विवेचन सारांश
કર્મયોગનું જ્ઞાન
ગીતા પરિવારની પરંપરા મુજબ પ્રાર્થના, દેશભક્તિ ગીત, શ્રીહનુમાન ચાલીસાના પાઠ અને દીપ પ્રજ્વલનની પરંપરા સાથે વિવેચન સત્રનો પ્રારંભ થયો. આજે મહાશિવરાત્રીના પુણ્ય પર્વની પરમ પાવન વેળામાં, ગુરુદેવની વાણીમાંથી વહેતી જ્ઞાનગંગાના કણોને સંભાળી, જ્ઞાનની આ ધારાને પ્રાપ્ત કરવાનો આ સુઅવસર ગુરુદેવની કૃપા-પ્રસાદથી પ્રાપ્ત થયો છે.
આ વિવેચન અંતર્ગત શ્રીમદ્ભગવદ્ગીતાના ચોથા અધ્યાય, જેને ‘જ્ઞાનકર્મસંન્યાસયોગ’ તરીકે ઓળખવામાં આવે છે, તેના પૂર્વાર્ધ તરફ આગળ વધતા પહેલાં માતા સરસ્વતી, ભગવાન વેદવ્યાસ, સંત જ્ઞાનેશ્વર મહારાજ અને સદ્ગુરુ સ્વામીગોવિંદદેવગિરિજી મહારાજના ચરણોમાં કોટિ-કોટિ વંદન સાથે તમામ ગીતા પ્રેમી સાધકોનું અભિવાદન કરવામાં આવ્યું.
શ્રીમદ્ભગવદ્ગીતા એક અનુપમ ગાન છે, જે સ્વયં ભગવાને યુદ્ધભૂમિમાં ગાયું હતું. કર્તવ્યવિમૂઢ અર્જુનને કર્તવ્ય માર્ગ પર લાવવા માટે ભગવાને પોતાના મુખારવિંદથી જે શાશ્વત જ્ઞાનની ધારા વહાવી, તે જ શ્રીમદ્ભગવદ્ગીતા છે! પાંચ હજાર વર્ષ પહેલાં પ્રજ્વલિત કરાયેલો જ્ઞાનનો દીપક આજે પણ આપણું માર્ગદર્શન કરે છે.
આ અધ્યાયનું શીર્ષક ‘જ્ઞાનકર્મસંન્યાસયોગ’ છે, તેનો અર્થ એ છે કે જ્ઞાનના પ્રકાશમાં કર્મના પ્રભાવનો નાશ થઈ જાય છે, એટલે કે કર્મનો વિલય થાય છે! જ્ઞાનના પ્રકાશમાં કર્મનું વિશ્લેષણ કરતાં સ્પષ્ટ થાય છે કે કયું કર્મ કરવાનું અને કયું ન કરવું! કયા કર્મનો સંન્યાસ કરવો અને કયું જીવનપથ તરીકે અપનાવી કર્મયોગનું પાલન કરવું તેનો બોધ આ અધ્યાયથી થાય છે.
આ અધ્યાયમાં અત્યંત મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતો પ્રગટ થાય છે. તે પહેલાં ભગવાને અર્જુનને આદેશ આપ્યો હતો —
मयि सर्वाणि कर्माणि संन्यस्याध्यात्मचेतसा।
निराशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः॥
આ શ્લોક દ્વારા ભગવાને સંદેશ આપ્યો કે શોક અને સંતાપથી મુક્ત રહી, પરિણામના ભયને છોડીને કર્મ કરવું જોઈએ! ‘સૃષ્ટિકર્તા ભગવાન માટે કર્મ કરવાનું છે; આ કર્મભૂમિમાં કર્મ કરવા માટે જ આવ્યા છીએ અને ભગવાને જ મોકલ્યા છે’ — આવી ભાવનાથી ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરવું જોઈએ. કર્મફળરૂપે જે મળે તેને પ્રસાદ માની સ્વીકારવું — એ જ ભગવાનનો નિષ્કામ કર્મયોગ છે!
આ ઉપદેશ સાંભળીને અર્જુનના મનમાં પ્રશ્ન ઊભો થયો હોઈ શકે કે શું આ કોઈ નવો ઉપદેશ છે?
"कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन"
જેવા સિદ્ધાંતો તો પહેલાં પણ સાંભળેલા છે! ભગવાન સ્પષ્ટ કરે છે કે અર્જુનને ભલે એવું લાગે કે આ જ્ઞાન પ્રથમવાર આપવામાં આવી રહ્યું છે, પરંતુ હકીકતમાં આ પરંપરા સદીઓથી ચાલી આવી છે. કામનાઓની દોડ, સ્વાર્થપ્રેરિત કર્મ અને ફળની આસક્તિને કારણે આ કર્મયોગ લુપ્ત જેવો થઈ ગયો હતો. સૃષ્ટિકર્તાનું વિસ્મરણ થતાં મનુષ્ય માત્ર સ્વાર્થ અને વાસનાઓની પૂર્તિ માટે કર્મ કરવા લાગ્યો. શ્રીભગવાન કહે છે કે આ જ્ઞાન નવું નથી। તે સર્વપ્રથમ ભગવાન સૂર્યને આપવામાં આવ્યું હતું! ભગવાન સૂર્ય, જે બ્રહ્માંડમાં અમારી આકાશગંગાને અવિરત પ્રકાશિત કરે છે, તેઓ ત્યારથી આ કર્મયોગનું અનુસરણ કરીને પોતાનું કર્તવ્ય નિભાવતા આવ્યા છે।
કર્મયોગની પ્રાચીન પરંપરા છે. ભગવાને અર્જુનની મનોદશાને સમજીને પોતે જ વિષયનો પ્રારંભ કર્યો! શક્ય છે કે અર્જુનના ચહેરા પર પ્રશ્નચિહ્ન દેખાતું હતું! યદ્યપિ ભગવાને કર્મયોગનો સિદ્ધાંત સમજાવી દીધો હતો, તેમ છતાં અર્જુન માટે તેને વ્યવહારમાં ઉતારવો, ખાસ કરીને યુદ્ધ જેવા ભયંકર કર્મમાં, અત્યંત કઠિન લાગતો હતો.
આ પ્રસંગે સંત જ્ઞાનેશ્વર મહારાજ ‘જ્ઞાનેશ્વરી’માં કહે છે,
मग देव म्हणे अगा पंडुसुता, हाचि योगु आम्हीं विवस्वता।
कथिला परी ते वार्ता, बहुवां दिवसांची ॥
मग तेणें विवस्वतें रवी, हे योगस्थिति आघवी।
निरूपिली बरवी, मनूप्रती ॥
मनूनें आपण अनुष्ठिली, मग इक्ष्वाकुवा उपदेशिली।
ऐसी परंपरा विस्तारिली, आद्य हे गा ॥
4.1
શ્રીભગવાનુવાચ ઇમં(વ્ઁ) વિવસ્વતે યોગં(મ્), પ્રોક્તવાનહમવ્યયમ્।
વિવસ્વાન્મનવે પ્રાહ, મનુરિક્ષ્વાકવેઽબ્રવીત્॥૪.૧॥
અહીં ‘ઇમં’નો અર્થ છે આ ‘અવ્યય યોગ’, ‘અવ્યય’નો અર્થ — જેનો ક્યારેય નાશ થતો નથી, જે સદાય અખંડ અને અક્ષિણ્ણ રહે છે. ભગવાન સ્પષ્ટ કરે છે કે આ કર્મયોગનું જ્ઞાન અર્જુનને પ્રથમ વખત આપવામાં આવી રહ્યું નથી। સર્વપ્રથમ આ જ્ઞાન ‘વિવસ્વાન્’, એટલે કે ભગવાન સૂર્યને આપવામાં આવ્યું હતું।
પરંપરા મુજબ ભગવાન સૂર્યે આ જ્ઞાન પોતાના પુત્ર મનુને આપ્યું તેથી તેને ‘વૈવસ્વત મન્વંતર’ તરીકે ઓળખવામાં આવે છે! ત્યારબાદ મનુએ પોતાના પુત્ર ઇક્ષ્વાકુને આ ઉપદેશ આપ્યો. અહીં સ્મરણિય છે કે ઇક્ષ્વાકુ સૂર્યવંશના આદિ પુરુષ માનવામાં આવે છે, જેમાં ભગવાન શ્રીરામનો જન્મ થયો; જ્યારે કૌરવ અને પાંડવ ચંદ્રવંશીય હતા.
ભગવાન શ્રીરામની વંશપરંપરામાં સૌપ્રથમ મહારાજ ઇક્ષ્વાકુને આ જ્ઞાન પ્રાપ્ત થયું અને તેમના દ્વારા તે અનુગામી પેઢીઓમાં સ્થાનાંતરિત થતું રહ્યું. એ પણ જાણી લેવા યોગ્ય છે કે ભગવાન શ્રીરામ પણ એક વખત ગહન વિષાદ (અવસાદ)થી ગ્રસ્ત થયા હતા! સંસારના દુઃખને જોઈ તેમના મનમાં એવો ભાવ ઉપજ્યો કે સૃષ્ટિમાં માત્ર દુઃખ જ વ્યાપેલું છે, જેના પરિણામે તેઓ વિષણ્ણતા તરફ વળ્યા! ત્યારબાદ તેમના ગુરુ મહર્ષિ વશિષ્ઠએ તેમને ‘યોગવશિષ્ઠ’ ગ્રંથ સ્વરૂપે ઉપદેશ આપ્યો!
યોગવશિષ્ઠ એક વિશાળ અને ગૂઢ તત્ત્વજ્ઞાનસભર ગ્રંથ છે. ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામે જે ઉપદેશ શિષ્યરૂપે ગ્રહણ કર્યો હતો, દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણના અવતારમાં તેમણે એ જ જ્ઞાન અર્જુનને પ્રદાન કર્યું! અર્થાત્ જે પહેલાં શ્રોતા હતા, તેઓ હવે વક્તા બન્યા અને ગુરુરૂપે શ્રીમદ્ભગવદ્ગીતા દ્વારા અર્જુનને જીવનમાર્ગનું પાથેય પ્રદાન કર્યું.
ભગવાને સૂર્યદેવને, સૂર્યદેવે મનુને અને મનુએ ઇક્ષ્વાકુને આ જ્ઞાન આપ્યું। આ રીતે આ જ્ઞાન એક અવિનાશી વિચારધારા તરીકે સ્થાપિત થયું. જેમ ગંગાજીની ધારા ક્યારેય નષ્ટ થતી નથી અને સાગર સુધી અવિરત વહેતી રહે છે — ભલે મધ્યમાં તે ક્ષીણ કે લુપ્તપ્રાય જણાય — તેમ સમયાંતરે આ કર્મયોગ પણ લુપ્ત જેવો જણાય છે.
જ્યારે સૃષ્ટિમાં અરાજકતા ફેલાય છે અને પ્રકૃતિના શોષણની સ્પર્ધા વધે છે, ત્યારે સૃષ્ટિ વિનાશના કિનારે આવી પહોંચે છે. આવી પરિસ્થિતિમાં ભગવાનને અવતાર કેમ ધારણ કરવો પડે છે, તેનો વિગતવાર વિચાર આગળ રજૂ કરવામાં આવ્યો છે!
એવં(મ્) પરમ્પરાપ્રાપ્તમ્, ઇમં (મ્) રાજર્ષયો વિદુઃ।
સ કાલેનેહ મહતા, યોગો નષ્ટઃ(ફ્) પરન્તપ॥૪.૨॥
પૂર્વે ત્રીજા અધ્યાયના વિવેચનમાં ભગવાને અર્જુનને મિથિલાનરેશ રાજા જનકનું ઉદાહરણ આપતાં કહ્યું હતું—
कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादयः।
અર્થાત્ રાજા જનકએ રાજ્યના તમામ કર્તવ્યોનું નિર્વહ કરતાં કરતાં કર્મયોગની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી!
આ ઉદાહરણ એ ભ્રાંતિ દૂર કરે છે કે નિષ્કામ કર્મયોગ માત્ર એકાંતવાસી બ્રહ્મર્ષિઓ અથવા તપસ્વીઓ માટે જ છે.
આધ્યાત્મિક માર્ગની બે મુખ્ય ધારાઓ માનવામાં આવે છે:
જ્ઞાનપ્રધાન ધારા જે વિચાર અને ચિંતન દ્વારા સત્યની આરાધના કરે છે।કર્મપ્રધાન ધારા જે પ્રવૃત્તિપ્રધાન છે; ‘રાજર્ષિ’ આ શ્રેણીમાં આવે છે. તેઓ કર્મને જ પોતાનો માર્ગ માને છે અને કર્મ કર્યા વિના રહી શકતા નથી!
ભગવાને રાજર્ષિઓનો ઉલ્લેખ કરીને આ જ વાત સ્પષ્ટ કરી છે કે સંસારના મધ્યમાં રહીને પણ યોગસિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે!
શ્રીભગવાન અર્જુનને ‘પરંતપ’ કહી સંબોધે છે. ‘પરંતપ’નો અર્થ છે શત્રુઓને સંતાપ આપનાર. અહીં એક મર્મસ્પર્શી સંકેત છે: જે અર્જુન શત્રુઓને હરાવવામાં સમર્થ છે, તે જ આજે મોહવશ થઈ ધનુષ છોડીને સ્વયં ભગવાનને જ સંતાપ આપી રહ્યા છે!
ભગવાન સ્પષ્ટ કરે છે કે આ યોગ ‘પરંપરાપ્રાપ્ત’ છે — એટલે કે આદિકાળથી ગુરુ-શિષ્ય પરંપરાથી હસ્તાંતરિત થતો આવ્યો છે। અર્જુન ક્ષત્રિય છે અને પૂર્વે અનેક ક્ષત્રિય રાજર્ષિઓએ આ યોગ સિદ્ધ કર્યો છે; તેથી અર્જુન પણ તેના સંપૂર્ણ અધિકારી છે.
સમયાંતરે આ દિવ્ય વિદ્યાનો હ્રાસ કેવી રીતે થયો? ભગવાન કહે છે—
स योगः महता कालेन इह नष्टः।"
અર્થાત્ કાળના પ્રચંડ પ્રભાવ, માનવીય સ્વાર્થ, ફળપ્રત્યેની અતિ આસક્તિ અને કામનાઓની અંધ દોડને કારણે આ યોગ નષ્ટપ્રાય થઈ ગયો. જ્યારે મનુષ્ય પોતાના મૂળ સૃષ્ટિકર્તાને ભૂલી સ્વાર્થસાધનમાં લીન થઈ જાય છે, ત્યારે યોગનું વાસ્તવિક તેજ ક્ષીણ થઈ જાય છે.
શ્રીભગવાન અર્જુનને કહે છે કે આ પુરાતન અને રહસ્યમય યોગ તેઓ આજે ફરીથી તેમને પ્રદાન કરી રહ્યા છે! આ ગૂઢ જ્ઞાન માટે અર્જુનની પસંદગી એટલા માટે થઈ કે તેઓ ભગવાનના સખા અને અનન્ય ભક્ત છે! શ્રેષ્ઠ રહસ્ય હંમેશા તેની સામે જ ખોલવામાં આવે છે, જે હૃદયને અતિ નજીક હોય અને જેની સાથે અડગ પ્રેમ અને વિશ્વાસનો સબંધ હોય છે!
અર્જુન પોતાની નિષ્કપટતા, અનન્ય ભક્તિ અને સરળ સ્વભાવને કારણે ભગવાનના દિવ્ય જ્ઞાનના અધિકારી બન્યા. જ્યાં સુધી આપણા અંતરમાં એ ઋજુતા (સરળતા), કર્તવ્યપ્રત્યેની તત્પરતા અને વિરતા જાગૃત ન થાય, ત્યાં સુધી આપણે અર્જુન સમાન ગીતાના ગૂઢ રહસ્યોને સમજવા સમર્થ નથી બની શકતા. ભગવદ્ગીતા માત્ર એક ઉપદેશ નથી, પરંતુ એક જીવંત સંદેશ છે.
વયની દૃષ્ટિએ જોવામાં આવે તો ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે માત્ર ત્રણ-ચાર વર્ષનું જ અંતર હતું. પાંડવોમાં યુધિષ્ઠિર સૌથી મોટા, પછી ભીમ, ત્યારબાદ શ્રીકૃષ્ણ અને ત્યાર પછી અર્જુનનો ક્રમ આવે છે। કુંતી શ્રીકૃષ્ણની ફોઈ અને વસુદેવજી અર્જુનના મામા — આમ તેમની વચ્ચે ગાઢ પારિવારિક સંબંધ પણ હતો.
અર્જુનના મનમાં વિચાર ઉઠ્યો, “અમે સાથે રમ્યા, સાથે મોટા થયા અને જીવન એકબીજા સામે જ પસાર કર્યું તો પછી શ્રીકૃષ્ણ ભગવાન કેવી રીતે કહી શકે કે આ રહસ્ય તેમણે સર્વપ્રથમ સૂર્યદેવ (વિવસ્વાન)ને આપ્યું હતું?” સૂર્યદેવ તો અનાદિકાળથી છે, જ્યારે તમારો જન્મ તો થોડા વર્ષો પહેલાં કંસના કારાગારમાં માતા દેવકીના ગર્ભમાંથી થયો હતો. ત્યારબાદ વસુદેવજી તમને નંદગામ લઈ ગયા — આ સમગ્ર કથા અમે સાંભળી છે તો પછી સૃષ્ટિના આરંભે તમે સૂર્યને આ જ્ઞાન કેવી રીતે આપ્યું?”
અર્જુન આ જિજ્ઞાસા સાથે ભગવાનને પ્રશ્ન પૂછે છે અને એ પ્રશ્ન દ્વારા દિવ્ય અવતારના રહસ્યનો ઉદ્ઘાટન થવાનું છે.
સ એવાયં(મ્) મયા તેઽદ્ય, યોગઃ(ફ્) પ્રોક્તઃ(ફ્) પુરાતનઃ।
ભક્તોઽસિ મે સખા ચેતિ, રહસ્યં(મ્) હ્યેતદુત્તમમ્॥૪.૩॥
ઉત્તમ રહસ્ય એટલે રહસ્યોમાં પણ શ્રેષ્ઠ રહસ્ય
શ્રીભગવાન આ અનાદિ જ્ઞાનને “ઉત્તમ રહસ્ય” એવી સંજ્ઞા આપે છે. તેઓ અર્જુનને કહે છે—
भक्तोऽसि मे सखा चेति"
અર્થાત્, તું મારો ભક્ત પણ છે અને મારો પ્રિય સખા પણ છે!
અહીં અર્જુનની દ્વિઆયામી પાત્રતા સ્પષ્ટ થાય છે:
શિષ્ય-ભાવ — એક શિષ્ય તરીકે તેઓ ગુરુચરણોમાં સંપૂર્ણ સમર્પિત છે.
સખ્ય-ભાવ — તેઓ શ્રીકૃષ્ણના હૃદયના એટલા નજીક છે કે ભગવાન તેમને પોતાનો ‘પરમ મિત્ર’ માને છે.
આ જ આત્મીયતાના કારણે શ્રીભગવાને ‘ગુહ્યતમ’ (રહસ્યોમાં રહસ્ય) એવા સનાતન કર્મયોગનો ઉપદેશ ફરી અર્જુન સમક્ષ પ્રગટ કર્યો।
અર્જુનની સાચી પાત્રતાની કસોટી ત્યારે થઈ, જ્યારે તેમણે ભૌતિક શક્તિ કરતાં ‘પરમાત્મ શક્તિ’ની પસંદગી કરી! મહાભારત યુદ્ધની પૂર્વસંધ્યાએ અર્જુન અને દુર્યોધન સહાય માટે શ્રીકૃષ્ણ પાસે પહોંચ્યા, ત્યારે એક રસપ્રદ ઘટના બની, દુર્યોધન અહંકારવશ શ્રીભગવાનના માથા પાસે બેસી ગયા, જ્યારે અર્જુન વિનયપૂર્વક તેમના ચરણોમાં બેઠા. જાગ્યા પછી શ્રીકૃષ્ણની પ્રથમ નજર સ્વાભાવિક રીતે ચરણોમાં બેઠેલા અર્જુન પર પડી. બંને મદદ માંગવા આવ્યા હતાં.
શ્રીકૃષ્ણે એક બાજુ પોતાની શસ્ત્રસજ્જ વિશાળ ‘નારાયણી સેના’ રાખી અને બીજી બાજુ પોતાને—જે નિઃશસ્ત્ર રહેશે અને યુદ્ધ નહીં કરે. પ્રથમ પસંદગીનો અવસર મળતાં જ અર્જુને તરત જ સેના ત્યજી નિઃશસ્ત્ર શ્રીકૃષ્ણને પસંદ કર્યા! જ્યારે શ્રીભગવાને પૂછ્યું, “હું તો યુદ્ધ નહીં કરું, તો મને કેમ પસંદ કર્યો?” ત્યારે અર્જુને ભાવવિભોર થઈ જવાબ આપ્યો—
“પ્રભુ! યુદ્ધ કરવા માટે તો હું સ્વયં સમર્થ છું; મને તો માત્ર તમે જ જોઈએ. તમે મારા સારથી બની મારા મનના રથની લગામ સંભાળો!”
સંત જ્ઞાનેશ્વર મહારાજે પોતાની કૃતિ જ્ઞાનેશ્વરીમાં અર્જુન અને શ્રીકૃષ્ણના પ્રેમસંબંધની પરાકાષ્ઠાનું અતિમધુર વર્ણન કર્યું છે!
तूं प्रेमाचा पुतळा, भक्तीचा जिव्हाळा।मैत्रियेची चित्कळा, धनुर्धरा ॥
(ज्ञानेश्वरी, 4, 29)
તમે પ્રેમના પાત્ર છો. પ્રેમ કેવી રીતે કરવો તે કોઈ તમારાથી શીખે. પોતાના ગુરુના ચરણોમાં કેવી રીતે સમર્પિત થવું તે કોઈ તમારાથી શીખે. ભક્તિ કેવી રીતે કરવી તે પણ કોઈ તમારાથી જ શીખે, હે ધનુર્ધર! તમે એક તરફ વીર પણ છો અને બીજી તરફ તમારું હૃદય પૂર્ણ પ્રેમથી ભરેલું છે. સાથે સાથે તમે વિનમ્ર, ઋજુ અને ક્યારેય કોઈની નિંદા નથી કરતા. અર્થાત્, હે ધનુર્ધર! તમે સજીવ પ્રેમની પ્રતિમા અને ભક્તિનું અંતઃકરણ છો.
સંત જ્ઞાનેશ્વર આગળ જ્ઞાનેશ્વરીમાં લખે છે—
"यालागीं सुमनु आणि शुद्धमती, जो अनिंदकु अनन्यगती।
पैं गा गौप्यही परि तयाप्रती, चावळिजें सुखें ॥"આ ઓવી દ્વારા અર્જુનના ચાર વિશેષ ગુણોને દર્શાવવામાં આવ્યા છે—સુમનુ (સુંદર મન) — તમારું મન અતિ પવિત્ર છે. તમે આ રહસ્ય સાંભળી તેનો ક્યારેય દુરુપયોગ નહીં કરો.
શુદ્ધમતી — તમારી બુદ્ધિ અત્યંત શુદ્ધ છે; તમારા અંતરમાં કોઈ પ્રત્યે દ્વેષ કે શત્રુભાવ નથી.
અનિંદક (નિંદા ન કરનાર) — તમે પરનિંદાના દોષથી સંપૂર્ણ મુક્ત છો. તમારી જીભ પર ક્યારેય કડવા કે નિંદાત્મક શબ્દો આવતાં નથી.
અનન્યગતિ — તમે તમારા ગુરુ અને પરમાત્માના ચરણોમાં અનન્ય ભાવથી સમર્પિત છો. તમારા જીવનની એકમાત્ર ગતિ અને આશ્રય ઈશ્વર જ છે.
સંસારમાં કોઈપણ મહાપુરુષ પોતાનું ગુહ્યતમ (અતિ ગુપ્ત) રહસ્ય તેને જ સોંપે છે, જેના પ્રત્યે તેને અગાધ પ્રેમ હોય અને જેના પર પૂર્ણ વિશ્વાસ હોય. અર્જુનની ઋજુતા (સરળતા) અને નિષ્કપટ ભાવ જ એ કારણ છે કે શ્રીભગવાન તેમને તે ‘ગોપ્ય’ જ્ઞાન આપવા આતુર છે, જે મહાન યોગીઓ માટે પણ દુર્લભ છે.
પરમ જ્ઞાન સાંભળ્યા પછી પણ અર્જુનના મનમાં એક તાર્કિક પ્રશ્ન ઉદ્ભવે છે. તેઓ વિચાર કરે છે કે શ્રીકૃષ્ણ (ફોઈ કુંતીના સંબંધમાં) અને તેઓ પોતે સમકાલીન છે, વયમાં પણ યુધિષ્ઠિર, ભીમ, શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે ખૂબ ઓછો ફરક છે.
અર્જુનનો તર્ક એવો છે કે શ્રીકૃષ્ણનો જન્મ દ્વાપર યુગમાં માતા દેવકીના ગર્ભથી થયો અને તેઓ નંદગામમાં ઉછર્યા. તો પછી તેઓ કેવી રીતે કહી શકે કે સૃષ્ટિના આરંભમાં તેમણે આ યોગ સૂર્યદેવ (વિવસ્વાન)ને શીખવ્યો હતો? સૂર્યદેવ તો અનાદિ કાળથી પ્રકાશમાન છે.
આ ‘કાળભેદ’ના વિરોધાભાસને સમજવા માટે અર્જુન શ્રીભગવાનને જિજ્ઞાસા કરે છે. અર્જુનનો પ્રશ્ન અવિશ્વાસથી નહીં, પરંતુ જિજ્ઞાસુના તાર્કિક ઊંડાણમાંથી ઉદ્ભવેલો છે. શ્રીભગવાન આગળના શ્લોકોમાં ‘અવતારવાદ’ના રહસ્ય દ્વારા આ શંકાનું સમાધાન કરે છે!
અર્જુન ઉવાચ
અપરં(મ્) ભવતો જન્મ, પરં(ઞ્) જન્મ વિવસ્વતઃ।
કથમેતદ્વિજાનીયાં(ન્), ત્વમાદૌ પ્રોક્તવાનિતિ॥૪.૪॥
અર્જુનના મનમાં ‘કાળભેદ’ વિષે એક તાર્કિક પ્રશ્ન ઉદ્ભવે છે. તેઓ શ્રીકૃષ્ણને કહે છે—
"भवतः जन्म अपरं"
અર્થાત્, આપનો જન્મ તો અત્યારે જ થયો છે. આપ વયમાં મારાથી થોડા જ મોટા છો અને સૌને જાણીતું છે કે માતા દેવકીએ આપને કારાગૃહમાં જન્મ આપ્યો હતો. બીજી તરફ—
‘विवस्वतः जन्म परं'
સૂર્યદેવનો જન્મ અતિ પ્રાચીન છે. તેઓ અનાદિ કાળથી સૃષ્ટિને પ્રકાશિત કરી રહ્યા છે. તો પછી હું કેવી રીતે માનું કે સૃષ્ટિના આદિકાળમાં આપે જ તેમને આ યોગ શીખવ્યો હતો?
कथमेतद्विजानीयां
શ્રીભગવાનના વચન મુજબ, તેમણે જ સૂર્યદેવને કર્મયોગની દીક્ષા આપી હતી. સૂર્યદેવની વિશેષતા એ છે કે તેઓ આજે પણ પૂર્ણ નિષ્ઠા અને લાગણીથી એ ઈશ્વરીય કર્મયોગનું પાલન કરે છે.
સૂર્યદેવનું મુખ્ય કર્મ છે — પ્રકાશનું દાન. તેઓ સમગ્ર સૃષ્ટિને જીવનદાન આપે છે. તેમના પ્રકાશથી જ વનસ્પતિઓ પોતાનો આહાર (પ્રકાશ સંશ્લેષણ) બનાવે છે અને તેમની ઉષ્માથી જ વર્ષા ચક્ર સંચાલિત થાય છે.
સૂર્યદેવના આ નિષ્કામ કર્મયોગની ત્રણ મુખ્ય વિશેષતાઓ છે, જે સાધકો માટે અનુસરણયોગ્ય છે—
૧) અવકાશરહિત સેવા - સૂર્યદેવ ક્યારેય રજા લેતા નથી. આપણે મનુષ્યો કર્મ કરતાં-કરતાં આરામ ઇચ્છીએ છીએ, પરંતુ ભગવાન સૂર્ય નિરંતર કાર્યરત રહે છે. સૂર્યનો ઉદય અને અસ્ત થવો આપણી માનવીય દૃષ્ટિનો ભ્રમ છે. પૃથ્વીના પરિભ્રમણના કારણે એવું લાગે છે; હકીકતમાં સૂર્ય પોતાના સ્થાન પર સ્થિર રહી સતત પ્રકાશ આપે છે.
૨) ભેદભાવરહિત દૃષ્ટિ - સૂર્યદેવ કોઈ સાથે ભેદભાવ રાખતા નથી. તેઓ પોતાની સેવા કરતી વખતે કોઈ પૂર્વાગ્રહ રાખતા નથી.
શ્રીમદ્ભગવદ્ગીતાના નવમા અધ્યાયમાં શ્રીભગવાન કહે છે—
समोऽहं सर्वभूतेषु",
અર્થાત્ હું સર્વ પ્રાણીઓમાં સમ છું।
સૂર્ય એ નિર્ણય કરતા નથી કે કોઈ પાપી છે તો તેને પ્રકાશ ન આપું અથવા કોઈ પુણ્યાત્મા છે તો તેને વધુ પ્રકાશ આપું.
સંત જ્ઞાનેશ્વર મહારાજ આ સમત્વભાવને એક સુંદર દૃષ્ટાંત દ્વારા સમજાવે છે—
गाईची तृषा हरूं, कां व्याघ्रा विष होऊनि मारूं,
ऐसें नेणेंचि गा करूं, तोय जैसें ॥
અર્થાત્, જેમ નદી પોતાની જળધારાથી ગાય અને વાઘ બન્નેની તરસ સમાન રીતે બુઝાવે છે, તેમાં તે ભેદ નથી કરતી. પાણીનો સ્વભાવ માત્ર તરસ બુઝાવવાનો છે. એ જ રીતે પ્રકૃતિ પોતાનું કાર્ય કરતી રહે છે. વૃક્ષો નથી જોતા કે તેમના ફળ કોણ ખાય છે? તેમનો સ્વભાવ ફળ આપવાનો છે. આ સૃષ્ટિકર્તાની આજ્ઞાનું પાલન છે.
૩) અપેક્ષારહિત કર્મ - સૂર્યદેવ આપણાથી કોઈ પ્રતિફળની અપેક્ષા રાખતા નથી. આપણે તેમને જે અર્ઘ્ય અર્પણ કરીએ છીએ, તે આપણી કૃતજ્ઞતા અને સંસ્કારનું પ્રતિક છે. આપણે પ્રાર્થના કરીએ છીએ કે તેમના કર્મયોગનો થોડોક અંશ આપણા જીવનમાં પણ ઉતરે. સૂર્યદેવ અર્ઘ્ય આપનાર અને ન આપનાર—બન્નેને સમાન પ્રકાશ આપે છે. આ અપેક્ષારહિત કર્મ જ નિષ્કામ કર્મયોગનું મૂળ તત્ત્વ છે.
સૂર્યદેવના આદર્શનું ઉદાહરણ આપ્યા પછી શ્રીભગવાન અર્જુનનો સંશય દૂર કરતા કહે છે, હે અર્જુન! તું પોતાના પૂર્વજન્મોને નથી જાણતો, પરંતુ હું મારા તમામ અવતારો અને સ્વરૂપોને સંપૂર્ણ રીતે જાણું છું.
શ્રીભગવાનુવાચ
બહૂનિ મે વ્યતીતાનિ, જન્માનિ તવ ચાર્જુન।
તાન્યહં(વ્ઁ) વેદ સર્વાણિ, ન ત્વં(વ્ઁ) વેત્થ પરન્તપ॥૪.૫॥
શ્રીભગવાન અર્જુનના સંશયનું નિવારણ કરતાં અવતારવાદના ગૂઢ તત્ત્વને પ્રગટ કરે છે. તેઓ કહે છે—
“હે પરંતપ અર્જુન! મારાં અને તારાં ઘણા પૂર્વજન્મો થઈ ચૂક્યા છે. દરેક યુગમાં હું ધર્મસ્થાપના માટે અવતાર ધારણ કરું છું અને તું પણ પોતાના પ્રારબ્ધ અને વાસનાઓના વશ થઈ શરીર ધારણ કરતો આવ્યો છે.”
અહીં શ્રીભગવાન જીવ અને ઈશ્વર વચ્ચેનો મૂળભૂત તફાવત સ્પષ્ટ કરે છે.
न त्वं वेत्थ ( તું નથી જાણતો)
સામાન્ય જીવ પોતાના પૂર્વજન્મોની સ્મૃતિ ગુમાવી દે છે. પ્રકૃતિના ગુણોના પ્રભાવથી તેની સ્મૃતિ ઢંકાઈ જાય છે.
तान्यहं वेद सर्वाणि (હું તે બધું જાણું છું)
ઈશ્વર ત્રિકાળદ્રષ્ટા સાક્ષી છે. સૃષ્ટિના આરંભથી અંત સુધીની દરેક ઘટના તેમને સંપૂર્ણ રીતે સ્મરણમાં છે.
સંત જ્ઞાનેશ્વર મહારાજે પોતાની કૃતિ જ્ઞાનેશ્વરીમાં શ્રીકૃષ્ણના આ સર્વજ્ઞ સ્વરૂપનું સુંદર વર્ણન કર્યું છે—
मी जेणें जेणें अवसरें, जें जें होऊनि अवतरें।
ते समस्तही स्मरें, धनुर्धरा ॥
અર્થાત્, હે ધનુર્ધર! ભિન્ન-ભિન્ન સમયોએ મેં જે-જે અવતાર ધારણ કર્યા છે, તે બધું મને અક્ષરશઃ સ્મરણ છે. સામાન્ય મનુષ્યની સ્મૃતિ માયાના આવરણથી ઢંકાઈ જાય છે, પરંતુ પરમાત્મા માયાના અધિપતિ હોવાથી સદા જાગૃત અને સ્મૃતિસંપન્ન રહે છે.
હવે શ્રીભગવાન તે મહાન રહસ્ય તરફ સંકેત કરે છે, જે તર્કથી પરે છે. તેઓ પૂછે છે,
“શું તું એ રહસ્ય જાણવા ઇચ્છે છે કે જે ‘અજ’ છે, તે જન્મ કેવી રીતે લે છે?” અહીં બે મહત્વપૂર્ણ શબ્દો છે—
અજ (અ-જ) — ‘જ’નો અર્થ જન્મ લેવું; ‘અજ’ એટલે જે કદી જન્મ લેતો નથી, જે અજન્મા છે.
અવ્યય — જે કદી ક્ષય પામતો નથી, જે અવિનાશી છે.
શ્રીભગવાન કહે છે કે યદ્યપિ હું પ્રકૃતિનો સ્વામી છું અને જન્મ-મૃત્યુના ચક્રથી સંપૂર્ણ મુક્ત છું, તોય હું મારી યોગમાયા દ્વારા શરીર ધારણ કરી પ્રગટ થાઉં છું. ત્યારબાદ તેઓ એ વિશેષ પરિસ્થિતિઓ અને દિવ્ય હેતુઓનું વર્ણન કરે છે, જે એક અજન્મ પરમાત્માને આ મૃત્યુલોકમાં અવતાર લેવાનું કારણ બને છે.
મનુષ્ય જન્મ લેવા માટે વિવશ છે. કર્મસિદ્ધાંત મુજબ સંચિત કર્મોના બધા ફળ એક જ જન્મમાં ભોગવવું શક્ય નથી. કર્મોની સંખ્યા વધુ હોય છે અને પ્રારબ્ધની રચનાની પ્રક્રિયા કારણે ફળપ્રાપ્તિમાં સમય લાગે છે. તેથી સામાન્ય મનુષ્ય કર્મચક્રમાં બંધાઈ ફરી-ફરી જન્મ લે છે.
જ્યાં મનુષ્ય કર્મોના બંધનમાં જન્મ લે છે, ત્યાં શ્રીભગવાન સ્વતંત્ર હોવા છતાં ભક્તોના પ્રેમ અને ધર્મની સ્થાપના માટે સ્વેચ્છાથી પ્રગટ થાય છે.
અજોઽપિ સન્નવ્યયાત્મા, ભૂતાનામીશ્વરોઽપિ સન્।
પ્રકૃતિં(મ્) સ્વામધિષ્ઠાય, સમ્ભવામ્યાત્મમાયયા॥૪.૬॥
શ્રીભગવાન અર્જુનને કહે છે કે હું ‘અજ’ અને ‘અવ્યય’ છું. અજ એટલે જેનો જન્મ થતો નથી (‘જ’ એટલે જન્મ લેવો). જેમ કે ‘પંકજ’ (કમળ)નો અર્થ થાય કે જે પંક (કીચડ)માંથી જન્મે છે; પરંતુ પરમાત્મા અજન્મા છે.
અવ્યય — જેનો કદી વ્યય, ક્ષય કે નાશ થતો નથી.
આ સાથે શ્રીભગવાન કહે છે— “ભૂતાનામીશ્વરોऽપિ સન્”, એટલે કે હું તમામ પ્રાણીઓનો ઈશ્વર છું. ‘ભૂત’ એટલે પંચમહાભૂત (પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ)થી બનેલું સર્વ. શ્રીભગવાન આ સર્વ ભુતમાત્રોના નિયામક છે, જે બધાને નિયમમાં રાખે છે. સૃષ્ટિ સંપૂર્ણપણે નિયમબદ્ધ છે. પૃથ્વીનું પરિભ્રમણ (૨૪ કલાક), સૂર્યની પરિક્રમા (૩૬૫ દિવસ), અને ગ્રહગોળો પોતાની કક્ષામાં ટકરાયા વિના ભ્રમણ કરે છે — આ બધું નિશ્ચિત નિયમથી સંચાલિત છે. ઋતુચક્ર — વર્ષા, શરદ, હેમંત, શિશિર, વસંત અને ગ્રીષ્મ — પણ સુવ્યવસ્થિત છે. આ બધાના પાછળ એક મહાન નિયામક શક્તિ કાર્યરત છે. વેદમંત્રો દ્વારા આ સૃષ્ટિના દૈવી સંવિધાનનું વર્ણન કર્યું છે. શ્રીભગવાન અર્જુન પ્રત્યે પોતાના હૃદયના ભાવ વ્યક્ત કરતાં કહે છે—
“હે અર્જુન! તારું હૃદય પ્રેમથી એટલું છલકાય છે કે તારા નિષ્કપટ પ્રેમના બંધનમાં બંધાવા માટે મને પણ જાણે વિવશ થવું પડે છે.” આ એ સ્થિતિ છે જ્યાં ઈશ્વર ભક્તના પ્રેમથી અધિન બને છે.
મહાભારતના ખાંડવ દહન પ્રસંગમાં એક મર્મસ્પર્શી ઘટના આવે છે. અગ્નિદેવ તૃપ્ત થયા પછી તેમણે અર્જુન અને શ્રીકૃષ્ણને વરદાન માંગવા કહ્યું. બન્નેની માંગમાં આકાશ-પાતાળનો તફાવત હતો! એક યોદ્ધા તરીકે અર્જુને શૌર્ય અને વિજય માટે દિવ્ય અસ્ત્રોની કામના કરી. અગ્નિદેવે તેમને પ્રસિદ્ધ ગાંડીવ ધનુષ, અક્ષય તુણીર અને એક દિવ્ય રથ આપ્યો.
જ્યારે અગ્નિદેવે શ્રીકૃષ્ણને વરદાન માંગવા કહ્યું, ત્યારે બ્રહ્માંડના સ્વામીએ કોઈ ભૌતિક કે અલૌકિક શક્તિ ન માગી. તેમણે કહ્યું—“મને સદાય અર્જુનનો પ્રેમ પ્રાપ્ત થતો રહે; મને માત્ર અર્જુનના અનન્ય પ્રેમની જ આશા છે.”
ગુરુદેવ અનુસાર માયા ત્રણ પ્રકારની છે,
૧) સ્વજન મોહિની માયા — જેના દ્વારા શ્રીભગવાન પોતાના સ્વજનો (જેમ કે અર્જુન, યશોદા)ને પ્રેમવશ મોહમાં મૂકે છે.
૨) વિમુખ મોહિની માયા — જે દુર્જન અને અધર્મીઓ (જેમ કે દુર્યોધન)ને ભ્રમિત કરીને દંડ આપે છે.
૩) સ્વમોહિની માયા— જેમાં શ્રીભગવાન સ્વયં લીલા કરતાં એવું દર્શાવે છે કે જાણે તેઓ માયાના અધિકારમાં છે.
સીતા હરણ પછી શ્રીરામનો વિલાપ સ્વમોહિની માયાનું ઉત્તમ ઉદાહરણ છે. તેઓ વૃક્ષો અને લતાઓને સીતાનું સરનામું પૂછતા હતા. જ્યારે માતા પાર્વતીએ તેમની પરીક્ષા લેવા માટે સીતાનું રૂપ ધારણ કર્યું, ત્યારે શ્રીરામે તરત જ તેમને “માતા” કહી પ્રણામ કર્યો. તેઓ જાણતા હતા કે તેઓ જગન્માતા છે. શ્રીભગવાને મનુષ્યલીલા કરતાં માનવીય મર્યાદાનું પાલન કર્યું, કારણ કે રાવણને વરદાન હતું કે તેનો વધ માત્ર મનુષ્ય દ્વારા જ શક્ય છે. તેથી પોતાની મર્યાદાનો ભંગ કર્યા વિના તેમણે લીલા રચી.
શ્રીભગવાન ક્યારે અને શા માટે અવતાર લે છે? કઈ પરિસ્થિતિઓ તેમને અવતાર ધારણ કરવા પ્રેરિત કરે છે? તેનો જવાબ આગળના બે પ્રખ્યાત શ્લોકોમાં આપવામાં આવ્યો છે.
યદા યદા હિ ધર્મસ્ય, ગ્લાનિર્ભવતિ ભારત।
અભ્યુત્થાનમધર્મસ્ય, તદાત્માનં(મ્) સૃજામ્યહમ્॥૪.૭॥
શ્રીભગવાન અર્જુનને ‘ભારત’ કહી સંબોધે છે.
‘ભારત’ શબ્દનો અર્થ છે—‘ભા’ એટલે પ્રકાશ, આભા અથવા જ્ઞાન અને ‘રત’ એટલે જેમાં રત હોય. ભારત તે દેશ છે જે સદા જ્ઞાનના પ્રકાશમાં રત રહે છે, અને અર્જુન એ જ્ઞાનપરંપરાના વહનકર્તા છે.
એ જ ભારતને સંબોધતાં શ્રીભગવાન કહે છે કે કઈ પરિસ્થિતિઓ તેમને અવતાર લેવા માટે પ્રેરિત કરે છે? જ્યારે જ્યારે ધર્મની ગ્લાની (હ્રાસ) થાય છે અને અધર્મનો વધારો થાય છે, ત્યારે-ત્યારે તેઓ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે — નિરાકારથી સકાર રૂપે (જેમ કે શ્રીરામ, શ્રીકૃષ્ણ, પરશુરામ વગેરે).
અહીં ‘ધર્મ’નો અર્થ કોઈ એક સંપ્રદાય કે ઉપાસના પદ્ધતિ પૂરતો મર્યાદિત નથી. ધર્મ અત્યંત વ્યાપક સંકલ્પના છે.
મહાભારતમાં કહેવામાં આવ્યું છે—
धारणाद्धर्ममित्याहुर्धर्मो धारयते प्रजाः।
અર્થાત્, જે પ્રજાને ધારણ કરે તે ધર્મ છે. ધર્મ સમાજવ્યવસ્થાને ટકાવી રાખે છે. જે ધર્મની રક્ષા કરે છે, તેની ધર્મ રક્ષા કરે છે.
શ્રીમદ્ભગવદ્ગીતાનો પ્રારંભ “ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે”થી થાય છે અને અંતે “મમ” (મમ ધર્મઃ — મારું કર્તવ્ય) સુધી પહોંચે છે. તેનો અર્થ છે પોતાનું કર્તવ્ય નિભાવવું જ ધર્મ છે.
અધર્મ એ છે જે કરવું ન જોઈએ તે છે અને જે સર્વના અહિતનું કારણ બને છે. અપરાધ, અનાચાર, શોષણ, પર્યાવરણ પ્રદૂષણ, વનોની કપાત વગેરે ધર્મની ગ્લાનીના લક્ષણો છે. જ્યારે જીવનમૂલ્યો નાશ પામે અને સમાજ વિનાશના કિનારે પહોંચે, ત્યારે તેને ધર્મની ગ્લાની કહે છે.
માત્ર કર્મકાંડને જ ધર્મ માનવું યોગ્ય નથી. રાવણ અને ઇન્દ્રજીત જેવા અસુરો પણ મહાન કર્મકાંડી હતા, પરંતુ તેમણે પોતાની શક્તિનો ઉપયોગ અહિત માટે કર્યો. કર્મકાંડ ધર્મનું એક અંગ છે, પરંતુ પૂર્ણ ધર્મ નથી. કર્તવ્ય ધર્મનું ઐતિહાસિક ઉદાહરણ અહિલ્યાદેવી હોલકર છે. એમણે "ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે" નો અર્થ "ક્ષેત્રે ક્ષેત્રે ધર્મં કુરુ” એવો કર્યો — એટલે કે પોતાના કાર્યક્ષેત્રમાં કર્તવ્ય પાલન કરવું જ ધર્મ છે. તેમણે પોતાના ખાનગી ધનથી અનેક ધર્મશાળાઓ અને લોકકલ્યાણના કાર્યો કરાવ્યા.
છત્રપતિ શિવાજી મહારાજે મિર્ઝા રાજા જયસિંહને પત્ર લખીને જણાવ્યું હતું કે અધર્મની સેવા છોડીને સ્વધર્મને ઓળખવો જોઈએ.
ભગવદ્ગીતા (3.35)માં પણ કહેવામાં આવ્યું છે—
श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात्।
અર્થાત્, બીજાના ધર્મનું અનુસરણ કરવા કરતાં પોતાનો સ્વધર્મ કરવો શ્રેષ્ઠ છે. જ્યારે ધર્મની ગ્લાની થાય છે ત્યારે શ્રીભગવાન પોતાની યોગમાયા દ્વારા અવતાર ધારણ કરે છે. ‘અવતરણ’નો અર્થ છે — ઉપરથી નીચે આવવું. તેઓ નિર્ગુણ-નિરાકાર અવસ્થાથી સગુણ-સાકાર સ્વરૂપે પ્રગટ થાય છે.
સંત જ્ઞાનેશ્વર જ્ઞાનેશ્વરીમાં લખે છે—
मी अविवेकाची काजळी, फेडूनी विवेकदीप उजळीं।
तैं योगियां पाहे दिवाळी, निरंतर ॥ 54॥
ते पापाचा अचळु फिटे, पुण्याची पहाट फुटे।
जैं मूर्ति माझी प्रगटे, पंडुकुमरा ॥ 56 ॥
અર્થાત્, જ્યારે હું પ્રગટું છું ત્યારે અજ્ઞાનનું અંધકાર દૂર કરી વિવેકનો દીપ પ્રગટાવું છું.
કળયુગમાં અવતારનું સ્વરૂપ કેવું છે? શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે—
"सङ्घे शक्ति कलौ युगे"।
કળયુગમાં ભગવાન સજ્જનોના સંગઠિત બળ રૂપે પ્રગટ થાય છે. જ્યારે સજ્જન શક્તિ એકત્ર થાય છે, ત્યારે ઈશ્વર તેમના માધ્યમથી કાર્ય કરે છે.ગીતા (10.11)માં શ્રીભગવાન કહે છે—
तेषामेवानुकम्पार्थमहमज्ञानजं तमः।
नाशयाम्यात्मभावस्थो ज्ञानदीपेन भास्वता॥
હું ભક્તોના હૃદયમાં રહી અજ્ઞાનનો અંધકાર જ્ઞાનદીપથી દૂર કરું છું.
ધર્મનો એક ગૂઢ અર્થ છે — ‘સંબંધોનું વિજ્ઞાન’
પુત્ર-ધર્મ, પિતૃ-ધર્મ, રાષ્ટ્ર-ધર્મ, સમાજ-ધર્મ — આ બધો જ વાસ્તવિક ધર્મ છે.
શાસ્ત્રોમાં શ્રીરામને ‘વિગ્રહવાન ધર્મ’ કહેવામાં આવ્યા છે કારણ કે રાજ્યાભિષેકના ક્ષણે વનવાસ સ્વીકારવો એ કર્તવ્યની પરાકાષ્ઠા હતી. રણક્ષેત્રમાં પણ માનવતા જાળવવી તે શત્રુ પ્રત્યે મર્યાદા બચી.
રાવણવધ પછી જ્યારે વિભીષણે તેમના દાહસંસ્કાર કરવાનો ઇનકાર કર્યો, ત્યારે શ્રીરામે કહ્યું—
"मरणान्तानि वैराणि प्रयोजनं समाप्तम्।"
એટલે મૃત્યુ સાથે વેર સમાપ્ત થાય છે આ સાચા ધર્મનું લક્ષણ છે. ધર્મ માત્ર મંદિરો કે કર્મકાંડમાં નથી, પરંતુ આપણા વ્યવહાર, સંબંધોની પવિત્રતા અને કર્તવ્યનિષ્ઠામાં જીવંત છે. જ્યારે આપણે સ્વાર્થીભાવથી ઉપર ઊઠીને કર્તવ્યનું પાલન કરીએ છીએ, ત્યારે જ આપણે સાચા અર્થમાં ધર્મમાર્ગે આગળ વધીએ છીએ.
પરિત્રાણાય સાધૂનાં(વ્ઁ) વિનાશાય ચ દુષ્કૃતામ્।
ધર્મસંસ્થાપનાર્થાય, સમ્ભવામિ યુગે યુગે॥૪.૮॥
સજ્જનોની રક્ષા, દુષ્ટોનો વિનાશ અને ધર્મની પુનઃસ્થાપના માટે શ્રીભગવાન દરેક યુગમાં અવતાર ધારણ કરે છે. જેમ પાણી ઘન બની બરફરૂપે પ્રગટ થાય છે, તેમ બ્રહ્મ પણ ઘન બની સાકાર સ્વરૂપે અવતરિત થાય છે. આ ધર્મની રક્ષા માટે આજે શ્રીભગવાન શ્રીમદ્ભગવદ્ગીતાના રૂપમાં આપણા ઘરોમાં વિરાજમાન છે. શ્રીમદ્ભગવદ્ગીતા, શ્રીકૃષ્ણની ‘વાંગ્મય મૂર્તિ’ (શબ્દરૂપ વિગ્રહ) છે!
શ્રીભગવાન કહે છે કે જે વ્યક્તિ મારા જન્મ અને કર્મની દિવ્યતાને તત્ત્વથી જાણે છે, તે પુનર્જન્મને પ્રાપ્ત થતો નથી, પરંતુ મને જ પ્રાપ્ત થાય છે.
જન્મ કર્મ ચ મે દિવ્યમ્, એવં(ય્ઁ) યો વેત્તિ તત્ત્વતઃ।
ત્યક્ત્વા દેહં(મ્) પુનર્જન્મ, નૈતિ મામેતિ સોઽર્જુન॥૪.૯॥
શ્રીભગવાન અર્જુનને પોતાના અવતારનું રહસ્ય સમજાવતા કહે છે—
"जन्म कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वतः"
અર્થાત્ મારો જન્મ અને મારું કર્મ બંને દિવ્ય છે. તેને સામાન્ય મનુષ્યના પ્રારબ્ધજન્ય જન્મ સમાન ક્યારેય સમજવું નહીં. સામાન્ય જીવ પોતાના કર્મોના બંધનમાં બંધાઈને જન્મ લે છે, જ્યારે પરમાત્મા પોતાની યોગમાયા દ્વારા સ્વેચ્છાએ પ્રગટ થાય છે.
‘તત્ત્વતઃ’ જાણવાનો અર્થ માત્ર જાણકારી મેળવવો નથી, પરંતુ તે પરમ સત્યના સારને આત્મસાત્ કરવો છે. જે વ્યક્તિ સમજે છે કે પરમાત્મા પૂર્ણ બ્રહ્મ હોવા છતાં ભક્તો માટે સાકાર સ્વરૂપે કેમ અને કેવી રીતે પ્રગટ થાય છે? ઈશ્વરનો અવતાર માત્ર અસુરોના સંહાર માટે જ નથી.
ગુરુદેવે આ વિષય પર ખૂબ મર્મસ્પર્શી પ્રકાશ પાડ્યો છે— કંસ અથવા રાવણ જેવા આતતાયીઓનો વિનાશ કરવા માટે શ્રીભગવાનને સ્વયં આવવાની જરૂર નહોતી; તેઓ પોતાના દૂત અથવા સુદર્શન ચક્ર દ્વારા પણ કાર્ય સિદ્ધ કરી શકતા હતા. પરંતુ શબરીની આતુર પ્રતીક્ષા, ગોપીઓનો અનન્ય પ્રેમ અને હનુમાનજીની ભક્તિનું ફળ આપવા માટે તેમને સ્વયં પધારવું પડ્યું. પરમાત્મા ભક્તોના પ્રેમથી વશ થઈ અવતરિત થાય છે!
‘તત્ત્વ’ શબ્દમાં જ પરમાત્માનું સ્વરૂપ સમાયેલું છે—તત્ એટલે ‘તે’ (નિર્ગુણ, નિરાકાર, અવિનાશી સત્તા) અને ત્વ એટલે તેનો ભાવ અથવા સ્વરૂપ. જેમ ‘માતૃત્વ’ માતાના સ્વરૂપને અને ‘બાળકત્વ’ બાળકના સ્વભાવને દર્શાવે છે, તેમ ‘તત્ત્વ’ ઈશ્વરના યથાર્થ સ્વભાવ અને દિવ્યતાનું પ્રતિનિધિત્વ કરે છે. જે સાધક શ્રીભગવાનને આ સમગ્ર દૃષ્ટિથી જાણે છે, તે જ્ઞાનની પરાકાષ્ઠા સુધી પહોંચે છે!
શ્રીભગવાન કહે છે—
"त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन"।
અર્થાત્ જે મનુષ્ય શ્રીભગવાનના જન્મ અને કર્મની દિવ્યતાને તત્ત્વથી જાણે છે, તે દેહત્યાગ પછી ફરી આ દુઃખમય મૃત્યુલોકમાં જન્મ લેતો નથી. તે પુનર્જન્મના ચક્રથી મુક્ત થઈ સીધા શ્રીભગવાનને જ પ્રાપ્ત થાય છે અને તેમના હૃદયમાં નિત્ય નિવાસ મેળવે છે।ભગવાનને માત્ર ‘માનવું’ ભક્તિની શરૂઆત છે, પરંતુ તેમને ‘તત્ત્વતઃ જાણવું’ — એટલે કે તેમના સ્વરૂપ અને લીલાનું યથાર્થ જ્ઞાન મેળવવું — એ જ સાચી ભક્તિ અને મોક્ષનું દ્વાર છે।
વીતરાગભયક્રોધા, મન્મયા મામુપાશ્રિતાઃ।
બહવો જ્ઞાનતપસા, પૂતા મદ્ભાવમાગતાઃ॥૪.૧૦॥
શ્રીભગવાન અર્જુનને સંબોધિત કરતાં એવી મોક્ષાવસ્થાનું વર્ણન કરે છે, જે દેહત્યાગ પછી નહીં પરંતુ દેહમાં રહેતા જ અનુભવી શકાય છે. તેઓ એવા મહાપુરુષોના લક્ષણો દર્શાવે છે, જેઓ સાક્ષાત્ પરમાત્માના સ્વરૂપને પ્રાપ્ત કરી ચૂક્યા છે.
વિકારોથી મુક્તિ એટલે રાગ, ભય અને ક્રોધથી મુક્તિ. શ્લોકમાં આવેલ “વીતરાગભયક્રોધાઃ” શબ્દનો અર્થ છે— જે સાધકોના રાગ, ભય અને ક્રોધ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયા છે. અહીં આ ત્રણ મુખ્ય વિકારોનો પરસ્પર સંબંધ સમજાવવામાં આવ્યો છે—
રાગ (આસક્તિ): જ્યારે મનુષ્યના અંતઃકરણમાં પદ, પ્રતિષ્ઠા, પરિવાર અથવા સંબંધો પ્રત્યે ગાઢ લગાવ હોય, તેને રાગ કહેવાય.
ભય: આસક્તિમાંથી જ ભય જન્મે છે. જે વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે આસક્તિ હોય, તેને ગુમાવવાનો ડર રહે છે— “ક્યાંક આ મારી પાસેથી છીનવાઈ ન જાય.” સંયોગ સાથે વિયોગની સંભાવના જ ભયનું મૂળ કારણ છે!
ક્રોધ: જ્યારે આસક્તિની પૂર્ણતામાં કોઈ અવરોધ ઉભો થાય, ત્યારે તે અવરોધક પ્રત્યે ક્રોધ ઉત્પન્ન થાય છે.
આ ત્રણેય વિકાર એક જ શ્રેણીમાં જોડાયેલા છે. શ્રીભગવાન કહે છે કે જેમનું અંતઃકરણ આ વિકારોથી મુક્ત થઈ ગયું છે, તે જ મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે!
"वीतरागविषयं वा चित्तम्"
જો સાધકને સીધું પરમાત્માનું ચિંતન કરવું મુશ્કેલ લાગે, તો તેને એવા મહાપુરુષોના ચિત્તનું ચિંતન કરવું જોઈએ, જેઓ આ વિકારોથી સંપૂર્ણ મુક્ત થઈ ગયા છે.
સંત એકનાથ અક્રોધની પ્રતિમૂર્તિ હતા. પૈઠણના સંક એકનાથજી મહારાજ એટલા શાંત હતા કે લોકો તેમને ક્રોધિત કરવાની શરતો લગાવતા! એક વખત એક વ્યક્તિ તેમને ગુસ્સે કરવા માટે વારંવાર તેમના પર થૂંક્યો, પરંતુ એકનાથજી દરેક વખત શાંતિથી ગંગાસ્નાન કરવા જતા! તેમણે પોતાનું અંતઃકરણ એટલું નિર્મળ બનાવ્યું હતું કે બહારનું કોઈ અપમાન તેમના અંદર ક્રોધની અગ્નિ પ્રગટાવી શકતું નહોતું!
સંત તુકારામ અનાસક્તિ અને નિર્ભયતાનું ઉદાહરણ છે. એક વખત છત્રપતિ શિવાજી મહારાજે તુકારામજીની ગરીબી જોઈ તેમને કિંમતી રત્નો, સોનાના આભૂષણો અને રેશમી વસ્ત્રોની ભેટ મોકલી! જ્યારે તુકારામજીએ પોતાની પત્ની અને બાળકોને નવા વસ્ત્રોમાં જોયા, ત્યારે તેઓ ખુશ થવાના બદલે ભયભીત થઈ ગયા! તેમણે કહ્યું— “આ ભેટ તરત પરત મોકલો. જો મારું મન આ ભૌતિક સુખોમાં અટકી જશે, તો હું મારા વિઠ્ઠલને ભૂલી જઈશ!” તેમનું અંતઃકરણ જાણતું હતું કે સંસારનો રાગ પરમાત્માના માર્ગમાં સૌથી મોટું વિઘ્ન છે!
આવા નિસ્પૃહ સંતોના અંતઃકરણનું ચિંતન કરતાં આપણું ચિત્ત પણ ધીમે ધીમે નિર્મળ બની વિકારોથી મુક્ત થવા લાગે છે.
મહર્ષિ પતંજલિનું એક સૂત્ર છે—
वीतरागविषयं वा चित्तम्"શ્રીભગવાન બે મહત્વપૂર્ણ શબ્દપ્રયોગ કરે છે— ‘મન્મયા’ અને ‘મામુપાશ્રિતાઃ’
જેનું મન સતત પરમાત્મામાં લીન રહે છે! સિદ્ધાંત છે—
"तत्रात्मा यत्र वै मनः"
જ્યાં આપણું મન હોય છે, ત્યાં આપણે હોઈએ છીએ! જો સત્સંગ સાંભળતાં સમયે મન રસોડામાં કે ટીવીના કાર્યક્રમમાં હોય, તો હકીકતમાં આપણે ત્યાં જ છીએ!
સાધકે પોતાના અહંકારનો નહીં, પરંતુ પરમાત્માનો આશ્રય લેવો જોઈએ! પ્રાર્થના કરવી જોઈએ— “હે ભગવાન! આપ જ મારું મન તમારા ચરણોમાં સ્થિર કરી દો."
સંત તુકારામ પોતાના અભંગમાં કહે છે—
घेई घेई माझे वाचे, गोड नाम विठोबाचें ॥
मना तेथें धांव घेई, राहें विठोबाचे पायीं ॥
અર્થાત્— “હે મારી વાણી! વિઠ્ઠલનું મધુર નામ લો. હે મન! અહીં-ત્યાં ભટકવાને બદલે ભગવાનના ચરણોમાં જ સ્થિર થઈ જા."
શ્રીભગવાન કહે છે—
"बहवो ज्ञानतपसा पूता"।
જેમ અગ્નિમાં તપીને સોનું વધુ શુદ્ધ બને છે (૧૮ કેરેટથી ૨૪ કેરેટ), તેમ જ્ઞાનરૂપ તપથી અંતઃકરણની અશુદ્ધિઓ નષ્ટ થાય છે! મહાભારતમાં કહેવામાં આવ્યું છે— “તપો દ્વંદ્વસહનમ્” — તપ એટલે સુખ-દુઃખ જેવા દ્વંદ્વોને સહન કરવું. પવિત્ર બની સાધક “મદ્ભાવમાગતાઃ” — મારા ભાવને પ્રાપ્ત થાય છે.
તેને વિદ્યુત ઇજનેરીના ‘ઇન્ડક્શન ઇફેક્ટ’થી સમજી શકાય છે. જેમ ટ્રાન્સફોર્મરમાં એક કુંડળીની વિદ્યુત શક્તિ સ્પર્શ વિના બીજી કુંડળીમાં સંક્રમિત થાય છે, તેમ સતત સ્મરણ અને સત્સંગથી ભક્તમાં ભગવાનના ગુણો પ્રગટ થાય છે.
સંત તુકારામ કહે છે—
"आधी होता सत्संग, तुका झाला पांडुरंग"
અર્થાત્ સત્સંગ અને સતત ચિંતનથી તુકારામ પોતે પાંડુરંગ સ્વરૂપ થઈ ગયા! સમર્થ રામદાસ તેને ‘અભેદ ભક્તિ’ કહે છે, જ્યાં ભક્ત અને ભગવાન વચ્ચેનો ભેદ સમાપ્ત થઈ જાય છે।આ રીતે રાગ, ભય અને ક્રોધથી મુક્ત થઈ, અનન્ય ભાવથી ઈશ્વરનો આશ્રય લેતા અને જ્ઞાન-તપથી પવિત્ર બનેલા અનેક સાધકો શ્રીભગવાનના ધામને પ્રાપ્ત થયા છે. આ સાથે જ વિવેચન સત્રની સમાપ્તિ થઈ. પ્રશ્નોત્તરીનું સત્ર શરૂ થયું.
પ્રશ્નોત્તરી
૧) પ્રશ્નકર્તા – શ્રીમતી મુનમુન ગુપ્તા દીદી
પ્રશ્ન: ક્યારેક અમે રાત્રે ભોજન કરતા નથી અને બીજા દિવસે બાકી રહેલું ભોજન ગાય કે કૂતરાને ખવડાવીએ છીએ. મન કહે છે કે આપણે મોટું દાન કર્યું છે. શું આ ખરેખર મોટું કાર્ય છે?
ઉત્તર:
બાકી રહેલું ભોજન આપવું દાન નથી, કારણ કે જે બચ્યું હતું તે જ આપ્યું. અન્નનો વ્યય અટકાવવો સારો છે, પરંતુ તે વિશેષ પુણ્ય નથી. જો ભોજનનો પ્રથમ ગ્રાસ આપીએ, તો તે સાચું દાન ગણાય! મનને સમજાવવું જોઈએ કે આપણે માત્ર કર્તવ્યનું પાલન કર્યું છે. મનને સંકુચિતતાથી બહાર લાવવું જરૂરી છે.
૨) પ્રશ્નકર્તા – શ્રીમતી પુષ્પા જાજુ દીદી
પ્રશ્ન: જ્ઞાનેશ્વરી વિશે માહિતી આપો.
ઉત્તર:
જ્ઞાનેશ્વરી, સંત જ્ઞાનેશ્વર દ્વારા રચાયેલ ભગવદ્ગીતા પરનું મરાઠીમાં ભાષ્ય છે, જે આશરે સાતસો પચાસ વર્ષ પહેલાં લખાયો હતો! આજે તે સરળ મરાઠીમાં ‘સુબોધ જ્ઞાનેશ્વરી’ રૂપે ઉપલબ્ધ છે. ગીતા પ્રેસ ગોરખપુરે તેનો હિન્દી અનુવાદ પણ પ્રકાશિત કર્યો છે, જે ગીતાના ભાવાર્થને સરળતાથી સમજવામાં મદદ કરે છે.
૩) પ્રશ્નકર્તા – શ્રીમતી ઉર્મિલા મુન્દડા દીદી
પ્રશ્ન: વિવસ્વાન કોણ છે?
ઉત્તર:
વિવસ્વાન સૂર્ય ભગવાનના અનેક નામોમાંથી એક નામ છે। વર્તમાન મન્વંતર ‘વૈવસ્વત મન્વંતર’ તરીકે ઓળખાય છે।
૪) પ્રશ્નકર્તા – શ્રી જગમોહનલાલ સદના ભૈયા
પ્રશ્ન: પરમાત્માને તત્ત્વથી જાણવાનો અર્થ શું?
ઉત્તર:
તેનો અર્થ છે પરમાત્માને સમગ્ર રીતે જાણવા! ચાર અંધ લોકો અને હાથીની વાર્તાથી આ સમજી શકાય. દરેકે હાથીના જુદા ભાગને સ્પર્શ કરીને જુદી સમજ આપી! તેવી જ રીતે આપણે પોતાની અનુભૂતિ પ્રમાણે પરમાત્માને સમજીએ છીએ અને પોતાની માન્યતાને જ સાચી માનીએ છીએ. આથી મતભેદ ઊભા થાય છે. અસલમાં, આપણે પરમાત્માના વિવિધ સ્વરૂપોની આરાધના કરીએ છીએ, પરંતુ મૂળ તત્ત્વ એક જ છે. તેમને સમગ્ર રીતે જાણવા માટે પૂજા, અર્ચના, સ્તોત્રપાઠ અને સતત સ્મરણ દ્વારા તેમના સાથે વધુ સમય વિતાવવો જરૂરી છે.
આ સાથે જ પ્રશ્નોત્તરીનું સત્ર સમાપ્ત થયું. અંતિમ પ્રાર્થના અને હનુમાન ચાલીસાના પઠન પછી વિવેચનસત્રની સમાપ્તિ થઈ.