विवेचन सारांश
અવિનાશી પદની પ્રાપ્તિ
ગીતા પરિવારની પરંપરા મુજબ હનુમાન ચાલીસાનું પઠન થયું. શરૂઆતની પ્રાર્થના અને દીપ પ્રજ્વલન થયું. અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનાના લોકોને શ્રદ્ધાંજલિ આપ્યા પછી વિવેચનસત્રની શરૂઆત થઈ. ગુરુ વંદના, જ્ઞાનેશ્વર મહારાજને શત્ શત્ પ્રણામ, ગંગા માતાને અને સરસ્વતી માતાને પ્રણામ, ગીતામૈયાને વંદન, ભગવાન વેદવ્યાસજી તથા પરમ પૂજ્ય સદ્ગુરુ સ્વામી ગોવિંદદેવગિરિજી મહારાજના ચરણોમાં કોટી-કોટી વંદન સાથે વિવેચનની શરૂઆત થઈ.
ભગવાનની અતિશય મંગલમય કૃપા આપણા સૌ પર વરસી રહી છે, જેનાથી આપણે આ માનવ જીવનને સફળ અને સાર્થક બનાવી શકીએ. આ જીવનના પરમ ઉચ્ચ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે, આ જીવનને વિજયી બનાવવા માટે, અને તેને સિદ્ધિ સુધી પહોંચાડવા માટે, જો આપણે ભગવદ્ગીતામાં પ્રવૃત્ત થઈએ, તો એ અમુલ્ય તક છે. શા માટે આપણને આ સુવર્ણ અવસર મળ્યો? કદાચ આ આપણા કોઈ આ જન્મના સુકૃત છે, કોઈ પૂર્વ જન્મના સુકૃત છે કે પિતૃઓના કોઈ પુણ્યફળ છે અથવા કોઈ જન્મમાં કોઈ સંત મહાપુરુષની કૃપાદૃષ્ટિ આપણ પર પડી છે, આપણા ભાગ્યોદય માટે અમુક શુભ સંયોગો બનેલા છે, જેનાથી આપણે ગીતા વાંચવા માટે પસંદ કરાયેલા છીએ. આવા વિચારે મનમાં વારંવાર એ વિશ્વાસ જગાવવો જોઈએ કે આપણે ગીતા પસંદ કરી નથી, ગીતાજીએ આપણને પસંદ કર્યા છે. ભગવાનની અતિશય મંગલમય કૃપાથી જ ભગવદ્ગીતા મેળવવી શક્ય બને છે.
જેમ-જેમ ગીતાનું આપણે ચિંતન કરતા જઈએ છીએ, એને આપણા જીવનમાં લાવતાં જઈએ છે એમ-એમ જીવનમાં કેટલા બધા લાભ થાય છે! જીવન પ્રગલ્ભ થઈ રહ્યું છે, તકલીફમાં પણ હું શાંતિનો અનુભવ કરી શકીએ એવો પ્રયાસ કરવા લાગ્યા છીએ. આપણે આઠમા અધ્યાયનું ચિંતન કરી રહ્યા છીએ કે મનુષ્ય કઈ રીતે અંતકાળે મને સ્મરતો-સ્મરતો શરીર છોડે છે તે મને જ પ્રાપ્ત કરે છે,“अन्तकाले च मामेव, स्मरन्मुक्त्वा कलेवरम् ।”
અને જે વ્યક્તિ આખું જીવન જે ભાવમાં વ્યતીત કરે છે તે જ ભાવ અંત સમયે રહે છે. જેનો પ્રભાવ આખા જીવન પર રહે છે અને એ તે જ યોનીને પ્રાપ્ત કરે છે!
“ यं यं वापि स्मरन्भावं, त्यजत्यन्ते कलेवरम्।”
અંત સમયે જો ઈશ્વરનું સ્મરણ થઈ જાય તો એ પરમધામને પ્રાપ્ત કરે છે જ્યાંથી એને પાછું આવવું પડતું નથી!
આગળના પાંચમા અને છઠ્ઠા શ્લોકમાં આપણે જોયું કે આપણે આખી જીન્દગી જેવા ભાવમાં જીવીએ છીએ અને જેનું ચિંતન કર્યા કરીએ છીએ અંત સમયે એવો જ ભાવ નિર્માણ થાય છે અને આપણે એવી જ યોનિમાં જન્મ પામીએ છીએ. જો એ સમયે આપણને ભગવાનનું સ્મરણ રહે તો આપણને જન્મ મરણના ચક્રમાંથી છૂટીને પરમ ધામમાં આશ્રય મળે છે.
तस्मात्सर्वेषु कालेषु मामनुस्मर युध्य च।
मय्यर्पितमनोबुद्धिर्मामेवैष्यस्यसंशयम्।।8.7।।
ભગવાન કહે છે, "હે અર્જુન! તું મારું ચિંતન કરતાં-કરતાં તારું નિર્ધારિત કામ - યુદ્ધ કરવાનું, તે કર." દરેક સમયે પોતાના કર્તવ્યની સાથે-સાથે પરમાત્માનું સ્મરણ કરતાં રહેવું જોઈએ. અર્જુનનું કર્મ યુદ્ધ કરવાનું હતું પણ આપણે રસોઈ કરતાં, ઓફિસનું કામ કરતાં, ધંધો કરતાં, ગૃહસ્થી સંભાળતાં ભગવાનનું સ્મરણ કરવાનું છે. આ રીતે મન અને બુદ્ધિને પરમાત્મામાં સમર્પિત કરશો તો અવશ્ય પ્રભુને પ્રાપ્ત થાય છે, ભગવાન આની ખાત્રી આપે છે. કોઈ શરતો નથી કરતાં પણ આના માટે પ્રભુમાં વિશ્વાસ હોવો બહુ જ જરૂરી છે. કોઈને થાય કે અસંશય કેવી રીતે થાય?
આના માટે શિવ પાર્વતીની એક કથા જોઈએ. એક વાર શિવ-પાર્વતી કુંભમેળામાં ફરવા ગયા હતા. પાર્વતીજીને લાગ્યું કે ખાલી ગંગામાં ડૂબકી મારવાથી બધા પાપ ધોવાઈ જાય એ તો બહુ જ સરળ છે અને આ સદ્જીવન જીવનારા લોકો માટે અન્યાય છે! શિવજીએ બહુ સમજાવ્યા છતાં પાર્વતીજીના સંશયનું નિરાકરણ ન થયું. એમણે શિવજીને કહ્યું કે મારી શંકાનું નિવારણ કરો. શિવજીએ માયા કરીને ત્યાં વરસાદ વરસાવ્યો જેથી ત્યાં મોટો ખાડો પડી ગયો. હવે શિવજીએ પાર્વતીજીને સમજાવ્યું કે એમણે શું નાટક કરવાનું છે અને પોતે કોઢિયા બનીને એ ખાડામાં પડી ગયા. પાર્વતીજી રડવા માંડયા અને લોકોને શિવજીને બહાર કાઢવાનું કહેવા લાગ્યા. ઘણા લોકો મદદ કરવા આવ્યા પણ માતાજીએ એમને એમ કહ્યું કે મારા પતિ કોઢિયા છે, તેથી જેમણે કોઈ પાપ ના કર્યું હોય એ મદદ કરે, નહીં તો એને પણ કોઢ થઈ જશે. બધા પાછળ ખસી ગયા. સાંજ પડી ગઈ પણ કોઈ મદદ ન મળી, બધા પાર્વતીજીની વાત સાંભળીને અટકી જતાં. એટલામાં દૂરથી એક છોકરો દોડતો આવ્યો. માતાજીએ એને પણ એ જ કહ્યું જે એ બધાને કહેતા હતા. પણ છોકરાએ કહ્યું કે, " હું હમણાં જ ગંગામાં ડૂબકી મારીને આવ્યો છું એટલે મારા બધા પાપ ધોવાઈ ગયા છે અને હું બીજા પાપ કરું એ પહેલાં મને તમારા પતિને બહાર કાઢી લેવા દો." અને એણે શિવજીને ખાડામાંથી બહાર કાઢ્યા. આ છે વિશ્વાસ. હજારો લોકોમાંથી એક જ જણને વિશ્વાસ હતો કે ગંગાસ્નાનથી બધા પાપ ધોવાઈ જશે. જેને વિશ્વાસ હોય એને જ કર્મની ફળપ્રાપ્તિ થાય છે. ફક્ત યંત્રવત્ ડૂબકી મારવાથી કંઈ ન થાય, વિશ્વાસ હોવો બહુ જરુરી છે. આમ, ભગવાનને સમર્પિત રહીને બધા કર્મ કરવાથી ભગવાનની પ્રાપ્તિ થાય છે.
કાકભુષુંડીજી ગરુડજીનો એક સંવાદ છે,
"नर्तन समन ही कौनो देही जीव चराचर याचत देही ।
नरक स्वर्ग अप बर्ग न सैनी ज्ञान वैराग भक्ति सुख देनी ॥”
આ નર્તન સામાન્ય નથી! એના જેવું બીજું કંઈ નથી! એનો ઉપયોગ ત્યારે જ છે જ્યારે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું સુખ બધાને મળે! જે આ જાણી ગયો તે મને જ પ્રાપ્ત થઈ જાય છે. ભગવાન કહે છે કે બધા કર્મો મને યાદ કરતાં-કરતાં કરો અને મને અર્પણ કરો તો તમે કર્મફળમાં નહીં બંધાવ અને મને પ્રાપ્ત કરી લેશો!
અર્જુનના મનમાં પ્રશ્ન આવ્યો કે આ બહુ અઘરું છે! આ કઈ રીતે થશે?
ભગવાન કહે છે, સાંભળ!
अभ्यासयोगयुक्तेन चेतसा नान्यगामिना।
परमं पुरुषं दिव्यं याति पार्थानुचिन्तयन्।।8.8।।
શ્રીભગવાન કહે છે કે પરમેશ્વરના ધ્યાનનો અભ્યાસ અને ગુરુકૃપાથી મંત્રનું નિરંતર ચિંતન કરતાં મનુષ્ય પરમેશ્વરને પ્રાપ્ત થઈ જાય છે. શ્રીભગવાન કહે છે नान्यगामिना - મને છોડીને ક્યાંય ન જવું!
ઘોડાની આંખની આસપાસ પડદો લગાવવામાં આવે છે, કારણ કે ઘોડાને અહીં-તહીં જોવાની ટેવ હોય છે, પડદો લગાવ્યા પછી તે અહીં-તહીં જોઈ શકતો નથી, તે માત્ર સામેની તરફ જ જોઈ શકે છે, તેને માત્ર માર્ગ જ દેખાય છે.
શ્રીભગવાન કહે છે કે પોતાની ઉપર બધાં નિયમોના પડદા લગાવી દો જ્ઞાનના પડદા, વૈરાગ્યના પડદા, ભક્તિના પડદા, સત્સંગના પડદા, ગુરુ પ્રત્યેના અભ્યાસના લગાડવા પડે છે તેથી ચિત્તને એકાગ્ર કરી શકો.
એક વાર એક સ્ત્રી ગુરુ પાસે દીક્ષા લેવા ગઈ. ગુરુએ પૂછ્યું કે તું કોઈ જાપ કરે છે? સ્ત્રીએ કહ્યું કે એ દસ વર્ષથી "રામ કૃષ્ણ હરિનો" જાપ કરે છે. ગુરુએ માથે હાથ મૂકીને કહ્યું કે તું એ ચાલુ રાખ. સ્ત્રીને હતું કે દીક્ષા લેવાથી તો કોઈ બહુ મોટો ગુરુમંત્ર મળશે. એટલે એણે પોતાની શંકા ગુરુજીને જણાવી કે આ મંત્ર તો હું દસ વર્ષથી કરું જ છું, તો દીક્ષાનો શું અર્થ? ગુરુજી ઘણા સમર્થ હતા. એમણે પૂછ્યું કે હું તને પીપળાનું બીજ આપીશ અને તું એને રોપીશ તો એમાંથી પીપળો ઊગશે? સ્ત્રી ગામડાની હતી. એ જાણતી હતી કે એની શક્યતા બહુ ઓછી છે.પીપળો તો દીવાલ પર પણ ઉગેલો જોવા મળે છે તો બીજમાંથી કેમ ન ઊગે? કેમકે એના બીજનું પડ બહુ જાડું હોય છે. જ્યારે ચકલી બીજનું પડ તોડીને એ ખાય છે ત્યારે એના જઠરાગ્નિમાં પાકેલું એ બીજ ચકલીના મળ દ્વારા જ્યાં પડે ત્યાં ઊગી જાય છે. પીપળો બીજે બધે જ ઊગેલો મળશે, પણ ક્યારીમાં નહીં મળે.
ગુરુ આ જ કામ કરે છે. મંત્ર તો બધા સરખા જ છે પણ જયારે ગુરુ એને પોતાની અંદર પચાવીને એ મંત્ર કૃપાપૂર્વક શિષ્યને આપે છે ત્યારે એ ફળે છે અને એનાથી લોકોનું કલ્યાણ થાય છે.
कबीरा मन तो एक है, चाहे जहाँ लगा |
चाहे तो हरि भजन कर, चाहे तो विषय कमा ||
કબીરદાસજી કહે છે કે મન તો એક જ છે, એને ભગવાનમાં લગાડ કે વિષયોમાં લગાડ! આપણે એમ વિચારીએ છીએ કે ગીતાના ક્લાસ કરીશું, શનિવાર-રવિવારે વિવેચન સાંભળીશું બાકી જે કરતાં હોઈએ તે કરીશું! આપણે ભોગ અને યોગ બંને એકસાથે ઈચ્છીએ છીએ. ભગવાન કહે છે આનાથી કંઈ નહીં થાય. ભગવાન તેલધારાની વાત કરે છે આપણે જલધારાની વાત કરીએ છીએ. જગમાં ઉપરથી પાણી નાખો તો પાણી ચારે તરફ ઊડશે જ, પણ તેલ ગમે તેટલા ઉપરથી નાંખો તો પણ એ એક ધારમાં આમતેમ ઊડ્યા વગર પડશે. આપણું મન જલધારા જેવું હોય છે, જયારે યોગીનું મન તેલઘારા જેવું હોય છે. જ્યાં સુધી આપણું મન તેલઘારા જેવું ન થાય, એક પરમાત્મામાં સ્થિત ન થાય ત્યાં સુધી એને પામવું મુશ્કેલ છે. ભગવાને અહીં ગુણ બતાવ્યા છે.
જેમ એક પત્ની બધાં કામ કરે, સાસુ-સસરાનું ધ્યાન રાખે, બાળકો પ્રત્યેની બધી ફરજ પૂરી કરે પણ અંદરથી એનું ધ્યાન એના પતિમાં જ હોય છે. એમ બધા કાર્ય કરતી વખતે કાર્યથી અલિપ્ત થઈને મન ભગવાનમાં રહેવું જોઈએ. બધાં કામ ઉપરથી કરીશું પણ અંદરથી આપણું મન પરમાત્મા સાથે જ જોડાયેલું રહેશે તો આસક્તિ, રાગ-દ્વેષ ઉત્પન્ન નહીં થાય.
8.9
કવિં(મ્) પુરાણમનુશાસિતારમ્,
અણોરણીયાંસમનુસ્મરેદ્યઃ।
સર્વસ્ય ધાતારમચિન્ત્યરૂપમ્,
આદિત્યવર્ણં(ન્) તમસઃ(ફ્)પરસ્તાત્॥૮.૯॥
શ્રીભગવાને આ શ્લોકના માધ્યમથી પોતાના ગુણ બતાવ્યા છે, સ્વયંમને કોઈપણ નામથી સંબોધિત નથી કર્યા. શ્રીભગવાને કહ્યું, હું કહું છું કે હું કોણ છું અને પરમાત્માના લક્ષણ સમજાવ્યા. આ કૃષ્ણની વાત નથી!
કવિં - કવિનો સંસ્કૃતમાં મૂળ અર્થ છે સર્વજ્ઞ, જે બધું જ જાણે છે જે ત્રિકાળજ્ઞ છે, બધું કાબુમાં રાખે છે, અણુથી પણ સૂક્ષ્મ છે તો તે ઈશ્વર જ હોઈ શકે છે!
શ્રીભગવાન કહે છે કે જે સર્વજ્ઞ, અનાદિ, સદૈવ બધાને અનુસાશનમાં રાખનારા, બધાના નિયંતા, સૂક્ષ્મથી પણ અત્યંત સૂક્ષ્મ, સૌનું ધારણ-પોષણ કરનારા, અચિંત્યરૂપ, અજ્ઞાનથી અત્યંત ઉપર, સૂર્યનું સદ્રશ નિત્ય ચેતન પ્રકાશ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, શુદ્ધ, શ્રદ્ધાવાન સ્વરૂપનું ચિંતન કરે છે તે મને પ્રાપ્ત કરે છે! ભગવાને પોતાનો બાયોડેટા આપી દીધો!
ભગવાનની અષ્ટ સિદ્ધિઓ છે - અણિમા, ગરિમા, મહિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ. પરમાત્માના કોઈપણ રૂપનું ચિંતન પરમાત્માના કોઈપણ સ્વરૂપમાં કરો. બધાનું ભરણપોષણ કરનારો એ રીતે એનું ચિંતન ન કરી શકીએ! નિર્ગુણ નિરાકારનું સ્મરણ અઘરું છે! રામનું સ્મરણ કરીએ તો રામ મનમાં છે, શિવજીનું ચિંતન કરીએ તો શિવજી મનમાં છે, કૃષ્ણનું કરીએ તો કૃષ્ણ મનમાં છે પણ પરમાત્મતત્ત્વ તો એનાથી પણ અતીત છે! એનું ચિંતન કરી જ ન શકાય !
પ્રયાણકાલે મનસાચલેન,
ભક્ત્યા યુક્તો યોગબલેન ચૈવ।
ભ્રુવોર્મધ્યે પ્રાણમાવેશ્ય સમ્યક્,
સ તં(મ્) પરં(મ્) પુરુષમુપૈતિ દિવ્યમ્॥૮.૧૦॥
ભક્તિયુક્ત પુરુષ પ્રયાણકાળે યોગબળથી પ્રાણને ભ્રુકુટિ વચ્ચે સ્થિત કરીને અવિચળ મનથી પરમાત્માનું સ્મરણ કરીને પરમાત્માને પ્રાપ્ત કરે છે. છઠ્ઠા અધ્યાયમાં ભગવાન કહે છે,
असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम्।
अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते॥६.३५॥
જે જીવનભર અભ્યાસ કરે છે તે આ સ્થિતિ સુધી પહોંચે છે!
સિદ્ધયોગી જેવા કે શબરી, સુતીક્ષ્ણ, પરીક્ષિત આવા જ યોગી હતા. આ બધા અંતિમ સમયે આ જ સ્થિતિમાં હતા.
અંતિમ સમય માટે એક બહુ સુંદર ભજન છે,
જે જીવનભર આવી સાધના કરે છે, આવી પ્રાર્થના કરે છે, જીવનભર ચિંતન કરે છે, ધ્યાનપૂર્વક પ્રયાસ કરે છે તે જ આવી સ્થિતિ પામી શકે છે!
જ્યારે જાગીએ ત્યારે સવાર. જયારે પણ આ જ્ઞાન આવે ત્યારથી આ પ્રયત્ન કરવો જોઈએ. આખા જીવનમાં જે ભાવ રહેશે અંત સમયે તે જ ભાવ આવશે. એવું લાગે કે કામ કરતાં-કરતાં ભગવાનને કેવી રીતે યાદ કરીએ? પણ એવું નથી. જેમ ગાડી ચલાવતા શીખો ત્યારે તે બહુ મુશ્કેલ લાગે છે કે સ્ટીયરિંગ વ્હીલ, બ્રેક, એક્સેલરેટર, આવતાં-જતાં લોકો બધાનું ધ્યાન એક સાથે કેવી રીતે રહેશે? પણ અભ્યાસ પછી તે આપોઆપ થાય છે. તેવી જ રીતે ભગવદ્સ્મરણનો અભ્યાસ કરતાં કરતાં આપણે પણ એને રોજિંદા જીવનમાં વણી શકીએ છીએ, એ માટે પ્રયાસ નથી કરવો પડતો.
अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते॥
રામચરિત માનસમાં અરણ્યકાંડમાં સુતીક્ષ્ણ નામના મુનિનો બહુ સરસ પ્રસંગ આલેખાયેલો છે. સુતીક્ષ્ણ મહારાજ આંખો બંધ કરીને રસ્તાની વચ્ચોવચ શ્રીરામના રાજા સ્વરૂપના ધ્યાનમાં મગ્ન થઈને બેઠા છે. નથી સ્થાનનું ધ્યાન, નથી સમયનું! શ્રીરામ સિવાય એમને બીજું કાંઈ ધ્યાન નથી. રામજી પોતે એમને દર્શન આપવા આવે છે. ભગવાન રાહ જુએ છે કે ક્યારે એમની સમાધિ છૂટે અને એ આંખો ખોલે. એ કેટલા વિલક્ષણ મુનિ હશે કે જેમને દર્શન આપવાની રાહ ભગવાન પોતે જુએ છે!!રામચરિત માનસમાં આનું ખૂબ જ સુંદર વર્ણન છે.
मुनि अगस्ति कर सिष्य सुजाना। नाम सुतीछन रति भगवाना॥
मन क्रम बचन राम पद सेवक। सपनेहुँ आन भरोस न देवक॥1॥
એમને મન, વચન અને કર્મથી ફક્ત શ્રીરામ માટે જ પ્રેમ હતો અને બીજા કોઈ દેવતાનો ભરોસો નહોતો.
प्रभु आगवनु श्रवन सुनि पावा। करत मनोरथ आतुर धावा॥
हे बिधि दीनबंधु रघुराया। मो से सठ पर करिहहिं दाया॥2॥
એમને ખબર હતી કે રામજી આસપાસ છે એટલે એમને મળવા આતુર થઈ ગયા.
सहित अनुज मोहि राम गोसाईं। मिलिहहिं निज सेवक की नाईं॥
मोरे जियँ भरोस दृढ़ नाहीं। भगति बिरति न ग्यान मन माहीं॥3॥
એમને લાગ્યું ભગવાન મને નહીં મળે હું અજ્ઞાની છું અને મારા મનમાં ભક્તિ, વૈરાગ્ય કશું નથી.
नहिं सतसंग जोग जप जागा। नहिं दृढ़ चरन कमल अनुरागा॥
एक बानि करुनानिधान की। सो प्रिय जाकें गति न आन की॥4॥
મેં કોઈ સત્સંગ કે જાપ નથી કર્યો, મારો કોઈ ભગવાનના ચરણકમળમાં એવો પ્રેમ નથી. એક વાત જરૂર છે કે ભગવાને કહ્યું છે કે જેનો બીજો કોઈ સહારો નથી હોતો એનો સહારો ભગવાન છે અને મારો તો બીજો કોઈ સહારો નથી એ વાત નક્કી છે, તેથી ભગવાન મને મળશે.
होइहैं सुफल आजु मम लोचन। देखि बदन पंकज भव मोचन॥
निर्भर प्रेम मगन मुनि ग्यानी। कहि न जाइ सो दसा भवानी॥5॥
આવું વિચારતાં-વિચારતાં રડતાં-રડતાં એ ધ્યાનમાં બેસી ગયા અને કલાકો સુધી ધ્યાનમાં ભગવાનના દર્શન કરતા રહ્યા. એટલામાં રામજી સીતામાતા અને લક્ષ્મણ સાથે ત્યાં આવી ગયા.
मुनि मग माझ अचल होइ बैसा। पुलक सरीर पनस फल जैसा ll
तब रघुनाथ निकट चलि आए। देखि दसा निज जन मन भाए॥8॥
મુનિ તો રસ્તામાં બેઠા છે. રામજી ત્યાં આવીને એમને જુએ છે અને બહુ પ્રસન્ન થઇ જાય છે કે હું નીકળી ન જાઉં એટલે સુતીક્ષ્ણ રસ્તાની વચ્ચે મારા ધ્યાનમાં મગ્ન થઇ ગયો છે અને એને મારા જ આવવાની સુધ પણ નથી.
मुनिहि राम बहु भाँति जगावा। जाग न ध्यान जनित सुख पावा॥
भूप रूप तब राम दुरावा। हृदयँ चतुर्भुज रूप देखावा॥9॥
ભગવાને એમની આંખો ખોલાવવા અવાજ કર્યો, થોડી હલચલ કરી, પાંદડાંનો અવાજ કર્યો, સમાધિમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પણ આ તો સુતીક્ષ્ણ હતા. રામધ્યાનમાં જ મગ્ન રહ્યા. રામે વિચાર્યું કે હવે આમને છોડીને દર્શન આપ્યા વગર કેવી રીતે જઉં? તો એમણે માયા કરીને એમના મનમાંથી પોતાનું રાજા સ્વરૂપ હટાવીને ચતુર્ભુજ સ્વરૂપ મૂકી દીધું.
मुनि अकुलाइ उठा तब कैसें। बिकल हीन मनि फनिबर जैसें॥
आगें देखि राम तन स्यामा। सीता अनुज सहित सुख धामा॥10॥
પણ સુતીક્ષ્ણ મહારાજ તો ફક્ત રામભક્ત હતા. નારાયણના દર્શન કરવાથી જેમ સાપ પાસેથી મણિ છીનવાઈ જાય અને એ વ્યાકુળ થઈ જાય એમ વ્યાકુળ થઈ ગયા, એમની સમાધિ છૂટી ગઈ અને એમણે આંખો ખોલી દીધી. આંખો ખુલતાં જ એમને રામજી, સીતાજી અને લક્ષ્મણજીના દર્શન થયા. પ્રેમમાં મગ્ન એ રડવા માંડયા.
परेउ लकुट इव चरनन्हि लागी। प्रेम मगन मुनिबर बड़भागी॥
भुज बिसाल गहि लिए उठाई। परम प्रीति राखे उर लाई॥11॥
પ્રેમમગ્ન એ તો લાકડીની જેમ ભગવાનના ચરણમાં પડી ગયા. આંખોથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. ભગવાને એમને ઉઠાવીને આલિંગન આપ્યું.
मुनिहि मिलत अस सोह कृपाला। कनक तरुहि जनु भेंट तमाला॥
राम बदनु बिलोक मुनि ठाढ़ा। मानहुँ चित्र माझ लिखि काढ़ा॥12॥
મુનિની અવસ્થા એવી થઈ ગઈ કે જાણે કનકવૃક્ષ પર તમાલ હોય. એ જાણે ચિત્ર લગાવ્યું હોય એમ ના હાલે કે ચાલે, એ ભગવાનના આલિંગનમાં બદ્ધ થઇ ગયા. મુનિ એકટક પ્રભુને જોઈ રહ્યા છે જાણે ફોટામાં હોય! સુતીક્ષ્ણ મહારાજે ભગવાનને વિનંતી કરી કે તમે મારા હૃદયમાં વિરાજો. તમે ક્યાંય જશો નહીં.
जदपि बिरज ब्यापक अबिनासी। सब के हृदयँ निरंतर बासी॥
तदपि अनुज श्री सहित खरारी। बसतु मनसि मम काननचारी॥13॥
ભગવાને કહ્યું હું બહુ પ્રસન્ન છું. તું મારી પાસે કોઈ વરદાન માંગી લે.
परम प्रसन्न जानु मुनि मोही। जो बर मागहु देउँ सो तोही॥
मुनि कह मैं बर कबहुँ न जाचा। समुझि न परइ झूठ का साचा॥14॥
સુતીક્ષ્ણ મહારાજ કહે છે હું તો અજ્ઞાની છું. મને કઈ માંગતા નથી આવડતું. હું તો તમને જ માંગુ છું. આપને જે યોગ્ય લાગે તે દાન આપી દો.
तुम्हहि नीक लागै रघुराई। सो मोहि देहु दास सुखदाई॥
अबिरल भगति बिरति बिग्याना। होहु सकल गुन ग्यान निधाना॥15॥
ભગવાને કહ્યું તું પ્રગાઢ જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યથી યુક્ત થઇ જા. પછી ભક્તિમાં લીન થઈ એ પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત થયા. એમણે આખી જિંદગી રામ સિવાય કંઈ વિચાર્યું જ ન હતું, રામ પાસે શું માંગવું તે પણ ખબર નહોતી! એવી વ્યક્તિ જ મહાપદ પામી શકે છે.
ગીતા પ્રેસના સંસ્થાપક શ્રીજયદયાલ ગોયન્કા કહેતા હતા કે સેવા ઘણા પ્રકારની હોય છે. એમણે કોલકાતામાં એક પરમ સેવા દળ બનાવ્યું. આ દળ જેમને ઘરમાં કોઈના મૃત્યુ સમયે જરૂર હોય એવા લોકોની સેવા કરે છે. આ લોકો એવા અંતિમ અવસ્થાવાળી વ્યક્તિ પાસે તુલસીનું કૂંડું મૂકે, ગંગાજળ લાવે, ભગવાનના નામનું કીર્તન કરે કે કોઈ રીતે એવી વ્યક્તિને સદ્ગતિ મળી જાય. આ પરમ સેવા છે.
લોકો ત્યાં મળવા જાય અને ઘરનાં લોકો મળવા આવેલા લોકો પ્રત્યે એમનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કરે છે જે યોગ્ય નથી. જે જાય છે એને શાંતિથી જવા દો. દવાખાનામાં બહુ નળીઓ ન લગાડો, ઇંજેક્શનો ન મરાવો! ઘરે લઈ આવો. એને થોડી ગંગાતટની રેતી મૂકી એના પર સુવાડો. એના મુખમાં ગંગાજળ અને તુલસીપત્ર આપો. દીવો પ્રગટાવો. એના વક્ષ પર ગીતાજીનું પુસ્તક મુકો. સામે વિષ્ણુજીનું કે એમના ઈષ્ટદેવનું ચિત્ર મૂકો. એને પરમપદ પ્રાપ્ત કરવામાં સહાય કરો એ પરમ સેવા છે. કીર્તન કરો. કર્ણેન્દ્રિય અંત સમય પછી પણ લાંબા સમય સુધી જીવિત રહે છે. તેથી જ અંતિમ યાત્રામાં સદ્ગતના આત્માના કલ્યાણ માટે ભગવાનનું નામ બોલવામાં આવે છે. જો એ સમયે એને ધારણા થઈ ગઈ તો એનું કલ્યાણ થઈ જશે!
યદક્ષરં(વ્ઁ) વેદવિદો વદન્તિ,
વિશન્તિ યદ્યતયો વીતરાગાઃ।
યદિચ્છન્તો બ્રહ્મચર્યં(ઞ્) ચરન્તિ,
તત્તે પદં(મ્) સઙ્ગ્રહેણ પ્રવક્ષ્યે॥૮.૧૧॥
- શ્રીભગવાન નિર્ગુણનો મહિમા ગાય છે, શ્રીભગવાન કહે છે કે, હે અર્જુન! વેદને જાણનારા વિદ્વાન જે સચ્ચિદાનંદ પરમપદને અવિનાશી કહે છે, આસક્તિ રહિત સંન્યાસી મહાત્મા જેમાં પ્રવેશ કરે છે, જે પરમ પદને પામવાની ઈચ્છાથી બ્રહ્મચારી લોકો જે બ્રહ્મચર્યનું પાલન કરે છે, હું તને તે સંક્ષેપમાં કહું છું. શ્રીભગવાન અંતકાળમાં યોગ ધારણા વિધિથી નિર્ગુણ બ્રહ્મના ધ્યાનના પ્રકાર અને તેના ફળનું વર્ણન અહીં કરે છે.
સર્વદ્વારાણિ સંયમ્ય, મનો હૃદિ નિરુધ્ય ચ।
મૂર્ધ્ન્યાધાયાત્મનઃ(ફ્) પ્રાણમ્, આસ્થિતો યોગધારણામ્॥૮.૧૨॥
ઓમિત્યેકાક્ષરં(મ્) બ્રહ્મ, વ્યાહરન્મામનુસ્મરન્।
યઃ(ફ્) પ્રયાતિ ત્યજન્દેહં(મ્), સ યાતિ પરમાં(ઙ્) ગતિમ્॥૮.૧૩॥
હે અર્જુન, અંત સમયે જે બધી ઇન્દ્રિયોને રોકીને અને મનને હૃદયમાં સ્થિત કરીને આમ જીતેલા મન દ્વારા પ્રાણ મસ્તક પર બ્રહ્મરંધ્રમાં સ્થાપિત કરીને ॐકારનું ઉચ્ચારણ કરે તે પોતાને યોગમાં પ્રસ્થાપિત કરે છે. મનુષ્ય જ્ઞાની હોય અને એને પોતાની ઇન્દ્રિયો પર કાબૂ હોય ત્યારે જ આ શક્ય બને છે. આવો મનુષ્ય પરમગતિને પ્રાપ્ત કરે છે.
આગળ આપણે સાકારનું વર્ણન કર્યું કે મુખમાં ગંગાજળ, તુલસીપત્ર મુકવું, અહીં ભગવાન નિરાકારનું વર્ણન કરે છે કે જે અંતિમ સમયે ફક્ત મારું ચિંતન કરતાં ૐકારનું ઉચ્ચારણ કરતો જાય છે તે યોગી પણ મને જ પ્રાપ્ત કરે છે. આથી આના માટે નિરંતર અભ્યાસરત રહેવું જોઈએ.
અનન્યચેતાઃ(સ્) સતતં(ય્ઁ), યો માં(મ્) સ્મરતિ નિત્યશઃ।
તસ્યાહં(મ્) સુલભઃ(ફ્) પાર્થ, નિત્યયુક્તસ્ય યોગિનઃ॥૮.૧૪॥
વળી ભગવાન કહે છે કે જે અનન્ય ભાવે નિરંતર મારું સ્મરણ કરે છે એને માટે હું સુલભ છું કારણ કે તે નિરંતર મારી સેવામાં રત રહે છે. જેને મારા સિવાય બીજા કશાની કામના નથી એને હું સરળતાથી મળી જાઉં છું.
करसे करम करौ विधिनाना | मन राखौ जहाँ कृपानिधाना ||
મન ભગવાનમાં રાખીને હાથોથી આપણા કર્મ કરતા રહેવું જોઈએ.
એક વાર ઝાડના એક પાંદડાંએ ઝાડને પૂછ્યું કે કાલે તો અગિયાર પાંદડા હતા, આજે નવ કેમ છે? તો ઝાડે જવાબ આપ્યો,
तरवर बोला पातसे, सुन पात मेरी बात |
यह धरती एक रीत है, एक आवत एक जात ||
અહીંયા આ રીત છે. કોઈ કાયમ નથી રહેતું. પાંદડાએ પૂછ્યું, "મારે પણ જવું પડશે?" ઝાડે કહ્યું, "બધાંએ જ જવું પડે." કોઈ હંમેશા રહેવાનું નથી!
કબીરદાસે પણ દોહામાં આ જ વાત સમજાવી છે.
"रहना नहीं ये देश विराना है
सद्गुरु नाम लीया जिसने
वही जीसका ठिकाना है
रहना नहीं ये देश विराना है ।”
આ વેરાન દેશ છે કોઈ અહીં રહી ન શકે!
શબરી, સુતીક્ષ્ણ, પરીક્ષિત બધાએ આ જ કર્યું છે. પ્રભુ કહે છે જે ભગવદ્ પ્રાપ્તિ કરી લે છે, મારામાં નિવાસ કરે છે એને પછી બીજો જન્મ નથી લેવો પડતો. આગળ ભગવાન આ વાતનો વિસ્તાર કરે છે.
મામુપેત્ય પુનર્જન્મ, દુઃખાલયમશાશ્વતમ્।
નાપ્નુવન્તિ મહાત્માનઃ(સ્), સંસિદ્ધિં(મ્) પરમાં(ઙ્) ગતાઃ॥૮.૧૫॥
આવા પરમ સિદ્ધિપ્રાપ્ત લોકો આ દુઃખાલયમાં પાછા નથી આવતા. લોકો એમ પણ કહે છે કે પરમસિદ્ધિ કેમ પ્રાપ્ત કરવી છે? પુનર્જન્મથી કેમ બચવું છે?
ભરતજીએ કહ્યું છે કે,
अरथ न धरम, न काम रुचि, गति न चहउँ निरबान।
जनम-जनम रति रामपद, यह बरदानु, न आन॥
મને તો ધર્મ, કામ અને મોક્ષમાં પણ રુચિ નથી. મને તો ફક્ત રામનામનું વરદાન જોઈએ છે. દરેક વ્યક્તિ પોતાની ભાવના પ્રમાણે પરમ ધામની વ્યાખ્યા કરે છે. પરમ ધામ, ગોલોક, સ્વર્ગ, મુક્તિ જે કહો તે બધું છેવટે ભગવદ્પ્રાપ્તિ જ છે. ભગવાને સંસારને દુ:ખાલય કહ્યું છે.
જેમ જે રીતે વિદ્યાલય - વિદ્યાનું ઘર; મદિરાલય - મદિરા વેચવાનું ઘર; ઔષધાલય - ઔષધિ વેચવાનું ઘર; દુ:ખાલય - દુઃખોનું ઘર જ્યાં દુઃખ જ મળે છે! કોઈને લાગે કે સંસારમાં માત્ર દુઃખ જ કેમ મળે છે? સુખ પણ તો મળે છે, પ્રયાસ સુખ મેળવવાનો કરીએ છીએ પણ દુ:ખ જ મળે છે! એનાથી આ દુઃખાલયથી જ્યાં જીવનપર્યંત સુખપ્રાપ્તિ માટે પ્રયાસ કર્યા પછી પણ ફક્ત દુઃખ મળે છે ત્યાંથી મુક્તિ મળે છે.
મીઠા સંતરા ખાધા પછી એનો સ્વાદ મોઢામાં થોડા સમય માટે જ રહે છે પણ જો એનો રેસા દાંતમાં ફસાઈ જાય તો એ ક્યાંય સુધી પજવે છે. જ્યાં સુધી એ નીકળે નહીં, જીભનું ધ્યાન એમાં જ જાય છે. એવું જ આ સંસારનું છે. સુખની સ્મૃતિ થોડા સમય માટે છે પણ દુઃખ કે ખરાબ ઘટના બહુ લાંબા સમય માટે યાદ રહે છે. ખરાબ ઘટના વર્ષો સુધી યાદ રહે છે!
અમેરિકામાં આટલા સુખ સાધન હોવા છતાં લોકો સુખી છે? તેઓ સુખ-સમૃદ્ધિના સાધનો માટે ઉધાર લેવાની માનસિકતા ધરાવે છે. નોકરીની અનિશ્ચિતતાના કારણે હંમેશા ઉધાર ચૂકવવાની ચિંતા અને અવસાદમાં રહે છે. સુખ મેળવવાનો આ વાંઝણો પ્રયાસ છે. એના કારણે ત્યાં આપઘાતના બનાવો પણ પ્રમાણમાં ઘણા વધારે છે. ઉધાર, લોન ક્યારેય ન લેવા જોઈએ. સુખ-સમૃદ્ધિનો અભાવ ચાલે પણ ચિંતા અને અવસાદ દુઃખકર્તા જ હોય છે.
નાનક દેવજી કહે છે,
नानक दुखिया सब संसारा, कोटे चढ़कर देखिए घर घर लगी आग ।
જયારે કોઈને મળીએ ત્યારે એ કહે છે બધું સારું છે. પણ ચા પીવા બેસાડો તો દસ જ મિનિટમાં એના દુઃખોની યાદી બહાર આવી જાય છે. રાત્રે ઉંઘ નથી આવતી, સુગર બહુ વધી જાય છે, તબિયત બરાબર નથી, ઘરમાં શાંતિ નથી! આમ દુઃખની સ્મૃતિ ઘણી લાંબી છે. એ સમયે જગતના બધા વિષયોના દુઃખ યાદ આવી જાય છે.
બૌદ્ધ ધર્મ ખાલી દુઃખની જ વાત કરે છે. એ ભગવાનની વાત નથી કરતો. એટલે એને નાસ્તિક દર્શન પણ કહે છે.
બુદ્ધ ભગવાનના ચાર મુખ્ય ઉપદેશ છે.
1. આ સંસારમાં દુઃખ છે.
2. આ દુઃખનું કારણ છે.
3. દુઃખનું કારણ મનુષ્યની તૃષ્ણા છે.
4. તૃષ્ણાને દૂર કરીને દુઃખોથી છુટકારો મળી શકે છે.
આ દુઃખ દૂર કરવાના આઠ માર્ગ છે.
સમ્યક્ સંકલ્પ, સમ્યક્ વચન, સમ્યક્ કર્મ, સમ્યક્ આજીવિકા, સમ્યક્ વ્યાયામ, સમ્યક્ સ્મૃતિ, સમ્યક્ દર્શન, સમ્યક્ સમાધિ.
ગીતામાં આ જ્ઞાન એક જ વાક્યમાં દર્શાવ્યું છે. समत्वम् योग उच्यते |
ભગવાન કહે છે આ સંસાર દુ:ખાલય છે, આપણે સુખ માટે શું શું નથી કરતા!
કબીરજી કહે છે,
गरीबी छोटा दुःख है, कर्जा दुःख महान |
शरीर रोग इनसे बड़ा कलह दुःखो की खान ||
ચાર દુઃખોની વાત કહી છે- ગરીબી, ઉધારી, રોગ અને કલહ. કોઈ પૈસા ભોગ વિલાસમાં ઉડાવી દે અથવા વ્યસન અને વ્યવહારથી રોગ ઉત્પન્ન કરે એ જુદી વિષયવસ્તુ છે પણ સામાન્ય રીતે ગરીબી અને રોગ પ્રારબ્ધથી આવે છે પણ ઉધારી અને કલહ દુઃખી થવાના આપણે જાતે ઉભા કરેલા કારણો છે. એને આપણે ટાળી શકીએ છીએ.
ભારતમાં આપણે EMIથી બચેલા છીએ. યુરોપ અને અમેરિકામાં આ ખૂબ ચાલે છે. શેઠ દીનદયાલ ગોયંકાએ અનેક વાર કહ્યું છે કે આપણી પરિસ્થિતિ પ્રમાણે રહેવું જોઈએ. સૌથી મોટું દુઃખ કરજો લેવો અને કરજમાં જ મરી જવું તે છે! ઓછામાં ચલાવવું જોઈએ, નાનું ઘર, નાની ગાડીથી ચાલે, ગાડી વગર પણ ચાલે પણ ઉધાર ન લેવું જોઈએ. આ દુઃખમાં જવાનો માર્ગ છે. ઓછામાં વ્યવસ્થા ચલાવવામાં કોઈ દુઃખ નથી.
બીજો દુઃખનો માર્ગ કલહ છે. મારી વાત સાચી છે, મારી વાત બધા માને આવી ભાવનાઓથી જ કલહ થાયછે. નમી જવાથી કલહ સમાપ્ત થાય તો નમી જવાનું એમાં આપણું કોઈ નુકસાન નથી. કારણ વગર જ ઝગડા થતા હોય છે. ઘણી વાર એની ઉત્પત્તિનું કારણ પણ યાદ નથી હોતું કારણકે ઝગડો શરૂ બહુ નાની વાતથી જ થતો હોયછે. પછી એના ઘાત અને પ્રત્યાઘાતથી વાત વધી જાય છે.
ભગવાન કહે છે આ બધાથી છૂટવું હોય તો સંસારના આવાગમનથી છૂટી જાઓ. સંસાર તો દુઃખાલય છે અને અહીં દુઃખ જ મળશે.
સિકંદરના મૃત્યુ વખતે એ એની માને મળવા ઈચ્છતો હતો. એણે માને બોલાવી દીધી. બંનેની યાત્રા વિરુદ્ધ દિશામાં ચાલુ હતી. એમને મળવામાં પાંચ છ દિવસ બાકી હતા. સિકંદરે વૈદોને કહ્યું કે મારી માને મળી લઉં ત્યાં સુધી મને જીવાડો પણ વૈદોએ કહી દીધું કે એ અમારા હાથમાં નથી. સિકંદર એની બધી સંપત્તિ આપવા તૈયાર હોવા છતાં આ કામ એ કોઈ પાસે ન કરાવી શક્યો! વૈદોએ કહ્યું કે એ લોકો મૃત્યુને એક ક્ષણ પણ ટાળવા સમર્થ નથી. સિકંદર ખૂબ નિરાશ થઇ ગયો કે મેં આખી દુનિયા જીતી, આટલી સંપત્તિ ભેગી કરી એ શું કામની? જો માને મળવાની અંતિમ ઈચ્છા પણ પૂરી ન થાય તો મેં શું મેળવ્યું? એણે પોતાના સૈનિકોને કહ્યું કે મારી અંતિમ યાત્રામાં મારા બંને હાથ બહાર લટકાવજો અને બધાને કહેજો કે સિકંદર પણ ખાલી હાથે જ ગયો હતો, બહુ ભેગું કર્યું પણ સાથે કશું ન લઈ જઈ શક્યો!
ગમે તેટલો ભૌતિક સમાન ભેગો કરી લઈએ, પુણ્ય સિવાય કાંઈ સાથે નથી જતું. તો ઝગડા શેના માટે? પુણ્યકર્મ સાથે જવાના છે, ગીતા સાથે જવાની છે એને માટે આપણે કંઈ નથી કરતાં!
આગળના બધા શ્લોક ભગવાને દુઃખનિવારણ માટે કહ્યા છે.
આબ્રહ્મભુવનાલ્લોકાઃ(ફ્), પુનરાવર્તિનોઽર્જુન।
મામુપેત્ય તુ કૌન્તેય, પુનર્જન્મ ન વિદ્યતે॥૮.૧૬॥
- શ્રીભગવાન કહે છે, હે અર્જુન! બ્રહ્મલોક પર્યંત બધા લોક પુનરાવૃતિ છે, પરંતુ હે કુંતીપુત્ર! મને પ્રાપ્ત થઈ કોઈનો પુનર્જનમ નથી થતો.
આ જે ચૌદ લોક છે તેમાં બ્રહ્મલોક સૌથી ઉપર છે.
બ્રહ્મલોક - તેને સત્યલોક પણ કહે છે અહીં બ્રહ્માજી બિરાજે છે.
તપલોક - અહી વિરાજ વગેરે ઋષિ રહે છે.
જનલોક - અહીં સનકાદિ ઋષિ રહે છે.
મહર્લોક - અહીં ભૃગુ વગેરે ઋષિ રહે છે.
સ્વર્ગલોક - અહીં ઇન્દ્રાદિ દેવતા રહે છે.
ભુવલોક - અહીં અંતરિક્ષવાસી રહે છે.
ભૂલોક - અહીં પૃથ્વીવાસી રહે છે.
તેની નીચે અતલ, વિતલ, સુતલ, મહાતલ, તલાતલ, રસાતલ, પાંચાળ છે, જ્યાં દૈત્ય, નાગ, પિશાચ વગેરે રહે છે.
આ લોકોના કાળ ખૂબ લાંબા હોય છે, પરંતુ ગમે તેટલા લાંબા કાળ હોય પાછા ફરીને આવવાનું હોય છે, તેની પુનરાવૃત્તિ હોય છે, એવો કોઈ લોક નથી જ્યાં સ્થાયી નિવાસ હોય.
કોઈએ પૂછ્યું કે વૈકુંઠ ક્યાં છે? બ્રહ્મલોકની સમકક્ષ વૈકુંઠ લોક છે, આ બધા લોકોમાં દેવતા છે, ઋષિમુનિ છે, આ લોકોના લોકાધિપતિ છે તેમને પણ આયુ છે, આયુ પુર્ણ થવાથી પોતાના લોકમાં તે શાંત થઈ જાય છે, તે લોકમાં રહેનારાને પણ પાછા આવવું પડે છે, તે ત્યાં નથી રહી શકતા. ગમે તેટલા પુણ્ય કર્યા હોય તે પુણ્ય કર્મના પ્રભાવથી તેમને તે સમય તે લોકમાં રહેવા મળે છે, પછી પાછા કર્મના અનુસાર લોક મળે છે. આ બધા જ દુ:ખાલય જ છે.
એકવાર બુદ્ધ ભગવાન પોતાના મઢમાં બેઠા હતા એક સ્ત્રી દુ:ખી હાલતમાં પોતાના પાંચ વર્ષના પુત્રનું શબ લઈને તેમની સામે દોડીને આવી બૌદ્ધ ભિક્ષુઓએ તેને ખૂબ રોકવાનો પ્રયાસ કર્યો, તેણે કોઈની વાત ન સાંભળી અને કહ્યું કે મારે તથાગત બુદ્ધને મળવું છે, ગુસ્સાથી રડતાં-રડતાં તે તથાગત બુદ્ધની સામે આવી, આશા સાથે ઘુંટણ પર બેસી ગઈ, બુદ્ધ ભગવાને તેને પૂછ્યું કે તને શું જોઈએ છે? તે બોલી છે હું કોઈ ઉપદેશ સાંભળવા નથી આવી, તમે ભગવાન છો, તમે કંઈ પણ કરી શકો છો, મારા પતિનું અવસાન થઈ ગયું છે, અને મારા એકનાએક પુત્રનું પણ મૃત્યુ થઈ ગયું છે. અને તેણે પૂછ્યું કે તમે મારા મૃત બાળકને જીવિત કરી શકો છો કે નહીં? બધા શિષ્યોએ સમજાવ્યું કે આ શક્ય નથી પણ એ ન માની. તથાગતને વિનવતી જ રહી કે મારા પુત્રને જીવિત કરો! બુદ્ધે ઉત્તર આપ્યો કે હા, હું તારા પુત્રને જીવિત કરી શકું છું! બધા શિષ્યો ચકિત થઈ ગયા. તથાગતે કહ્યું, તારે એક કામ કરવાનું છે, તું એવા પાંચ ઘરમાંથી ચોખાની એક-એક મુઠ્ઠી લઈને આવ, જ્યાં કોઈનું મૃત્યુ થયું ન હોય, હું તારા બાળકને જીવિત કરી દઈશ, તે બોલી કે હા, હું તરત જ લઈને આવું છું! તે ગામમાં જઈ ઘરેઘરે ફરી પરંતુ તેને કોઈપણ એવું ઘર ન મળ્યું જ્યાં કોઈનું મૃત્યુ ન થયું હોય, શિથિલ ચાલે તે તથાગત પાસે પાછી આવી અને કહ્યું કે ગામમાં કોઈ એવું ઘર ન મળ્યું જ્યાં કોઈ મૃત્યુ ન થયું હોય! બુદ્ધે કહ્યું કે આ વાત તો મારે તને સમજાવવાની હતી, આ વાત સત્ય છે, મૃત્યુને કોઈ ટાળી શકતું નથી, જે આવ્યું છે તેણે જવાનું જ છે, તું પણ રહેવાની નથી, કે હું પણ રહેવાનો નથી કે ના તારો દીકરો રહેશે, અહીં બધાને જવાનું જ છે, સૌના પ્રાણ જવા માટે જ હોય છે, કોઈ પણ લોકમાં, કોઈપણ યોનિમાં રહેવાનું હોય મરવું તો પડે છે, પાછા જવું પડે છે, આ આવન-જાવન ચક્ર છે, તે ચાલવાનું જ છે, તેને કોઈ રોકી શકતું નથી! બ્રહ્મલોકમાં જઈને પણ પાછા આવવું પડે છે. આ સમસ્ત સંસાર પુનરાવૃત્તિ છે, માત્ર મારા લોકમાંથી કોઈ પાછા નથી આવતા. આવતે વખતે સમયની ગણના જોઈશું અને અત્યંત ગૂઢ ઉત્તરાયણ તથા દક્ષિણાયણ વિષે જાણીશું.
હરિ શરણમ્" ની ધૂન સાથે વિવેચન સત્રની સમાપ્તિ થઈ. પ્રશ્નોત્તરીનું સત્ર શરુ થયું.
પ્રશ્નોત્તરીસવાલ : ૧ રાઘવેન્દ્ર ભૈયા
હમણાં અમદાવાદમાં જે પ્લેન દૂર્ઘટના થઈ એમાં એક લડ્ડુ ગોપાલજીનું સ્વરૂપ અને એક ભગવદ્ગીતાનું પુસ્તક સુરક્ષિત મળ્યા. કોઈએ સોશીયલ મિડીયા પર કહ્યું કે ગીતાજી તો બચી ગયા પણ જે વાંચનારા હતા તેમને ન બચાવી શક્યા!
જવાબ :
એમાં એની ભૂલ નથી. આપણે અજાણતાં જ એનો પ્રચાર કરીએ છીએ. મિડીયાવાળા પોતાની ટી.આર.પી. વધારવા કરે છે પણ આપણે પણ એનો પ્રચાર કર્યો. આ ભગવદ્ ગીતાનો ચમત્કાર છે એવું હોઈ શકે, આ નાની વાત છે પણ આખા પ્લેનમાં એક જ ગીતાનું પુસ્તક હતું તે હું માની શકતો નથી! એટલે ગીતા બચી ગઈ અને વાંચનારને ન બચાવ્યો એવી વાત થવાની જ છે! આ પુસ્તકનું બચવું સંયોગમાત્ર છે, એમાં કોઈ ચમત્કાર નથી. આપણે હિંદુવાદને વધારવા માટે કોઈપણ વાતને ચમત્કારમાં ખપાવીને એમાં ગૌરવ સમજીએ છીએ. આ બરોબર નથી. આપણે વૈજ્ઞાનિક રીતે આ વાતો જોવી જોઈએ. ગીતાજી બચી ગયા તે સંયોગ માત્ર છે. ગીતા પરિવારના આદર્શ સ્વામી વિવેકાનંદ છે એટલે આપણે બધી વાત વૈજ્ઞાનિક ઢંગથી કરીએ છીએ.
આપણે ભગવદ્ગીતાના ચમત્કારને નથી માનતા એવું નથી. આપણી એક સાધક દિપીકાદીદી બોલી નહોતા શકતાં તે આજે કોલીંગ સેવામાં છે!
સવાલ : ૨ ચિન્મય મિત્રા ભૈયા
હું ગીતા શીખી રહ્યો છું અને મને એનો બહુ સંતોષ છે. મારા કુટુંબમાં હંમેશાં સરખામણી થતી રહે છે કે આ આમ કરે છે, તું નથી કરી શકતો. આ મને ખૂબ દુ:ખ પહોંચાડે છે. મારે આમાંથી બચવું છે તો શું કરું?
જવાબ :
એમને કશામાં બાંધો નહીં. તમે કુટુંબના વડા છો તો તમે એવો નિયમ બનાવી શકો છો કે કોઈએ કરજો ન લેવો પણ બાળકો અઢાર વર્ષના થાય ત્યાર પછી એમને એમની રીતે કરવાની છૂટ આપો. કોઈને ભોગમાં બહુ રસ છે કોઈને નથી. આ પૂર્વજન્મના પૂણ્યને કારણે છે. એ લોકોને ખોટા ન સાબિત કરો. એમને ધીરજથી સમજાવો. આપણને ગીતા મળી ગઈ તો ભગવાને આપણને થોડી વધારે બુદ્ધિ, વિવેક આપ્યો છે. એમને પ્રેમથી સમજાવો. એ રીતે દલીલ કરો જેનાથી આપણું કામ થઈ જાય અને એમની વાત પણ રહે! પરિવારની ઈચ્છા મુજબ નાના-નાના ખર્ચા તરત કરવા જોઈએ પણ મોટા-મોટા ખર્ચા રોકવા જોઈએ. કોઈનું બોલવાનું તમે રોકી નથી શકતા પણ એના પર તમારી પ્રતિક્રિયા શું છે એ જાણવું જરૂરી છે. આપણે આપણી હેસિયત પ્રમાણે ખર્ચા કરવા જોઈએ. ખોટા ખર્ચા ટાળવા જોઈએ.
સવાલ : ૩ ભારતીદીદી સિંઘ
આપણે રામ દરબાર કહીએ છીએ તો દરબાર ઉર્દુ શબ્દ છે કે સંસ્કૃત?
જવાબ :
આ શબ્દ ફારસી શબ્દ છે. પ્રચલનમાં આ શબ્દ આવી ગયો છે.
સવાલ : ૪ ઈંદુમતિદીદી
પાંચ-છ વર્ષ પહેલાં મારા ગુરુજીનો સ્વર્ગવાસ થયો છે તો મારે નવા ગુરુ કરવા જોઈએ?
જવાબ :
ના, બીલકુલ નહીં. જો ગુરુજી પાસે તમારી દીક્ષા થઈ હોય, તમને ગુરુએ મંત્ર આપ્યો હોય તો બીજા ગુરુ કરવાની જરુર નથી.
તમે ગુરુજીએ આપેલા મંત્રની ૨૧ માળા કરો છો તે બહુ સારું કરો છો.
સવાલ : ૫ રંજનાદીદી
ૐ બોલીને મેડીટેશન કરી શકાય ?
જવાબ :
ૐ બોલવામાં વાંધો નથી, ૐનો જાપ કરવામાં બાધા છે.
સવાલ : ૫ વેદવતિ દીદી
અધિભૂત, અધિદૈવ અને આધ્યાત્મિક વિશે સમજાવો.
જવાબ :
બધી ઇન્દ્રિયોના દેવતાના સ્વામી બ્રહ્માજી છે એટલે બ્રહ્માજી જેમણે સૃષ્ટિ બનાવી છે અને તેમણે જ દેવતાઓને પણ બનાવ્યા છે, તે પ્રધાનાધ્યક્ષ છે. તે હિરણ્યમય પુરુષ જ હિરણ્યગર્ભ છે, તે જ અધિદૈવ છે. શ્રીભગવાન કહે છે કે હું એટલે પરમાત્મા જ અધિયજ્ઞ છું. બધા દેવતા અને તેમના સ્વામી બ્રહ્માજી અધિયજ્ઞના અલગ-અલગ સ્વરૂપ છે, યજ્ઞ કરતે સમયે આપણે જેને આહ્વાન કરીએ છીએ તે વિષ્ણુ હોય, લક્ષ્મી હોય, શિવજી હોય, કૃષ્ણ હોય, ગણેશજી હોય, નવ ગ્રહ હોય અથવા કોઈપણ ઈષ્ટદેવ હોય તે બધા અધિયજ્ઞના સ્વામી છે પણ મૂળ રૂપથી તે અધિયજ્ઞ તે હું જ છું.
અધ્યાત્મ = અધિ + આત્મા - આત્મા પર જમા થયેલા આવરણને દૂર કરવા અને આત્માને જાણવો, પોતાની ઓળખ શોધવી, પોતાને શોધવો એ આધ્યાત્મિકતા છે.
સવાલ : ૬ શ્યામસુંદરભૈયા
ઘણી વાર મન ગુંચવાયેલું રહે છે, વિચલિત થાય છે તો શું કરવું?
જવાબ :
આવું બધા સાથે જ થાય છે. મનનું ધારેલું ન થાય તો ગુસ્સો આવે પણ એમાંથી કેટલા જલ્દી બહાર નીકળી જઈએ તે મહત્વનું છે. ભગવદ્ગીતા ભણનારે આમાંથી તરત જ બહાર આવી જવું જોઈએ.
સવાલ : ૭ સુબોધ સિંહા ભૈયા
કોઈ ગીતા પાઠ કરે તો શરુ કર્યા પહેલાં કે અંતમાં કોઈ નિયમો પાળવાના હોય છે?
જવાબ :
તમે પાઠ ક્યા ભાવથી કરો છો તેના પર આધારિત છે. નિષ્કામ ભાવે કરો તો કોઈ નિયમ નથી. પૂરી ગીતા સકામ ભાવથી કરો તો એને માટે કરન્યાસ વગેરે કરવાના હોય છે. શુદ્ધ ભાવ હોવો જોઈએ, શુદ્ધ આસન હોવું જોઈએ, મન શુદ્ધ હોવું જોઈએ, સીધા બેસવું જોઈએ. ઉચ્ચારણની ભૂલ માટે ક્ષમા માંગવી જોઈએ વગેરે.
બદલામાં તમને કંઈ ન જોઈતું હોય તો કોઈ નિયમ નથી.
સવાલ : ૮ ગોપાલક્રિશ્ન ભૈયા
આ અધ્યાયનું નામ "અક્ષરબ્રહ્મયોગ" કેમ પડ્યું?
જવાબ :
અર્જુને ભગવાનને અક્ષરબ્રહ્મ વિષે પ્રશ્નો પૂછ્યા કે અધિભૂત, અધિદૈવ અને આધ્યાત્મિક વિશે સમજાવો. એના જવાબ ભગવાને આ અધ્યાયમાં આપ્યા છે એટલે આ નામ છે.
આ સાથે જ પ્રશ્નોત્તરીનું સત્ર સમાપ્ત થયું. અંતિમ પ્રાર્થના અને હનુમાન ચાલીસાના પઠન પછી વિવેચનસત્રની સમાપ્તિ થઈ.
॥ ૐ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. ॥