विवेचन सारांश
ભગવાન દ્વારા દિવ્ય જ્ઞાનનો પ્રારંભ

ID: 5812
Gujarati - ગુજરાતી
રવિવાર, 03 નવેમ્બર 2024
પ્રકરણ 2: સાંખ્ય યોગ
2/7 (શ્લોક 9-16)
વિવેચન: ગીતા વિદુષી સૌ. વંદના વર્ણેકર જી


ચાલો, દ્વિતીય અધ્યાયના મધ્ય ભાગમાં જઈએ, જ્યાં ગુરુદેવના ચરણોમાં નમન કરીને અને મા સરસ્વતીની વંદના સાથે, જ્ઞાનેશ્વર મહારાજના કૃપા આશીર્વાદ પ્રાપ્ત કરી વિવેચનની શરૂઆત થઈ.
પ્રિય ગીતાપ્રેમી સાધકોને પ્રણામ. દિવાળીનો પવિત્ર તહેવાર, પ્રકાશનો આ પવિત્ર અવસર, બાહ્ય રીતે તેજસ્વી થઈ ગયો છે અને એવા પ્રકાશના પાવન તહેવારે, આંતરિક જ્યોત, જ્ઞાન જ્યોતિને પ્રગટ કરનાર આ ભગવદ્ગીતા રૂપે જ્ઞાન પ્રદીપના વિવેચનને શ્રવણ કરવા માટે, આ ઝૂમ પ્રાંગણમાં હાજર રહેલા બધા સાધકોને વિનમ્ર અભિવાદન. બાહ્ય પ્રકાશ તે આનંદદાયી હોય છે, પણ તેની સાથે આંતરિક જ્ઞાન જ્યોત પણ પ્રગટ થવી જોઈએ, જેથી અંતરંગનો અંધકાર દુર થઈ જાય. આ તો એક મણિ કાંચન યોગ છે. આજે જે પર્વ છે, તે ભાઇબીજનો પવિત્ર પર્વ છે. આ પર્વ બહેનો દ્વારા ભાઈઓ માટેની પ્રાર્થનાનો પર્વ છે, અને ભાઈઓના પ્રેમનો પર્વ પણ છે.

આવા પવિત્ર તહેવાર પર, આપણે એક વાસ્તવિક ઉદાહરણ લઈએ છીએ – ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન. શ્રીકૃષ્ણ, જે નારાયણ છે, અને અર્જુન, જે નરોત્તમ છે, એ બે ભાઈઓ વચ્ચેનો સંવાદ ગહન છે. આજે, વિવેચન દ્વારા આપણે આ સંવાદની ઊંડાઈમાં જવાનો પ્રયત્ન કરીશું, જે દૈવી સંગીત સમાન શ્રીકૃષ્ણના મોઢામાંથી નિકળ્યું છે. આ સંવાદની વિશેષતા એ છે કે તે બે ભાઈઓ વચ્ચેનો અને ગુરુ-શિષ્ય વચ્ચેનો છે. તેમજ, નારાયણ અને નરનો આ સંવાદ, અર્જુનને નિમિત્ત બનાવી, શ્રીકૃષ્ણના મોઢામાંથી નિરંતર વહેતું ચિંતન, જે 5000 વર્ષ બાદ પણ આપણાં અંતરાત્માને પ્રકાશિત કરે છે.
જ્ઞાનેશ્વર મહારાજ આ માટે કહે છે:

तैसा वाग्विलास विस्तारू, गीतार्थेंसी विश्व भरूं,
आनंदाचें आवारूं, मांडूं जगा ॥

અર્થાત્, ‘હું મારી વાણીનો વિસ્તાર એટલા માટે કરી રહ્યો છું કે ગીતાના અર્થથી આખું વિશ્વ આનંદ પામે અને જગત પ્રસન્ન થઈ જાય. મારી વાણી દ્વારા ગીતાનું વિવેચન અને ઉદ્દબોધન આ માટે કરું છું, જેથી જ્ઞાનેશ્વરી રૂપે ગીતાના અર્થથી આખું વિશ્વ ભરાઈ જાય અને પ્રત્યેક વ્યક્તિ પોતાના સ્વધર્મનું પાલન કરીને આ સૃષ્ટિની રક્ષા કરે. આનંદમય જીવન જીવવાનું આ યોગશાસ્ત્ર છે અને આ કારણે જ, આ પવિત્ર પર્વ પર ઉપસ્થિત બધા જ સાધકોને ફરી હૃદયપૂર્વક અભિનંદન અને દિવાળીના પાવન પર્વની શુભકામનાઓ.
જ્ઞાનેશ્વર મહારાજ સુંદર રીતે વર્ણવે છે કે આ બંને ગુરુ-શિષ્ય છે, અને એમાં અનન્ય બંધુભાવ પણ છે. અર્જુન, જે કુંતી ફઈના પુત્ર છે, તે અને ભગવાન શ્રીકૃષ્ણ, જે અર્જુનના મામાના દીકરા છે, એ બંને વચ્ચેના સંબંધને વર્ણવતા મહારાજ કહે છે:

तूं गुरु बंधु पिता । तूं आमची इष्ट देवता ।
तूंचि सदा रक्षिता । आपदीं आमुतें ॥

અર્જુનની માનસિક સ્થિતિ એવી છે કે તે શ્રીકૃષ્ણને માત્ર મિત્ર નથી માનતો, પરંતુ ગુરુ, ભાઈ, પિતા, અને રક્ષક તરીકે પણ સ્મરે છે. આપણે આ ભાવના ‘त्वमेव माता च पिता त्वमेव बंधु सखा त्वमेव, त्वमेव विद्या द्रविणं त्वमेव, सर्वम मम देव देव’ માં વ્યક્ત કરીએ છીએ, જ્યાં અર્જુન શ્રીકૃષ્ણ પ્રત્યે પૂર્ણપણે સમર્પિત છે.

પ્રથમ અધ્યાયમાં, અર્જુને પાંડિત્યપૂર્ણ વાતો કરી અને યુદ્ધ ટાળવા માટેના તર્કો આપ્યા. પરંતુ તે ખરેખરમાં એક મનોવૈજ્ઞાનિક દબાણ હેઠળ હતો, કારણ કે તે પોતાના સ્વજનો સામે યુદ્ધ કરવા માટે માનસિક રીતે તૈયાર નહોતો. તેનું મન દબાણમાં હતું અને મોહમાંથી ઘેરાઈ ગયું હતું, જેનાથી તે સાચા અને ખોટા વચ્ચે ભેદ કરી શકતો નહોતો. અર્જુનના મગજનું (બ્રેનવોશ) વિચાર પરિવર્તન થઈ ગયું હતું. સજ્જનોનું વિચાર પરિવર્તન એ રીતે કરવામાં આવે છે કે તેઓમાં આ ભાવ નિર્માણ થાય: ‘તમે સજ્જન છો, તમે યુદ્ધ ટાળી શકો છો, અને અન્યાય સહન કરો.’ અને એ જ વાત અર્જુન સાથે થઈ. દુર્જન દુર્યોધન, દુશાસન અને કૌરવો, જેઓ અતુલ્ય શક્તિશાળી સેનાના સહારે અનેક પ્રકારના અત્યાચાર કરી રહ્યા હતા, તે લોકો સામે પણ સજ્જનતાને કારણે અર્જુન યુદ્ધ કરવાને બાજુ પર મૂકવા માગતો હતો. ભગવાન આવા પ્રકારનું સજ્જનતાનું આચરણ ઈચ્છતા નથી. ભગવાને અર્જુનને પૂરી વાત કહેવા દીધી અને ત્યાર પછી અર્જુન પોતાનું ધનુષ્ય રથની પાછળ મૂકીને, શોકગ્રસ્ત સ્થિતિમાં રથના પાછળના ભાગે જઈને બેસી ગયો.

તેના પછી, દ્વિતીય અધ્યાય શરૂ થાય છે, જ્યાં સંજયે ધૃતરાષ્ટ્રને આ સમગ્ર ઘટનાઓ વર્ણવી. આ પછી ભગવાન શ્રીકૃષ્ણ બોલવાનું શરૂ કરે છે. અર્જુનને તે પહેલા ટોકે છે, કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ માનસિક દબાણમાં હોય છે, તે સાંભળવા યોગ્ય હોતો નથી. પ્રથમ, મનમાં રહેલો કોલાહલ સંપૂર્ણપણે બહાર નીકળી જવો જોઈએ. તે જ રીતે, જ્યારે આપણે મનોચિકિત્સક કે સાઇકિયાટ્રિસ્ટ પાસે જઈએ છીએ, ત્યારે પણ તે પહેલું કામ દર્દીની વાતો સાંભળવાનું કરે છે. અર્જુન પણ આ સમયે મનોયોજનાત્મક મોહગ્રસ્ત સ્થિતિમાં હતો. તેની આ માનસિક અવસ્થાને સમજીને ભગવાને અર્જુનની સમગ્ર વાત સાંભળી.

પ્રથમ અધ્યાયમાં, ભગવાન શ્રીકૃષ્ણ એક પણ વાક્ય બોલતા નથી. તેઓ માત્ર ‘પશ્ય’ કહે છે, એટલે કે, ‘આ આખી સેના જો.’ આમ, સંવાદ ત્યારે જ શરૂ થાય છે જ્યારે બંને પક્ષોની વાતો સાંભળવામાં આવે છે. સાંભળવું એક કળા છે. શ્રવણ કળા માત્ર કહેવા માટે નથી; ઘણી વખત, જ્યારે આપણે કોઈની પાસે સલાહ લેવા જઈએ છીએ, ત્યારે આપણા મનમાં એવું હોય છે કે, જે આપણે પહેલેથી નક્કી કર્યું છે, તે જ સામેનો વ્યક્તિ સલાહરૂપે આપે. આ જ રીતે, અર્જુન પણ ભગવાનને પોતાની વાત કહેવા માટે તૈયાર થાય છે. તે કહે છે કે ‘મારે આ યુદ્ધ છોડી દેવું છે, કારણ કે યુદ્ધમાં ઘણું નુકસાન થશે.’ તેને એવું લાગતું હતું કે ભગવાન તેની આ વાતને માન્ય રાખશે અને યુદ્ધ છોડી દેવાની મંજૂરી આપશે.
પરંતુ ભગવાન તો ભગવાન છે! તેમણે અર્જુનને કડક શબ્દોમાં કહ્યું:

ક્લૈબ્યં મા સ્મ ગમઃ પાર્થ નૈતત્ત્વય્યુપપદ્યતે ।
ક્ષુદ્રં હૃદયદૌર્બલ્યં ત્યક્ત્વોત્તિષ્ઠ પરન્તપ ॥

અર્થાત્, ‘અર્જુન, આવી નપુંસકતા ન કર, તે તારા માટે યોગ્ય નથી. હૃદયના આ દૌર્બલ્યનો ત્યાગ કર અને હિંમત બતાવ.’
ભગવાનને ખબર હતી કે અર્જુન મનોવૈજ્ઞાનિક દબાણ અને મોહમાં ફસાયેલો છે. તેમણે એ પણ યાદ અપાવ્યું કે અર્જુનને એક વખત ઉર્વશીનો શ્રાપ મળ્યો હતો અને અર્જુને એક વર્ષ માટે બૃહન્નલ્લા બનીને અજ્ઞાતવાસમાં વીતાવ્યું હતું. ભગવાન એ અજ્ઞાતવાસના દિવસોની અવસ્થા અર્જુનને યાદ અપાવે છે અને પૂછે છે: ‘શું તું ફરી એ જ નપુંસક અવસ્થામાં છે?"

ખિજાવું એક પ્રકારની ચેતના પ્રગટાવવાનો ઉપાય છે. ભગવાન મનોવૈજ્ઞાનિક ચિકિત્સકની જેમ, અર્જુનની સ્થિતિ સમજે છે અને તેને કડક ઠપકો આપે છે. સ્વામી વિવેકાનંદજીનો આ પ્રિય શ્લોક છે. ઠપકા છતાં પણ, અર્જુન તેની વાત પર ટકી રહે છે અને કહે છે: ‘ગુરુઓ અને આચાર્યનાં મૃત્યુનું પાપ હું કેવી રીતે સ્વીકારું? ભગવાન, તમે જે કહી રહ્યા છો તે સાચું છે કે, યુદ્ધ ન છોડી દેવું જોઈએ, પરંતુ આ પાપ હું નથી કરી શકતો." અર્જુન કહે છે: 'પણ હું ગુરુની હત્યા કેવી રીતે કરી શકું? મહાન આચાર્યની હત્યા કેવી રીતે કરી શકું? અને તે પણ બે લોકો, જે મારા માટે અત્યંત પ્રિય છે, જેમની પ્રત્યે મારું અંતઃકરણ અપરંપાર શ્રદ્ધા ધરાવે છે. મારા ગુરુ આચાર્ય દ્રોણ અને પિતામહ ભીષ્મ, જે પિતૃતુલ્ય છે, જેમણે પિતાનો પ્રેમ આપ્યો છે. તમે જાણો છો કે પિતામહ ભીષ્મ, જેમની ગોદમાં હું ઉછર્યો છું, તેઓ મારા પિતા નથી, પરંતુ પિતાના સમાન છે. હું આ બે પર શસ્ત્ર ચલાવી શકું એમ નથી.'

જ્ઞાનેશ્વર મહારાજે આ મનોભાવને ખૂબ જ સુંદર રીતે વર્ણવ્યો છે.

જ્ઞાનેશ્વર મહારાજ અર્જુન અને ભગવાન શ્રીકૃષ્ણ બંનેના મનોભાવો આપણાં સમક્ષ રાખે છે. તેઓ કહે છે કે અર્જુન ભગવાનને અનુરોધ કરીને કહે છે:

मी पार्थु द्रोणाचा केला । येणें धनुर्वेदु मज दिधला ।
तेणें उपकारें काय आभारैला । वधीं तयातें ॥

અર્થાત્, 'હે ભગવાન, હું જે અર્જુન તમારી સામે ઊભો છું, તે માત્ર કુંતી માતાનો પુત્ર નથી, પણ ગુરુદ્રોણના શિષ્ય રૂપે પણ જાણીતો છું. ગુરુ દ્રોણે મને શસ્ત્ર વિદ્યા શીખવી છે, અને તેમને કારણે હું ધનુર્ધારી બન્યો છું. શું હવે હું એના ઉપર જ શસ્ત્ર ચલાવી શકું? જેમ ભસ્માસુરે દેવોને મળેલી શક્તિનો દુરુપયોગ કર્યો હતો, હું એ રીતે પાપ કરી શકું નહીં.’ અર્જુન કહે છે: 'મારે તેથી વધારે સારું તો ભિક્ષા લઇને જીવન જીવવું છે.' અર્જુન આ વખતે ભારે શોક અને મોહથી ઘેરાયેલા મનની સ્થિતિમાં છે."

હવે અહીંથી, ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને આ માનસિક સ્થિતિમાંથી બહાર લાવવા માટે કેવી રીતે પ્રયત્ન કરે છે, તે દર્શાવવાનું શરૂ થાય છે. અર્જુનના મનમાં મોહનું જે ઝેર છવાઈ ગયું છે, અને જે તેના મગજ તથા વાણીમાં ઘૂસી ગયું છે, તે કેવી રીતે દૂર કરવું, તે ભગવાન સમજે છે. આ મોહરૂપ ઝેર અર્જુનના ચિંતન અને વિચાર શક્તિને નુકસાન પહોંચાડે છે, અને ભગવાન તેની આ સ્થિતિને ઉકેલવા માટે મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી કામ લે છે.

ભગવાન હજુ સુધી કશું બોલ્યા નથી અને અર્જુનને તેની બધી જ વાતો કહી દેવા દે છે. અર્જુન કહી દે છે: 'મને ત્રણ લોકનું રાજ્ય પણ નથી જોઈતું. તે રાજ્ય, ભોગ, અને સંપત્તિ મારું જીવન ઉન્નત નથી કરી શકતા. હે કૃપાનિધિ ભગવાન! તેવા રાજ્ય તો માત્ર દેહબુદ્ધિમાં વધારો કરે છે. અને દેહબુદ્ધિ વધવાથી આસક્તિ વધે છે. હું તો મારા જીવનનું સાચું ઉન્નયન કરવા માગું છું. આવા રક્ત-રંજીત રાજ્યનો હું શું લાભ લઉં, મારા સ્વજનોના રક્તથી રંગાયેલું રાજ્ય મને શું સુખ આપશે?'

અર્જુનના આ પ્રશ્નોને ભગવાન સાંભળે છે. પછી તેઓ હળવા મૌન હાસ્ય સાથે બોલવાનું શરૂ કરે છે.

2.9

સઞ્જય ઉવાચ
એવમુક્ત્વા હૃષીકેશં(ઙ્), ગુડાકેશઃ(ફ્) પરન્તપ।
ન યોત્સ્ય ઇતિ ગોવિન્દમ્, ઉક્ત્વા તૂષ્ણીં(મ્) બભૂવ હ॥૨.૯॥

સંજય બોલ્યા: હે રાજન! નિદ્રાને જીતનારા અર્જુન, અંતર્યામી પરમાત્મા શ્રીગોવિંદ ભગવાનને 'હું યુદ્ધ નહીં કરું' એમ સ્પષ્ટ કહીને ચુપ થઈ ગયા.

સંજય વર્ણવે છે, 'હે ધૃતરાષ્ટ્ર! આ રીતે ગુડાકેશ અર્જુને, ઋષિકેશ શ્રીકૃષ્ણને કહ્યું, “હું યુદ્ધ કરતો નથી,” અને મૌન રહી ગયો.

સંજય અર્જુનને ‘ગુડાકેશ’ કહે છે, જેનો અર્થ છે ‘નિદ્રા પર વિજય મેળવનાર.’ અર્જુન એ છે, જેણે રાત-રાતભર ધનુર્વેદનો અભ્યાસ કર્યો છે. પરંતુ આ સમયે તે મોહની નિદ્રામાં છે. ભગવાનને ઋષિકેશ કહેવામાં આવે છે, એટલે કે 'ઇન્દ્રિયોના સ્વામી.' અર્જુનની ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ છે અને ભગવાન, જેઓ ઇન્દ્રિયોના કંટ્રોલર છે, હળવા હાસ્ય સાથે અર્જુન સામે બોલવા તૈયાર થાય છે.

‘ગુડા’ એટલે કે, નિદ્રા પર સંયમ અને ‘કેશ’ એટલે નિયંતા. એ અર્જુન, જેનો પોતાના પર સંપૂર્ણ નિયંત્રણ છે, હવે મોહની નિદ્રામાં ચાલ્યો ગયો છે. અર્જુને પહેલા અધ્યાયમાં કહ્યું હતું કે, ‘મારા જે ગાત્રો (અંગો) છે, તે શિથિલ થઈ ગયા છે. મારી બધી જ ઇન્દ્રિયો બળહિન થઈ ગઈ છે.’ અર્જુનના અંગો શિથિલ થતાં, ભગવાન ઋષિકેશ, જે ઇન્દ્રિયોના સ્વામી છે, અર્જુનનો માર્ગ પ્રસસ્ત કરવા માટે તૈયાર થાય છે. અર્જુન કહે છે: ‘હું યુદ્ધ નહીં કરું, આ મારો અંતિમ નિર્ણય છે. તમે મને નપુંસક કહો, તો પણ હું યુદ્ધ કરવા માંગતો નથી.’

આ રીતે અર્જુન કહે છે ‘હે ગોવિંદ,’ અને પછી મૌન થઈ જાય છે. સંજય વર્ણવે છે: 'અર્જુન બોલી ગયો અને મૌન રહી ગયો, હે ગોવિંદ, હું યુદ્ધ નથી કરવાનો.' ત્યારે ભગવાન ઋષિકેશ હળવું હસતા, મન્દ હાસ્ય સાથે અર્જુન તરફ જોવા લાગ્યા. સંજય વર્ણવે છે કે, ‘હે ભારત, અર્જુન, જે શોકમય છે, તેને નિહાળતા, ભગવાન હળવું હસતા કહે છે. અર્જુનની માનસિક સ્થિતિને સમજીને ભગવાન બોલવા તૈયાર થાય છે. પહેલા, અર્જુનના વલણમાં પાંડિત્યભાવ હતો, ‘હું બધું જાણું છું. હું બધું સમજું છું.’ તેણે પ્રથમ અધ્યાયમાં તેની સઘળી વાતો કહી દીધી હતી અને પોતાનો નિર્ણય જ જણાવ્યો હતો કે, ‘હું યુદ્ધ નહીં કરું.’"


2.10

તમુવાચ હૃષીકેશઃ(ફ્), પ્રહસન્નિવ ભારત।
સેનયોરુભયોર્મધ્યે, વિષીદન્તમિદં(વ્ઁ) વચઃ॥૨.૧૦॥

હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર! અંતર્યામી શ્રીકૃષ્ણ મહારાજ બન્ને સેનાઓના મધ્યમાં શોક કરતા તે અર્જુન પ્રત્યે મલકતા હોય એમ આ વચન બોલ્યા.

પરંતુ ત્યાર બાદ અર્જુનના માનસિક સ્થિતિમાં પરિવર્તન આવે છે. તેને લાગે છે, ભલે મેં કેટલીય પાંડિત્યપૂર્ણ વાતો કરી છે, છતાં ભગવાન મૌન છે. શું કંઈ મારી ભૂલ છે? ભગવાન કેમ કંઈ બોલતા નથી?' આ પરિવર્તન સાથે, દ્વિતીય અધ્યાયનો સાતમો શ્લોક ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આ શ્લોક તે સમયે ઉપયોગમાં લેવાય છે જ્યારે મનમાં ભ્રમ થાય, અંતરદ્વંદ થાય, અથવા કોઈ નિશ્ચિત નિર્ણય લેવામાં અસમર્થ થઈ જઈએ. જ્યારે આપણેનિર્ણય લેવામાં અસમર્થતા અનુભવીએ, ત્યારે આ શ્લોકને પૃથક્કરણ કરવામાં આવે છે:

કાર્પણ્ય દોષોપહત સ્વભાવઃ પૃછામિ ત્વાં ધર્મ સંમૂઢ ચેતાઃ।
યચ્છ્રેયઃ સ્યાન્નિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યસ્તે હં શાધિ માં ત્વાં પ્રપન્નમ્।
'મારું મન કરુણાથી દુર્ભળ થઈ ગયું છે. મારું મન ધર્મ અને અધર્મ વચ્ચે ભ્રમિત થઈ ગયું છે. હે ભગવાન, હું તમને પૂછું છું: કૃપા કરીને મને સ્પષ્ટ રીતે કહો કે મારા માટે શ્રેયસ, એટલે કે સાચું કલ્યાણકારી શું છે. હું તમારો શિષ્ય બનીને તમારી શરણાગતિમાં આવ્યો છું.' અર્જુન સ્વીકાર કરે છે કે, 'મારા મનમાં કરુણા અને દુબળાઈનો દોષ છવાઈ ગયો છે, અને તે મારા વીરતાના સ્વભાવને પકડી ગયો છે.' અર્જુન ધર્મ અને અધર્મ વચ્ચે ભ્રમિત થઈ જાય છે, અને તેનું ચિત્ત મોહના જાળમાં છે. અર્જુન વધુમાં કહે છે: 'હે કૃષ્ણ, મારું મન મોહથી આવરાયેલું છે. હું ઠીકથી સમજી શકતો નથી કે શું કરવું જોઈએ અને શું ટાળવું જોઈએ. હું તમારો શિષ્ય છું, અને મારી શરણાગતિ તમારી પાસે છે. કૃપા કરીને મને માર્ગ દર્શાવો અને બતાવો કે મારું સાચું કલ્યાણ કઈ રીતે થશે.’
જીવનમાં બે માર્ગો છે: શ્રેય અને પ્રેય. પ્રેય તે છે, જે મનને તરત સુખ આપે, અને શ્રેય તે છે, જે અંતે કલ્યાણ લાવે.

દિપાવલીના પર્વ પર મીઠાઈઓનું આકર્ષણ હોય છે, પરંતુ ડાયાબિટીસ ધરાવતા લોકો માટે તે મીઠાઈઓનો આનંદ પ્રેય છે, પરંતુ શ્રેય નથી. શ્રેય એ છે, જે આપણી ભલાઈ અને કલ્યાણ માટે છે. જ્યારે આપણે પોતાનું ભલું ઈચ્છીએ, ત્યારે આપણને શ્રેય માગવું પડે છે. આપણે આપણાંથી વધુ અનુભવ ધરાવતા વડીલ, ગુરુ, અથવા ડૉક્ટર જેવા વ્યક્તિઓ પાસે શ્રેય માટે માર્ગદર્શન માગીએ છીએ.

અર્જુન પણ ભગવાન શ્રીકૃષ્ણને પુછે છે: ‘મારે માટે શ્રેયસ શું છે, એ મને કહો, અને મારું માર્ગદર્શન કરો.અને આથી, આ સ્થળે ભગવદ્ગીતા વિશે ગુરુદેવ ખૂબ જ સુંદર રીતે સમજાવે છે: 'ભગવદ્ગીતા ઘણા પ્રકારે યોગ દર્શાવે છે, પરંતુ ગીતાનો પરમ યોગ કયો છે? ગીતાનો પરમ યોગ છે 'શ્રેય યોગ.' દરેક જીવ માટે શ્રેય, એટલે કે કલ્યાણકારી શું છે, તે જાણવા મહત્વપૂર્ણ છે. જે કલ્યાણકારી છે, તે શ્રેયસ છે, અને તે મેળવવામાં યોગનો સહારો લેવો જરૂરી છે. આ શ્રેય યોગ અમૃતમય રસધારાની જેમ છે.

અર્જુન કહે છે: 'મને શ્રેયસ શું છે, તે સ્પષ્ટ રીતે કહો.' હવે, અર્જુન માત્ર એક પાંડિત્યપૂર્ણ વ્યાખ્યાનો આપનાર નથી, ન તો હવે એ ધનુર્ધારી યોધ્ધા છે, ન તો ગુરુ દ્રોણના શિષ્ય કે પિતામહ ભીષ્મના લાડકવાયા પ્રપૌત્ર. હવે, તે પોતાને કેવી રીતે ઓળખે છે? 'હું કોણ છું?' એ હવે સ્વીકાર કરે છે: 'હું માત્ર તમારો શિષ્ય છું. હું તમારી શરણમાં છું. કૃપા કરીને મને ઉપદેશ આપો.'"
અર્જુન કહે છે 'હું તમારી શરણાગતિમાં આવ્યો છું. હું તમારો શિષ્ય છું.' આમાં ત્રણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ છે; પ્રથમ- શિષ્યવૃત્તિ; બીજી- ઉપદેશ લેવાની ભાવના; અને ત્રીજી- શરણાગતિ. જો કોઈને સાચું જ્ઞાન મેળવવું હોય, તો તેની જિજ્ઞાસા હોવી જોઈએ. ઋષિઓ અને મુનિઓ કહે છે કે આત્મજ્ઞાનનો ઉપદેશ પૂછ્યા વિના ક્યારેય આપવામાં આવતો નથી. ઉપદેશ તે જ વ્યક્તિને આપવામાં આવે છે, જે ઉગ્ર જિજ્ઞાસા ધરાવે છે, કારણ કે ત્યારે જ એ શ્રેષ્ઠ રીતે સાંભળવા તૈયાર રહે છે. ઘણી વાર, જો તમે તમારા ઘરમાં બાળકને કઈક શીખવવા જાવ, અને તે પૂછ્યા વિના સાંભળે, તો ઘણી વાર એક કાનથી સાંભળી બીજા કાનથી બહાર કાઢી દે છે. આ જ કારણે પૂછ્યા વિના ઉપદેશ ન આપવો જોઈએ.

ભગવાન અર્જુનને પૂછે છે, 'હે કૃષ્ણ, મને ઉપદેશ આપો.' અર્જુન પૂરેપૂરી શરણાગતિ સાથે આ માંગણી કરે છે. સ્વામી સત્યમિત્રાનંદ ગીરીજી મહારાજ જણાવે છે કે અર્જુનના જીવનમાં આ પ્રપન્નતિવૃત્તિ ખૂબ જ સુંદર રીતે દેખાય છે. શિષ્યના અર્થને સમજવું જરૂરી છે. 'શિષ્ય' શબ્દના બે મુખ્ય લક્ષણો છે.

संशनात् शिष्यः शासनात् शिष्यः
સંશય શિષ્ય તે, જે પોતાના ગુરુ પાસેથી પોતાના બધા જ શંકાઓનો નિવારણ કરાવવા ઇચ્છે છે. શાસન શિષ્ય તે, જે પોતાના ગુરુનું શાસન, એટલે કે નિયંત્રણ સ્વીકારવા તૈયાર હોય છે. શિષ્યનો સાચો અર્થ એ છે કે, 'હું જ્ઞાન મેળવવા તૈયાર છું અને ગુરુની આજ્ઞા સ્વીકારવા તૈયાર છું.' અર્જુન હવે આ શિષ્યવૃત્તિને સ્વીકારે છે, અને ભગવાનના મોઢેથી જ્ઞાનની અમૃતમય ધારા વહેવા તૈયાર થાય છે.
જ્ઞાનેશ્વર મહારાજ આ વાતને સુંદર રીતે વર્ણવે છે.

आम्हां काय उचित । तें पाहतां न स्फुरे एथ ।
जें मोहें येणें चित्त । व्याकुळ माझें ॥
तरी उचित काय आम्हां । जें व्यभिचरेना धर्मा ।
तें झडकरी पुरुषोत्तमा । सांगें आतां ॥
એટલે કે, 'હે ભગવાન, મને યોગ્ય અને અયોગ્ય શું છે તે સમજાતું નથી. મારૂ ચિત્ત મોહથી વ્યાકુળ છે.' અર્જુન ભગવાનને પ્રાર્થના કરે છે, 'મારો ધર્મ ખોવાઈ ન જાય અને અધર્મ હું ન કરું. મારા હાથથી ધર્મ માટે કોઈ વ્યભિચાર ન થાય. હે પુરુષોત્તમ, કૃપા કરીને તુરંત માર્ગદર્શન આપો.' ભગવાન હળવેથી સ્મિત કરે છે અને જ્ઞાન આપવાનું શરૂ કરે છે. ગુરુદેવ કહે છે કે આ જ જગ્યાએ ભગવાનનો ઉપદેશ શરૂ થાય છે, જે જીવાત્માને સુખ આપનાર છે. અર્જુન મોહ ગ્રસ્ત છે, જ્યારે ભગવાન પ્રસન્ન છે.

2.11

શ્રીભગવાનુવાચ
અશોચ્યાનન્વશોચસ્ત્વં(મ્), પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે।
ગતાસૂનગતાસૂંશ્ચ, નાનુશોચન્તિ પણ્ડિતાઃ॥૨.૧૧॥

શ્રીભગવાન બોલ્યા : હે અર્જુન! જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે અને જ્ઞાનીજનોનાં જેવા વચનો બોલે છે, પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે અને જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાનીજનો શોક નથી કરતા.

ભગવાન હળવેથી સ્મિત કરતાં કહે છે, 'અર્જુન! આશોચ્યાન્ અન્વશોચસ્ત્વં' એવી વાતો માટે તું શોક કરી રહ્યો છે, જેમની માટે શોક કરવો યોગ્ય નથી. દુઃખ અને શોક વચ્ચે તફાવત છે. દુઃખ તો આવે જ છે, પરંતુ તે ત્યારે જ શોકમાં રૂપાંતર પામે છે, જ્યારે આપણે તેમાં અટવાઈ જઈએ અને તેમાંથી બહાર ન નીકળી શકીએ. ત્યારે જ તે ડિપ્રેશનનું સ્વરૂપ ધારણ કરે છે. એવી જ પરિસ્થિતિમાં માણસો મનોચિકિત્સકોની મદદ લે છે. ભગવદ્ગીતા તરીકેના આ આધ્યાત્મિક ઉપદેશ મનની બધી અશુદ્ધિઓમાંથી મુક્ત કરે છે. 'પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષશે''—ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે, તે પોતાની બુદ્ધિનો ગર્વ ધરાવે છે. 'તારું પાંડિત્ય પરિસ્થિતિને વધુ વિખરાવમાં નાખે છે,' અર્જુન માને છે, 'હું બધું જાણું છું, હું બુદ્ધિશાળી છું, અને હું કોઈનું માર્ગદર્શન સરળતાથી સ્વીકારતો નથી.' પરંતુ એ જ બુદ્ધિ ઘણીવાર માનવને સાચા માર્ગ પરથી ભટકાવે છે. ઘણી વાર, એવો ગર્વ પામેલો માણસ યોગ્ય ઉપદેશને સ્વીકારવા માટે ઉચિત પણ રહેતો નથી.
અર્જુન એક એવી અવસ્થામાંથી આગળ વધે છે, જ્યાં તે માને છે કે તેને બધું સમજાય છે, અને પછી એક એવી અવસ્થામાં પહોંચે છે જ્યાં તે સાચું જાણવાનું છે, એ માટે તૈયાર થાય છે. ભગવાન તેને કહે છે કે તે જે તર્કો આપી રહ્યો છે, તે પ્રજ્ઞાવાદ છે, પણ તર્કોથી વધુ મહત્વપૂર્ણ છે સત્યના સંબોધનને સમજવું. જ્ઞાની પુરુષો તો પરિવર્તનશીલ પરિસ્થિતિઓના મોહમાં કદી નથી ફસાતા. તેઓ સમજે છે કે દેહ નાશવંત છે પરંતુ આત્માનું જ્ઞાન ધરાવનાર વ્યક્તિ મોહ અને અફસોસથી પર રહે છે, કેમ કે તે જાણે છે કે આ દેહ કદી અવિનાશી નથી.
ભગવાન કહે છે, 'ગતા: સુન્ અગતા: સુન્'—જેના પ્રાણ નિકળી ગયા છે, અને જેઓ હજુ પણ દેહમાં જીવિત છે, તેઓ માટે શોક કરવો પંડિતોને યોગ્ય નથી. જ્ઞાની પુરુષો, જેઓ આત્મજ્ઞાનથી પ્રકાશિત છે, એ દેહની નિશ્ચિત વિનાશથી મોહમાં નહીં ફસાય.'
'આસુ' શબ્દનો અર્થ છે પ્રાણ. જે દેહ છોડીને જતાં રહ્યાં છે, અને જે દેહમાં જીવિત છે, એ બંનેના માટે જ્ઞાની લોકો શોક નથી કરતા. એના પર તું શોક કરી રહ્યો છે, અર્જુન. ભગવાન અર્જુનના મોહિત મનમાં પડેલા મોહના મૂળ સુધી પહોંચવાનું ઇચ્છે છે, ઉપર ઉપરનો ઉપદેશ તો નથી આપતા. જેમ કે માત્ર માથાનો દુખાવો થાય તો પેનકિલર લેવી એ સમાધાન નથી; આ દુખાવાનું મૂળ કારણ શોધવું આવશ્યક છે. 
ભગવાનનો આ ભાવ દર્શાવે છે કે તેઓ અર્જુનનો ભ્રમ, આ ભવરોગ, દૂર કરવા માટે તેઓ મૂળ સુધી પહોંચવા માંગે છે. આ મુક્તિનું માર્ગદર્શન આપવા માટે હવે ભગવાન ગુરુ તરીકે અર્જુનને ઉપદેશ શરૂ કરે છે.

2.12

ન ત્વેવાહં(ઞ્) જાતુ નાસં(ન્), ન ત્વં(ન્) નેમે જનાધિપાઃ।
ન ચૈવ ન ભવિષ્યામઃ(સ્), સર્વે વયમતઃ(ફ્) પરમ્॥૨.૧૨॥

હું કોઈ કાળમાં ન હતો એવું નથી, તું ન હતો કે આ રાજાઓ ન હતા એવું પણ નથી અને એવું પણ નથી કે હવે પછી આપણે બધા નહીં હોઈએ.

ભગવાન ગુરુ રૂપે પ્રવેશ કરે છે. તેઓ અર્જુનને શિખવે છે કે જો દેહ નાશવંત છે, તો પણ દેહમાં રહેલું ચૈતન્ય તત્વ, જીવાત્મા, અવિનાશી છે. આ દેહના નાશ છતાં સૃષ્ટિનું કાર્ય સ્થૂલ અને સૂક્ષ્મ તત્વના સંયોજનથી ચાલે છે. અર્જુનને ગુરુના ઉપદેશ માટે યોગ્ય બનેલા શિષ્યની ભૂમિકા લેવી પડે છે. જયારે તે આ શિષ્યત્વ ગ્રહણ કરે છે, ત્યારે જ ગુરુના મુખેથી સર્વોપરી સિદ્ધાંતો રૂપે જ્ઞાનનું પ્રવાહ શરૂ થાય છે.

કથા પ્રસંગ: એક વખત ગુરુનો આશ્રમ હતો, જ્યાં ઘણા લોકો ઉપદેશ ગ્રહણ કરવા આવતા. એક દિવસ ગુરુના પ્રિય શિષ્યએ પુછ્યું, 'ગુરુજી, તમારા આશ્રમમાં અનેક શિષ્ય આવે છે અને દરેકની મનોભૂમિકા અલગ હોય છે તો પણ તેમનું રૂપાંતર કઈ રીતે થાય છે? આ રૂપાંતર તમે કઈ શક્તિથી કરો છો?' ગુરુએ હસીને કહ્યું, 'રૂપાંતર હું નથી કરતો, તે શિષ્યના સમર્પણથી થાય છે. જેનું જેટલું સમર્પણ, તેનું તે મુજબનું રૂપાંતર. શિષ્યનું રૂપાંતર સમાન નથી હોતું, કારણ કે તે તેમના સમર્પણના સ્તર પર નિર્ભર કરે છે.'
અર્જુન પણ સમર્પિત થઈ ગયો, અને તે સમયે ભગવાનના મુખમાંથી જ્ઞાનનો પ્રવાહ વહેવા લાગ્યો. તેઓ આત્માના અમરત્વનો સિદ્ધાંત સમજાવતા પહેલા કહે છે, 'અર્જુન, તું જે દેહને પોતાનું સર્વસ્વ માને છે, તે દેહ નાશવંત છે. સામે જે સેન્ય ઉભું છે, તેઓ પણ માત્ર દેહ નથી. દરેકમાં એક અવિનાશી ચૈતન્ય તત્વ છે.'
 ભગવાન કહે છે, 'કોઈ સમય એવો નહોતો કે હું ન હતો, કે તું ન હતો, કે આ રાજાઓ ન હતા. ભવિષ્યમાં પણ એવો સમય નહીં આવે કે આ અવિનાશી ચૈતન્ય તત્વ અસ્તિત્વમાં ન હોય.'
જ્ઞાનેશ્વર મહારાજ આના વિશે સમજાવે છે:

तूं भ्रमलेपणें अहंकृती । यांसि घातु न धरिसी चित्तीं ।
तरी सांगें कायि हे होती । चिरंतन ॥
कीं तूं एक वधिता । आणि सकळ लोकु हा मरता ।
ऐसी भ्रांति झणें चित्ता । येवों देसी ॥

'તું ભ્રમમાં છે, અર્જુન. તારો આ મોહ અને અહંકાર છે કે તું અહીં મારો અને મરી રહેલા લોકોને બચાવી શકે છે. દેહ નાશવંત છે, પરંતુ ચૈતન્ય અવિનાશી છે.'

2.13

દેહિનોઽસ્મિન્યથા દેહે, કૌમારં(ય્ઁ) યૌવનં(ઞ્) જરા।
તથા દેહાન્તરપ્રાપ્તિઃ(ર્), ધીરસ્તત્ર ન મુહ્યતિ॥૨.૧૩॥

જેમપ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે; એ બાબતમાં ધીર પુરુષ મોહિત થતો નથી. જીવાત્માને આ શરીરમાં બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા

પરિવર્તનશીલ દેહમાં સતત ફેરફાર થાય છે, બાળપણ, યુવાન અવસ્થા, વૃદ્ધ અવસ્થા અને આ ફેરફારને પંડિતો મોહથી જોતા નથી. દેહ નાશ પામે છે, પણ ચૈતન્ય તત્ત્વ કદી નાશ પામતું નથી. જે ડૉક્ટરો હશે તેમને ખબર હશે કે 12 વર્ષમાં આખું શરીર સંપૂર્ણપણે બદલાઈ જાય છે. બધા જ કોષો (સેલ્સ) નવા થઈ જાય છે અને દરેક ક્ષણે આપણા શરીરના કોષો નાશ પામે છે અને નવા જન્મે છે. આપણે માનીએ છીએ કે તે જ શરીર છે, પરંતુ તે દેહમાં પરિવર્તન થઈ રહ્યું છે. જેમ ‘યથા દેહિન: અસ્મિન દેહે કૌમારં યૌવનં જરા’ ત્રણ ફેરફારોને આપણે જાણીએ છીએ- કૌમાર એટલે બાળપણ, યૌવન એટલે યુવાવસ્થા, અને જરા એટલે વૃદ્ધાવસ્થા. આ પરિવર્તન આપણું શરીર અનુભવે છે અને દેહમાં ફેરફાર થતો રહે છે. પરંતુ આ બધું જોનારા અંદરના સાક્ષી સ્વરૂપ ચૈતન્ય તત્વને ક્યારેય નાશ થતો નથી. જે રીતે દેહમાં ફેરફારો આવતા જાય છે, તેમ જ ‘તથા દેહાંતરપ્રાપ્તિર્’— આ દેહ નાશ પામે છે અને પછી આત્મા બીજા દેહને ધારણ કરે છે.
ધીર પુરુષો, જેઓ જ્ઞાની હોય છે, કદી મોહમાં ફસાતા નથી, શોક અનુભવતા નથી. એ વ્યક્તિ આ બદલાવને સમજતી હોય છે કે દેહમાં ફેરફાર થશે, પણ ચૈતન્યમાં ક્યારેય પરિવર્તન થતું નથી. આ જ મારું મૂળ સ્વરૂપ છે. જે આ સત્યને જાણે છે, તે કદી કૃતાંત કે મૃત્યુ સમયે પણ દુ:ખી થતો નથી કે મોહમાં ફસાતો નથી.
જ્ઞાનેશ્વર મહારાજ આ તત્વને ખૂબ સુંદર રીતે સમજાવે છે. તેઓ કહે છે,

एथ कौमारत्व दिसे । मग तारुण्यीं तें भ्रंशे ।
परी देहचि हा न नाशे । एकेकासवें ॥
तैसीं चैतन्याच्या ठायीं । इयें शरीरांतरें होती जाती पाहीं ।
ऐसें जाणे तया नाहीं । व्यामोहदुःख ॥

એટલે કે જેમ યુવાની આવે છે, તેમ બાળપણ જતું રહે છે, પણ અંદરનું ચૈતન્ય તત્વ કદી નાશ પામતું નથી. એ ચૈતન્ય તત્વ માટે એક દેહ છોડીને બીજો દેહ ધારણ કરવો માત્ર એક પ્રક્રિયા છે. જે સત્યને આ રીતે સાક્ષીભાવથી જોવું તે જ્ઞાનનો પરમ લક્ષ્ય છે.

એ જ રીતે, જ્ઞાની પુરુષે દેહ છોડતી વખતે પણ દુઃખ નથી અનુભવતો, કારણ કે તે જાણે છે કે દેહ ક્ષણભંગુર છે, જ્યારે ચૈતન્ય અવિનાશી છે. દુ:ખ તો છે, પણ શોક ન થવો જોઈએ, કારણ કે ચૈતન્ય ક્યારેય નાશ પામતું નથી. કારણ કે આ સમગ્ર સૃષ્ટિનું જે પણ કાર્ય છે તે સંપૂર્ણપણે પરિવર્તનશીલ છે. આ આખું જગત પરિવર્તનશીલ છે. સંસારની વ્યાખ્યા છે ‘સંસરતી ઇતિ સંસારઃ’, જેનો અર્થ થાય છે કે સતત વહેતો રહે તે સંસાર છે. આ બદલાતી જ રહેનારું છે. જેમ નદીની ધારા ક્યારેય એક જગ્યાએ સ્થિર નથી રહેતી, તે સતત વહેતી જ રહે છે. એટલે જ નદીમાં આપણે ક્યારેય ફરી એ જ પાણીમાં સ્નાન કરી શકતા નથી, કારણ કે નદીનું પાણી આગળ વધી ચૂક્યું હોય છે. એ જ રીતે આ સંસાર સતત બદલાતો રહે છે.

2.14

માત્રાસ્પર્શાસ્તુ કૌન્તેય, શીતોષ્ણસુખદુઃખદાઃ।
આગમાપાયિનોઽનિત્યાઃ(સ્), તાંસ્તિતિક્ષસ્વ ભારત॥૨.૧૪॥

હે કુંતીપુત્ર! ઠંડી-ગરમી અને સુખ-દુઃખ દેનારા ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો તો ઉત્પત્તિ-વિનાશશીલ છે, અનિત્ય છે; માટે હે ભારત! તેમને તું સહન કર.

ભગવાન કહે છે કે આ દુનિયા કેવી રીતે પરિવર્તનશીલ છે? ‘માત્રા સ્પર્શાસ્તુ કૌન્તેય, શીતોષ્ણ સુખદુખદા’, તે ઈન્દ્રિયો અને તેમના વિષયોની બાબત છે. ભગવાન કહે છે: 'શીત અને ઉષ્મા, સુખ અને દુઃખ એ ઇન્દ્રિયો અને વિષયો સાથેના સંબંધને કારણે પેદા થાય છે'.
અપણે જાણીએ છીએ કે આપણાં પાંચ જ્ઞાન ઇન્દ્રિયો છે: આંખો, કાન, નાક, ત્વચા અને જીભ. આ ઇન્દ્રિયો તેમના વિષયોની તરફ આકર્ષાય છે: આંખોને રૂપ જોઇએ છે, કાનને શબ્દ સાંભળવા છે, ત્વચાને સ્પર્શ અનુભવવો છે, નાક સુગંધ ઇચ્છે છે અને જીભને સ્વાદ ચાખવો છે. પરંતુ આ વિષયો હંમેશા મનાનુકૂળ નથી. શીત અને ઉષ્મા, સુખ અને દુઃખ બંને એકબીજાના વિપરીત અનુભવો છે, જે ઇન્દ્રિય વિષયો સાથેના સંયોગને કારણે સર્જાય છે.

શીત એટલે સુખ, અને ઉષ્ણ એટલે દુઃખ. જેમ કે, જ્યારે કાને નિંદા સાંભળવી પડે ત્યારે દુઃખ થાય છે, અને જ્યારે કાને પ્રશંસા સાંભળવી મળે ત્યારે સુખ થાય છે. આંખો કોઈ સુંદર દર્શન કરે તો સુખ અનુભવાય છે, અને જો કશું ભયાનક દ્રશ્ય, જેમ કે અકસ્માત થાય, તો દુઃખ થાય છે. નાકને સુગંધ મળે ત્યારે આનંદ થાય છે, પરંતુ દુર્ગંધથી નફરત થાય છે. આ રીતે બે પ્રકારના ભાવ આપણા અંદર પેદા થાય છે.

અર્જુન, એ સત્ય છે કે, આપણા ઇન્દ્રિયોના વિષયો સાથેના સંપર્કથી આ બે પ્રકારના ભાવ જન્મે છે. એક તો મનાનુકૂળ હોય છે, જે આપણે ઇચ્છીએ છીએ, અને બીજું તે હોય છે જે મનને પ્રતિકૂળ હોય છે, જે આપણે નહીં ઇચ્છીએ. જે ઇચ્છનીય હોય છે, તે માટે આપણે રાગ ધરાવીએ છીએ, અને જે અસ્વીકાર્ય હોય છે, તેની તરફ ઘૃણા થાય છે. જો કોઈની નિંદા થાય છે તો તેને અપ્રિયતા અનુભવાય છે, અને જો પ્રશંસા થાય છે તો પ્રેમભાવ ઉપજતો હોય છે. પરંતુ, પરિસ્થિતિઓનું સ્વરૂપ બદલાય શકે છે; જે આજે નિંદા કરે છે, તે કાલે પ્રશંસા કરી શકે છે, અને જે પ્રશંસા કરે છે, તે કાલે નિંદા કરી શકે છે. આ દુનિયા સદાય પરિવર્તનશીલ છે, અને આપણા સંબંધો પણ સમય સાથે બદલાતા રહે છે.

પરંતુ, આ પરિવર્તનશીલ જગતમાં સ્થિર અને નિત્ય સંબંધ મેળવવાનો પ્રયત્ન આપણે કરતા હોઈએ છીએ. ક્યારેક, લોકો આપણું રૂપ નિંદનાત્મક રીતે પણ લઈ શકે છે. એવું બને છે કે, આપણે માને કે આપણે ખૂબ સુંદર દાગીનામાં સજ્જ છીએ, અને કોઈ આવીને કહેશે, ‘કેમ તમે આ ઉદાસ દેખાવ છે? તમારું ચહેરો કેમ ખરાબ લાગી રહ્યો છે?’ આ રીતે જગત આપણને સતત નચાવે છે.

ભગવાન કહે છે કે, આ ઇન્દ્રિયોના વિષયો સાથેનો આ સહજ સંયોગ શાશ્વત નથી. તે આવે છે અને જાય છે. ભગવાન કૃષ્ણ એ માટે ‘આગમ’ શબ્દનો ઉપયોગ કરે છે, જેનો અર્થ છે, ઉદભવ થાય છે અને પછી નષ્ટ થઈ જાય છે. આ સુખ-દુઃખ બંને અનિત્ય છે, કેમ કે, તે કદી પણ સદાય માટે રહેતું નથી. ભગવાન કહે છે, 'તાન્ તિતિક્ષ સ્વ' આ એક ખૂબ સુંદર શબ્દ છે. 'તિતિક્ષા'નો અર્થ છે સહનશક્તિ. સુખ અને દુઃખ, બંનેને સહન કરવું પડે છે. વિપ્રતિપક્ષી પરિસ્થિતિઓનો સ્વીકાર કરી, હર્ષમાં અતિઉલ્લાસ અથવા પ્રસિદ્ધિથી ઘમંડ ન આવે તેવું ધ્યાન રાખવું જોઈએ.

ભગવાન શીખવે છે કે જીવનમાં આવતા આ બધા જ વિરુદ્ધ ભાવોને સમતુલ્ય મનથી સ્વીકારો. 'તિતિક્ષા' એટલે ધીરજ અને શાંત રહેવું, અને આ રીતે, તમે કોઈ પ્રતિક્રિયા આપ્યા વિના સૌને સહન કરવા શીખી જશો. ગુરુદેવ એક સુંદર વાત કહે છે: 'શું આપણે એવું મન બનાવી શકીએ, જે પ્રતિક્રિયા ન આપે?' હકીકતમાં, આપણે ક્યારેક લોકોને સાંભળવા કે વિચારવા કરતાં પહેલાં તરત જ પ્રતિક્રિયા આપી દેતા હોઈએ છીએ. આજના સમયમાં, જો આપણે સોશિયલ મીડિયાની વાત કરીએ, તો તે પ્રતિક્રિયાઓ પર જ આધારિત છે. કેટલાં લોકોએ 'લાઈક' કર્યું છે, કેટલાં લોકોએ 'ડિસલાઈક' કર્યું છે, અને કેટલાં લોકો કોમેન્ટ કરે છે - આ બધું જ આપણા રોજિંદા જીવનને ગોઠવે છે.

ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરનાર એક ઈલેક્ટ્રિકલ એન્જિનિયર સમજી શકે છે કે જ્યારે ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં રિએક્ટિવ એનર્જી ઓછી થાય છે, ત્યારે જ એક્ટિવ એનર્જી વધે છે. આ માટે, સિસ્ટમમાં કેપેસિટર્સ લાગુ કરવામાં આવે છે, જેથી પ્રતિક્રિયાઓ ઘટાડીને અસરકારક કાર્ય થાય. ભવદીય જીવનમાં પણ, જો આપણે પ્રતિક્રિયાઓ ઓછા કરી શકીએ, તો એ કૃતિઓ વધુ મજબૂત અને અસરકારક બની શકે છે. ભગવાન કહે છે, 'તિતિક્ષા સ્વ' - દરેક પરિસ્થિતિને સહન કરો, પ્રતિક્રિયા ન આપો, અને આપનું જીવન ઉર્જાવંત બની જશે.
"જ્ઞાનેશ્વર મહારાજ આ માટે કહે છે:

देखें शब्दाचि व्याप्ति । निंदा आणि स्तुति ।
तेथ द्वेषाद्वेष उपजती । श्रवणद्वारें ॥

શબ્દો માત્ર સુખ જ નથી આપતા, દુ:ખ પણ આપે છે. નિંદા સાંભળવાથી દુ:ખ થાય છે, અને તેનાથી દ્વેષનો ભાવ પેદા થાય છે. આ રાગ અને દ્વેષ પણ એકસાથે ચાલે છે. જો કોઈ સાસુ પોતાની પુત્રી સાથે બહુ જ સ્નેહ રાખે છે, તો એના રાગને કારણે પોતાની વહુ પ્રત્યે દ્વેષનો ભાવ ઉભો થઈ શકે છે. ભગવાન અહીં આપણને આપણા બધા સંબંધો દૂરથી જોવા શીખવે છે. આપણા વડીલોને જોઈને આ સમત્વ આપણા વ્યવહારમાં છે કે કેમ તે વિચારવું પડે છે, જેથી આ રાગ અને દ્વેષનો ઉદય ન થાય.
જ્ઞાનેશ્વર મહારાજ કહે છે કે,

भ्यासुर आणि सुरेख । हें रूपाचें स्वरूप देख ।
जें उपजवी सुखदुःख । नेत्रद्वारें ॥

સુખ અને દુઃખ આ બંને ભાવ મનુષ્યમાં પેદા થાય છે. એ બંનેને સહન કરવું જોઈએ, કારણ કે એ બદલાતા રહે છે.
ઉનાળો આવે છે અને પછી વરસાદી ઋતુ આવે છે, ત્યારે વરસાદ આપણને આનંદ આપે છે, કારણ કે ધરતી ઉનાળાની ગરમીથી તપેલા જેવી થઈ જાય છે. એ સમય મન પણ તપેલું બને છે, અને વરસાદી ઋતુ આનંદદાયી બની જાય છે. પરંતુ સતત વરસાદ વરસે તો એ બોરિંગ લાગે છે; આપણે વિચારીએ કે ક્યારે વરસાદ બંધ થાય, ક્યારે આપણા કપડા સૂકાય, ક્યારે તહેવારો માણી શકીશું? આમ, દુ:ખ એ એક કારણ છે જેનાથી સુખ પ્રાપ્ત થાય છે, એ બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. ભગવાન કહે છે કે જીવનમાં આ પરિસ્થિતિઓ વારંવાર આવતી રહેશે. એ બધાને સહન કરો.

જો એ જ વસ્તુ ફરી ફરી આપી જાય તો તે જ આનંદ આપે નહીં. જેમ કે, જો આપણે મીઠાઈનો પહેલો પેડો ખાઈએ, તો તે તમને તૃપ્તિ આપે છે. પણ બીજો પેડો ખાઈએ તો તૃપ્તિ ઓછી થાય છે, અને ઘણાં પેડા ખાઈએ તો કંટાળો આવે. આજ્ઞા એ છે કે આ વિષયો આપણે સહન કરવા જોઈએ, કારણ કે એ બદલાતાં રહે છે, અને એ આપણા મનની સ્થિતિ પર નિર્ભર કરે છે. આ પ્રમાણે સુખ અને દુ:ખની વ્યાખ્યા થતી રહે છે.
અનુકૂલ વેદ નિયમ સુખમ, પ્રતિકૂલ વેદ નિયમ દુખમ: અનુકૂળ પરિસ્થિતિએ સુખને જન્મ આપવો જોઈએ, અને પ્રતિકૂળ પરિસ્થિતિએ દુખને. ઉદાહરણ તરીકે, ગરમીમાં એસી અમને સુખદ લાગે છે, પરંતુ શિયાળામાં એ જ એસી અમને સુખદ નથી લાગતી. તે જ રીતે, શિયાળામાં ધાબળો ઓઢીને સુવાં આનંદદાયક લાગે છે, પરંતુ ઉનાળામાં તેવું નથી લાગતું.
એટલે એ સમજી લેવું જોઈએ કે વિષયોમાં પોતે સુખ નથી; વિષય જ્યારે મનના અનુકૂળ હોય છે, ત્યારે સુખ અનુભવાય છે. આ સત્યને જાણીને, આવતા સુખ અને દુખના આઘાતોમાં વિક્ષિપ્ત ન થવું. તિતિક્ષા વિકસાવવી જોઈએ, અર્થાત સહન કરવાની કળા શીખવી જોઈએ. જે આ કળા શીખે છે તે ધીર પુરુષ કહેવાય છે. હે અર્જુન, એવો પુરુષ જ પંડિત ગણાય છે અને એ અમૃત સુધી પહોંચે છે.

2.15

યં(મ્) હિ ન વ્યથયન્ત્યેતે, પુરુષં(મ્) પુરુષર્ષભ।
સમદુઃખસુખં(ન્) ધીરં(મ્), સોઽમૃતત્વાય કલ્પતે॥૨.૧૫॥

કેમકે હે પુરુષશ્રેષ્ઠ! દુ:ખ-સુખને સમાન સમજનાર જે ધીર પુરુષને આ ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો વ્યાકુળ નથી કરતા, તે મોક્ષને પાત્ર થાય છે.

ભગવાન કહે છે: "હે પુરુષ શ્રેષ્ઠ અર્જુન!" ભગવાન અર્જુનના મનને દુઃખમાંથી બહાર લાવવા અને પ્રેરણા ભરવા માટે આ રીતે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરે છે. તેઓ અર્જુનને ઓળખ આપે છે, "તું નરશ્રેષ્ઠ છે, નરોત્તમ છે, " આવી પ્રશંસા વચ્ચે તેઓ સમજાવે છે કે સુખ અને દુઃખ સમાન રૂપે પ્રાપ્ત થાય છે અને ધીર પુરુષ તે પ્રત્યે અચલ રહે છે. ધીરતા એટલે ધૈર્ય અને સહનશીલતા. ભગવાન કહે છે, "ધીર પુરુષ હમેશાં દૃઢ રહે છે." ધૈર્યનો અર્થ છે કે તમે સહન કરો ને તમે જાળવશો તો અમૃત સુધી પહોંચી શકશો.
લોકમાન્ય તિલકજીના જીવનનો પ્રસંગ: આ પ્રસંગ આપણ બધા જાણીએ છીએ કે કેવી રીતે તેમના મોટા પુત્રનું પ્લેગના કારણે અવસાન થયું હતું. લોકમાન્ય તિલક 'કેસરી' પત્ર માટે મુખપૃષ્ઠ લેખન લખાવી રહ્યા હતા, અને ન. ચી. કેલકર લખી રહ્યા હતા. જયારે આ ખબર આવી કે તેમના પુત્રનું અવસાન થયું છે, તિલકજી અંદર ગયા, તેમના પુત્રને પ્રણામ કર્યા અને પુત્રના મૃતદેહને છોડી, પાછા આવીને કેલકરજીને કહ્યું, "આગળ લખો." કેલકરજી ગદ્ગદ્ થઈ ગયા અને બોલ્યા, "આજે છોડી દઈએ."
લોકમાન્ય તિલકજીનું એક પ્રસિદ્ધ વાક્ય છે:

गावाची होळी पेटली आहे यात प्रत्येक घरातील गोव-या जावयाच्या.
त्यात आपल्या घरातील दोन गोव-या गेल्या

તિલકજી કહે છે: મારા ઘરમાં તેમજ બધે પ્લેગનું તાંડવ ચાલી રહ્યું છે, પણ મને દુઃખ કરવા માટે સમય નથી. રાષ્ટ્રનું કાર્ય થવું જોઈએ. 'કેસરી' પત્રનો અંક બહાર આવવો જોઈએ. મારે મારું દુઃખ ભુલાવીને માતૃભૂમિને સ્વતંત્રતા અપાવવી છે. હું દુઃખમાં બેસી શકું તેમ નથી.

આવા ધીર પુરુષને ભગવાન અમૃતત્વાય કલ્પતે કહે છે.

2.16

નાસતો વિદ્યતે ભાવો, નાભાવો વિદ્યતે સતઃ।
ઉભયોરપિ દૃષ્ટોઽન્તઃ(સ્), ત્વનયોસ્તત્ત્વદર્શિભિઃ॥૨.૧૬॥

અસત્ પદાર્થની સત્તા વિદ્યમાન નથી અને સતનો અભાવ વિદ્યમાન નથી; આ બન્નેનું તત્ત્વ તત્ત્વજ્ઞાની પુરુષોએ જોયું (અનુભવ્યું) છે.

ભગવાન આગળ કહે છે: ‘અર્જુન! તું એક વાત જાણી લે. જે સત્ય છે, તેનો ક્યારેય અભાવ નથી થતો, તે ક્યારેય બદલાય નહીં. જે બદલાય છે તે સત્ય નથી. અસત્ ભાવનો ક્યારેય ભાવ નથી થતો.’ ભગવાન મોટો સિદ્ધાંત આ શ્લોકમાં પ્રસ્તુત કરે છે: અસત્ નો ભાવ નથી, અને સત્ નો અભાવ નથી.

તે વ્યક્તિ કે જે બંને તત્ત્વોને ઓળખે છે તે તત્ત્વદર્શી કહેવાય છે. તત્ત્વદર્શી અને તત્ત્વજ્ઞાની બંને જાણે છે કે સત્ય શું છે અને અસત્યનું ક્યારેય સત્યરૂપ થઈ શકતું નથી. આ વાત સમજી લેવી જરૂરી છે. જે અસત્ય છે તે બદલાય છે, અને સત્ય ક્યારેય બદલાતું નથી. આ જે મારો એક દેહ છે જેનું નામ વંદના છે, જે નામ મારી માતાએ મને આપ્યું છે. આ દેહ ફેરફાર પામનાર છે, એક નામ છે, પણ આ દેહમાં બુદ્ધિ ધરાવતા મારા પરિવારજન અથવા અન્ય લોકોના ભાવ મારે પ્રતિ અલગ-અલગ હશે. પિતા તરીકેનો ભાવ જુદો છે, પુત્રના રૂપમાં જુદો છે, મા તરીકે જુદો છે, પતિ માટે જુદો છે, મિત્રોમાં જુદો છે, ગુરુનો ભાવ જુદો છે. એક જ વ્યક્તિ હોવા છતાં એક જ વ્યક્તિને જુદાં-જુદાં ભાવોથી જોવાનો આ ફેરફાર કેમ છે? કારણ કે તેઓ દેહ બુદ્ધિથી જોઈ રહ્યા છે. પણ એ સત્ય, ચૈતન્ય તત્ત્વ, જે આ દેહના અંદર છે, જે તત્ત્વને જોઈને ઓળખે છે તે સત્ય છે, અને તે ક્યારેય બદલાતું નથી, સૌમાં સમાન છે.

તે પછી તે દેહ પુરૂષનો હોય, સ્ત્રીનો હોય, બાળકનો હોય કે વૃદ્ધનો, એ તત્ત્વ સર્વત્ર છે. તેથી સ્થળ અને સમય આધારિત જે તત્ત્વ છે તે બદલી શકાય છે, પરંતુ જે અસ્થિર સત્ય છે તે કોઈ સ્થળ કે સમયે બદલાતું નથી. જેમ હમણાં આપણે કહીએ કે આપણે ભારતમાં છીએ, તો કહીએ કે હિમાલય ઉત્તર દિશામાં છે. પરંતુ કોઈ ચીનમાં બેઠો હોય તો એ કહેશે કે હિમાલય દક્ષિણ દિશામાં છે. આ સ્થળ અને સમય પર આધાર રાખે છે.
જ્ઞાનેશ્વર મહારાજ કહે છે:

जो सर्वदा सर्वगतु । जन्मक्षयातीतु ।
तया केलियाहि घातु । कदा नोहे ॥

જે તત્ત્વ સર્વત્ર છે, તે ક્યારેય નષ્ટ થતું નથી. એ તત્ત્વને તત્ત્વદર્શી ઓળખે છે. આ જ કારણથી તેઓ તત્ત્વદર્શી કહેવાય છે. આ મહત્ત્વનો સિદ્ધાંત છે: "નાસતો વિદ્યતે ભાવો, નાભાવો વિદ્યતે સત."
કાયમી ઉર્જાનો નિયમ: ઉર્જાને ક્યારેય ઉત્પન્ન ન કરી શકાય કે ન નષ્ટ કરી શકાય, તે સદાય અવિનાશી છે. આ ચૈતન્ય, આ ઉર્જા કાયમી છે.

જ્ઞાનેશ્વર મહારાજે તત્ત્વદર્શીને રાજહંસ સાથે સરખાવ્યા છે. રાજહંસ કેવી રીતે નીર-ક્ષીરનો ભેદ જાણે છે? તે દૂધમાંથી પાણીને અલગ કરીને દૂધને ગ્રહણ કરે છે, એટલે કે જ્ઞાનવંત વ્યક્તિ શું ધારણ કરવું અને શું છોડવું તે જાણે છે. જીવનમાં કઈ વસ્તુ ધારણ કરવી છે અને કઈ છોડવી છે, તે જાણવું એ સાચી બુદ્ધિ છે. જેમ રાજહંસ માત્ર દૂધને ગ્રહણ કરે છે અને પાણીને છોડી દે  છે, એવી રીતે મહાત્માઓ જીવનમાં શ્રેષ્ઠતાને ગ્રહણ કરે છે અને અશ્રેષ્ઠને ત્યજી દે છે. આ કારણે મહાત્માઓને પરમહંસ કહેવામાં આવે છે, કેમ કે તેઓ પોતાના જીવનમાં કયા કાર્યોને ધારણ કરવા જોઈએ અને કયા કાર્યોને ત્યજી દેવા જોઈએ તે જાણે છે.

ભગવાન અહીં આ તત્વજ્ઞાન સમજાવે છે અને અર્જુનના શોકનો નાશ કરવા માગે છે. અર્જુન યુદ્ધભૂમિમાં ઊભો છે, જ્યાં યુદ્ધ કરવું એ તેનું કર્તવ્ય છે, કેમ કે એક ક્ષત્રિય તરીકે કર્તવ્યનું પાલન એનો ધર્મ છે. ભગવાન કહે છે કે જો તમે માત્ર દેહને નાશ કરી દો, તો પણ ચૈતન્યનો નાશ કરી શકતા નથી. અહીંથી ભગવાન યુદ્ધના કર્તવ્યના ગુણગાન કરી શકશે અને આગળ આપણે આ જ્ઞાનને વધુ ઉંડાણથી સમજવાનો પ્રયાસ કરીશું.

આ જ્ઞાનની વિલક્ષણતા ગુરુદેવની કૃપાથી આપણી પાસે પહોંચે છે, અને આ જ્ઞાન ગ્રહણ કરવા માટે ભગવાને જે સુંદર રીતે તત્વજ્ઞાનનું વર્ણન કર્યું છે તે આપણાં પર અવિરત બની રહે. દિવાળીના પાવન અવસરે આ જ પ્રાર્થના છે. જ્ઞાનેશ્વર મહારાજની જય! સદગુરુ દેવ ભગવાનની જય!

પ્રશ્નોત્તરી સત્ર:

પ્રશ્નકર્તા: પદ્મિનીજી
પ્રશ્ન: જય શ્રીકૃષ્ણ દીદી! મારો એક પ્રશ્ન છે કે, વ્યાસજીએ મહાભારત તો પહેલેથી લખી હતી, પરંતુ ગીતાનું જે જ્ઞાન ભગવાનજીએ અર્જુનને આપ્યું હતું, તે યુદ્ધ દરમિયાન થયું હશે કે પહેલાથી લખાયું હશે?
ઉત્તર: જુઓ, વ્યાસજી દ્વારા મહાભારત સમકાલીન જ છે. આપણે આ બે રીતે સમજી શકીએ છીએ. પ્રથમ, જો આપણે સમજીએ કે વ્યાસજીએ પહેલેથી જ લખી હતી, તો તેઓ ભવિષ્ય જાણનાર પ્રજ્ઞાવાન પુરુષ હતા. તેઓની પ્રજ્ઞાથી તેઓ ભવિષ્ય જોઈ શકતા હતા અને તેમણે ભગવાન ગણેશજીની મદદથી તે બધું લખ્યું હતું અને એ પ્રમાણે જ બધું ઘટ્યું. આપણી પાસે ભૃગુ સંહિતા પણ છે, જે ભૃગુ ઋષિએ લખી હતી અને જેમાં ભવિષ્યની ઘટનાઓ પહેલાંથી જ દર્શાવેલી છે.
બીજી વાત એ છે કે, ભગવાન વેદ વ્યાસજી સત્યવતી માતા અને પરાશર મુનિના પુત્ર હતા. સત્યવતી માતાના પૌત્ર પાંડવોને રાજ્ય મળ્યું, કેમ કે ભીષ્મ પિતામહે રાજ્ય ગ્રહણ ન કરવાનું વચન આપ્યું હતું. તો વ્યાસજી પણ ત્યાં હાજર હતા અને સમગ્ર ઘટનાક્રમને નિહાળતા હતા. તેથી આપણે સમજવું જોઈએ કે વેદ વ્યાસજી ઘટનાઓના દ્રષ્ટા હતા અને તે દરેક પળોમાં ઉપસ્થિત હતા, અને તેમણે તે જ સમયે મહાભારત લખ્યું.

પ્રશ્નકર્તા: યોગેશજી
પ્રશ્ન: જય શ્રી કૃષ્ણ, દીદી! શંકા છે કે ગુરુદિક્ષા લેવા માટે પતિ-પત્ની બંનેનું એક સાથે હોવું આવશ્યક છે? શું કોઈ એકલો દિક્ષા લઈ શકે છે?
ઉત્તર: જી હા, એકલાઓ પણ દિક્ષા લઈ શકે છે. પતિ અથવા પત્ની એકમાંથી કોઈને રસ ન હોય તો પણ કોઈ દોષ નથી. પરંતુ સાથે રહેનારા સંબંધોને સાચવીને આ માર્ગ પર આગળ વધવું જોઈએ. સંસારિક સંબંધો ના બગડે તે ધ્યાન રાખીને આગળ વધવું જોઈએ. એ રીતે ધીરે-ધીરે તેઓ પણ સાથે ચાલવા ઇચ્છા ધરાવે છે.

પ્રશ્નકર્તા: ભૂષણ પંડિતજી
પ્રશ્ન: શ્લોક "ન ત્વેવાહં જાતુ નાસં" સમજી નથી શકતો.
ઉત્તર: શ્રીકૃષ્ણ અહીં કહે છે કે “કોઈક સમય એવો નહોતો કે હું ન હતો, તું ન હતો, અથવા આ રાજાઓ ન હતા.” આ ચૈતન્ય સ્વરૂપે બધાંજ અવિનાશી છે. ભગવાન આ રીતે અર્જુનને સમજાવી રહ્યા છે કે તેઓ ખરા અર્થમાં નાશ પામનાર નથી.

પ્રશ્નકર્તા: ઉમેશકુમારજી
પ્રશ્ન: જય શ્રીકૃષ્ણ, મારો પ્રશ્ન છે કે મહાભારતના શ્લોકોના અર્થ કેવી રીતે સમજવા?
ઉત્તર: શ્લોકોના અર્થને ઊંડાણથી સમજવા માટે વારંવાર અભ્યાસ કરવો અને વિવેચન સાંભળવું જરૂરી છે. જેમ તમે કહ્યું કે 8 નવેમ્બરથી નવી શરુઆત થઈ રહી છે, તે દરમિયાન નોંધણી કરીને ફરીથી આ વિષયને ઊંડાણપૂર્વક સમજશો. આથી ઉચ્ચારણ અને શુદ્ધતામાં પણ સુધારો થશે.
આ સાથે જ પ્રશ્નોત્તરીનું સત્ર સમાપ્ત થયું. પછી અંતિમ પ્રાર્થના અને હનુમાન ચાલીસાના પઠન પછી વિવેચનસત્રની સમાપ્તિ થઈ.

                      ॥  ૐ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. ॥