરૂપ મોહથી મુક્ત થયેલા દઢનિશ્ચયી ભક્તો મને સર્વ રીતે ભજે છે.

દ્રઢ વ્રત સાથે જે મનુષ્યના પાપ નષ્ટ થઈ ગયા છે. દ્વંદ્વ મોહથી રહિત આવા મનુષ્ય દ્રઢ વૃત્તિથી મારું ભજન કરે છે અને તેના દ્વંદ્વ સમાપ્ત થઈ જાય છે.

7.29

જરામરણમોક્ષાય, મામાશ્રિત્ય યતન્તિ યે।
તે બ્રહ્મ તદ્વિદુઃ(ખ્) કૃત્સ્નમ્, અધ્યાત્મં(ઙ્) કર્મ ચાખિલમ્॥૭.૨૯॥

જેઓ મારે શરણે થઈને જરા અને મરણમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે છે એ માણસો એ બ્રહ્મને, સમગ્ર અધ્યાત્મને તેમજ સંપૂર્ણ કર્મને ઓળખી લે છે.


 

વૃદ્ધાવસ્થા અને મરણથી મોક્ષ પામવા માટે જે મારો આશ્રય લઈને પ્રયત્ન કરે છે તે આ સંપૂર્ણ બ્રહ્મને, સંપૂર્ણ અધ્યાત્મને, સંપૂર્ણ કર્મને પણ જાણી લે છે. એવી એક ક્ષણ આવશે એક ક્ષણમાં પણ હું સમભાવમાં બની રહો. શરીરની પીડાને ભૂલી જાવ અને માત્ર આત્મતત્ત્વમાં જ નિમગ્ન થઈ જાઓ. એક ક્ષણ માટે મારી બધી જ સાધના સાથે આગળ વધી જાવ. તેવી વ્યક્તિ અંતિમ શ્વાસના સમયે સમત્ત્વના ભાવને લાવી શકે છે અને તેને કર્મ અને અધ્યાત્મની જાણકારી પણ પોતાની મેળે પ્રાપ્ત થાય છે.


7.30

સાધિભૂતાધિદૈવં(મ્) માં(મ્), સાધિયજ્ઞં(ઞ્) ચ યે વિદુઃ।
'પ્રયાણકાલેઽપિ ચ માં(ન્), તે વિદુર્યુક્તચેતસઃ॥૭.૩૦॥

જે માણસો અધિભૂત અને અધિદૈવ સહિત તેમજ અધિયજ્ઞ સહિત સૌના આત્માસ્વરૂપે મને અંતકાળેય ઓળખી લે છે, એ મારામાં ચિત્ત પરોવેલા માણસો મને જ ઓળખી લે છે એટલે કે પામી જાય છે.


જે મનુષ્ય  અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞ સાથે મને જાણે છે, જેમનું ચિત્ત મારામાં જ લાગેલું છે એવા મનુષ્ય અંતકાળે પણ મને જ જાણે છે, મને જ પ્રાપ્ત થાય છે. વૃદ્ધાવસ્થા અને મૃત્યુના દુઃખથી મુક્ત થવા માટે જે ભગવાનની શરણમાં જાય છે એ પરમાત્મતત્ત્વને ઓળખે છે, પોતાને પણ ઓળખે છે અને પોતાના કર્તવ્યકર્મોને પણ સારી રીતે જાણે છે. 

અધિભૂત એટલે આ સ્થૂળ સૃષ્ટિ. આ બધા અનંત બ્રહ્માંડ એ અધિભૂત છે.  અધિદૈવ એટલે કે સૃષ્ટિની રચના કરવાવાળા બ્રહ્માજી જેમાં રજોગુણની પ્રધાનતા છે અને અધિયજ્ઞ એટલે વિષ્ણુ કે જે અંતર્યામી, પૂર્ણ અને સર્વવ્યાપ્ત છે.

આ ત્રણેયને સમગ્ર ભાવથી સમજવું બહુ આવશ્યક છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેયને સમગ્રતાથી સમજીશું ત્યારે જઈને આપણે પૂર્ણતા સાથે આપણું તાદાત્મ્ય  સાધી શકીશું. અને ત્યારે જ તે પૂર્ણથી નવા પૂર્ણનું નિર્માણ કરી શકીશું અને તો જ એક શૂન્યમાંથી બીજા શૂન્યનું નિર્માણ થશે. અને ફરીથી તે શૂન્ય થઈ જાય છે અને વિલય થાય છે. 

पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते । 

पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते।


હરિ પ્રગટ થાય છે ફરી પ્રગટ થાય છે અને આ સંસાર એક તરફ ચાલ્યા રાખે છે. અને બીજી તરફ સદા સદા માટે તેના ચરણોમાં જઈને આપણે રોકાઈ જઈએ છીએ. અને આનાથી પણ વધારે વાત ભગવાન આઠમા અધ્યાયમાં કરશે કારણ કે ત્યાં અર્જુન તેમને પ્રશ્ન પૂછે છે, આ અધ્યાયમાં અર્જુન પ્રશ્ન પૂછતો નથી.

સુંદર સમજણ સાથે જ વિવેચન સત્રની સમાપ્તિ થઈ. પછી પ્રશ્નોત્તરીનું સત્ર ચાલુ થયું. 



                પ્રશ્નોત્તરી

સવાલ : ૧ વિદ્યાદીદી સોની
આપણે કહીએ છીએ કે મારે મોક્ષ જોઇએ છે, મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે પરંતુ ગીતા પરિવાર સાથે જોડાયા પછી મને મોક્ષ નથી જોઈતો. મારે ફરી-ફરી પૃથ્વી પર જન્મ લઈને ગીતા ભણવી છે, ભણાવવી છે અને જીવનમાં ઉતારવી છે. બધા પ્રત્યે મને પ્રેમની લાગણી થાય છે અને બધા માટે કંઈ કરી છૂટવાની, બધાંને મદદરૂપ થવાની ઈચ્છા થાય છે.
જવાબ :
આપણે મનુષ્ય દેહમાં છીએ. મનુષ્ય દેહમાં આનંદ પ્રાપ્ત કરતાં-કરતાં આ જ સર્વોત્તમ સુખ છે એવું લાગે છે. પ્રેમની ભાવના મનથી જોડાયેલી છે. પ્રકૃતિથી પ્રાપ્ત આ માનવદેહમાં આપણે છીએ. જેમ આપણે જૂનું ઘર છોડીને નવા ઘરમાં કે બંગલામાં રહેવા જઈએ તો આપણને લાગે કે બસ! હવે બીજું કોઈ નવું ઘર નથી જોઈતું. પરંતુ થોડા સમયમાં જ્યારે ખબર પડે કે આનાથી પણ મોટું અને સુંદર ઘર પ્રાપ્ત થઈ શકે છે તો ત્યાં રહેવા જવાનું સ્વપ્ન જોવા માંડીએ છીએ. એ જ રીતે જ્યારે આપણે સાધનાના માર્ગ પર આગળ ચાલીએ છીએ તો શરૂઆતમાં એમ લાગે છે કે ભગવાનની સેવામાં, આરાધના કરવામાં બહુ આનંદ આવે છે પરંતુ થોડા સમય પછી ભગવાનને પ્રેમ કરવાથી પણ વધુ આનંદદાયક એક વસ્તુ છે એ ખબર પડે છે. સાધના કરતાં-કરતાં એમ લાગવા માંડે છે કે આનાથી વધુ આનંદદાયક કંઈ નથી. એની સામે આપણા રસગુલ્લા, ગુલાબજાંબુ ફીક્કા લાગે છે એ ચોક્કસ છે. આ માર્ગ પર આગળ ચાલતા રહો, એક દિવસ એવો આવશે જ્યારે આપણને એ આનંદનો સ્વાદ રાખવા મળશે ત્યારે મનનો આ ભાવ પણ બદલાઈ જશે.

સવાલ :
મોક્ષ થયા પછી પણ સ્વર્ગમાંથી તો પાછું આવવાનું છે તો એના કરતાં તો નીચે જ સારા છીએ.
જવાબ :
તમારે કંઈ ગેરસમજણ થાય છે. મોક્ષ મળી જાય પછી પાછું આવું નથી પડતું, પરમપદ મળી જાય છે. સ્વર્ગમાં જઈએ તો પાછું આવવું પડે છે. મોક્ષ મળી જાય તો "પુનરપિ જનનમ્ પુનરપિ મરણમ્" વાળો કિસ્સો સમાપ્ત થઈ જાય છે. 
"ઈતના તો કરના સ્વામી જબ પ્રાણ તનસે નીકલે"
આ ભજનનો અર્થ સમજાઈ જાય તો તમને બધું સારી રીતે સમજાઈ જશે. આના પછીનો ૮મો અધ્યાય સાંભળ્યા પછી તમને વધુ સમજાશે.
પ્રશ્નોત્તરીનું સત્ર સમાપ્ત થયું. હનુમાન ચાલીસાના પઠન અને અંતિમ પ્રાર્થના સાથે વિવેચન સત્રની સમાપ્તિ થઈ.

                       ॥ ૐ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. ॥

ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે જ્ઞાનવિજ્ઞાનયોગો નામ સપ્તમોઽધ્યાયઃ॥૭॥