विवेचन सारांश
પ્રકૃતિ અનુસાર જ્ઞાન અને કર્મના ત્રણ પ્રકાર
દીપ પ્રાગટ્ય, મધુર પ્રાર્થના, મા સરસ્વતી, ભગવાન વેદ વ્યાસ , શ્રી જ્ઞાનેશ્વર મહારાજ અને પ.પૂ.ગોવિંદગિરિ સ્વામીના આશીર્વાદ સાથે નારાયણ પાઠ તથા હનુમાન ચાલીસાના પાઠ સાથે આજે આપણે મોક્ષસંન્યાસયોગ નામના અઢારમા અધ્યાયના મધ્ય ભાગના વિવેચન સત્રનો આરંભ કરીશું.
ભગવાનની મંગળમય કૃપાથી આપણે સહુ આપણા જીવનને કૃતાર્થ કરવા, સાર્થક કરવા ગીતાજીના અધ્યયન માટે અગ્રેસર થઈ ગયા છીએ. આપણા પૂર્વ જન્મના કોઈ સત્કર્મ, પૂર્વજોના સત્કાર્યથી કે ગુરુજનોના આશીર્વાદથી આપણને આ અવસર પ્રાપ્ત થયો છે.
बड़े भाग मानुष तन पावा। सुर दुर्लभ सद् ग्रन्थन गावा।।
દેવતાઓ માટે પણ દુર્લભ એવી આ કર્મયોનિમાં, મનુષ્યરૂપમાં આપણો જન્મ થયો છે.
ગીતા પરિવારના માધ્યમથી ગીતાજીનું અધ્યયન કરતાં-કરતાં આપણે છેલ્લા અઢારમા અધ્યાય સુધી પહોંચી ગયા છીએ. સંતો અને મહાપુરુષોએ કહ્યું છે કે ગીતા જેવો કલ્યાણકારી સુલભ, ગમ્ય(સમજાય એવો) બીજો કોઈ ગ્રંથ નથી. ફક્ત સાતસો શ્લોકોમાં આખા વિશ્વનું જ્ઞાન ભરી દીધું છે. વર્ષો સુધી મોટા મોટા ગ્રંથોમાં ના સમજાય એ બધી વાતો ગીતામાં સમજાઈ જાય છે.
સંપૂર્ણ ભગવદ્દગીતાના સારરૂપ આ અધ્યાય છે. આજે આપણે થોડું ઊંડાણથી સમજવા પ્રયત્ન કરીશું. અઢારમા શ્લોક સુધી આપણે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય વિષે જાણ્યું, કર્તા, કરણ અને કર્મ વિષે પણ જાણ્યું જે કર્મના સંઘટક છે. જ્ઞાતા, જ્ઞેય, કરણ છોડીને આગળ જ્ઞાન, કર્તા અને કર્મની વાત કરી છે.
18.19
જ્ઞાનં(ઙ્) કર્મ ચ કર્તા ચ, ત્રિધૈવ ગુણભેદતઃ।
પ્રોચ્યતે ગુણસઙ્ખ્યાને, યથાવચ્છૃણુ તાન્યપિ॥૧૮.૧૯॥
પ્રકૃતિમાં જડ, ચેતન બધી રચના સત્ત્વ, રજ અને તમ આ ત્રણ ગુણોથી થાય છે. એમના જુદા-જુદા પ્રમાણના સંયોજનોથી આપણા રંગ, રૂપ, સ્વભાવ, બુદ્ધિ, પસંદ, નાપસંદ બધું જુદું હોય છે. પૃથ્વી, આકાશ, પહાડ, નદી, વૃક્ષ, માણસ, પશુ, પક્ષી વગેરે સર્વ વસ્તુઓ આ ત્રણ તત્ત્વોથી જ બની છે.
જો હજાર સ્ત્રીઓને લોટ, બટાકા અને મસાલા આ ત્રણ પદાર્થ આપીને કોઈ વાનગી બનાવવાનું કહે તો હજાર જુદી જુદી વાનગી બની જશે. બધા રોટલી અને શાક જ બનાવે તો એ પણ જુદા જુદા જ હશે. પ્રકૃતિમાં પણ આવું જ થાય છે.
પ્રકૃતિના સત્ત્વ, રજ અને તમ આ ત્રણ ગુણોથી જ જ્ઞાન, કર્તા અને કર્મના ત્રણ પ્રકાર હોય છે. કયા ગુણની પ્રધાનતા વધારે છે, એ પ્રમાણે મનુષ્યનો સ્વભાવ બને છે. ફક્ત સાત્ત્વિક, રાજસી કે તામસી કોઈ મનુષ્ય નથી હોતો. બધામાં ત્રણ ગુણો જુદી-જુદી માત્રામાં હોય જ છે. કોઈ ગમે તેટલું સાત્ત્વિક હોય, એણે રાતના નિંદ્રા તો લેવી જ પડે છે, એ સમયે તમોગુણ ધારણ કરવો જ પડે છે.
આગળ ભગવાન જ્ઞાનના ત્રણ પ્રકાર બતાવે છે.
સર્વભૂતેષુ યેનૈકં(મ્), ભાવમવ્યયમીક્ષતે।
અવિભક્તં(વ્ઁ) વિભક્તેષુ, તજ્જ્ઞાનં(વ્ઁ) વિદ્ધિ સાત્ત્વિકમ્॥૧૮.૨૦॥
હે અર્જુન! જે જ્ઞાનથી જગતના સર્વ રૂપોમાં એક જ પરમાત્મા દેખાય છે, એને તું સાત્ત્વિક જ્ઞાન જાણ. જે જ્ઞાનથી જુદા-જુદા શરીરમાં જુદા-જુદા પ્રકારના જીવ દેખાય છે એ જ્ઞાનને તું રજોગુણી જાણ. જે જ્ઞાનથી મનુષ્ય તુચ્છ વસ્તુઓ અને કાર્યમાં આસક્ત રહે છે, એ જ્ઞાનને તું તમોગુણી જાણ.
જ્ઞાન મૂળરૂપથી બે જાતનું હોય છે. લૌકિક અને અલૌકિક વિદ્યાનું જ્ઞાન. લૌકિક એટલે જગતના વ્યવહારમાં કામ આવે એવી વિદ્યા અને અલૌકિક એટલે નવમા અધ્યાયમાં વર્ણવી છે એવી રાજવિદ્યા.
જ્ઞાન પ્રાપ્ત કરવાની રીત શું છે? ભગવાને જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન આ ત્રણ સ્થિતિ બતાવી. માની લો કે કોઈ બાળક દસમું પાસ કરે પછી એને કોઈ પૂછે કે તને શું બનવું છે? એ કહે કે મને વિમાનચાલક બનવું છે. અહીં બાળક જ્ઞાતા છે, વિમાનચાલક બનવું એ જ્ઞેય છે અને એ કેવી રીતે બનવાનું એ જાણવું એ જ્ઞાન છે. બનવાની ઈચ્છા કરનાર જ્ઞાતા, શું બનવું છે- એ જ્ઞેય, અને જ્ઞેયને પ્રાપ્ત કરવાની રીત એ જ્ઞાન.
સામાન્યતઃ જ્ઞાન ચાર રીતે મેળવાય છે. આ જ્ઞાન ક્યાં મળશે એ જાણી ત્યાં દાખલો લેવો, અને પ્રોફેસર આવીને ભણાવે એ સાંભળવું. નાના બાળક પણ સાંભળીને જ શીખે છે. આ જ્ઞાનનું પહેલું સ્તર છે. લૌકિક કે અલૌકિક જ્ઞાન પ્રાપ્તિનું પહેલું સાધન શ્રવણ છે.
પછી પ્રોફેસર કહેશે કે આજે મેં કહ્યું એ અને કાલે જે વિષય પર જાણીશું એ બધું આ પુસ્તકમાંથી વાંચીને આવજો. ખાલી સાંભળવાથી જ્ઞાન સીમિત માત્રામાં આવે છે. જ્યાં સુધી એના પર સ્વાધ્યાય ના કરો ત્યાં સુધી એ જ્ઞાનમાં ઊંડાણ નથી આવતું. લૌકિક કે અલૌકિક જ્ઞાન પ્રાપ્તિનું બીજું સાધન પુસ્તકોથી સ્વાધ્યાય કરવાનું છે.
છ મહિના પછી પ્રોફેસર કહેશે કે હવે આપણે આ વિષય પર પ્રયોગ કરીશું. એને વિમાનમાં જઈને મુખ્ય વિમાનચાલક પાસેથી પ્રાયોગિક જ્ઞાન મેળવવાનું અને એની સાથે કામ કરવાનું કહેવામાં આવે છે. ફક્ત સાંભળવાથી અને વાંચવાથી વિમાન ઉડાવી શકાતું નથી. વરિષ્ઠ લોકોને કામ કરતા જોવાથી અને એમની સાથે કામ કરવાથી જ આ શક્ય બને છે. ધીમે-ધીમે નિયમાનુસાર શીખતાં-શીખતાં જ દક્ષતા આવે છે અને પ્રોફેસર એને પ્રમાણપત્ર આપે છે. માની લો, કે આ પ્રક્રિયામાં પાંચ વર્ષ લાગ્યા. પાંચ વર્ષ પહેલા એ જ્ઞાતા હતો, વિમાનચાલક બનવું એ જ્ઞેય અને પાંચ વર્ષમાં એણે જે પ્રાપ્ત કર્યું એ જ્ઞાન છે.
આના પછી એ વિમાનચાલક તરીકે કામ કરવાનું શરુ કરે છે, ત્યારે બધા એને એના નામથી કે જાતિથી નહીં પણ એ વિમાનચાલક છે, એમ ઓળખે છે. જ્ઞાતા પાસે પાંચ વર્ષ પહેલાનું એનું જે જ્ઞેય હતું, એ જ રહ્યું. જ્ઞાતા કે જ્ઞાન કશું ના રહ્યું, એ ફક્ત વિમાનચાલક બની ગયો, ફક્ત જ્ઞેય બચ્યું. અહીં જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય બધું જ જ્ઞેય- વિમાનચાલક બની ગયું. જયારે જ્ઞેય પ્રાપ્ત થઈ જાય ત્યારે જ્ઞાતા અને જ્ઞાનનો લોપ
થઈને ફક્ત જ્ઞેય બચે છે.
ભક્ત, ભક્તિ અને ભગવાન- જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન એ ત્યાં સુધી છે, જ્યાં સુધી તમે લક્ષ્ય પર નથી પહોંચતા. જેવું લક્ષ્ય પર પહોંચીએ કે ભક્ત જે જ્ઞાતા છે, ભક્તિ જે જ્ઞાન છે અને જ્ઞેય જે ભગવાન છે, એ બધું એક જ- જ્ઞેય બની જાય છે.
सोई जानहि जेहि देहु जनाई, जानत तुम्हहि तुम्हइ होइ जाई।
ભક્તની ભક્તિ સિદ્ધ થઈને એ ભગવાનને પ્રાપ્ત કરે પછી કશું નથી રહેતું, ફક્ત ભગવાન રહે છે.
जब मैं था तब हरि नहीं अब हरि है मैं नाहीं ।
प्रेम गली अति सांकरी जामें दो न समाहीं ॥
લૌકિક જ્ઞાનની પૂર્ણતાની સ્થિતિમાં જ્ઞાતા અને જ્ઞાન, જ્ઞેય બની જાય છે, ભક્ત અને ભક્તિ, ભગવાન બની જાય છે.
અલૌકિક જ્ઞાનના સંદર્ભમાં સમયાવધિની કોઈ ગણત્રી નથી રહેતી. ગયા જન્મમાં શું કર્યું, એ આપણને ખબર નથી. કોઈ બહુ સહેલાઈથી જ્ઞાન પ્રાપ્ત કરી લે છે, કોઈને વધારે સમય લાગે છે. આ પૂર્વ જન્મના કર્મોની અસર છે. ક્યારેક સાત વર્ષનો બાળક ગીતા વાંચી લે છે અને એવું પણ બને છે કે સિત્તેર વર્ષની વ્યક્તિએ ગીતા પકડી જ નથી. એમાં કોઈ સારું કે ખરાબ નથી. વ્યક્તિ પોતાની યાત્રાના કયા સ્તર પર છે, એના પર બધો આધાર છે. પહેલી કક્ષાના વિદ્યાર્થીને સાતમી કક્ષામાં, કે સાતમી કક્ષાના વિદ્યાર્થીને પહેલી કક્ષામાં બેસાડો, તો, બંને કંટાળી જવાના છે. પહેલી કક્ષાના બાળકને એના પ્રમાણે ભણાવો તો એ
આનંદથી ભણશે. એ જ વસ્તુ સાતમી કક્ષાના વિદ્યાર્થી માટે કંટાળાજનક છે, પણ એ પણ પહેલાં આ જ ભણ્યો હતો, એ ભૂલી જાય છે. દરેકને પોતાના સ્તર પ્રમાણે શીખવાનું ગમે છે.
જ્ઞાનનું આચ્છાદન પણ જુદું-જુદું હોય છે. આદિ ગુરુ શંકરાચાર્યએ નવ વર્ષની ઉંમરમાં સંન્યાસ લઈ લીધો હતો. 32 વર્ષની ઉંમરમાં એમણે આખા ભારતમાં લોકોને બૌદ્ધ ધર્મથી સનાતન ધર્મમાં ફેરવી દીધા. એ સોળ વર્ષના થયા ત્યારે સંપૂર્ણ ભારતમાં એમના જેટલું કોઈ જ્ઞાની નહોતું. બુદ્ધના વિષયમાં આ જુદું છે. સિદ્ધાર્થને વીસ વર્ષે એમને બાળક થઈ ગયું ત્યાં સુધી ચેતના નહોતી આવી. પણ અચાનક એક રાતના એમણે સંન્યાસ લઈ લીધો. જે બુદ્ધત્ત્વ શંકરાચાર્યને સાત વર્ષે પ્રાપ્ત થયું એ સિદ્ધાર્થને બાવીસ વર્ષે પ્રાપ્ત થયું. પૂર્ણતા બંનેએ પ્રાપ્ત કરી, પણ એમના સમય જુદા હતા. આ જ્ઞાનનું આચ્છાદન છે. કોઈને કયા સમયે જ્ઞાન કેવી રીતે ઉપલબ્ધ થાય છે, એ જુદું હોઈ શકે છે.
કોઈ બાળકો ગીતાની અંતાક્ષરી રમે છે, કોઈ સિત્તેર વર્ષે ગીતા વિચક્ષણની પરીક્ષા આપે છે. મોડેથી જાગે, પણ જાગતાની સાથે જ જ્ઞેય પાછળ દોડવા માંડે.
જ્ઞાતા, જ્ઞાન, જ્ઞેય; ભક્ત, ભક્તિ, ભગવાન; અને ધ્યાતા, ધ્યાન, ધ્યેય. જેનું જ્ઞાન પૂરું થયું એ જ્ઞાની થઈ ગયો, જેની ભક્તિ પૂરી થઈ ગઈ એ ભગવાન થઈ ગયો અને જેનું ધ્યાન પૂરું થયું એ ધ્યાની થઈ ગયો.
જ્યાં સુધી મનુષ્ય અભ્યાસી છે, ત્યાં સુધી એ ભક્ત નથી, એ વિભક્ત છે. ભક્ત તો એ છે જે જોડાઈ ગયો. જે હજુ જોડાયો નથી એ વિભક્ત છે.
જ્ઞાનના સાત સ્તર હોય છે.
કોઈ કહે કે ગીતા ધાર્મિક પુસ્તક છે. આ પ્રથમ સ્તર છે.
કોઈએ કહ્યું ગીતા મહાભારતનો ભાગ છે, આ બીજું સ્તર છે.
કોઈ કહે કે કૃષ્ણએ અર્જુનને, કોઈ કહે કે વૈશમ્પાયન મુનિએ અર્જુનના પપૌત્ર જન્મેજયને, કોઈ કહે કે સૂતજીએ શૌનકજીને, કોઈ કહે કે સંજયે ધૃતરાષ્ટ્રને, કોઈ કહે વેદ વ્યાસજીએ ગણેશજીને ગીતા સંભળાવી. આ ત્રીજું સ્તર છે.
કોઈ કહે કે આ વાત એટલી મહત્ત્વની નથી. મહત્ત્વનું એ છે કે ગીતા સાક્ષાત ભગવાનની વાણી છે. આ ચતુર્થ સ્તર છે.
કોઈ કહે છે કે ગીતા વેદોનો સાર છે. આ પાંચમું સ્તર છે.
કોઈ કહે છે કે સાર તો છે, પણ એ છે શું? સાર એ છે કે આત્માનું કલ્યાણ કરો. આ છઠ્ઠું સ્તર છે.
ગુરુજી જેવા સંત કહે કે આ બધું તો ઠીક છે, પણ ગીતા ધર્મમાં અમૃત સમાન છે. આ સાતમું સ્તર છે.
આની પ્રાપ્તિ આપણને નથી થઈ. કોઈ સિદ્ધ પુરુષને જ આ સ્તર પ્રાપ્ત થાય છે. આ સાતેય લોકો જ્ઞાની છે, પણ એમના જ્ઞાનની સ્થિતિ જુદી જુદી છે.
આ લૌકિક જ્ઞાનની વાત થઈ. હવે અલૌકિક જ્ઞાનની વાત જોઈએ.
જેમ ભગવદ્દગીતા શ્રીકૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે, એમ યોગવાસિષ્ઠ જ્ઞાનમાર્ગનો સર્વોત્કૃષ્ટ ગ્રંથ છે. આ શ્રી રામ અને મહાત્મા વસિષ્ઠનો સંવાદ છે, બહુ જ ગૂઢ છે. જેમ ગીતા મહાભારતનો ભાગ છે, એમ યોગવાસિષ્ઠ વાલ્મિકી રામાયણનો ભાગ છે. ગીતામાં મોહમાં ગ્રસિત અર્જુન પ્રશ્ન કરે છે અને કૃષ્ણ ઉત્તર આપે છે, જયારે યોગવાસિષ્ઠમાં રામ પ્રશ્ન કરે છે અને ગુરુ વસિષ્ઠ ઉત્તર આપે છે. ભગવાન પ્રશ્ન કરે એનું સ્તર કેવું હશે? એટલે ગીતામાં ઉત્તર વિશિષ્ટ છે, જયારે યોગવાસિષ્ઠમાં પ્રશ્ન વિશિષ્ટ છે.
ઉર્દુમાં ત્રણ સરસ શબ્દો છે. આલીમ, આમીલ અને કામિલ. આલીમ એટલે જે અલ્મ છે, ભણેલો છે. આમીલ એટલે અમલ કરવાવાળો. ભણ્યો કદાચ ના હોય પણ કામ સરસ કરે, જેને આપણે કારીગર કહીએ છીએ. કામિલ એટલે જે ભણ્યો છે, કામ પણ કરી શકે છે અને એ બીજાને ભણાવી પણ શકે છે. શ્રીરામ આવા કામિલ છે. આ ગ્રંથ થોડો શુષ્ક છે. પ.પૂ. ગુરુજીના આના પર ઘણા વ્યાખ્યાન છે. શ્રી રામજીએ એમાં દોષોની ચર્ચા કરી છે. ધનના, સ્ત્રીઓના, બાળકોના, શરીરના વગેરેના દોષો પર ચર્ચા કરી છે.
શ્રોતા-વક્તાની દ્રષ્ટિથી જે બે ગ્રંથ ભગવદ્ગીતા સમાન મનાય છે, એ યોગવાસિષ્ઠ અને અષ્ટાવક્રગીતા છે. આ બંને જ્ઞાનમાર્ગના સર્વોત્તમ ગ્રંથ મનાય છે.
યોગવાસિષ્ઠમાં ગુરુ વસિષ્ઠે જ્ઞાન પ્રાપ્ત કરવાની સાત ભૂમિકાઓ બતાવી છે.
ગુરુ કહે છે, રામ! જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સાત ભૂમિકા જરૂરી છે.
1) શુભેચ્છા- મનમાં જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા આવવી. જપ, તપ, પઠન વગેરે શીખવાની કે કરવાની માટેની સ્ફુરણા જાગવી. ઘણી વાર વર્ષો સુધી એના પર કામ થતું નથી, પણ આ ઈચ્છા ના થાય ત્યાં સુધી કોઈ કામ થતું જ નથી.
2) વિચારણા- જે પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ એને સંબંધિત વિચારો આવવા લાગે. કોઈ ગૃહિણીને રસોઈના વિચારો આવે, ધંધો કરનારના મગજમાં એના જ વિચારો આવે છે. આ જ રીતે ભગવદ્ કૃપાથી જયારે કોઈ ઈચ્છા જાગે ત્યારે મનમાં વિચારો ચાલુ થાય છે. હું કોણ છું, મને આ જીવન કેમ મળ્યું છે, મારુ ગંતવ્ય શું છે, વગેરે. શાસ્ત્ર કે ગુરુનો આશ્રય પામવાની ઈચ્છા જાગૃત થાય છે. આ વિચારણાની સ્થિતિ છે, પરંતુ હજુ આ બધું મનમાં જ છે.
3) તનુમાનસા- જયારે આ વિચારો મનમાંથી બહાર આવે ત્યારે એ સ્થિતિ તનુમાનસા છે. હવે શરીર સાથે જોડાયેલી વાતોની વિરક્તિ આવવા લાગે છે, ખાવા, પીવા, સૂવા કશાની ચિંતા નથી રહેતી, બસ, વિચારોની ધૂન લાગી જાય છે. આપણે પણ આ વિવેચનમાં બેઠા છીએ એટલે એ જ સ્થિતિમાં છીએ. તન, મનની ઉપેક્ષા થવા માંડે છે, એના પર વિરક્તિ આવતી જાય છે.
4) સત્વાપત્તિ- આ સ્થિતિમાં સત અને અસતની જાગૃતિ આવે છે. આપણે L 4 માં પહોંચ્યા છીએ તો હવે અહીં પહોંચવું જોઈએ. સતનું આકર્ષણ અને અસતનું વિકર્ષણ થવું જોઈએ. લોકોને થાય છે કે પહેલાં તો ટી.વી., મોબાઈલ, વાતો કરવામાં, વગેરે દુન્યવી અને નકામી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતો હતો, પણ હવે એવું નથી થતું. એની જાતે જ સતમાં મન લાગીને અસતમાંથી દૂર થતું જાય છે.
5) અસંસક્તિ- હવે મનુષ્ય બીજા લોકો માટે, બાળકો માટે બહાર જાય છે, ફરવા જાય છે, પણ એને પોતાને એમાં કોઈ આનંદ કે શોક નથી. વ્યવહાર માટે કરી લે, પણ સાંસારિક ક્રિયાઓમાં કોઈ રુચિ નથી રહેતી. કાર્ય કર્યા પછી પણ એમાં કોઈ રુચિ નથી. સરસ ખાવાનું છે તો હું વધારે ખાઈ લઉં એવું મન હવે નથી થતું. સારું કે ખરાબ જેવું બન્યું હોય એ ક્ષુધા તૃપ્તિ જેટલું ખાઈ લે છે.
આની ઉપરના ચરણ અઘરા છે. સાધના માર્ગમાં અસંસક્તિ સુધી પહોંચવું વધારે અઘરું નથી. થોડા ધ્યાનથી અભ્યાસ કરવાથી અહીં સુધી પહોંચી શકાય છે. આગળની સ્થિતિ દુર્લભ છે. આપણે ત્રીજા, ચોથા અને પાંચમા ચરણમાં ફરીએ છીએ. ત્રીજી સ્થિતિમાં વધારે હોઈએ છીએ. ચોથા, પાંચમા ચરણમાં પણ થોડું હોઈએ છીએ. જ્યાં સુધી પાંચમી સ્થિતિ મજબૂત ના થાય ત્યાં સુધી છઠ્ઠી સ્થિતિ પર જવું સંભવ નથી. આ બધી સ્થિતિમાં 25 % આવી જાઓ તો આગળની સ્થિતિમાં પહોંચી શકીએ છીએ, પણ છઠ્ઠી સ્થિતિ એકદમ ઉપરની સ્થિતિ છે.
6) પદાર્થ અભાવની- અહીં જ્ઞેય અને ધ્યેય કેવળ પરમાત્મા છે. સંસારના પદાર્થોનું દર્શન જ નથી, એટલે પદાર્થ અભાવની. સ્વામી રામતીર્થ બેઠા હતા અને અચાનક કાળા વાદળ આવી ગયા. શિષ્યોએ કહ્યું, બહુ જ કાળા વાદળ આવી ગયા છે. સ્વામીજી ઉપર વાદળોને જોઈને રડવા લાગ્યા. શિષ્યો આશ્ચર્યમાં આવીને પૂછવા લાગ્યા કે શું થયું? એ કહેવા લાગ્યા કે કન્હૈયો કેટલો સુંદર દેખાય છે. એમને વાદળ નથી દેખાતા એમાં કૃષ્ણ જ દેખાય છે. સંસારના બધા જ પદાર્થમાં કેવળ પરમાત્મા જ દેખાય છે.
सिय राम मय सब जग जानी, करहु प्रणाम जोरी जुग पानी ॥
આખો સંસાર સીતા રામ રૂપ છે. દુન્યવી પદાર્થોમાં ફક્ત પરમાત્મા જ દેખાય છે. વશિષ્ઠ ઋષિકહે છે, રામ, આ સ્થિતિ પછી અંતિમ સ્થિતિ આવે છે, તુર્યગા.
7) તુર્યગા- આ સ્થિતિ શબ્દોમાં વર્ણવવી શક્ય નથી. આ શબ્દાતીત સ્થિતિ છે. આ અનુભવગમ્ય સ્થિતિ છે. રસગુલ્લાનું વર્ણન કરવાથી એનો સ્વાદ ખબર ન પડે, એના માટે એને ખાવું જ પડે. આ જ રીતે
જ્ઞાનની અંતિમ સ્થિતિ કહીને ન સમજાવી શકાય, એને અનુભવવી જ પડે.
જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ, શરીરની આ ત્રણ અવસ્થા છે. જાગીએ,સ્વપ્ન જોઈએ અને ખૂબ જ ગાઢ નિંદ્રામાં હોઈએ તે સુષુપ્તિની સ્થિતિ. તુર્યગા એ જાગૃત અવસ્થાની અનુભવની સ્થિતિ છે.
ગરુડજીએ કાકભુસુંડીજીને પ્રશ્ન કર્યો કે જ્ઞાનનો દીવો કેવી રીતે પ્રગટાવાય? ગોસ્વામીજીએ આનું બહુ સરસ વર્ણન કર્યું છે,
सात्विक श्रद्धा धेनु सुहाई। जौं हरि कृपाँ हृदयँ बस आई॥
जप तप ब्रत जम नियम अपारा। जे श्रुति कह सुभ धर्म अचारा॥
જો સાત્ત્વિક શ્રદ્ધારૂપી ગાય પ્રાપ્ત કરે અને અસંખ્ય જપ, તપ, નિયમ, વ્રત, આચારથી એનું પોષણ કરે, તો શ્રદ્ધા વધતી જશે.
तेइ तृन हरित चरै जबaगाई। भाव बच्छ सिसु पाइ पेन्हाई।।
नोइ निबृत्ति पात्र बिस्वासा। निर्मल मन अहीर निज दासा।।
જો આ ગાય ચરે નહીં, એટલે કે આ બધું ના કરી શકાય તો આસ્તિક ભાવનું વાછરડું એની પાસે લાવો. આસ્તિક ભાવ આવતાં ગાય જાતે જ શ્રદ્ધાનું દૂધ આપવા લાગશે. ગાયને દોહતી વખતે એ લાત ના મારે એટલે એક નાની દોરી- નોઈ એના પાછળના પગમાં બાંધવામાં આવે છે. આપણે પણ આ શ્રદ્ધારૂપી ગાયને દોહવા વિષયોને બાંધવા પડશે અને વિશ્વાસના પાત્રમાં ગાય દોહવી પડશે. મનને વશમાં કરવું પડશે.
परम धर्ममय पय दुहि भाई। अवटै अनल अकाम बनाई।।
तोष मरुत तब छमाँ जुड़ावै। धृति सम जावनु देइ जमावै।।
આ રીતે સાત્ત્વિક શ્રદ્ધારૂપી ગાયથી પરમ ધર્મમાં પ્રવૃત્ત થઈને મેળવેલા શ્રદ્ધાભાવને નિષ્કામરૂપી ભાવાગ્નિ પર ગરમ કરીને સંતોષ અને ક્ષમારૂપી હવાથી ઠંડુ કરવું પડશે. ધૈર્ય અને મનના વિગ્રહરૂપી મેળવણથી શ્રદ્ધાને મેળવવું પડશે.
मुदिताँ मथै बिचार मथानी। दम अधार रजु सत्य सुबानी।।
तब मथि काढ़ि लेइ नवनीता। बिमल बिराग सुभग सुपुनीता।।
અધ્યાત્મ પર ચાલવાવાળા લોકો ઘણી વાર હસવાનું ભૂલી જાય છે. ગોસ્વામીજી કહે છે, પ્રસન્નતાથી તત્ત્વજ્ઞાનને મથો અને એના પછી વૈરાગ્યનું સુંદર માખણ નીકળશે. વૈરાગ્ય પ્રસન્નતા વગર નથી આવતો. લોકોથી દુઃખી થઈને ઋષિકેશ જવાથી વૈરાગ્ય નથી આવતો. ઘરમાં પ્રસન્નતાથી રહેવાથી સાચો વૈરાગ્ય પ્રાપ્ત થાય છે, વિક્ષિપ્તતાથી આવેલો વૈરાગ્ય ટકતો નથી.
जोग अगिनि करि प्रगट तब कर्म सुभासुभ लाइ।
बुद्धि सिरावै ग्यान घृत ममता मल जरि जाइ।।
યોગરૂપી અગ્નિ પ્રગટાવીને બધા શુભ અશુભ કર્મોનું ઈંધણ એમાં નાંખવાથી મમતારૂપી કચરો બળી જાય છે અને શુદ્ધ જ્ઞાનરૂપી ઘી પ્રાપ્ત થાય છે.
तब बिग्यानरूपिनी बुद्धि बिसद घृत पाइ।।
चित्त दिया भरि धरै दृढ़ समता दिअटि बनाइ।।
વિજ્ઞાનરૂપી બુદ્ધિથી નિર્મળ ઘી મેળવીને, ચિત્તરૂપી દીવામાં સમતાની દિવેટ બનાવીને જ્ઞાનરૂપી દીવો પ્રગટાવો.
ભગવાન કહે છે, અર્જુન ત્રણ પ્રકારના જ્ઞાન છે. સત્ત્વગુણી જ્ઞાની, રજોગુણી જ્ઞાની અને તમોગુણી જ્ઞાની.
તુરીય જ્ઞાન કેવું હોય એની દ્રષ્ટાંત કથા જોઈએ.
ગુરુ નાનકદેવજી ગામ-ગામ ફરતા રહેતા, પણ ગામની અંદર જતા નહીં અને એક ગામમાં એક રાતથી વધારે રહેતા નહીં. એક ગામમાં પહોંચ્યા અને કોઈએ એમને ભિક્ષા આપીને પૂછ્યું કે મહારાજ કોઈ સારું
ગામ બતાવો. નાનકજીએ પૂછ્યું કે કેમ, શું વાત છે? એણે કહ્યું આ ગામમાં લોકો સારા નથી, બહુ ઝગડા કરે છે. નાનકજીએ કહ્યું, આ ગામ બરાબર છે, બાકી જગ્યાએ વધારે ઝગડા છે, અને એ બીજા ગામ જતા રહ્યા. નાનકજીના બાલા અને મર્દાના નામના બે શિષ્ય સાથે હતા. બાલાએ કહ્યું કે એને બીજું કોઈ ગામ બતાવી દેવું હતું ને. નાનકજીએ કોઈ જવાબ ના આપ્યો.
બીજા ગામ પહોંચ્યા, એ ચોર ડાકુનું ગામ હતું. સરદારને જેવી ખબર પડી કે બહાર સાધુ આવ્યા છે, કે એ ત્યાં ગયો અને કહ્યું કે અમે કોઈ ભિક્ષા આપવાના નથી. આવ્યા એવા જ જતા રહેજો. અમે બધાને લૂંટીએ છીએ, તું અમને લૂંટવા આવ્યો છે? નાનકજીએ આગળ જઈને એમને આશીર્વાદ આપ્યા કે તમે અહીં આ ગામમાં જ રહો અને ખૂબ ફળો, ફૂલો. તમારે ક્યાંય જવું ના પડે. શિષ્યોને થયું કે ગુરુજી કેટલા મહાન છે.
ત્રીજા ગામ પહોંચ્યા ત્યાંના લોકો બહુ સાત્ત્વિક હતા. દરેક વ્યક્તિ નાનકજીના દર્શન કરવા આવી અને એમની સેવા કરી, સત્સંગ સાંભળ્યો. બીજા દિવસે એમને જવાથી રડવા લાગ્યા અને રોકવા લાગ્યા. નાનકજીએ કહ્યું કે જવું તો પડશે. આગળ જઈને આશીર્વાદ આપ્યા કે તમે બધા છૂટા પડી જાઓ અને ફેલાઈ જાઓ. શિષ્યો દુઃખી થઈ ગયા કે ગુરુજીએ ચોરને તો સાથે રહેવાના આશીર્વાદ આપ્યા અને સાત્ત્વિક લોકોને છૂટા પડવાના આશીર્વાદ આપ્યા.
શિષ્યોએ કહ્યું ગુરુજી ત્રણ ગામમાં તમે ત્રણ જુદી વાતો કરી, પણ એનું કારણ સમજાયું નહીં, અમને સમજાવો. નાનકજીએ કહ્યું કે પહેલા ગામનો વ્યક્તિ પોતે જ બહુ ઝગડાળુ હતો. ત્યાંના લોકો તો એને સહન
કરવાનું શીખી ગયા હતા. બીજા ગામમાં મોક્લતે તો ત્યાંના લોકોને હેરાન કરત.
બીજા ગામના ચોર બીજે જાત તો ત્યાં પણ ચોરી કરતે, એના કરતા બધા અહીં એક જ જગ્યાએ રહે તો બીજે ક્યાંય કોઈને પજવે નહીં.
આટલા સજ્જન લોકો એક સાથે રહે એના કરતાં ફેલાઈ જાય તો બધે સજ્જનતા અને સાત્ત્વિકતા ફેલાવે. બધે સત્સંગ અને સ્વર્ગ ફેલાવી દે, એટલે એમને છૂટા પડવાના આશીર્વાદ આપ્યા. આનાથી હજારો લોકોનું
કલ્યાણ થશે.
સામાન્ય વ્યક્તિ અને જ્ઞાની વ્યક્તિના વિચારવામાં ફેર હોય છે. ક્યારેક સામાન્ય લોકોને જ્ઞાની લોકોની વાત સમજાય નહીં કે ખોટી લાગે, પણ જ્ઞાની જયારે એ વાત સમજાવે ત્યારે સમજ પડે. આ સાત્ત્વિક જ્ઞાન છે. એ હંમેશા બધાના કલ્યાણની ભાવના રાખે છે.
પૃથક્ત્વેન તુ યજ્જ્ઞાનં(ન્), નાનાભાવાન્પૃથગ્વિધાન્।
વેત્તિ સર્વેષુ ભૂતેષુ, તજ્જ્ઞાનં(વ્ઁ) વિદ્ધિ રાજસમ્॥૧૮.૨૧॥
રાજસી જ્ઞાન કેવું હોય?
એક હીરાનો વેપારી હતો સત્ત્વગુણી હતો. એને સત્તર વર્ષનો એક પુત્ર હતો. એક વાર અચાનક વેપારી માંદો પડ્યો અને એને થયું કે હવે તે બચશે નહીં. પોતાના પુત્રને એક પોટલી આપી કે આ હીરાની પોટલી છે, તારું જીવન સારી રીતે પસાર થઈ જશે. જરૂર પડે ત્યારે કાકા પાસે આ લઈને જતો રહેજે. એના કાકા પણ સારા હતા અને હીરાના વેપારી હતા.
ત્રણ ચાર મહિના પછી પૈસા ખલાસ થયા અને એ પોટલી લઈને કાકા પાસે ગયો અને પિતાજીએ એમની પાસે આવવાનું કહ્યું હતું તે કહ્યું. કાકાએ હીરાની પોટલી લઈ હીરા ચકાસ્યા અને કહ્યું અત્યારે શ્રાદ્ધ ચાલે છે, આ સમયે લોકો નવો સામાન ખરીદે નહીં, હમણાં હીરા તારી પાસે જ રાખ. તું મારો ભત્રીજો છે, કાલથી દુકાન પર આવ અને કામ શીખ. કાકાએ એને બધું કામ શીખવાડ્યું. ત્રણ મહિનામાં તો એ લે-વેચ પણ કરવા લાગ્યો. પછી કાકાએ કહ્યું કે હવે તારે તારા હીરા વેચવા હોય તો ભાવ સારો આવશે. કાલે લઈ આવજે. એણે ઘરે જઈને પોટલી કાઢી અને કેમકે હવે એને ખબર પડતી હતી તો એણે જોયું કે એ હીરા નહીં પણ કાચના ટુકડા હતા. રાતના ઊંઘ ન આવી. બીજા દિવસે ઉદાસ મનથી કાકા પાસે જઈને બધી વાત કરી. કાકાએ કહ્યું કે મને ખબર છે પણ એ દિવસે તને કહેત તો તને મારા પર વિશ્વાસ ન આવત એટલે તને કામ શીખવાડ્યું. પણ તારા પિતાજી બહુ સારા હતા એમણે જે કર્યું છે એમાં કાંઈ રહસ્ય હશે. હવે તો તને આવડી ગયું છે, તું જાતે જ કમાઈ લઈશ. કાલથી તું આવીને ગાદી પર બેસજે. આ દુકાન તારી જ છે. ભત્રીજો ખુશ થયો પણ પિતાજીના વ્યવહારથી થોડો નાખુશ પણ હતો.
બીજા દિવસે એણે એની માને કહ્યું કે આજે મારે ગાદી પર બેસવાનું છે, તો હું પિતાજીનો કુર્તો પહેરીને જાઉં. કાકા પણ કુર્તો પહેરીને જ આવે છે. જેવો કુર્તો લીધો કે એણે જોયું કે બધા બટન હીરાના હતા. એણે માને પૂછ્યું કે પિતાજી પાસે કેટલા કુર્તા હતા. માએ કહ્યું કે 30-40 તો હશે જ. એણે જોયું કે બધા પર હીરાના બટન હતા. એણે જઈને કાકાને વાત કરી. કાકાએ કહ્યું કે તારા પિતા બુદ્ધિમાન હતા. જો તને પહેલાં જ હીરા આપી દીધા હોત તો તું આળસુ થઈ જાત અને કામ શીખત નહીં. આ છુપાવીને મરણ પછી જીવનયાપન માટે આપેલું જ્ઞાન છે. આ રજોગુણી જ્ઞાન છે.
યત્તુ કૃત્સ્નવદેકસ્મિન્, કાર્યે સક્તમહૈતુકમ્।
અતત્ત્વાર્થવદલ્પં(ઞ્) ચ, તત્તામસમુદાહૃતમ્॥૧૮.૨૨॥
તમોગુણી જ્ઞાન કેવું હોય છે?
એક પોપટ શિકારીના ત્રાસથી બીજા જંગલમાં ગયો. ત્યાં એને કબૂતરનું ઝુંડ મળ્યું. એણે પૂછ્યું કે તમે આટલા બધા એક સાથે કેવી રીતે છો? અહીં શિકારી નથી આવતા? અમારે ત્યાં તો 10-15 પોપટ અને બીજા થોડા પક્ષી જ બચ્યા છે. એક વૃદ્ધ કબૂતરે કહ્યું કે હું તને એક મંત્ર આપું છું, એ જઈને બધા પક્ષીઓને આપજે. આ મંત્રથી જ કોઈ શિકારી અમને નથી પકડતો, તમને પણ નહીં પકડી શકે. હું જે બોલું તે મારી પાછળ બોલજે. કબૂતરે કહ્યું, શિકારી આવશે, જાળ પાથરશે, દાણા નાંખશે, ફસાશો નહીં. એણે પોપટને દસ વાર બોલાવ્યુ અને કહ્યું કે હવે તું બધાને શીખવાડી દે જેથી કોઈ ફસાય નહીં.
બીજા દિવસે શિકારીનો બાળક આવ્યો. બધા મંત્ર બોલવા લાગ્યા. શિકારીનો બાળક પાછો જતો રહ્યો. પક્ષીઓ ખુશ થઈ ગયા કે મંત્ર કામ કરે છે. બીજા દિવસે શિકારીનો બાળક પાછો આવ્યો અને એનું એ જ પાછું થયું. શિકારીએ એને પૂછ્યું, કે તું બે દિવસથી આમ જ કેમ પાછો આવે છે? એણે શિકારીને આખી વાત સમજાવી. શિકારીએ પૂછ્યું કે પહેલાં કોણ બોલે છે? બાળકે કહ્યું કે પોપટ બોલે છે. શિકારીએ કહ્યું કે તો કોઈ ચિંતા નથી. આ તો પોપટીયું જ્ઞાન છે. કાલે એ લોકો બોલતા રહેશે, તું જાળ પાથરી દેજે. બાળકે જાળ પાથરીને દાણા નાખ્યા. પક્ષીઓ મંત્ર બોલી રહ્યા છે કે ફસાશો નહીં પણ એ પોપટ બોલતાં-બોલતાં દાણા લેવા ગયો અને ફસાઈ ગયો. પોપટ સાંભળે છે પણ સમજતો નથી. આપણે પણ તો એ જ કરીએ છીએ! બોલતા રહીએ છીએ અને ન કરવાના કામ કરતા રહીએ છીએ.
पर उपदेश कुशल बहुतेरे। जे आचरहिं ते नर न घनेरे ।।
આ તમોગુણી જ્ઞાન છે, જે ફક્ત શબ્દોમાં રહે છે. જીવનમાં આવતું નથી.
નિયતં(મ્) સઙ્ગરહિતમ્, અરાગદ્વેષતઃ(ખ્) કૃતમ્।
અફલપ્રેપ્સુના કર્મ, યત્તત્સાત્ત્વિકમુચ્યતે॥૧૮.૨૩॥
જે પમાણે જ્ઞાન ત્રણ પ્રકારના છે, એ જ રીતે કર્મ પણ ત્રણ પ્રકારના છે.
જે કર્મ શાસ્ત્ર વિધિથી નિયત થયેલા છે, કર્તુત્ત્વ અને ફળની આકાંક્ષાના ભાવથી રહિત છે, રાગ અને દ્વેષની ભાવના વગર કરવામાં આવે છે એ કર્મ સાત્ત્વિક છે. એટલે સાત્ત્વિક કર્મમાં ત્રણ વાત હોવી જોઈએ.
1) શાસ્ત્ર વિધિથી નિયત કર્મ હોવું જોઈએ. કર્મ વિહિત હોવું જોઈએ એટલેકે નિષિદ્ધ કર્મ ન હોવું જોઈએ.
2) કર્તાપણું ન હોવું જોઈએ. મનમાં એમ હોવું જોઈએ કે ભગવાન કરાવે છે એટલે હું આ કર્મ કરું છું.
3) ફળની કામના ન હોવી જોઈએ. રાગ દ્વેષ વગર કર્મ કરવા જોઈએ. ગીતા સેવા માટે લોકો કહે છે ને કે મને કોઈ કામ આપો. સેવા ન મળે તો ઘણા નારાજ થઈ જાય છે. આ વાત ખરાબ નથી, પણ સાત્ત્વિક કર્મમાં રાગ આવી ગયો, એ પણ ના હોવો જોઈએ. સાત્ત્વિક કર્મમાં પણ રાગ ન હોય એ ઉત્તમ સ્થિતિ છે.
યત્તુ કામેપ્સુના કર્મ, સાહઙ્કારેણ વા પુનઃ।
ક્રિયતે બહુલાયાસં(ન્), તદ્રાજસમુદાહૃતમ્॥૧૮.૨૪॥
જે કર્મ પરિશ્રમયુક્ત અને ભોગની આશાથી કે અહંકારથી થાય છે, એ રાજસ કર્મ છે.
એક વાર એક પત્નિ એના પતિને કહે છે કે આપણા બધા સગા અને પાડોશી પાસે ગાડી છે, તમે પણ લઈ આવો. પતિએ કહ્યું કે ગાડી લેવાની આપણી સ્થિતિ નથી. પત્નિ કહે છે આપણે સૌથી સસ્તી, બે લાખ દસ હજારની alto લઈએ. પતિએ કહ્યું કે મારી પાસે તો ત્રીસ ચાલીસ હજાર છે. આટલા પૈસા હું ક્યાંથી લાવું? બેંકવાળાએ કહ્યું કે એક લાખની વ્યવસ્થા કરો બાકીના પૈસા માટે લૉન મળશે. એના હપ્તા ભરવા પડશે. પત્નિ કહે કે જોયું થઈ જશે ને! પતિ કહે છે કે પણ હું એક લાખ ક્યાંથી લાવીશ? પત્નિ કહે છે, જુના ભાડવાતને કાઢીને નવા ભાડવાત રાખીએ અને એની પાસે એક વર્ષનું ભાડું અમાનત તરીકે લઈ લઈએ. બહુ સમજાવ્યું પણ પત્નિ માની નહીં. ભાડવાત સાથે ઝગડા કરીને એને ભગાડ્યો. પછી બીજા ભાડવાતે છ મહિનાનું ભાડું જ આપ્યું. પત્નિના મગજમાં ભૂત સવાર હતું. એ રસ્તા શોધવા મંડી. એને ખબર પડી કે જો તમારી પાસે LIC ની પોલિસી હોય તો એ પાછી આપી દેવાથી એના પર લૉન મળે છે. પતિએ સમજાવ્યું કે આ તારી સુરક્ષા માટે છે, પણ એ ના માની. આગળનું એનું જીવન તમે કલ્પી શકો છો. પગાર હપ્તા ભરવામાં જતો હતો, ઘરનું ભાડું આવતું નહોતું. ગાડી તો આવી પણ કોઈ ઉત્સાહ ના રહ્યો. આ રજોગુણી કર્મ છે.
સુખની આશામાં ખૂબ પરિશ્રમ કરવો અને પછી દુઃખ ઉઠાવવું આ રજોગુણી કર્મ છે. આપણે પણ આ જ કરીએ છીએ. બહુ સુખની આશામાં બહુ મહેનત કરી અને બહુ દુઃખ ભોગવ્યા. ભગવાન કહે છે, જે કર્મ પરિશ્રમયુક્ત છે, અને અહંકારવશ કે ભોગ માટે કર્યા છે, એ રાજસ કર્મ છે.
અનુબન્ધં(ઙ્) ક્ષયં(મ્) હિંસામ્, અનવેક્ષ્ય ચ પૌરુષમ્।
મોહાદારભ્યતે કર્મ, યત્તત્તામસમુચ્યતે॥૧૮.૨૫॥
જે કર્મ પરિણામ, હાનિ, હિંસા અને સામર્થ્ય વગેરેનો વિચાર ના કરીને, મોહવશ કરવામાં આવે છે, એ તામસી કર્મ છે.
ઘણા લોકો ઉધાર લઈને સટ્ટો રમે છે. એમાં પણ હારે છે અને ઉધાર વધતું જાય છે. એ ચૂકવવા બીજું ઉધાર લે છે. આ ચાલ્યા કરે છે. આ તામસ કર્મ છે. એમાં સુખ મળવાની કોઈ સંભાવના જ નથી હોતી.
ઘણા લોકો સત્સંગમાં આવે છે અને પોતાના ચંપલની જગ્યા કરવા બીજાના ચંપલો ખસેડી દે છે. બીજાએ જે ચંપલ વ્યવસ્થિત મૂકી છે, એનો વિચાર જ નથી કરતા કે એમને આવીને એમની ચંપલ નહીં મળે. પોતાની ગાડી પાર્ક કરી દીધી, બીજાની ગાડી ફસાઈ ગઈ કે બીજાને તકલીફ થશે એ જોવાની આવા લોકોને જરૂર નથી હોતી. ઘણા લોકો કચરાની થેલી ઉપરથી નીચે ફેંકી દે છે, બીજાના ઘર પાસે ગંદકી થાય એનો વિચાર નથી કરતા. આ બધા તામસી કર્મ છે.
આગળ ભગવાન ત્રણ પ્રકારના કર્તા બતાવશે. અલ્પકાલિન કર્તા, દીર્ઘકાલિન કર્તા, અલ્પકાલિન કર્મ, દીર્ઘકાલિન કર્મ વગેરે જોઈશું.
કોઈ કર્તા સંપૂર્ણ રીતે સત્ત્વગુણી, રજોગુણી કે તમોગુણી નથી હોતા. ચૂંટણી વખતે દુઃખી થતા નેતા સાત્ત્વિક લાગે છે, પણ પછી બધું ભૂલી જાય છે. કોઈના એક કર્મથી એને સારો કે ખરાબ માની લેવો એ યોગ્ય નથી. રાવણે બહુ સરસ શિવતાંડવ સ્તોત્ર લખી દીધું, યજ્ઞ કર્યા, તો એ સારી વ્યક્તિ હતો? ના. કોઈના દ્વારા અલ્પ સમય માટે કરેલા સારા કે ખરાબ કામ નિર્ણાયક નથી હોતા. દીર્ઘ કાળમાં એ કર્તા કેવો છે એ જોવું જોઈએ. કર્મની દ્રષ્ટિ અલ્પકાલિન હોવી જોઈએ. કોઈ સારી વ્યક્તિ કોઈ વાર સારા ન હોય એવા કામ કરે છે, અથવા હમણાં સારા ન લગતા હોય, પણ એ સારા માટે હોય એવું પણ બને.
કર્તાને દીર્ઘકાળમાં અને કર્મને અલ્પકાળમાં ઓળખવું જોઈએ.
ગરુડજી શિવજી પાસે ગયા કે મને શક થાય છે કે મારા નારાયણ ભગવાન નાગપાશથી બંધાયા અને છોડવા માટે મારા જેવા તુચ્છ પક્ષીને જવું પડ્યું. પરબ્રહ્મને કોઈ કેવી રીતે બાંધે કે છોડે? શિવજીએ એમને કાકભુસુંડિ પાસે મોકલ્યા અને કહ્યું,
तबहि होइ सब संसय भंगा।
जब बहु काल करिअ सतसंगा।।
લાંબા સમય માટે એમની સાથે સત્સંગ કરશે તો તારી શંકાનું સમાધાન તને મળશે. જે વધારે સમય માટે સારા કામ કરે એ વ્યક્તિ સારી છે, અને જે વ્યક્તિ વધારે સમય માટે ખરાબ કામ કરે એ વ્યક્તિ ખરાબ છે. બંને બરાબર લાગે તો એ ખોટું છે. એકાદ ખરાબ કામથી એ વ્યક્તિને ખરાબ ના માની લેવાય.
એક સુંદર ભજન સાથે આજના વિવેચનની સમાપ્તિ તરફ આગળ વધીએ.
मैं नहीं, मेरा नहीं, यह तन किसी का है दिया ।
जो भी अपने पास है, वह धन किसी का है दिया ॥
देने वाले ने दिया, वह भी दिया किस शान से ।
मेरा है यह लेने वाला, कह उठा अभिमान से ॥
मैं, मेरा यह कहने वाला, मन किसी का है दिया ।
मैं नहीं, मेरा नहीं, यह तन किसी का है दिया ।
जो भी अपने पास है, वह धन किसी का है दिया ॥
जो मिला है वह हमेशा, पास रह सकता नहीं ।
कब बिछुड़ जाये यह कोई, राज कह सकता नहीं ।
जिन्दगानी का खिला, मधुवन किसी का है दिया ।
मैं नहीं, मेरा नहीं, यह तन किसी का है दिया ।
जो भी अपने पास है, वह धन किसी का है दिया ॥
जग की सेवा खोज अपनी, प्रीति उनसे कीजिये ।
जिन्दगी का राज है, यह जानकर जी लीजिये ।
साधना की राह पर, यह साधन किसी का है दिया ।
मैं नहीं, मेरा नहीं, यह तन किसी का है दिया ।
जो भी अपने पास है, वह धन किसी का है दिया ॥
जो भी अपने पास है, वह सब किसी का है दिया ।
मैं नहीं, मेरा नहीं, यह तन किसी का है दिया ।
जो भी अपने पास है, वह धन किसी का है दिया ।
मैं नहीं, मेरा नहीं, यह तन किसी का है दिया ।
जो भी अपने पास है, वह धन किसी का है दिया ॥
ગુરુદેવની કૃપાથી અહીં મોક્ષસંન્યાસ યોગ નામના અઢારમા અધ્યાયના મધ્ય ભાગનું વિવેચન સમાપ્ત થયું.
******************************************************************************************************
આના પછી સાધકોના સંશય નિવારણ માટે થોડા પ્રશ્નોત્તર સત્રનું સંચાલન થયું.
**પ્રશ્નોત્તર સત્ર**
પ્રશ્નકર્તા: ભુપિન્દર ભૈયા
પ્રશ્ન: ઘણા લોકો આનંદ પ્રમોદની કોઈ પ્રવૃત્તિ નથી કરતા. સંતુષ્ટ રહે છે અને કોઈ વધારે પ્રયાસ નથી કરતા. આવા લોકોને કઈ શ્રેણીમાં મૂકાય?
ઉત્તર: દુન્યવી કામો માટે પ્રયત્ન નથી કરતા, એ મહત્ત્વનું નથી. પ્રયાસ ભગવાનમાં લાગ્યો કે નહીં એ મહત્ત્વનું છે. જપ, તપ, પૂજા બધું વધારે કરે છે કે નહીં? કશું ના કરે અને આળસુની જેમ રહે તો એ સારી સ્થિતિ નથી. સારી સ્થિતિ એ છે કે સંસારમાં જે ઉર્જા લાગે છે, એ ભગવાનમાં લગાવવી. કશું ન કરે એ યોગ્ય નથી, એ તમોગુણી છે. એના કરતાં તો સંસારના કામ કરવા સારા, ભલે એ રજોગુણી હોય. સારું એ છે કે આ બંનેની ઉપર ઊઠીને સત્ત્વગુણ તરફ જાય.
મનુષ્ય પહેલાં સાંસારિક અને પછી અધ્યાત્મિક બને કે પહેલાં અધ્યાત્મિક અને પછી સાંસારિક, એ મહત્ત્વનું નથી. એ બહુ જન્મોનો હિસાબ છે. આપણે હમણાં જોયું કે જ્ઞાનનું આચ્છાદન જુદું-જુદું હોય છે. આ પહેલાના જન્મની કમાઈ હોય છે.
પ્રશ્નકર્તા: રાશિ દીદી
પ્રશ્ન: સગાઓ માટે પ્રેમથી કામ કરું છું પણ કોઈ એનો response નથી કરતું.
ઉત્તર: તમે સારું કેમ કરો છો? તમે સારા છો એટલે કે સારો response મળે એટલે? બીજા સારું કરે એટલે તમે સારું કરો, તો એ સામા માણસના મનની વાત છે કે એણે શું કરવું. આપણે એનું સ્વાતંત્ર્ય છીનવી ના શકીએ. તમે સારું કર્મ કરો છો કેમકે સારું કર્મ કરવું જોઈએ, તો એ તમારા માટે સારું છે. તમને તમારા કર્મનો અધિકાર છે, બીજાના કર્મનો નહીં. જે કર્મ છે, એનું ફળ ક્યાંકથી તો મળે જ છે. કોઈ વાર આપણે પણ બીજાનું સારું નથી કરી શકતા. એવું એટલે થાય છે કે એણે ક્યારેક મારું સારું નહીં કર્યું હોય. બીજાના કર્મથી પોતાને દુઃખી કરવાના બદલે પોતાના કર્મથી પોતાને સંતુષ્ટ કરો.
આ સમજવા એક દ્રષ્ટાંત કથા છે. એક ગુરુ નહાવા ગયા ત્યાં એક વીંછીનું બચ્ચું ઝાડીમાં ફસાઈ ગયું હતું. એ કાઢવા જતા હતા ત્યારે એમના શિષ્યએ ના પડી કે એને ના કાઢશો, એ તમને કરડી જશે. ગુરુએ તો પણ એને કાઢ્યું અને એણે ગુરુને એ પ્રક્રિયામાં ઘણાં ડંખ માર્યા. લોહી નીકળવા માંડ્યું. શિષ્યએ કહ્યું હું તમને ના પાડતો હતો કે એ તમને ડંખ મારશે. ગુરુએ પૂછ્યું કે એણે કેમ ડંખ માર્યા? શિષ્યએ કહ્યું કે એ એનો સ્વભાવ છે. ગુરુએ કહ્યું કે એ વીંછી થઈને એનો સ્વભાવ નથી છોડતો, તો હું સાધુ થઈને મારો સ્વભાવ કેવી રીતે છોડું? વીંછીને જે કરવું હોય તે કરે, હું તો મારો ધર્મ નિભાવીશ.
પ્રશ્નકર્તા: રાકેશ ભૈયા
પ્રશ્ન: ભગવાન તો બધું જાણે છે તો એમની પાસે સાંસારિક કે આધ્યાત્મિક કાંઈ માંગવું જોઈએ કે નહીં?
ઉત્તર: બિલકુલ માંગવું જોઈએ. ભગવાનને કહો કે એ આપજે જે મારા માટે સારું હોય.
છેલ્લે સર્વ ગીતાસેવીઓનો આભાર માની સમાપન પ્રાર્થના સાથે મોક્ષસંન્યાસયોગ નામના અઢારમા અધ્યાયના મધ્ય ભાગના વિવેચન સત્રનું સમાપન કરવામાં આવ્યું.
*****શ્રી કૃષ્ણાર્પણમસ્તુ*****